You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Aspergillus : ગુજરાતમાં બ્લૅક, વ્હાઇટ અને યલો બાદ એસ્પરઝિલસ ફંગસનું જોખમ, શું છે લક્ષણો?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
બ્લૅક ફંગસ, વ્હાઇટ ફંગસ, યલો ફંગસના વિષચક્રમાંથી હજી આપણે બહાર નથી નીકળી શક્યા, ત્યાં વધુ એક ફંગસના કેસ ગુજરાતમાં સામે આવ્યા છે. જેને એસ્પરઝિલસ અથવા એસ્પરઝિલોસિસ કહેવામાં આવે છે.
કોરોના વાઇરસના સંક્રમણમાંથી સાજા થયા બાદ દરદીઓ એસ્પરઝિલસથી સંક્રમિત થઈ રહ્યા છે.
આમ તો આ ફૂગજન્ય બીમારી એ કોઈ નવો રોગ નથી, પરંતુ જ્વલ્લે જ જોવા મળતી આ બીમારીએ કોવિડ-19ની બીજી લહેર દરમિયાન વ્યાપકપણે દેખા દીધી છે.
એસ્પરઝિલસના વડોદરા, રાજકોટ સહિતનાં ગુજરાતના શહેરોમાં કેસ
એસ્પરઝિલસ ફંગસના કેસ રાજકોટ અને વડોદરામાં નોંધાયની ખાતરી સ્થાનિક તબીબો દ્વારા કરાઈ છે. સુરત અને અમદાવાદમાં પણ આના કેસ સામે આવ્યા છે.
મુંબઈની કેઈએમ (કિંગ ઍડ્વર્ડ મેમોરિયલ) હૉસ્પિટલનાં ડૉક્ટર હેતલ મારફતિયાને ટાંકતાં અહેવાલ જણાવે છે કે એસ્પરઝિલસ પહેલાં કૅન્સર, ટીબી અથવા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના દરદીઓમાં જોવા મળતો હતો, પણ હવે કોરોના વાઇરસના દરદીઓમાં પણ જોવા મળી રહ્યો છે.
એસ્પરઝિલસ બીમારી શું છે અને કોને થવાનું જોખમ?
અમેરિકાની આરોગ્ય સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન - સીડીસી પ્રમાણે એસ્પરજિલસ સંક્રમણ એવા લોકોને થાય છે, જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય અથવા જેમનાં ફેફસાં નબળાં પડી ગયાં હોય. આ બીમારી એસ્પરઝિલસ ફંગસના કારણે થાય છે.
ડૉ. શીતલ મિસ્ત્રી વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસ મૅનેજમૅન્ટ ટીમમાં સલાહકાર તરીકે કામ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે બીબીસીને જણાવ્યું કે એસ્પરઝિલસ બીમારી જે ફંગસથી થાય છે, તે હવામાં હાજર જ હોય છે. તે વ્યક્તિની ચામડી અથવા નાકની અંદર પણ હાજર હોય છે. પણ જ્યાં સુધી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ સારી હોય ત્યાં સુધી આ ફંગસ હુમલો કરી શકતી નથી.
રાજકોટની સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાધેશ્યમા ત્રિવેદી બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયા સાથે વાત કરતાં જણાવે છે કે રાજકોટમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે પણ એસ્પરઝિલસનું જોખમ વધી રહ્યું છે.
તેઓ કહે છે, "અલગ-અલગ પ્રકારની ફૂગના કેસને અલગ-અલગ ગણવામાં આવતા નથી, તેમને મ્યુકરમાઇકોસિસના દરદી જ ગણવામાં આવે છે."
સ્ટેરોઇડના ઉપયોગથી એસ્પરઝિલસ ફંગસનો ચેપ લાગે?
ડૉ. મિસ્ત્રીની પાસે આ પ્રશ્નનો જવાબ છે. તેઓ કહે છે, "કોરોના વાઇરસની સારવારમાં સ્ટેરોઇડના વધારે પડતા ઉપયોગને કારણે દરદીઓની રોગપ્રતિકારક ક્ષમતા ઘટી ગઈ છે, જેના કારણે આ રોગ હવે મોટા પ્રમાણમાં બહાર આવી રહ્યો છે.
તેઓ વધુમાં જણાવે છે કે રોગપ્રતિકારક શક્તિ ઘટતાં આ ફૂગ આક્રમક થઈ જાય છે અને તેનાથી લોહી ગંઠાઈ જાય છે. ગંઠાઈ ગયેલું લોહી નસમાં અથવા શરીરના અન્ય કોઈ ભાગમાં અટકી જવાનું જોખમ રહેલું છે.
એસ્પરઝિલસ ફંગસનો ચેપ કોને લાગી શકે?
કોરોના વાઇરસથી સાજા થવાના 20-30 દિવસ બાદ આ બીમારી થાય છે. એસ્પરઝિલસ ફેફસાં, શ્વાસનળી અને આંખની કોર્નિયામાં અસર કરે છે.
સીડીસી પ્રમાણે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, જેમણે અનિયંત્રિત ડાયાબિટીસ હોય, ટીબી હોય, ફેફસાંની બીમારી હોય અથવા જેમના વ્હાઇટ બ્લડ સેલ કાઉન્ટ ઓછા હોય તેમને આનો ચેપ લાગવાની શક્યતા વધારે છે?
આ બીમારી ચેપી નથી કારણકે તે મોટા ભાગના કેસમાં માણસથી માણસમાં નથી ફેલાતી.
એસ્પરઝિલસ ફંગસનાં લક્ષણો શું હોય છે?
- એસ્પરઝિલસમાં કોવિડ જેવાં લક્ષણો હોય છે. સિટી સ્કેન, લૅબ ટેસ્ટ અને એક્સ-રેની મદદથી આ સંક્રમણ વિશે જાણી શકાય છે.
- માત્ર ફેફસાંને અસર નથી કરતી પરંતુ તે શરીરના અન્ય ભાગો જેમ કે નખ, ચામડી, પેટ, કિડની, મગજ અને દાંતને અસર કરી શકે છે.
- એસ્પરઝિલસમાં દરદીને ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, કફ, વહેતું નાક, માથાનો દુખાવો, કફમાં લોહી આવવું, છાતીમાં દુખાવો થવો અને થાક લાગવા જેવી શારીરિક તકલીફો થાય છે.
એસ્પરઝિલસ બીમારી કેટલી જોખમી છે?
હિન્દુસ્તાન ટાઇમ્સ અનુસાર મ્યુકરમાઇકૉસિસ એટલે કે 'બ્લૅક ફંગસ' કરતાં એસ્પરઝિલસ ઓછી ઝડપથી પ્રસરે છે અને તે એટલો જોખમી પણ નથી. એસ્પરઝિલસની સારવાર માટે વોરિકોનાઝોલ આપવામાં આવે છે.
રાજકોટમાં પ્રેક્ટિસ કરતા ડૉ. નીરજ મહેતા કહે છે કે હજી સુધી સત્તાવાર રીતે સરકારે આવી કોઈ બીમારી વિશે જાહેરાત નથી કરી. પણ કેસની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે.
તેઓ જણાવે છે કે સામાન્યતઃ જે વ્યક્તિને અસ્થમા હોય અથવા શ્વાસ લેવાની તકલીફ થતી હોય તેમને આ બીમારી થતી હોય છે. કોરોના વાઇસની બીજી લહેરમાં ફંગલ ઇન્ફૅક્શનના કેસ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે.
ડૉ. શીતલ મિસ્ત્રી કહે છે કે એસ્પરઝિલસમાં દવા લેવાથી સ્થિતિ સુધરી જાય છે અને ગંભીર દરદીઓને જ હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. જેટલી ઝડપથી નિદાન થાય, તેટલી ઝડપથી સારવાર કરી શકાય અને આ રીતે દરદીનો જીવ બચાવી શકાય છે."
"જો વહેલું નિદાન થાય તો દવા અને ઇન્જેક્શનથી બીમારી મટાડી શકાય છે અને જો મોડું થાય તો ઑપરેશન જ વિકલ્પ છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો