You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદી : ગાંધીનગરમાં પીએમ મોદીએ કહ્યું 'ભારત ચિપ ટેકરમાંથી ચિપ મેકર બનવા માગે છે' - પ્રેસ રિવ્યૂ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના ડિજિટલ ઇન્ડિયા વીક 2022માં ગાંધીનગર ખાતે ડિજિટલ ઇન્ડિયા ભાષિની, ડિજિટલ ઇન્ડિયા જેનેસિસ, ચિપ્સ ટૂ સ્ટાર્ટઅપ (સી2એસ) પ્રોગ્રામ લૉન્ચ કર્યા હતા.
આ અવસર પર વડા પ્રધાન મોદીએ કહ્યું કે, "આજે ભારત 300 અબજ ડૉલરનું ઇલેક્ટ્રોનિક્સ મૅન્યુફેક્ચરિંગનું ટાર્ગેટ આવતા ત્રણ-ચાર વર્ષમાં હાંસલ કરવાનું લક્ષ્ય લઈને ચાલી રહ્યું છે. ભારત ચિપ ટેકમાંથી ચિપ મેકર બનવા માગી રહ્યું છે. ભારતમાં સેમિકન્ડક્ટરનું નિર્માણ વધારવા માટે રોકાણ પણ ઝડપથી વધી રહ્યું છે."
" અંતરિક્ષ હોય, મૅપિંગ, ડ્રોન્સ, ગેમિંગ અને એનિમેશન, બધાં જ ક્ષેત્રો જે ડિજિટલ ટેકનૉલૉજીનો વિસ્તાર કરશે , તેને ઇનોવેશન માટે ખોલવામાં આવ્યા છે. IN-SPACe અને નવી ડ્રોન નીતિ પણ લાગુ કરવામાં આવશે."
"ફિનટેકમાં થયેલા પ્રયોગો લોકો દ્વારા, લોકો માટે અને લોકોમાંથી આવેલા સમાધાન છે. આમાં જે ટેકનૉલૉજી છે તે પોતે ભારતની જ છે, જે લોકો દ્વારા વિકસાવવામાં આવી છે. દેશવાસીઓએ તેને પોતાના જીવનનો ભાગ બનાવ્યો છે અને તેનાથી લોકો માટે ટ્રાન્ઝૅક્શન સહેલું થયું છે."
વડા પ્રધાનની સુરક્ષામાં ચૂક માટે ચાર કૉંગ્રેસ કાર્યકરોની ધરપકડ, ભાજપે કહ્યું- ઍન્ટીનેશનલ કૉંગ્રેસ
આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના ડીએસપી વિજયપાલે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હૅલિકૉપ્ટરે ઉડાણ ભરી ત્યાર પછી ફુગ્ગા છોડવાના આરોપમાં ચાર કૉંગ્રેસ કાર્યકરોની ધરપકડ કરાઈ છે.
તેમણે કહ્યું કે આ લોકોને જલદી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જોકે તેમણે એમ પણ કહ્યું કે આ મામલામાં અત્યારે કેટલાક વધુ લોકોની ધરપકડ બાકી છે.
મોદી આંધ્ર પ્રદેશના પશ્ચિમી ગોદાવરી જિલ્લાના ભીમાવરમ પાસે જાણીતા નેતા અલ્લૂરી સીતારામ રાજૂની 125મી વરસી પર આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
પેદ્દા અમિરામ ગામમાં આયોજિત આ સમારોદમાં મોદીએ સીતારામ રાજૂની 30 ફીટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આની પહેલાં કૃષ્ણા જિલ્લાના પોલીસ અધીક્ષક સિદ્ધાર્થ કૌશલે કહ્યું હતું કે ગન્નાવરમ ઍરપોર્ટની ચારે બાજુ સુરક્ષાવ્યવસ્થા કડક કરવામાં આવી છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર પોલીસનું કહેવું છે કે મોદીના ઍરપોર્ટ પર પહોંચવા દરમિયાન સુરક્ષામાં ચૂકની કોઈ ઘટના નથી થઈ, તેમના ગન્નાવરમ ઍરપોર્ટથી ઉડાણ ભરવાના પાંચ મિનિટ પછી આકાશમાં ફુગ્ગા છોડવામાં આવ્યા હતા.
ભાજપ નેતા વી સત્યમૂર્તિએ આના માટે કૉંગ્રેસ પાર્ટીને જવાબ ઠેરવી હતી અને કહ્યું કે કૉંગ્રેસ કાર્યકરોએ વડા પ્રધાનની સુરક્ષા માટે ખતરો ઊભો કરવાના પ્રયત્નો કર્યા છે અને કૉંગ્રેસ તેમને પ્રોત્સાહન આપે છે.
તેમણે કહ્યું, "મને નથી ખબર કે આ પ્રકારની વાતોનું કૉંગ્રેસ કેમ સમર્થન કરે છે, તેમણે ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ નહીં બલ્કે ઍન્ટી નેશનલ કૉંગ્રેસ કહેવું જોઈએ."
"સરકારે આ પ્રકરણની તપાસ કરવી જોઈએ અને આ મામલામાં દોષિતોને કડક સજા આપવી જોઈએ. આનાથી અમારા વડા પ્રધાનની સુરક્ષા માટે ગંભીર ખતરો ઊભો થઈ ગયો છે."
વડા પ્રધાન મોદીને તેલંગાણામાં સીએમ દ્વારા ઍરપૉર્ટ પર રિસીવ ન કરવાનો વિવાદ શું છે?
હૈદરાબાદ ઍરપૉર્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રિસીવ કરવા ન આવવા પર ભાજપે તેલંગાણાના મુખ્ય મંત્રીના ચંદ્રશેખર રાવના વર્તનની ટીકા કરી છે.
ગત દિવસોમાં નરેન્દ્ર મોદી હૈદરાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સામેલ થવા પહોંચતા હતા.
પરંતુ મુખ્ય મંત્રી ચંદ્રશેખર રાવ તેમનું સ્વાગત કરવા ઍરપૉર્ટ પર નહોતા પહોંચ્યા.
જોકે કેસીઆરે વિપક્ષના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર યશવંત સિંહાને રિસીવ કરવા ઍરપૉર્ટ પર ગયા હતા. તેમની સાથે કૅબિનેટના બધા સભ્યો પણ ગયા હતા.
આની પર આપત્તિ વ્યક્ત કરતા કેન્દ્રીય ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે કેસીઆરે એ ન ભૂલવું જોઈએ કે તેઓ એક રાજ્યમાં મુખ્ય મંત્રી છે.
તેમણે કહ્યું કે, આ દેશના લોકોએ નરેન્દ્ર મોદીને બે વખત વડા પ્રધાન ચૂંટવામાં આવ્યા. પોતાની બંધારણીય જવાબદારીને પૂરી કરવા માટે કોઈ પણ મુખ્ય મંત્રીએ શિષ્ટાચારનું પાલન કરવું જોઈએ.
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, જે રીતે આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રીએ આજે સવારે પોતાનું વર્તન દર્શાવતા વડા પ્રધાનનું સ્વાગત કર્યું. કેસીઆર બંધારણનો અનાદર કરે છે. આ અફસોસની વાત છે.
આ વર્ષે ત્રીજી વખત કેસીઆરનું સ્વાગત કરવા માટે ઍરપૉર્ટ નહોતા પહોંચ્યા. ટીઆરએસના નેતા કેસીઆરે છેલ્લા કેટલાક વર્ષથી નરેન્દ્ર મોદીની સરકાર સામે આક્રામક વલણ અપનાવ્યું છે. તેમણે ભાજપની વિરુદ્ધ ત્રીજા મોરચાના ગઠનની વકાલત પણ કરી છે.
ડેનમાર્કના સૌથી મોટા મૉલમાં ફાયરિંગ, ત્રણ મૃતકોમાં 17 વર્ષના બે કિશોર સામેલ
ડેનમાર્કના સૌથી મોટા શૉપિંગ મૉલમાં થયેલા ફાયરિંગમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
પોલીસ અનુસાર ઈજાગ્રસ્તોમાં ત્રણ લોકોની હાલત ગંભીર બની છે.
સાઉથ કોપહેગનમાં ફીલ્ડ્સ મૉલમાં રવિવારના એક કિશોરે અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું અને મૉલમાં અફરાતફરી મચી ગઈ.
મૃતકોમાં 17 વર્ષના બે કિશોરો અને 47 વર્ષીય રશિયન નાગરિક સામેલ છે.
શકમંદ હુમલાખોરને માનસિક સમસ્યાઓ હોવાનું જણાવાયું છે અને પોલીસ અનુસાર આની પાછળ આતંક ફેલાવવાનો હેતુ હોવાના સંકેત મળ્યા નથી.
પોલીસે જણાવ્યું કે તેની પાસે ચાકુ અને રાઇફલ હતી.
પોલીસ પ્રમુખે જણાવ્યું કે સોએરેન થૉમસેને કહ્યું કે તેઓ માને છે કે શકમંદ વ્યક્તિ ડેનિશ મૂળની છે અને તેણે એકલા જ આ હુમલો કર્યો અને તેની કોઈએ મદદ નહોતી કરી.
ગુજરાતમાં એક માસમાં ભાજપ કરતાં પણ મોટી બનશે આપ : અરવિંદ કેજરીવાલ
આઉટલુકઇન્ડિયા ડોટ કૉમના એક અહેવાલ અનુસાર આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલે લોકોને અપીલ કરી હતી કે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ પર પોતાનો મત બરબાદ ન કરે.
અમદાવાદ ખાતે પક્ષના નવા નિમાયેલ હોદ્દેદારની એક સભા સંબોધતાં કેજરીવાલે દાવો કર્યો હતો કે ગુજરાતમાં કૉંગ્રેસ માત્ર કાગળ પર બાકી રહી છે.
તેમણે આગળ કહ્યું કે, "જો પાર્ટીના વ્યવસ્થાતંત્રની વાત કરાય તો આપ ખૂબ ઓછા સમયમાં કૉંગ્રેસ કરતાં મોટી બની છે. જ્યારે એક માસમાં પાર્ટીનું બૂથ-લેવલ-સેટઅપ ગોઠવાઈ ગયા બાદ તે ભાજપ કરતાં પણ મોટી બનશે."
કેજરીવાલે આ દરમિયાન કહ્યું હતું કે, "જે લોકો કૉંગ્રેસને વિકલ્પ નથી ગણતા અને ભાજપના શાસનથી પરેશાન છે જો તેઓ આમ આદમી પાર્ટીને મત આપે તો ગુજરાતમાં આગામી સરકાર આપની બનશે."
ગુજરાત : ગોધરા હત્યાકાંડમાં 19 વર્ષ સુધી નાસતા ફરતા એકને જનમટીપ
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે ગોધરાની એક સ્થાનિક અદાલતે શનિવારે ગોધરા હત્યાકાંડ કેસમાં પકડાયેલા રફીક ભટુકને જનમટીપની સજા કરી છે.
નોંધનીય છે કે ભટુક પાછલાં 19 વર્ષથી પોલીસ અને ન્યાયિક પ્રક્રિયાથી બચવા ભાગતો ફરતો હતો. તેમજ તેની ધરપકડ ફેબ્રુઆરી 2021માં જ થઈ હતી.
ગોધરા ખાતે એડિશનલ સેશન્સ જજની કોર્ટે ભટુકને આ સજા સંભળાવી હતી.
નોંધનીય છે કે આ હત્યાકાંડમાં અયોધ્યાથી સાબરમતી સુધી આવતી ટ્રેનને આગચાંપી દેવાઈ હતી. જેમાં 59 કારસેવકો હતા.
સરકારી વકીલે આ કેસ અંગે આપેલી માહિતી અનુસાર આ કેસમાં ગુનેગાર ઠરનાર ભટુક 35મી વ્યક્તિ છે. જ્યારે વધુ ચાર આરોપીઓ પોલીસની પહોંચથી દૂર છે.
ભાજપ કાર્યકારિણીની બેઠકમાં વડા પ્રધાને હૈદરાબાદને ગણાવ્યું 'ભાગ્યનગર'
વડા પ્રધાન મોદીએ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં હૈદરાબાદનો ઉલ્લેખ ભાગ્યનગર સ્વરૂપે કરતાં કહ્યું છે કે આ આપણા બધા માટે ઘણું મહત્ત્વપૂર્ણ છે.
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકરપ્રસાદે એક પ્રેસ કૉન્ફરન્સમાં આ વાતની જાણકારી આપી.
તેમણે કહ્યું કે, "વડા પ્રધાને કહ્યું કે હૈદરાબાદમાં સરદાર પટેલે હૈદરાબાદમાં એક ભારતનો પાયો નાખ્યો હતો, જેને તોડવાના ઘણા પ્રયાસો થતા રહ્યા. હવે ભાજપના ખભા પર 'એક ભારત' થી 'શ્રેષ્ઠ ભારત'ની યાત્રા પૂરી કરવાની જવાબદારી છે."
પ્રસાદે કહ્યું કે, "વડા પ્રધાને કહ્યું કરે આજે જ્યારે અમે તેલંગણામાં છીએ તો ભાજપ ઘણી જગ્યાએ આગળ વધ્યો છે. ભાજપને તેના કામ, તેનું ગવર્નન્સ અને ઇમાનદારીને કારણે જનતાનો ખૂબ આશીર્વાદ મળ્યો છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો