કોરોના વાઇરસ : ભારતમાં જુલાઈ સુધી ચેપગ્રસ્તોની સંખ્યા 21 લાખ થઈ જશે?

કોરોના વાઇરસને કારણે સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં ભારત 10મા ક્રમે પહોંચી ગયું છે. બીજી બાજુ, સંશોધકોનું કહેવું છે કે ભારતમાં કોરોનાના કેસોની સંખ્યામાં જંગી વૃદ્ધિ થઈ શકે છે.

ન્યૂઝ એજન્સી રૉઇટર્સે મિશિગન યુનિવર્સિટીના નિષ્ણાતને ટાંકતાં આ મતલબની આગાહી કરી છે.

કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર-કલ્યાણ મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં કોરોનાના કુલ એક લાખ 38 હજાર 845 કેસ નોંધાયેલા છે, જેમાંથી 57 હજાર 721 ઍક્ટિવ કેસ છે, જ્યારે 4021નાં મૃત્યુ થયાં છે.

ઉલ્લેખનીય છે કે વસતિની દૃષ્ટિએ વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે.

આંકડા અને આગાહી

સરકારી આંકડા પ્રમાણે, ભારતમાં સરેરાશ 13 દિવસે કેસોની સંખ્યા બમણી થઈ રહી છે.

18મી મેથી દેશમાં ચોથા તબક્કાનું લૉકડાઉન શરૂ થયું છે, જેમાં વિમાનઉડ્ડયન, રેલવેવ્યવહાર તથા બસપરિવહનમાં વ્યાપક છૂટછાટો આપવામાં આવી છે.

ન્યૂઝ એજન્સી રૉઇટર્સે યુનિવર્સિટી ઑફ મિશિગન ખાતે બાયૉસ્ટેટેસ્ટિક્સ તથા મહામારીના નિષ્ણાત પ્રોફેસર ભ્રમર મુખરજી સાથે વાત કરી હતી.

પ્રો. મુખરજીના કહેવા પ્રમાણે, ભારતમાં હજુ કેસની સંખ્યામાં ઘટાડાની શરૂઆત નથી થઈ અને જુલાઈ મહિના સુધીમાં આ સ્થિતિ વધુ વકરી શકે છે.

ભારત સહિત વિશ્વના અનેક દેશો દ્વારા કોરોના વાઇરસની રસી અને દવા શોધવા માટે પ્રયાસ ચાલુ છે, પરંતુ કોઈ નક્કર ઉપચાર મળતા સમય લાગશે.

આથી, માસ્ક પહેરવો, હાથ ધોવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જેવા ઉપાયો દ્વારા 'સતર્ક રહો, સલામત રહો'ની નીતિ અપનાવવા ભલામણ કરવામાં આવે છે.

21 લાખ સુધીનો આંકડો

પ્રો. મુખરજીની ટીમના અનુમાન પ્રમાણે, જુલાઈ મહિનાની શરૂઆતમાં ભારતમાં છ લાખ 30 હજારથી 21 લાખ લોકો આ રોગથી સંક્રમિત થાય તેવી વકી છે.

દેશના કુલ કેસમાંથી લગભગ પાંચમા ભાગના કેસ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં છે, જેને દેશની 'આર્થિક રાજધાની' તરીકે પણ ઓળખવામાં આવે છે.

દેશની મોટાભાગની સરકારી હૉસ્પિટલોમાં બેડની સંખ્યા ઓછી છે. કોરોના સંક્રમિત દરદીને હૉસ્પિટલમાં દાખલ કરાવવા માટે પરિવારજનોએ ઠેર-ઠેર ભટકવું પડી રહ્યું છે.

સરકારની પ્રતિક્રિયા

'જો દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં જંગી વધારો થશે, તો સરકાર શું કરશે?' તેવા મતલબના રૉઇટર્સના સવાલની ઉપર કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી.

સરકાર દ્વારા બહાર પડાયેલી પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યું છે કે તમામ દરદીઓને હૉસ્પિટલમાં દાખલ કરાવવાની જરૂર નથી. આ સિવાય સરકાર દ્વારા હૉસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

સરકારી આંકડા પ્રમાણે, હાલમાં ભારતમાં લગભગ સાત લાખ 14 હજાર બેડ ઉપલબ્ધ છે.

ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના કુલ 14 હજાર 56 કેસ નોંધાયાલેલા છે, જેમાંથી એકલા અમદાવાદમાં 10 હજાર કેસ નોંધાયેલા છે.

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના આંકડા પ્રમાણે, ગુજરાતમાં કોરોનાને કારણે કુલ 858 મૃત્યુ થયાં છે, જ્યારે છ હજાર 412 દરદી સાજા થતાં, તેમને રજા આપવામાં આવી છે.

સોમવાર સવારની સ્થિતિ મુજબ રાજ્યમાં છ હજાર 793 ઍક્ટિવ કેસ છે, જેમાંથી 69 પેશન્ટ વૅન્ટિલેટર પર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો