કોરોનાની કરુણતા : ઓક્સિજન માટે રાજકોટમાં સિલિન્ડર ચોર્યા, પણ નાઇટ્રોજન નીકળ્યો

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી ગુજરાતી

કોરોના વાઇરસના સંક્રમણના પગલે રાજ્યભરમાં હૉસ્પિલો ઉભરાઈ રહી છે. રેમડેસિવિર, દવાઓ, હૉસ્પિટલમાં પલંગની સાથે ઓક્સિજનની અછતની પણ બુમરાણ છે.

અન્ય શહેરોથી રાજકોટની સ્થિતિ કંઈ જુદી નથી, કોરોના સંક્રમણની સ્થિતિને લીધે રંગીલું શહેર ગણાતા રાજકોટનો રંગ ઝાંખો પડી ગયો છે.

કોરોના સંક્રમિત દરદીઓ માટે ઓક્સિજનની અહીં પણ ઊંચી માગ છે. એવામાં રાજકોટમાં ઓક્સિજનના બૉટલ ચોરાઈ જવાની ઘટના સામે આવી હતી.

ઓક્સિજનનાં બૉટલની ચોરીનો સમગ્ર મામલો શું છે?

રાજકોટના મયૂરનગર મુખ્ય માર્ગ પર પરાગ આશર બાલકૃષ્ણ કોલ ઇન્ડસ્ટ્રીઝ ચલાવે છે. જેમાં તેઓ ઓક્સિજન, નાઇટ્રોજન અને હાઇડ્રોજનનાં બૉટલનો વ્યવસાય કરે છે.

19 એપ્રિલે તેમણે રાજકોટના થોરાળા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે તેમના ડેલામાંથી ચાર બૉટલની ચોરી થઈ છે.

બાલકૃષ્ણ કૉલ ઇન્ડસ્ટ્રીઝના પરાગ આશરે પોલીસ એફઆઈઆરમાં જણાવ્યું હતું, “અમે 19 તારીખે સવારે નવ વાગ્યે, અમારા વ્યવસાયના સ્થળે ડેલાનું તાળું ખોલવા ગયા તો તે તૂટેલું હતું."

"અમને શંકા ગઈ કે કશુંક અજુગતું બન્યું છે. ડેલામાં જ્યાં ઓક્સિજન, નાઇટ્રોજનનાં બૉટલ મૂકીએ છીએ, ત્યાં બૉટલનો જથ્થો ઓછો જણાયો હતો."

"તરત અમે ડેલાના CCTV ફૂટેજ ચેક કર્યા તો રાતના દોઢ વાગ્યે પાંચેક જણા ડેલાનું તાળું તોડીને બૉટલ લઈને નાસી જતા જોવા મળ્યા હતા."

પરાગભાઈ જણાવે છે, “રાતનો સમય હતો અને માથે બાંધેલું હોવાથી કોણ છે એ કહેવું મુશ્કેલ હતું. અમે પોલીસને વિગતો આપી હતી."

ઓક્સિજન સમજીને નાઇટ્રોજનની કરી ચોરી

પોલીસ ફરિયાદ નોંધાઈ એ પછી પોલીસે મૅસેજ ફરતો કર્યો હતો કે "કોઈ ઓક્સિજનના બૉટલ વેચવા માટે આવે તો એ લેવાની ભૂલ ન કરવી, આ ઓક્સિજનના નહીં નાઇટ્રોજનના બૉટલ છે. કોઈ ભૂલથી ઓક્સિજન સમજીને નાઇટ્રોજનનો ઉપયોગ ન કરી બેસે."

એનો અર્થ એવો થયો કે તસ્કરો ઓક્સિજનના બૉટલને બદલે નાઇટ્રોજનના બૉટલ ચોરીને લઈ ગયા હતા.

તસ્કરોએ કુલ ચાર બૉટલની ચોરી કરી હતી, જેમાંથી જેમાં બે નાઇટ્રોજન, એક ઓક્સિજન અને એક હાઇડ્રોજનનનાં બૉટલ હતા. જેમાંથી ત્રણ બૉટલ ખાલી હતા અને એકમાં નાઇટ્રોજન ભરેલો હતો.

કોરોના મહામારીમાં ઓક્સિજનની બુમરાણ મચી છે, ત્યારે તસ્કરો કોઈને ઓક્સિજનને બદલે નાઇટ્રોજનનો બૉટલ પધરાવી દે અને એનાથી ગંભીર પરિણામ આવી શકે એવી શક્યતા રહેલી હતી.

જેથી પોલીસે તરત સોશિયલ મીડિયામાં મૅસેજ ફરતો કર્યો હતો કે કોઈ પાસે આવા બૉટલ આવે તો ઉપયોગમાં ન લે.

રાજકોટના થોરાળા પોલીસસ્ટેશનના ઇન્સ્પેક્ટર બી. એમ. કાતરિયાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, “હા, અમારે એવો મૅસેજ મૂકવો પડ્યો હતો."

તેઓ કહે છે, "ફરિયાદ નોંધાયા પછી તપાસ આદરીને ગણતરીના કલાકોમાં અમે ચાર આરોપીને પકડી પાડ્યા હતા."

"હાલ કોઓક્સિજનનીબા અછત છે, તેથી તેઓ ઓક્સિજનના બૉટલ ચોરીને કાળબજારમાં વેચીને પૈસા કમાવવા માગતા હતા.”

"તસ્કરો પાસેથી વીસ હજાર રૂપિયાના ચાર બૉટલ અને બે લાખની એક કાર જપ્ત કરવામાં આવી છે."

'જો ચૂક થઈ હોત તો ગંભીર પરિણામ આવ્યાં હોત'

પરાગ આશરે કહ્યું કે, "જાણભેદુ લોકોએ જ ચોરી કરી હતી. કોરોનાની તંગ સ્થિતિમાં દરદી માટે ઓક્સિજન મળવો મુશ્કેલ થઈ ગયો છે."

"આ સ્થિતિમાં કોઈ બ્લૅકમાં ખરીદી ઓક્સિજન સમજીને નાઇટ્રોજન ચઢાવી દે તો જોખમી પરિણામ આવે. બીજી શક્યતા એવી પણ હતી કે નાઇટ્રોજનના ખાલી બૉટલમાં જો ઓક્સિજન ભરીને વેચે તો પણ ગંભીર પરિણામ આવી શકે."

"હું તો ઔદ્યોગિક ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન સપ્લાયના વ્યવસાયમાં છું. અમે જોયું છે કે નાઇટ્રોજનના બૉટલમાં ઓક્સિજન ભરવાના ગંભીર પરિણામો આવ્યાં હોય."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો