You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના રસીકરણ : ગુજરાતની 22 ટકા જનતાના સફળ રસીકરણનો BJPનો દાવો કેટલો સાચો કેટલો ખોટો?
- લેેખક, ઋષિ બેનરજી
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાત સરકાર કોરોના અંગે રસીકરણ અભિયાન ચલાવી રહી છે, જ્યારે બીજી તરફ અનેક ફરિયાદો ઊઠી રહી છે.
સરકારી હૉસ્પિટલો અને આરોગ્યકેન્દ્રો બહાર રસી મુકાવવા લોકો લાઇનો લગાવી રહ્યા છે, તેવી તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર 18થી 45 વર્ષના લોકોનું રસીકરણ થઈ શકે તે માટે ગુજરાત સરકારે 1.50 કોરોના વાઇરસના ડોઝનો ઑર્ડર આપ્યો છે, જેમાં એક કરોડ ડોઝ કોવિશિલ્ડના છે અને 50 લાખ ડોઝ કોવૅક્સિનના છે.
ગુજરાત સરકારનો દાવો છે કે રાજ્યમાં કોરોના રસીકરણનું અભિયાન સફળતાપૂર્વક ચાલી રહ્યું છે.
સોમવારે ગુજરાત ભાજપ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે રાજ્યમાં 22 ટકા લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 1.38 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
રસીકરણમાં સમગ્ર દેશમાં ગુજરાત સૌથી આગળ હોવાનો પણ ટ્વીટમાં દાવો કરવામાં આવ્યો છે.
22 ટકા લોકોના રસીકરણની વાત કેટલી સાચી?
ગુજરાતના 22 ટકા લોકોના રસીકરણ અંગેના ભાજપના દાવાની તપાસ કરવા બીબીસીએ આંકડા તપાસ્યા અને તજજ્ઞોનો પણ મત જાણ્યો.
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયની યાદી અનુસાર 10 મે સુધી 1,03,94,150 વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો અને 33,55,185 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત સરકારની કોરોના વાઇરસની ટાસ્ક ફોર્સના સભ્ય અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના નિદેશક દિલીપ માવળંકરે કહ્યું, "બે વૅક્સિનના ડોઝ તમે નહીં આપો ત્યાં સુધી ન કહી શકો કે રસીકરણ થઈ ગયું છે."
"તમે એટલું કહી શકો કે આટલા લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને આટલા લોકોનો બાકી છે."
"હવે બાળકોના રસીકરણનો દાખલો લો. જ્યારે બાળકને બધી રસી આપી દેવામાં આવે ત્યારે કહેવામાં આવે છે કે રસીકરણ થયું છે. જો કોરોના વાઇરસનો પ્રથમ ડોઝ આપ્યો હોય ત્યારે માત્ર એ વાત કરવી જોઈએ નહીં કે એવી કે રસીકરણ થઈ ગયું છે."
તેઓ વધુમાં જણાવે છે કે રાજ્ય સરકારે કેટલા લોકોને રસી આપવામાં આવી તેના કરતાં એ જાહેર કરવું જોઈએ કે કેટલા લોકોને રસી આપવાની બાકી છે. તેનાથી વધુ સચોટ માહિતી મળશે.
ગુજરાતમાં રસીકરણની શું સ્થિતિ છે?
ફાઇનાન્સિયલ એક્સપ્રેસ અનુસાર 16 જાન્યુઆરીએ ગુજરાતમાં કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. 161 સેન્ટરોથી રસીકરણ શરૂ થયું હતું, જેમાં સૌથી પહેલાં 4.31 લાખ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી.
રાજ્યના રસીકરણ અધિકારી ડૉ. નયન જાનીને ટાંકતાં અહેવાલ કહે છે કે આરોગ્ય કર્મચારીઓ બાદ 6.93 લાખ ફ્રન્ટલાઇન વર્કર, 50 વર્ષથી વધુ વયના 1.05 કરોડ નાગરિકો અને 50 વર્ષથી નીચે પરંતુ કૉમોર્બિડિટી ધરાવતા 2.75 લાખ લોકોને રસી આપવામાં આવશે.
ગુજરાતમાં ત્રીજા તબક્કાનું રસીકરણ શરૂ થઈ ગયું છે. ફ્રન્ટલાઇન વર્કર, 60 વર્ષથી વધુ વયના નાગરિકો, 45-60 વર્ષના નાગરિકોને રસી આપવામાં આવી રહી છે અને એની સાથે 1 મેથી 18-44 વર્ષના લોકો માટે પણ રસીકરણ શરૂ કર્યું છે.
જોકે, હજુ પણ ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેમને કોરોનાની રસી માટે નોંધણી કરવામાં તકલીફ પડી રહી છે, તેમ છતાં સરકારનો દાવો છે કે રસીકરણ અભિયાન બરાબર ચાલે છે.
દિલીપ માવળંકર કહે છે, "કોરોના વાઇરસની વૅક્સિનની અછત ઊભી થઈ છે. જો વિદેશથી વૅક્સિન મંગાવવામાં આવે તો રાહત થઈ શકે છે."
"18-45 વર્ષની વયના લોકો માટે રસીકરણ શરૂ કર્યું છે, તેમાં 1 મેના રોજ 3.50 લાખ ડોઝ આવ્યા છે. ત્યારબાદ બીજા ડોઝ આવ્યા છે કે કેમ તેની માહિતી નથી."
"કેન્દ્ર સરકાર પણ રાજ્યોને વૅક્સિન આપી રહી છે, પણ સંખ્યા મર્યાદિત છે. જો સરકારે વૅક્સિનનો સમયસર ઑર્ડર આપ્યો હોત તો પરિસ્થિતિ જુદી હોત."
લોકોની શું પ્રતિક્રિયા છે?
ભાજપના ટ્વીટ પર લોકોએ આકરી પ્રતિક્રિયા આપી છે.
સુરતના મોટા વરાછામાં રહેતા ચેતન નાડા લખે છે, "મારા વિસ્તાર મોટા વરાછામાં કોઈ વૅક્સિનેશન સેન્ટર બુકિંગ માટે ઉપલબ્ધ નથી. હું કોવિન દ્વારા બીજો ડોઝ લેવા માટે નોંધણી કરાવી શકતો નથી. કૃપા કરીને અમને વૅક્સિન આપો."
ગ્રીવના નામના યુઝર લખે છે, "શું આ ખોટું નથી? જો તમે નજીકમાં તપાસ કરશો તો 100માંથી એક વ્યક્તિનું રસીકરણ થયું હશે."
"જો તમારી પાસે પૂરતા પ્રમાણમાં વૅક્સિન નથી તો અમને જણાવો પણ અમારામાં ખોટી આશા ન જગાવો."
માહી પટેલ નામનાં યુઝર લખે છે, "ના પહોંચી વળતા હોવ તો ખાનગી હૉસ્પિટલને પણ ઉમેરી લો..."
પી.બી. પટેલ લખે છે, "22 ટકા નહીં પણ છ ટકા કારણકે જ્યારે રસીના બે ડોઝ પૂર્ણ થાય ત્યારે જે વ્યક્તિનું રસીકરણ થયું હોવાનું કહેવાય."
આંકડાકીય રીતે ખોટું નથી : ભાજપ
આ અંગે બીબીસીએ સત્તા પક્ષ ભાજપની પ્રતિક્રિયા લીધી હતી.
ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું કે અમેરિકા, યુકે અને બીજા દેશોમાં પણ આ રીતે આંકડા રજૂ કરવામાં આવે છે. આટલા ટકા લોકોને ડોઝ આપવામાં આવ્યા છે, એવું લખી જ શકાય.
તેઓ ઉમેરે છે કે "વિદેશોમાં પણ પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હોય તો તેના આંકડા અને બીજો ડોઝ લીધો હોય તો તેના પણ આંકડા જાહેર કરવામાં આવે છે."
"આ વાસ્તવિક દૃષ્ટિએ ખોટું નથી અને ગેરમાર્ગે દોરવા જેવું પણ નથી. આ રીતે માહિતી રજૂ કરી શકાય અને તેમાં કોઈ ભૂલ નથી."
"રાજ્યના અમુક ટકા લોકોએ કોરોનાની વૅક્સિન લીધી છે, પછી ભલે એ પ્રથમ ડોઝ હોય અથવા બીજો ડોઝ હોય."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો