You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આસામ : મુસલમાન મહિલાઓ વધારે બાળકો પેદા કરે છે એ આરોપોની હકીકત શું છે?
- લેેખક, નાસિરુદ્દીન
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
આસામના મુખ્ય મંત્રી હેમંત બિસ્વા સરમાએ ગયા અઠવાડિયે એક પત્રકારપરિષદમાં લઘુમતીઓની વસતી, કુટુંબ નિયોજન, વસતીવધારાને કારણે સર્જાતી સમસ્યાઓ વગેરેની વાતો કરી હતી.
તેમના જણાવ્યા મુજબ,
- વસતીવિસ્ફોટને રોકવા માટે બિનનિવાસી મુસલમાનએ કુટુંબનિયોજનની વિવિધ રીતોને અપનાવવી જોઈએ. પરિવારમાં ઓછા સભ્યો હોય એ સુનિશ્ચિત કરવું જોઈએ.
- વસતીવિસ્ફોટ ચાલુ રહેશે તો એક દિવસ કામાખ્યા દેવીના મંદિરની જગ્યા પણ કબજે કરી લેવામાં આવશે.
- અમે લઘુમતી મુસલમાન સમુદાય સાથે મળીને વસતીવિસ્ફોટના નિયંત્રણ માટે કામ કરવા ઇચ્છીએ છીએ.
- વસતીવિસ્ફોટ ગરીબી અને અતિક્રમણ જેવી સામાજિક સમસ્યાઓનું મૂળ છે.
- અમે આ મુદ્દે બદરુદ્દીન અજમલના પક્ષ એઆઈયુડીએફ અને ઑલ અસમ માઇનૉરિટી સ્ટુડન્ટ્સ યુનિયન (એએએમએસયુ) સાથે મળીને કામ કરવા ઇચ્છીએ છીએ.
મુસલમાનોની વસતી બાબતે અનેક દાવા કરવામાં આવે છે. આઈએના આ તાજા નિવેદનને ધ્યાનમાં રાખીને આસામમાં મુસલમાનોની વસતીની સચ્ચાઈ શું છે તેને સમજીએ.
શું મુસલમાન મહિલાઓ વધુ બાળકોને જન્મ આપે છે?
પહેલો સવાલ એ છે કે આસામમાં મુસલમાનોની વસતી વધી રહી છે કે કેમ?
આ સંબંધે સૌથી વધુ મહત્ત્વના દસ્તાવેજ છે, રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ(એનએફએચએસ)ના ત્રણ દાયકાના પાંચ રિપોર્ટ. આ રિપોર્ટ પુરાવા તરીકે ઘણી વાસ્તવિક બાબતો જણાવે છે. તેમાં જણાવ્યા મુજબ, આસામનો પ્રજનનદર લગભગ દેશની સરેરાશ જેટલો જ છે.
પ્રજનનદર એટલે 15થી 49 વર્ષ સુધીની મહિલાઓ સરેરાશ કેટલાં બાળકોને જન્મ આપે છે તે.
2005-06માં રાષ્ટ્રીય સ્તરે પ્રજનનદર 2.7 હતો ત્યારે આસામમાં 2.4 હતો. તાજેતરના રિપોર્ટ મુજબ એ દર હવે 1.87ના સ્તરે પહોંચી ગયો છે.
એટલે કે પ્રજનનદર 2.1ની, તેનું જે પ્રમાણ હાંસલ કરવાના સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેની પણ નીચે પહોંચી ગયો છે. આસામમાં પ્રજનનદર, વસતી સ્થિર હોવાની દિશામાં આગેકદમ કરી રહ્યો છે એવું કહી શકાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુસલમાનોમાં ઝડપથી ઘટતો પ્રજનનદર
સવાલ એ છે કે જે રાજ્યમાં કુલ પૈકીની એક તૃતીયાંશ વસતી મુસલમાનોની છે એ રાજ્યે પ્રજનનદર અંકુશમાં રાખવાની આવી સિદ્ધિ મેળવવા તરફ કઈ રીતે આગળ વધી ગયું?
આ સિદ્ધિ માત્ર બિન-મુસલમાન નાગરિકોને કારણે જ મેળવી શકાઈ? જાણકારો માને છે કે આવું શક્ય નથી.
એક નજર આંકડાઓ પર કરો.
આસામના કુલ પ્રજનનદરમાં ત્રણ દાયકામાં લગભગ અડધોઅડધ ઘટાડો થયો છે.
1991-92માં આસામનો પ્રજનનદર 3.53 હતો. એનએફએસએસનો તાજેતરનો રિપોર્ટ જણાવે છે કે તે આંકડો 2019-20માં 1.87 પર પહોંચી ગયો હતો.
અન્ય ધર્મના લોકોની સરખામણીએ મુસલમાનોનો પ્રજનનદર વધારે છે એ વાત સાચી છે, પણ એ દરમાં બહુ ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે.
આસામમાં છેલ્લાં 15 વર્ષમાં હિન્દુઓનો પ્રજનનદર 0.36 આંક ઘટીને 1.59 થઈ ગયો છે, જ્યારે મુસલમાનોનો પ્રજનનદર 3.64થી ઘટીને 2.38ના સ્તરે પહોંચી ગયો છે. ઘ્યાન રહે કે આ દર 2.1ના દર કરતાં મામૂલી વધુ છે.
એનએફએચએસના તાજેતરના રિપોર્ટ અનુસાર, આસામમાં સૌથી ઓછો પ્રજનનદર ખ્રિસ્તીઓનો છે.
એ પછીનો ક્રમ અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોનો છે. ત્યારબાદ હિન્દુઓ અને મુસલમાનો આવે છે.
આમ ઘટતો પ્રજનનદર દર્શાવે છે કે આસામમાં મુસલમાનો સંતાનો પેદા કરવામાં વ્યસ્ત નથી. મુસલમાનોનો પ્રજનનદર વધતો હોય એવું જણાતું નથી.
શિક્ષણ અને પ્રજનનદર વચ્ચેનો સંબંધ
કહેનારાઓ કહેશે કે અન્ય સમુદાયની સરખામણીએ મુસલમાનોનો પ્રજનનદર તો વધારે જ છે. વાત સાચી છે.
તેનાં ઘણાં કારણ છે. તેમાં એક છે શિક્ષણ અને બીજું છે મુસલમાનોની આર્થિક સ્થિતિ. અન્ય ધર્મોના અનુયાયીઓની સરખામણીએ મુસલમાનો આ બન્ને બાબતમાં પાછળ છે.
સ્ત્રીઓના શિક્ષણ સાથે પ્રજનનદરના વધારા-ઘટાડાનો સંબંધ સ્પષ્ટ જોવા મળે છે. એનએફએચએસના રિપોર્ટમાં આ બાબત પર ખાસ ધ્યાન ખેંચવામાં આવ્યું છે.
એનએફએચએસ-5માં જણાવ્યા મુજબ, 12મું ધોરણ પાસ મહિલાઓની સરખામણીએ, જે સ્ત્રીઓ સ્કૂલમાં અભ્યાસ કરવા જઈ શકી નથી તેમને વધુ સંતાનો છે.
એટલે કે જે સમુદાયમાં ભણેલા લોકોની અને ખાસ કરીને શિક્ષિત સ્ત્રીઓની સંખ્યા ઓછી હોય તેવા સમુદાયનો પ્રજનનદર વધારે હોઈ શકે છે.
2011ની વસતીગણતરીના આંકડાઓના આધારે કેટલીક બાબતો સમજી શકાય.
2011ની વસતીગણતરીના આંકડા મુજબ, આસામમાં હિન્દુઓનો સાક્ષરતાદર 77.67 ટકા છે. બીજી તરફ મુસલમાનોનો સાક્ષરતાદર 61.92 ટકા છે. તેનો અર્થ એ કે સાક્ષરતાની બાબતમાં બન્ને સમુદાય વચ્ચે 15.75 ટકા જેવડો મોટા તફાવત છે.
એટલું જ નહીં, આસામમાં બાકીના તમામ સમુદાયોના સાક્ષરતાદરની સરખામણીએ મુસલમાનોમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે.
પરિવાર નાનો રાખવાનો હોય કે પોતાના અંકુશમાં રાખવાનો હોય કે પછી જિંદગીના કોઈ અન્ય ક્ષેત્રમાં પ્રગતિ કરવાની હોય, ઉપરોક્ત તફાવત માણસની સામાજિક પ્રગતિના દરેક પરિમાણ પર અસર કરતો હોય છે.
આસામના મુસલમાનો અને કુટુંબ નિયોજનની રીતોનું અનુસરણ
પ્રજનનનો સંબંધ બહેતર શિક્ષણ, સારી આર્થિક સ્થિતિની સાથે-સાથે ગર્ભધારણ રોકવાના ઉપાયોની માહિતી સાથે હોય છે. એ ઉપાયની આસાન ઉપલબ્ધતા અને તેના ઉપયોગ સાથે પણ હોય છે.
સામાન્ય રીતે એવું માની લેવામાં આવ્યું છે કે મુસલમાનો કુટુંબ નિયોજનની પદ્ધતિ અપનાવતા નથી..
તેઓ શા માટે અપનાવતા નથી એ વિશે અલગ-અલગ લોકોના અલગ-અલગ અભિપ્રાય છે.
આસામની કહાણી આ સંદર્ભમાં પણ અલગ છે. 2005-06માં એનએફએચએસ-4 દરમિયાન આસામમાં ગર્ભનિરોધકોના ઉપયોગનું પ્રમાણ લગભગ રાષ્ટ્રીય સરેરાશ જેટલું હતું. રાષ્ટ્રીય સ્તરે એ પ્રમાણ 56 ટકા હતું, જ્યારે આસામમાં 57 ટકા હતું.
ગર્ભનિરોધકોના વપરાશનું પ્રમાણ એનએફએચએસ-4ની (57 ટકા) સરખામણીએ એનએફએચએસ-5માં (61 ટકા) વધ્યું છે. એટલું જ નહીં, ગર્ભનિરોધકોના ઉપયોગની બાબતમાં રાજ્યના શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે કોઈ ફરક ન હોવાનું જાણવા મળ્યું છે.
એનએફએચએસ-5ના રિપોર્ટ મુજબ, આસામમાં હિન્દુઓ, મુસલમાનો, ખ્રિસ્તીઓ અને અનુસૂચિત જાતિ તથા જનજાતિઓના લોકો વચ્ચે ગર્ભનિરોધકોના વપરાશમાં બહુ ઓછો તફાવત છે.
આ બાબતમાં આસામના મુસલમાનો (60.1) હિન્દુઓની (61.1)ની સરખામણીએ માત્ર એક ટકો પાછળ છે. અને હિન્દુઓ કરતાં ખ્રિસ્તી અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ ગર્ભધારણ ટાળવાના ઉપાયોનો ઉપયોગ વધુ કરે છે.
એનએફએચએસ-3 અને એનએફએચએસ-5ના 15 વર્ષની વાત કરીએ તો હિન્દુઓમાં કુટુંબ નિયોજનના ઉપાયો અપનાવવાની બાબતમાં થોડો ઘટાડો થયો છે, જ્યારે મુસલમાનોએ લગભગ 14 ટકાની છલાંગ લગાવી છે.
એનએફએચએસ-3ના સમયે હિન્દુઓ દ્વારા ગર્ભનિરોધકોના વપરાશનું પ્રમાણ 63.3 ટકા હતું, જ્યારે મુસલમાનોમાં એ પ્રમાણ 46.1 ટકા હતું. કુટુંબ નિયોજનનાં સાધનોના ઉપયોગનું પ્રમાણ મુસલમાનોમાં દર વર્ષે સતત વધી રહ્યું છે અને એ હવે 60 ટકા સુધી પહોંચી ગયું છે.
ગર્ભનિરોધના ઉપાયો અપનાવવામાં મુસલમાનો સૌથી આગળ
ગર્ભધારણ કરવાથી બચવાના આધુનિક ઉપાયો અપનાવવાના મામલામાં આસામના ઉદાહરણથી એક વધુ વાત સમજી શકાય છે.
પાછલા અઢી દાયકાના આંકડા જોઈએ તો સમજાય છે કે ગર્ભનિરોધના આધુનિક ઉપાયો અપનાવનારાઓની સંખ્યા મુસલમાન સમાજમાં લગભગ સાડા ત્રણ ગણી વધી છે. એનએફએચએસ-2 વખતે ગર્ભનિરોધના ઉપાયો અપનાવનારા મુસલમાનોનું પ્રમાણ માત્ર 14.6 ટકા હતું.
એનએફએચએસ-5ના તાજા આંકડા દર્શાવે છે કે ગર્ભનિરોધના આધુનિક ઉપાયો અપનાવતા મુસલમાનોની સંખ્યા વધીને 49.6 ટકા થઈ ગઈ છે, જ્યારે હિન્દુઓમાં એ પ્રમાણ 33 ટકા વધીને 42.8 ટકા થઈ ગયું છે.
આસામમાં ગર્ભનિરોધના આધુનિક ઉપાયો અપનાવવાની બાબતમાં તમામ ધાર્મિક સમૂહોમાં મુસલમાનો સૌથી આગળ છે.
ગર્ભનિરોધના આધુનિક ઉપાયો વિરુદ્ધ પરંપરાગત તરકીબો
આસામની એક અન્ય બાબત રસપ્રદ હોવાની સાથે બહુ જ મહત્ત્વની છે.
એનએફએચએસના પ્રારંભિક તબક્કામાં એવું જોવા મળતું હતું કે આસામમાં ગર્ભાધાનથી બચવાની પરંપરાગત યુક્તિઓનો વપરાશ કરનારાઓનું પ્રમાણ વધારે છે.
એનએફએચએસ-3 મુજબ, દેશનાં અન્ય તમામ રાજ્યોની સરખામણીએ આસામમાં ગર્ભાધાનથી બચવાની પરંપરાગત યુક્તિઓનો ઉપયોગ સૌથી વધુ થાય છે.
આસામની ખાસ કહાણી, જે હજુ સુધી કહેવાઈ નથી
એનએફએચએસ-5ના અત્યાર સુધીના રિપોર્ટ અનુસાર, આસામમાં મુસલમાનોનો પ્રજનનદર સતત ઘટી રહ્યો છે અને એ ઘટીને હવે જનસંખ્યા સ્થિર થવાના આંકડા સુધી પહોંચી ગયો છે. પ્રજનનદરમાંનો આ ઘટાડો, અન્ય તમામ સમુદાયોની સરખામણીમાં સૌથી વધારે છે.
સાક્ષરતાદરમાં મોટો તફાવત હોવા છતાં આસામમાં મુસલમાનોનો પ્રજનનદર અન્યોની સરખામણીએ બહુ વધારે નથી. એટલું જ નહીં. તેમાં વધારો નહીં, પણ સતત ઘટાડો થઈ રહ્યો છે.
મુસલમાનો કુટુંબ નિયોજનના આધુનિક ઉપાયો અપનાવતા નથી એવી માન્યતા આંકડાઓ તોડી રહ્યા છે. આંકડાઓ દર્શાવે છે કે તમામ ધાર્મિક સમૂહોમાં મુસલમાનો કુટુંબ નિયોજનના આધુનિક ઉપાયો અપનાવી રહ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો