ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર, બૅલેટપેપરથી થશે મતદાન - BBC Top News
રાજ્યના ચૂંટણીપંચે સોમવારે ગ્રામપંચાયતની ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણી માટે 19 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે.
જ્યારે 21 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જોકે, આ ચૂંટણી માટે બૅલેટપેપર દ્વારા મતદાન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના ચૂંટણીપંચ દ્વારા સોમવારે પત્રકારપરિષદ યોજીને ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્યની 10,879 ગ્રામપંચાયતોમાં 19 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે અને તેના એક દિવસ બાદ 21 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
કુલ 27,085 મતદાનમથકો પર 54, 387 મતપેટીઓની વ્યવસ્થા રાખવામાં આવી છે.
ગ્રામપંચાયતની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનો અંતિમ દિવસ 4 ડિસેમ્બર રાખવામાં આવ્યો છે. જ્યારે 6 ડિસેમ્બરના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો 7 ડિસેમ્બર સુધી ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકશે.
ગ્રામપંચાયતની ચૂંટણી માટે રાજ્યમાં કુલ 2.63 કરોડ મતદારો નોંધાયા છે.

અહીં એક જ શાળાની 28 વિદ્યાર્થિનીઓ કોરોના સંક્રમિત થઈ

ઇમેજ સ્રોત, Getty Images
તેલંગણાની એક સરકારી બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરતી 28 વિદ્યાર્થિનીઓ કોરોનાથી સંક્રમિત થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખમ્મમ જિલ્લાના વાયરા તાલુકામાં આવેલી સ્કૂલમાં રવિવારે એકસાથે 28 વિદ્યાર્થિનીઓ કોરોના સંક્રમિત થતાં ભયનો માહોલ ઊભો થયો છે.
ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે, ઘટનાની જાણ થતાં વિદ્યાર્થિનીઓના વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા અને પોતાની બાળકીઓને ઘરે મોકલવા માટે રજૂઆત કરી હતી.
જ્યારે, આરોગ્યવિભાગ દ્વારા સમગ્ર શાળાની 575 વિદ્યાર્થિનીઓ, શિક્ષકો તેમજ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
તેલંગણાના આરોગ્યમંત્રી ટી. હરીશ રાવે જિલ્લાના આરોગ્યવિભાગ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સંક્રમિત વિદ્યાર્થિનીઓને યોગ્ય સારવાર આપવા અને આસપાસના વિસ્તારોમાં કોરોનાના સંક્રમણ પર નજર રાખવા માટે સૂચના આપી છે.

કૃષિકાયદા પરત લેવાયા બાદ CAA-NRC સામે ફરી આંદોલનની તૈયારી?

ઇમેજ સ્રોત, Getty Images
કૃષિકાયદાની પાછા ખેંચ્યા બાદ CAA વિરુદ્ધ પ્રદર્શનની તૈયારીત્રણ કૃષિકાયદાને પાછા ખેંચવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ ફરી એક વાર નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.
અંગ્રેજી અખબાર 'ધ હિંદુ' પ્રમાણે, આસામમાં CAA વિરુદ્ધ ઘણાં જૂથો ફરીથી સક્રિય થયાં છે અને 12 ડિસેમ્બરના રોજ પ્રદર્શનનું આયોજન કરવાની યોજના ઘડી રહ્યાં છે.
CAA હેઠળ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવનારા એવા બિનમુસ્લિમોને નાગરિકતા આપવાની જોગવાઈ છે, જે 31 ડિસેમ્બર 2014 સુધીમાં આ દેશો છોડી ચૂક્યા છે.
અમુક સંગઠનોએ ફરીથી CAA વિરુદ્ધ આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે, સીએએના વિરોધમાં ચાલી રહેલું આંદોલન કોરોના વાઇરસના સંક્રમણ બાદ બંધ થઈ ગયું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
કૃષિકાયદા પરત લેવાની જાહેરાત કરાઈ એ બાદ એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ આ સંદર્ભે બારાબંકીમાં નિવેદન આપ્યું હતું.
ઓવૈસીએ કહ્યું હતું કે, "હું પીએમ મોદીને અપીલ કરું છું કે કૃષિકાયદાની જેમ સીએએને પણ પાછો ખેંચે, કેમ કે આ બંધારણની વાત છે."
"જો તેઓ એનપીઆર અને એનઆરસીને કાયદો બનાવશે તો અમે શાહીનબાગ અને રસ્તાઓ પર ફરી આંદોલન કરીશું."

ગુજરાતની પેઢી પર ઇન્કમટૅક્સ રેડ, 100 કરોડનું કાળું નાણું ઝડપાયું

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાતની એક કેમિકલ બિઝનેસ અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલી કંપની પર આવકવેરાવિભાગના દરોડામાં 100 કરોડ રૂપિયાની હિસાબ વગરની આવક ઝડપાઈ હતી.
સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાઇરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા રવિવારે આ માહિતી જાહેર કરાઈ હતી.
CBDTએ જારી કરાયેલા નિવેદનમાં કહેવાયું હતું કે, “18 નવેમ્બરના રોજ વાપી, સરીગામ, સીલવાસા અને મુંબઈનાં 20 સ્થળોએ દરોડા પાડી આ ગ્રૂપ દ્વારા બિનહિસાબી આવક અંગેના પુરાવા એકત્રિત કરાયા હતા.”
નિવેદન અનુસાર વિભાગના દરોડા દરમિયાન ગ્રૂપ દ્વારા આવકવેરાથી બચવા માટે ઘણા પ્રકારની રીતભાત અપનાવાતી હોવાના પુરાવા મળી આવ્યા છે.

માવઠાની ખેતીની સાથે મીઠાના ઉત્પાદન પર થશે અસર?

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગુજરાતના કચ્છના નાના રણમાં મીઠાના ઉત્પાદન પર માવઠાની અસર થઈ રહી છે, આના કારણે મીઠાના ઉત્પાદનમાં વિલંબની સંભાવના અગરિયાઓએ વ્યક્ત કરી હતી.
અગરિયાઓ જણાવે છે કે માવઠા અને ઝડપી પવનને પગલે સ્થાનિક અગરિયાનાં ઝૂંપડાં અને સૌરઊર્જાનાં સાધનોને નુકસાન થયું છે.
નોંધનીય છે કે શુક્રવાર અને શનિવારે કચ્છના નાના રણની આસપાસના વિસ્તારો ટિકર, હળવદ, ખારાઘોડા અને સાંતલપુરમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
સામાન્યપણે સપ્ટેમ્બર માસથી અગરિયા પોતાની પ્રવૃત્તિ શરૂ કરે છે. જોકે આ વખતે સપ્ટેમ્બરમાં નોંધપાત્ર પ્રમાણમાં વરસાદ નોંધાયો હોવાના કારણે ઑક્ટોબરના ત્રીજા અઠવાડિયાથી તેમનું કામ શરૂ થયું હતું.

પંજાબમાં ભારતીય સેનાના કૅમ્પ પાસે વિસ્ફોટ

ઇમેજ સ્રોત, ANI
પંજાબના પઠાણકોટમાં ભારતીય સેનાના એક કૅમ્પના ગેટ નજીક ગ્રૅનેડ-વિસ્ફોટ થયો છે, કૅમ્પના ત્રિવેણી ગેટ પર આ બ્લાસ્ટ થયો હતો.
આ ઘટના બાદ પઠાણકોટના તમામ વિસ્તારોમાં ઍલર્ટ જારી કરી દેવાઈ છે.
પઠાણકોટ પોલીસે બીબીસી સંવાદદાતા અરવિંદ છાબરાને જણાવ્યું કે ધડાકો મોડી રાત્રે થયો હતો અને તેમાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી.
હાલ સીસીટીવી ફૂટેજની તપાસ કરીને હુમલાખોરોની ઓળખ કરાઈ રહી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












