You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લૅન્ડ સામે નારંગી રંગની જર્સી પહેરીને મેદાનમાં ઊતરશે
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
રવિવારે ભારતની ક્રિકેટ ટીમ યજમાન ઇંગ્લૅન્ડ સામે બર્મિંગહામ મેદાન ઊતરશે. ક્રિકેટ કંટ્રોલ બૉર્ડ ઑફ ઇંડિયાએ ટ્વીટ કરીને આ અંગે ઔપચારિક માહિતી આપી હતી.
જેકે, એ દિવસે ભારતીય ટીમ નારંગી રંગની જર્સી પહેરશે, તેવી ચર્ચા વહેતી થઈ હતી, જેના કારણે વિવાદ ઊભો થયો હતો.
જેના આધારે કૉંગ્રેસ તથા સમાજવાદી પક્ષે ટીમની જર્સીના રંગ માટે 'ભગવાકરણ'નો આરોપ મૂક્યો હતો.
રવિવારે કોણ જીતશે તેના ઉપર ICC વન-ડે રૅન્કિંગનો આધાર રહેશે.
જર્સીનું 'ભગવા'કરણ
મુંબઈમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર દરેક બાબતનું 'ભગવાકરણ' કરવાનો આરોપ મૂક્યો છે સાથે જ ઉમેર્યું હતું કે તેઓ સમગ્ર દેશને 'ભગવા' રંગે રંગવા માગે છે.
આઝમી ફિલ્મ અભિનેત્રી આયેશા ટાકિયાના સસરા થાય છે. ભારતીય ક્રિકેટ ટીમના સત્તાવાર ઍપ્રલ પાર્ટનર નાઇકીના કહેવા પ્રમાણે, નવી જર્સીમાં ખેલાડીઓને પરસેવો ઓછો થશે તથા તેઓ સહેલાઈથી હરીફરી શકશે.
કૉંગ્રેસના ધારાસભ્ય નસીમ ખાને આઝમીના આરોપને ટેકો આપ્યો છે, જ્યારે ભાજપે તેને 'સંકુચિત માનસિકતા' ગણાવીને તેની મજાક ઉડાવી છે.
બીજી બાજુ, કૉંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું હતું કે ટીમનો ડ્રેસ રાજકારણનો મુદ્દો નથી અને તેઓ ઇચ્છે કે ભારતીય ટીમ વિશ્વવિજેતા બનીને પરત ફરે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર સંસ્થા એએનઆઈએ 'આઈસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ને ટાંકતા લખ્યું છે કે બીસીસીઆઈ (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ને કેટલાક વિકલ્પ આપવામાં આવ્યા હતા.'
'ઇંગ્લૅન્ડની ટીમ પણ ભારત જેવા જ બ્લૂ રંગનો ડ્રેસ પહેરતી હોવાથી બંને ટીમોને અલગ પાડવા માટે આ વિચાર કરવામાં આવ્યો છે.'
'ભારતે નારંગી રંગની ડિઝાઇન સ્વીકારી હતી, જે તેની જૂની ટી-20 જર્સી સાથે સામ્યતા ધરાવે છે.'
આઈસીસીએ જે ટીમો બ્લૂ કે લીલા રંગની જર્સી ધરાવતી હોય તેમને બે રંગની ક્રિકેટ કિટ રાખવા નિર્દેશ આપ્યા હતા.
જોકે, ઇંગ્લૅન્ડ યજમાનરાષ્ટ્ર હોવાથી તેને માત્ર એક જ રંગની કિટ સાથે રમવાની છૂટ આપવામાં આવી હતી.
બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન તથા દક્ષિણ આફ્રિકાએ મુખ્ય કિટ સાથે વૈકલ્પિક ક્રિકેટ કિટ લૉન્ચ કરી હતી.
રમતજગતમાં બે રંગની જર્સી એ નવી વાત નથી. ફૂટબૉલની રમતમાં જ્યારે બે ટીમોના ગણવેશ સરખા રંગના હોય ત્યારે પ્રેક્ષકો કન્ફ્યૂઝ ન થાય તે માટે અલગ-અલગ રંગની જર્સી અપનાવવામાં આવે છે.
વન-ડે રૅન્કિંગનો આધાર
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી રૅન્કિંગમાં ભારતે ઇંગ્લૅન્ડની ટીમને પછાડીને નંબર વનનું સ્થાન હાંસલ કરી લીધું છે, જોકે ભારત આ સ્થાને રહેશે કે કેમ તે 'જો...અને તો...' પર આધારિત છે.
ટેસ્ટ રૅન્કિંગમાં ભારત અગાઉથી જ પ્રથમ ક્રમે છે. વનડે રૅન્કિંગમાં ભારત 123 પૉઇન્ટ્સ સાથે પ્રથમ ક્રમે છે, જોકે ઇંગ્લૅન્ડ ખાસ દૂર નથી અને 122 પૉઇન્ટ્સ સાથે બીજા ક્રમે છે.
વર્લ્ડ કપ દરમિયાન ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં ઇંગ્લૅન્ડનો પરાજય થયો હતો, જેની અસર રૅન્કિંગ પર પણ પડી હતી અને ભારતની ટીમ આગળ નીકળી ગઈ હતી.
જો વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં ભારતનો વિજય થયો છે, જેથી ઇંગ્લૅન્ડની ટીમ માટે ફરી એક વખત ટોચ ઉપર પહોંચવું મુશ્કેલ બની ગયું છે.
હવે, જો ભારતની ટીમ ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં પણ વિજય હાંસલ કરે તો 124 પૉઇન્ટ સાથે ભારત ટોચ પર જ રહેશે અને ઇંગ્લૅન્ડની ટીમ 121 પૉઇન્ટ ઉપર અટકી જશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો