પંચમહાલના કોવિડ સેન્ટરમાં મંત્રીની મુલાકાત અને 'નૅગેટિવ ડમી દરદી'નો વિવાદ શું છે?

પંચમહાલ જિલ્લાનાં મોરવા હડફમાં સંતરોડ સ્થિત કૉમ્યુનિટી કોવિડ કેર સેન્ટર મંત્રીની મુલાકાત બાદ તાળું મારી દેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.

આ સાથે કોવિડ કેર સેન્ટરમાં દાખલ એક માત્ર મહિલા દરદીએ દાવો કર્યો છે કે કોરોના નૅગેટિવ હોવા છતાં તેમને સેન્ટરમાં બે દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી.

મહિલા દરદીએ આરોપ મૂક્યો છે કે મંત્રી જયદ્રથસિંહ પરમાર કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેવાના હોવાથી તેમને બે દિવસ સુધી ત્યાં રહેવા માટે કહેવામાં આવ્યું હતું.

પંચમહાલ જિલ્લાના વહીવટીતંત્રે આ મુદ્દે તપાસ કરવાની ખાતરી આપી છે.

શું છે સમગ્ર મામલો?

મોરવા હડફના સંતરોડ સ્થિત કેન્દ્રવર્તી પ્રાથમિક શાળામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કૉમ્યુનિટી કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે.

5 બૅડ ધરાવતા કેર સેન્ટર મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન હેઠળ શરુ કરવામાં આવી છે. સેન્ટરમાં સ્ટાફ અને દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

રવિવારે ગુજરાતના પંચાયત અને પર્યાવારણ મંત્રી જયદ્રથસિંહ પરમારે પંચમહાલ જિલ્લામાં આવેલ વિવિધ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.

તેમણે સંતરોડ સ્થિત કોવિડ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી અને સેન્ટરમાં હાજર સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

બીબીસીના સહયોગી દક્ષેશ શાહ મુજબ મીડિયા સાથે વાત કરતા જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે ગામનું સંક્રમણ ગામમાં જ અટકે અને દરદીઓને હૉસ્પિટલમાં ન જવું પડે તે માટે આ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે જે સંક્રમણ ગામોમાં ફેલાયું છે, તે માટે ગામોમાં સરવે પણ થઈ રહ્યો છે. તાવ, શરદી, ઉઘરસની દવા સેન્ટરમાં મળી જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જયદ્રથસિંહ પરમારની મુલાકાત બાદ થોડા કલાકોની અંદર કોવિડ કેર સેન્ટરને તાળું મારી દેવામાં આવ્યો હોવાનો વીડિયો સામે આવ્યો હતો.

કોરોના નૅગેટિવ દરદીને દાખલ કરવામાં આવ્યાં?

કૉમ્યુનિટી કેર સેન્ટરમાં કોઈ દરદી ન હોવાના કારણે અધિકારીઓએ એક મહિલા દરદીને દાખલ કરી હતી એવો આરોપ મૂકવામાં આવ્યો છે.

વિશાખા જોષી નામની મહિલા દરદીએ સોમવારે બીબીસીના સહયોગી સ્થાનિક પત્રકાર દક્ષેશ શાહને કહ્યું કે, તેઓ કોરોના નૅગેટિવ હોવા છતાં તેમણે સેન્ટરમાં સારવાર લીધી છે તેવી નોંધ રજિસ્ટરમાં કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ કોવિડ સેન્ટરના આરોગ્યકર્મીએ કહ્યું કે આ સેન્ટર કોરોનાના સંદિગ્ધ દરદીઓ માટે જ છે.

વિશાખા જોષીના પતિએ જણાવ્યું કે, ત્રણ દિવસ સુધી ખાનગી હૉસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ મારા પત્નીનો પ્રાયમરી હેલ્થ સેન્ટરમાં કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ નૅગેટિવ આવ્યો હતો.

"ટેસ્ટ કરાવ્યા બાદ અમને કહેવામાં આવ્યું કે સંતરોડ સ્થિત કૉમ્યુનિટી કેર સેન્ટરની મંત્રી મુલાકાત લઈ રહ્યા છે અને તમારે માત્ર ત્યાં મોઢું બતાવવાનું છે. અમને કહેવામાં આવ્યું કે અમારી ઉપર બહુ દબાણ છે. અમે ત્યાં ગયા અને પાછા આવી ગયા પરતું કૉમ્યુનિટી કેર સેન્ટરમાં જે રજિસ્ટર છે તેમાં કહેવામાં આવ્યું છે કે મારી પત્નીએ બે દિવસ સુધી ત્યાં સારવાર લીધી છે."

બીબીસી સહયોગી દક્ષેશ શાહ સાથેની વાતચીતમાં સીડીએચઓ બી.કે. પટેલે જણાવ્યું કે "કૉમ્યનિટી કેર સેન્ટરમાં એક દરદી સારવાર લઈ રહ્યું હતું. પરતું હવે સેન્ટરમાં કોઈ દરદી ન હોવાથી બની શકે કે હાજર સ્ટાફ તાળું મારીને જમવા માટે ગયો હોય. અમે આ વિશે તપાસ કરાવી રહ્યા છીએ."

મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શું છે?

કોરોના વાઇરસની બીજી લહેરમાં રાજ્યના ગામડાઓમાં પણ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને એને અનુલક્ષીને ગુજરાત સરકારે મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કર્યું છે.

જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે ગામડાઓમાં કોરોના વાઇરસના કેસ નહીં વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.

"અભિયાન અંતર્ગત દરેક જિલ્લામાં જિલ્લામાં કૉમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવી છે. જેમાં સ્ટાફ અને દવાઓની સગવડ કરવામાં આવી છે."

"જો કોઈ વ્યક્તિને કોરોના વાઇરસના લક્ષણો હોય તો ટેસ્ટ કરીને સારવાર કરવાની સુવિધા કોવિડ કેયર સેન્ટરમાં ઊભી કરવામાં આવી છે. જેમના ઘરમાં આઈસોલેશન સેન્ટર ન હોય તેઓ અહીં સારવાર પણ કરાવી શકે છે. આ સેન્ટર હેતુ છે કે ગામના લોકોને હૉસ્પિટલ સુધી ન જવું પડે અને ગામમાં જે તેમને સારવાર મળી રહે."

ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર 33 જિલ્લાઓમાં 13061 કૉમ્યુનિટી કેર સેન્ટર છે, જેમાં 1.20 લાખ બૅડની ક્ષમતા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો