ભારતની એ ભૂમિ જે 'દરિયામાંથી સૌથી પહેલાં બહાર આવી હતી' - નવા સંશોધનમાં દાવો
- લેેખક, રવિ પ્રકાશ
- પદ, રાંચીથી, બીબીસી હિન્દી માટે
શું સિંહભૂમ વિશ્વનો પ્રથમ ક્રૅટોન (મહાદ્વીપ) હતો? શું ઝારખંડના સિંહભૂમ અને તેની પાસેના ઓડિશાના કેટલાક વિસ્તારો સૌથી પહેલાં સમુદ્રમાંથી બહાર આવ્યા હતા?
પૃથ્વીના જન્મ બાદ શું સિંહભૂમ એ પહેલી જગ્યા હતી, જ્યાં સમુદ્રમાંથી ડૂબેલી ધરતીનો પહેલો ટુકડો ક્રૅટોનના રૂપમાં પાણીમાંથી બહાર આવ્યો?
એક નવી શોધ અનુસાર આ તમામ સવાલોનો જવાબ 'હા' છે.

ઇમેજ સ્રોત, DR PRIYADARSHI CHOWDHURY
અમેરિકાના વિજ્ઞાનના ચર્ચિત જર્નલ 'પ્રોસિડિંગ્સ ઑફ ધ નેશનલ એકૅડેમી ઑફ સાયન્સ' (પીએનએએસ)માં ગત સપ્તાહે પ્રકાશિત એક શોધ અનુસાર, આજથી 310 કરોડ વર્ષ પહેલાં સિંહભૂમમાં ક્રૅટોનનો જન્મ થયો હતો એટલે કે આ ક્ષેત્ર પહેલી વખત પાણીમાંથી બહાર આવ્યું.
એ સમયે જમીનનું અસ્તિત્વ સમુદ્રની અંદર રહેતું હતું, પરંતુ ધરતીની 50 કિલોમીટર અંદર થયેલા એક મોટા જ્વાળામુખી વિસ્ફોટના કારણે પૃથ્વીનો આ ભાગ (સિંહભૂમ ક્રૅટોન) સમુદ્રથી બહાર આવી ગયો.

શોધમાં કોણ-કોણ સામેલ છે?

ઇમેજ સ્રોત, DR PRIYADARSHI CHOWDHURY
આ શોધ આલેખ ઑસ્ટ્રેલિયા, જર્મની અને અમેરિકાના આઠ શોધકર્તાઓએ લાંબો સમય રિસર્ચ બાદ લખી છે. તેમાં ચાર વિદેશમાં રહેતા ભારતીય મૂળની વ્યક્તિ છે.
તેના મુખ્ય લેખક ઑસ્ટ્રેલિયાના પ્રતિષ્ઠિત મોનાશ વિશ્વવિદ્યાલયના રિસર્ચ ફેલો ડૉ. પ્રિયદર્શી ચૌધુરી છે. તેઓ ત્યાંની સ્કૂલ ઑફ અર્થ ઍટ્મોસ્ફિયર ઍન્ડ ઍન્વાયર્નમૅન્ટ સાથે જોડાયેલા છે.
33 વર્ષના ડૉ. ચૌધુરી ભારતીય મૂળના છે. તેમના પરિવારજનો પશ્ચિમ બંગાળના આસનસોલ શહેરમાં રહેતા હતા. તેમણે પોતાનો શરૂઆતનો અભ્યાસ આસનસોલ અને કોલકાતાની પ્રતિષ્ઠિત જાદવપુર વિશ્વવિદ્યાલયથી કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2013થી 2018 સુધી જર્મનીમાં રહ્યા. ત્યાંથી તેમણે પોતાની પીએચ.ડી. પૂર્ણ કર્યું. ગત ત્રણ વર્ષથી તેઓ ઑસ્ટ્રેલિયામાં છે અને પૃથ્વી પર મહાદ્વીપની ઉત્પત્તિ પર શોધ કરી રહ્યા છે.
ડૉ. પ્રિયદર્શી ચૌધુરીએ બીબીસીને કહ્યું, "સિંહભૂમ ક્ષેત્રમાં અઢી વર્ષ સુધી ચાલેલા ગ્રાઉન્ડ રિસર્ચ અને બાદમાં કરવામાં આવેલી તકનિકી શોધ પછી અમે આ દાવા સાથે કહી શકીએ છીએ કે સિંહભૂમ જ દુનિયાનું પ્રથમ ક્રૅટોન હતું."
"સિંહભૂમથી અમારો અર્થ માત્ર ઝારખંડનું સિંહભૂમ નહીં પણ એક મોટો વિસ્તાર છે. તેમાં ઓડિશાના ધાલઝોરી, ક્યોંઝર, મહાગિરિ અને સિમલીપાલ જેવી જગ્યાઓ સામેલ છે."
તેઓ વધુમાં જણાવે છે, "અમે અહીં મળેલા ખાસ રીતના અવસાદી પહાડોથી તેની ઉંમર જાણીને માહિતી મેળવી કે તે 310થી 320 કરોડ વર્ષ જૂના છે. અમને અહીં મળેલા સૅન્ડ સ્ટોન (બલુઆ પથ્થર)થી અમારી શોધને મદદ મળી. પછી અમે અહીં લેખ લખ્યો. તેને માર્ચમાં દાખલ કર્યો. પછી રિવ્યૂ માટેની લાંબી પ્રક્રિયા બાદ ગત સપ્તાહે અમારો લેખ પ્રકાશિત થયો અને આવી રીતે અમારી શોધને માન્યતા મળી."
આ શોધમાં ડૉ. પ્રિયદર્શી ચૌધુરી સાથે સૂર્યજેંદુ ભટ્ટાચાર્યી, શુભોજિત રાય, શુભમ મુખરજી (તમામ ભારતીય મૂળ), જેકબ મલ્ડર, પીટર કેવૂડ, એશલી વેનરાઇટ (તમામ ઑસ્ટ્રેલિયા) અને ઑલિવર નેબેલ (જર્મની) સામેલ હતા.

પથ્થરોની ઉંમર કેવી રીતે જાણી?

ઇમેજ સ્રોત, DR PRIYADARSHI CHOWDHURY
ડૉ. પ્રિયદર્શીએ જણાવ્યું, "અવસાદી પહાડ અને બલુઆ પથ્થરની ઉંમર જાણવી ઘણું મુશ્કેલ કામ છે. અમે સિંહભૂમ વિસ્તારમાં મળેલા આવા બલુઆ પથ્થરોને પોતાના વિશ્વવિદ્યાલય લઈ ગયા અને તેને બારીકથી ખાંડી નાખ્યા. પછી ચારણીથી વાળ બરાબરના ટુકડાને અલગ કરીને માઇક્રોસ્કૉપથી તેની તપાસ કરી."
તેઓ કહે છે, "ત્યારબાદ તકનિકી માપદંડો પર રાસાયણિક રીતે તેને પરખવામાં આવ્યા અને પછી તેમની ઉંમર જાણી લીધી. અમને આ ખડકોમાંથી મળેલા ઝિરકોન નામના ખનીજથી તેમની ઉંમરનો સાચો અંદાજ લગાવવામાં મદદ મળી."
તેમણે જણાવ્યું, "અમારા સંશોધનથી અમે એ જણી શક્યા કે સિંહભૂમ ક્રૅટોન લગભગ 310 કરોડ વર્ષ પહેલા બન્યો હતો. એ સમયે જ્વાળામુખી વિસ્ફોટના કારણે ધરતીનો આ ભાગ હલકો થઈ ગયો અને હિમશીલાની જેમ તરતાં-તરતાં સમુદ્રની બહાર આવી ગયો."
"ત્યારબાદનાં વર્ષોમાં દુનિયાના બીજા ભાગમાં પણ કેટલાક ક્રૅટોન બન્યા. સિંહભૂમ ક્રૅટોન જોકે દક્ષિણ આફ્રિકા અને પશ્ચિમી ઑસ્ટ્રેલિયામાં મળેલા ક્રૅટોન જેવા જ છે. તેમાં ઘણી સામ્યતા છે."

શું છે ક્રૅટોન?

ઇમેજ સ્રોત, DR PRIYADARSHI CHOWDHURY
ખડક અને બલુઆ પથ્થર મોટા ભાગે છિછરી નદીઓના મુખ અને સમુદ્ર વચ્ચે બનતા હોય છે.
સિંહભૂમમાં મળેલા ખડકો પર સમુદ્રી લહેરોનાં નિશાન જોઈ શકાય છે. તે વર્ષો સુધી સમુદ્ર સાથે અથડાવાના કારણે બન્યા હશે. જે પછી તેના પર પોતાનાં નિશાન છોડી ગયાં.
સિંહભૂમના ચાઈબાસા અને સારંડાનાં જંગલોમાં એવા ખડકો મળતા રહ્યા છે, પરંતુ તેના પર આ શોધ પ્રથમ વખત થઈ છે.
ક્રૅટોન એક ગ્રીક શબ્દ છે. તેનો અર્થ મહાદ્વીપ થાય છે. ભૂવૈજ્ઞાનિકો અનુસાર દુનિયામાં 30 ક્રૅટોન છે અને તેમાંથી 10 મોટા આકારના છે. આ 10 મોટા ક્રૅટોનમાંથી 4 ભારતમાં છે.
ડૉ. પ્રિયદર્શીએ જણાવ્યું કે ભારતમાં સિંહભૂમ સિવાય બસ્તર, બુદેલખંડ અને ધારવાડના ક્રૅટોન છે, જેનો અર્થ કે તે પૃથ્વીના સૌથી પુરાતત્ત્વ મહાદ્વીપ છે. સ્પષ્ટ છે કે પૃથ્વી પર સભ્યતાનો વિકાસ આ જગ્યાઓ પર પહેલાં થયો હતો. આવા ક્રૅટોન અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને આફ્રિકામાં પણ છે.
પૃથ્વીની ઉંમર લગભગ 450 કરોડ વર્ષ છે. વૈજ્ઞાનિકો અનુસાર પોતાના જન્મ સમયે પૃથ્વી ઘણી ગરમ હતી. લાખો વર્ષો બાદ તે ઠંડી થઈ અને અહીં પાણી બન્યું. ધૂમકેતુઓના કારણે સમુદ્ર બન્યા. પછી 310 કરોડ વર્ષ પહેલાં ભૌગૌલિક પરિવર્તનોના કારણે મહાદ્વીપો બનવાનું શરૂ થયું.
સિંહભૂમ ધરતીનો એવો પહેલો મહાદ્વીપ બન્યો. આ મહાદ્વીપના અસ્તિત્વમાં આવતા પૂર્વે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ પણ વધ્યું અને સમુદ્રના પાણીમાં ફૉસ્ફરસ તથા બીજા ખનીજ લવણોનો સમાવેશ થયો.

શોધથી થનારો ફાયદો?

ઇમેજ સ્રોત, DR PRIYADARSHI CHOWDHURY
ડૉ. પ્રિયદર્શી કહે છે કે હવે જ્યારે સમગ્ર દુનિયા ક્લાઇમેટ ચેન્જ પર ચર્ચા કરી રહી છે, ત્યારે આપણે જાણવું જરૂરી છે કે આપણું વાતાવરણ, સમુદ્ર, મહાદ્વીપ અને જળવાયુ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા. આપણે એ જાણવું જરૂરી છે કે કઈ ભૌગોલિક પ્રક્રિયાઓને પગલે પૃથ્વી મનુષ્યો અથવા જંતુઓના નિવાસ માટે લાયક બની.
તેમણે કહ્યું કે આ શોધ અમારી મોટી યોજનાઓનો જ એક ભાગ છે. હજુ વિસ્તૃત શોધ કરવાની છે. શક્ય છે કે તેનાથી પૃથ્વીનાં કેટલાંક રહસ્યો વિશે જાણવા મળશે.
રાંચી વિશ્વવિદ્યાલયમાં ભૂગર્ભ વિજ્ઞાન વિભાગના પ્રોફેસર ડૉ. નીતીશ પ્રિયદર્શીએ બીબીસીને કહ્યું કે આ નવી શોધથી દુનિયાના ભૂગર્ભ વિજ્ઞાનના શોધકર્તાઓ અને વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે.
તેમણે કહ્યું, "એ સ્પષ્ટ છે કે ઝારખંડનો વિસ્તાર સૌથી પુરાતત્ત્વ ભૂગર્ભીય ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. ડૉ. પ્રિયદર્શી ચૌધરી અને તેમના સહયોગીઓએ સિંહભૂમ ક્રૅટોનને લઈને જે દાવાઓ કર્યા છે, તે ખરેખર જૂની શોધનો વિસ્તાર છે. તેમની શોધનો સમય સૌથી વધુ પ્રામાણિક રીતે જણાવે છે."

ઇમેજ સ્રોત, FACEBOOK/NITISH PRIYADARSHI
તેઓ કહે છે, "તેમણે મહાદ્વીપોની ઉત્પત્તિના અત્યાર સુધીના દાવાઓથી અલગ અને વધુ પ્રામાણિક રીતે કહ્યું કે સિંહભૂમ ક્રૅટોનની ઉત્પત્તિ 310 કરોડ વર્ષ પહેલાં થઈ. તેઓ અર્થ એ થયો કે પૃથ્વી પર ક્રૅટોનનું બનવું અમારી અત્યાર સુધીની જાણકારીથી ઘણાં વર્ષો પહેલાં શરૂ થઈ ચૂકી હતી."
ડૉ. નીતીશ પ્રિયદર્શીએ એમ પણ કહ્યું, "આ પહેલાં વર્ષ 2006માં પૉલેન્ડ, ભારત અને જાપાનના કેટલાક ભૂગર્ભ વિજ્ઞાનીઓએ પોતાની શોધ બાદ દાવો કર્યો કે ધરતીનો પ્રથમ ભૂંકપ અને સુનામી 160 કરોડ વર્ષ પહેલાં ઝારખંડના વિસ્તારમાં આવી. એનો અર્થ કે અહીં સમુદ્ર હતા."
"એ શોધના આલેખના મુખ્ય લેખક રજત મજુમદાર હતા. તેમની શોધ 'સેડિમેન્ટરી જિયૉલૉજી' નામક રિસર્ચ જર્નલમાં છપાઈ હતી. તેને 'ચાઈબાસા ફૉર્મેશન' કહેવાયું હતું."


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













