ઉદારીકરણ લાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવનાર સી. રંગરાજન 30 વર્ષ પછી શું વિચારે છે?

વડા પ્રધાન આર્થિક સલાહકાર પરિષદના પૂર્વ અધ્યક્ષ અને ભારતીય રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર ડૉ. સી. રંગરાજન ભારતના ઉદારીકરણ નીતિ ઘડનારાઓમાંના એક હતા.

આર્થિક ઉદારીકરણ નીતિનાં 30 વર્ષ પૂરાં થવાના અવસર પર 50 વર્ષના સરકારી નિયંત્રણથી અર્થતંત્રને મુક્ત કરવાના પીવી નરસિમ્હા રાવ સરકારને કયા પડકારોનો સામનો કરવો પડ્યો અને 1991ના એ મહત્ત્વપૂર્ણ ફેરફારો પછી ભારતમાં ક્યાં સુધી પહોંચ્યું?

બીબીસી સંવાદદાતા નિખિલ ઇનામદારે ડૉ સી. રંગરાજન સાથે વિસ્તારપૂર્વક વાત કરી.

જાણો ડૉ. રંગરાજને શું કહ્યું?

તમે ભારતની ઉદારીકરણ નીતિના શિલ્પકારોમાંથી એક છો. એ સુધારો શું હાંસલ કરવાનું લક્ષ્ય હતું અને એ લક્ષ્ય મેળવવામાં આવ્યાં?

આઝાદી પછી વર્ષ 1991નું વર્ષ ભારતીય અર્થતંત્રના ઇતિહાસમાં સૌથ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, ત્યારે બૅલેન્સ ઑફ પૅમેન્ટ (ચુકવણીનું સંતુલન)ની સમસ્યા ગંભીર હતી, જે કારણે એક મોટા આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો.

પરંતુ ભારતે સંકટની આ પળોને પોતાની આર્થિક નીતિમાં મૂળ પરિવર્તન કરીને અવસરમાં બદલી નાખ્યું.

ત્યારે ત્રણ દિશામાં મોટા આર્થિક પરિવર્તન કરાયાં. 1991માં નવી આર્થિક નીતિ અપનાવવામાં આવી હતી, જેણે ભારતીય અર્થતંત્ર પર હાવી રહેલા લાઇસન્સ અને પરમિટના વિશાળ નેટવર્કને ખતમ કરી દીધું.

આનાથી બજારમાં નવા પ્લેયર્સને આવવાનો રસ્તો સાફ થઈ ગયો અને પહેલાંથી વધારે પ્રતિસ્પર્ધા માહોલની શરૂઆત થઈ.

બીજું મહત્ત્વપૂર્ણ પરિવર્તન રાજ્ય અને જાહેર ક્ષેત્રના ઉદ્યમો પરના પૂર્વગ્રહોથી દૂર થવાનું હતું.

ખરેખર રાજ્ય માટે વિશેષ રૂપથી અનામત કેટલાંક ક્ષેત્રોને ખાનગી ઉદ્યમો માટે ખોલી નાખવામાં આવ્યાં હતાં.

એને ત્રીજું જે સૌથી મહત્ત્વનું હતું તેનો સંબંધ વિદેશ વેપાર સાથે હતો. આમાં આયાત નીતિને વધારે ઉદાર બનાવવામાં આવી, આયાત પ્રતિસ્થાપન (ઇમ્પોર્ટ સબ્સ્ટિટ્યૂશન)ની નીતિ બદલાઈ ગઈ.

વાસ્તવમાં આ નીતિનો અર્થ હતો કે કેટલીક વસ્તુઓના આયાત પર પ્રતિબંધ લાદવા અથવા વસ્તુઓના આયાત પર વધારે ફી ચૂકવવી પડશે.

એમ કહી શકીએ કે અમે આ નીતિની જગ્યાએ વિશ્વ વેપાર પ્રણાલીને અપનાવી હતી.

અમે દુનિયાની સાથે પ્રતિસ્પર્ધા કરવા માગતા હતા. અમે ભારતના ઉદ્યોગોને કહ્યું કે તેઓ પોતાના ઉત્પાદનને લઈને પ્રતિસ્પર્ધા કરે અને આખી દુનિયામાં તેને વેચવામાં સક્ષમ બને.

ઉદારીકરણ નીતિમાં ઘર અને બહારના મોર્ચે પ્રતિસ્પર્ધાનો માહોલ રચવાની માગ હતી. આનું પરિણાણ એ આવ્યું કે દેશની આર્થિક દક્ષતામાં સુધારણા જોવા મળી.

આ બહુ મોટા અને ઐતિહાસિક સુધારા હતા, જે લઘુમતી સરકારના નેતૃત્વમાં શરૂ થયા. વડા પ્રધાન નરસિમ્હા રાવ અને નાણામંત્રી મનમોહન સિંહ સાથે તમે પ્રથમ વખત રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર અને પછી રિઝર્વ બૅન્કના ગવર્નર તરીકે આ નિર્ણય લીધા હતા.

આ બહુ સાહસિક નિર્ણયો હતા અને તેમાં કેટલાક નિર્ણયો સાથે જોખમ પણ લેવું પડે તેમ હતું.

દાખલા તરીકે, રૂપિયાનું અવમૂલ્યન કરવાનો નિર્ણય નવી સરકારના સત્તામાં આવતાંની સાથે જ લેવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક નિર્ણય હતો.

પરંતુ જો તેમાં કંઈ ભૂલ થાય તો તે નીતિનો અંત થઈ ગયો હોત. જે નવાં પગલાં અમે લઈ રહ્યા હતા તેની સાથે જોખમ જોડાયેલું હતું અને સ્વાભાવિક રીતે જે નિર્ણય માટે જવાબદાર લોકો હતા એ ખૂબ ચિંતામાં હતા.

સાથે જ અમે એ પણ સમજતા હતા કે એ સમય હતો આ ખાસ પરિવર્તનનો.

તે સમયની સમસ્યાઓએ જ પરિવર્તનને વેગીલું બનાવ્યું. અમે એક એવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા, જ્યારે અમારી પાસે માત્ર ત્રણ અઠવાડિયાં સુધીના આયાત કરવા જેટલું વિદેશી મુદ્રાભંડોળ બચ્યું હતું. સામે વિદેશ ઋણની ચુકવણીમાં ખાડો પડવાની પૂરી સંભાવના દેખાઈ રહી હતી.

અમને જણાવવામાં આવ્યું હતું કે અમારું સામાન્ય કામકાજ પણ નહીં ચાલી શકે. અમારે કંઈક પ્રચંડ પરિવર્તનની જરૂર હતી, જે અમે કરી બતાવ્યું. અમે જે પરિવર્તન લાવી રહ્યા હતા તે પ્રત્યે અમે સચેત હતા. અને એ પણ ભાન હતું કે જો કંઈક ગરબડ થશે તો તેનું પરિણામ અમારે ચૂકવવું પડશે.

શું તમારાં આ પગલાંનો ભારે રાજનીતિક વિરોધ પણ થયો હતો?

કૉંગ્રેસના જૂના નેતાઓએ વિરોધ કર્યો હતો. ડાબેરી પક્ષો નિશ્ચિત રૂપે આની વિરુદ્ધ હતા, કારણ કે આનાથી રાજ્યની ભૂમિકા કેટલીક હદે નબળી પડી હશે અથવા તેઓ માનતા હતા કે રાજ્યની ભૂમિકા સીમિત થઈ હતી.

જ્યારે ડૉ. મનમોહન સિંહે 24 જુલાઈ, 1991એ ઐતિહાસિક બજેટ રજૂ કર્યું તો સંસદમાં હંગામો થયો. કેટલાક લોકોએ વિશ્વમુદ્રાકોષ અને વિશ્વ બૅન્ક માટે રજૂ કરેલું બજેટ ગણાવ્યું.

એ સાચી વાત છે કે આઈએમએફ અને વિશ્વ બૅન્ક પણ ત્યારે આનાથી મેળ ખાતી નીતિની વકીલાત કરતી હતી, પરંતુ એ અમારી ખુદની એ ભાવનાની નીપજ હતી, જે બદલાવ કરવા અને વૈશ્વિક અર્થતંત્રમાં પોતાનું સ્થાન બનાવવાની જરૂરિયાતને જોઈ રહી હતી.

રૂપિયાના 20 ટકા સુધી અવમૂલ્યન કરવાના નિર્ણયમાં તમારી ખાસ ભૂમિકા હતી અને સ્વાભાવિક રીતે ભારતમાં ખાનગી અને વિદેશી બૅન્કોના પ્રવેશનો રસ્તો સાફ કરવામાં પણ. તો આ ઉપાયો કેમ કરવામાં આવ્યા હતા?

બૅન્કિંગ પ્રણાલીના સંબંધમાં અમે જે ઉપાય કર્યા તેનો ઉદ્દેશ હતો કે આને વધારે વ્યવહારુ અને ગ્રાહકોને અનુકૂળ આવે એવી બનાવવી જોઈએ.

બૅન્કોના રાષ્ટ્રીયકરણથી એક ઉદ્દેશ પ્રાપ્ત કરવામાં આવ્યો- બૅન્ક ગ્રામીણ ક્ષેત્રો અને નાનાં શહેરોમાં પહોંચી ગઈ અને બૅન્કિંગની સુવિધા એક મોટા વર્ગ માટે ઉપલબ્ધ બની.

રાષ્ટ્રીયકરણની પહેલાં માત્ર શહેરોમાં બૅન્કની વ્યવસ્થા હતી, તો સ્વાભાવિક રીતે આને સફળ ગણાવી શકાય. પણ એમાં અમને યોગ્ય પ્રતિસ્પર્ધાની કમી જણાઈ એટલે આ વ્યવસ્થાને સુધારવા માટે અમે એક પછી એક અનેક પગલાં લીધાં.

કૅશ રિઝર્વ અનુપાત અને વૈધાનિક તરલતા અનુપાત બહુ વધારે હતા તેને નીચે લાવવામાં આવ્યા. અમે જે લાવ્યા તેને બૅન્કોનું પ્રૂડેન્શિયલ રેગ્યુલેશન કહેવાય છે.

પ્રતિસ્પર્ધા વધે તે માટે અમે બે ઉપાય કર્યા. અમે નવી ખાનગી બૅન્કોને પ્રવેશની પરવાનગી આપી. તેના માટે કાયદાકીય પરિવર્તનની જરૂર નહોતી, કારણ કે કાયદો ભારતીય રિઝર્વ બૅન્કને ખાનગી ક્ષેત્રની બૅન્કોને પ્રવેશની અનુમતિ આપતો હતો.

જોકે તે અંગેની જોગવાઈને કેટલાક દાયકા સુધી ભુલાવી દેવામાં આવી હતી. મેં તેને ફરી શરૂ કરી અને અમે આવનારી બૅન્કો માટે લઘુતમ શરતો નક્કી કરી.

બીજું, અમે જાહેર ક્ષેત્રની બૅન્કોને લઈને પણ અમુક પગલાં લેવાનું નક્કી કર્યું.

ત્યારે સરકાર પાસે તે બૅન્કોનું 100 ટકા સ્વામિત્વ હતું, પરંતુ અમે જે પરિવર્તન લાવવાં માગતા હતા તેમાં સરકારનું સ્વામિત્વ ઘટીને 51 ટકા થઈ જવાનું હતું.

બૅન્કોનાં પર્યવેક્ષણ અને ઑડિટમાં સુધારણા માટે કેટલાક અન્ય ઉપાયો પણ રજૂ કરવામાં આવ્યા હતા.

જ્યારે વીતી ગયેલાં 30 વર્ષ પર નજર કરો છો તો ભારતીય અર્થતંત્રની કહાણી તમને કેવી દેખાય છે?

જે આર્થિક સુધારા કરવામાં આવ્યા હતા તેણે એક વિસ્તૃત ક્ષેત્રને કવર કર્યું છે. જો અર્થતંત્રનાં પ્રદર્શનના સંદર્ભમાં જોઈએ તો ઉદારીકરણ પછી તેમાં સારી વૃદ્ધિ જોવા મળી છે.

1991 પછી અર્થતંત્ર વૃદ્ધિનો સરેરાશ દર 6.4 ટકા છે જે એક સારો વિકાસદર કહેવાય.

ખરેખર 2005-2006 અને 2007-2008 વચ્ચે ભારતીય અર્થતંત્રનો સરેરાશ વિકાસદર 9.2 ટકા હતો જે જબરદસ્ત હતો.

જોકે 2016-17 પછી વિકાસદરમાં ઘટાડો થયો છે જે ચિંતાજનક બાબત છે. મને લાગે છે કે આપણે એ વાત પર ધ્યાન આપવાની જરૂર છે. આત્મનિરીક્ષણની જરૂર છે અને એ ઘડાટો કેમ થયો તેનાં કારણો પર વિચાર કરવાની જરૂર છે. પરંતુ સાચું તો એ જ છે કે અર્થતંત્રના વિકાસના સામાન્ય દરમાં વૃદ્ધિ થઈ છે.

બીજું, ભારતે 1991ની પહેલાં અને 1991માં પણ બૅલેન્સ ઑફ પૅમેન્ટની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

પણ 1991 પછી તે પરિસ્થિતિ ઘણી બદલાઈ. વિદેશી મુદ્રાભંડોળ હવે 600 અબજ ડૉલરથી પણ વધારે છે. 2008 અને 2013ને બાદ કરતા બૅલેન્સ ઑફ પૅમેન્ટની પરિસ્થિતિ સામાન્ય રહી છે.

હું કહીશ કે એક્સટર્નલ સેક્ટરનું પ્રબંધન ઉદારીકરણની સફળતાની કહાણી છે.

વિકાસમાં ઘટાડા સિવાય શું તમે સંરક્ષણવાદ અને ટેરિફમાં પરિવર્તનને એક ચિંતાનો વિષય માનો છો?

વિકાસને લઈને એક અન્ય ટિપ્પણી કરીશ. સુધારા વિકાસની ગૅરંટી નથી આપતા. તમારે રોકાણનો માહોલ તૈયાર કરવો પડે. 2016 પછી અર્થતંત્રમાં રોકાણના દરમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે. આ સારી વાત નથી.

મને લાગે છે કે કેટલાંક ક્ષેત્રોમાં સુધારાને વધારવાની જરૂર છે. આજે આપણા અર્થતંત્રમાં 1991 જેવા પરિવર્તનની જરૂર નથી.

આજે આપણે એકએક ઇન્ડસ્ટ્રી કે સેક્ટરને જોવું પડશે. આપણે એ જોવું પડશે કે ક્યાં પ્રતિસ્પર્ધા નથી અને તેને કેવી રીતે પ્રોત્સાહન આપવું. મને લાગે છે કે આપણે આ પ્રકારના દૃષ્ટિકોણને અપનાવવો જોઈએ.

તમે હાલનાં વર્ષોમાં ટેરિફમાં થયેલા વધારાનો ઉલ્લેખ કર્યો. આ દુખની વાત છે અને વ્યક્તિગત રીતે હું કહીશ કે આ એ દિશા નથી, જેમાં આપણે આગળ વધવું જોઈએ.

કેટલાક લોકોને લાગે છે કે દુનિયા વૈશ્વીકરણની ઊલટી દિશામાં ચાલી રહી છે.

ભારત સાચી દિશામાં આગળ વધી શકે છે જો અન્ય દેશો પણ પોતાની દિશા બદલે. મને લાગે છે કે કેટલાક મોટા દેશ વેપારને પ્રતિબંધિત કરવાના દોષી છે. હું કહીશ કે ખરેખર મુક્ત વેપારનો માહોલ ઉચિત હોવાની સાથેસાથે જરૂરી પણ છે.

ગ્રાહકોની પસંદ અને ઉપલબ્ધતા મામલે વર્ષ 1991 બહુ મોટું પરિવર્તન લાવ્યું. તમે કેવાં પરિવર્તનથી સૌથી વધુ ખુશ છો?

હું ટેલિફોનની ઉપલબ્ધતાને સૌથી મોટી વાત ગણું છું. 1991 પહેલાં જો તમે ટેલિફોન બુક કર્યો હોય તો તે ત્રણથી ચાર વર્ષ પછી આવતો હતો, પરંતુ હવે તમને એક જ દિવસમાં મળી જાય છે.

મને યાદ છે કે જ્યારે હું પચાસના દાયકામાં અમેરિકા અભ્યાસ માટે ગયો ત્યારે કોઈએ આવીને પૂછ્યું કે તમારા રૂમમાં ફોન લગાવી દઉં. હું ભારતના વિષયમાં વિચારવા લાગ્યો.

હું વિચારવા લાગ્યો કે કોણ જાણે કેટલા દિવસો પછી ફોન લાગશે. પરંતુ તે વ્યક્તિ બપોરે જ ફોન લગાવી ગઈ. તો આ એ દિશા છે જ્યાં આપણ જઈ રહ્યા છીએ. આર્થિક ઉદારીકરણને લીધે ઉપજ અને સેવાઓની ઉપલબ્ધતામાં ઘણાં પરિવર્તન આવ્યાં છે.

હું છેલ્લે મારી વાત એ બાબતે પૂરી કરીશ કે સુધારાની સ્વીકાર્યતા માટે વિકાસ એવો હોવો જોઈએ, જેનાથી મોટા ભાગના લોકોને લાભ થાય.

તો વિકાસ એકતરફી હોય અને લોકોના એક મોટા વર્ગને તેનો લાભ ન મળતો હોય તો સુધારાની વિશ્વસનીયતા ઘટી જાય છે.

જો તમે 2005થી 2011 વચ્ચેના ગાળાને જુઓ તો ત્યારે અર્થતંત્રનો વિકાસદર 8-9 ટકાની વચ્ચે હતો. તમે જુઓ કે ગરીબીનો વ્યાપ ઘણો ઝડપથી ઘટ્યો હતો. અને એ ગાળા દરમિયાન આપણે ગ્રામીણ રોજગાર ગૅરંટી યોજના કે પછી વિસ્તૃત ખાદ્ય સુવિધા જેવા સામાજિક સુરક્ષાના ઉપાયો શરૂ કરવામાં સક્ષમ હતા.

વિકાસ જ આપણી કેટલીક સામાજિક-આર્થિક સમસ્યાઓનું સમાધાન છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો