You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તાઇવાન ટ્રેન દુર્ઘટના : ટનલમાં ટ્રેન અકસ્માતમાં 50નાં મોત, તપાસનો આદેશ
તાઇવાનમાં થયેલી એક ટ્રેન દુર્ઘટનામાં કમસે કમ 36 લોકોનાં મૃત્યુ થયાં છે અને 72 લોકો ઘાયલ થયા છે.
સરકારી અધિકારીઓ અનુસાર, આ દુર્ઘટના પૂર્વ તાઇવાનની એક સુરંગમાં ઘટી હતી, જ્યાં ટ્રેન એક ટ્રકને ટક્કર માર્યા બાદ પાટ પરથી ઊતરી ગઈ.
સ્થાનિક મીડિયા અનુસાર, ઘટનાસ્થળે બચાવકાર્ય હાલમાં ચાલુ છે.
તાઇવાનની કેન્દ્રીય આપદા પ્રબંધન ટીમે જણાવ્યું કે ટનલની અંદર ચાર રેલ કોચ છે, જેમાં હજુ પણ અંદાજે 70 લોકો ફસાયા છે. આ ચારેય કોચ દુર્ઘટનામાં 'ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત' થયા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ ટ્રેન તાઇવાનની રાજધાની તાઇપેથી તાઇતુંગ શહેર જઈ રહી હતી.
આ ટ્રેનમાં સવાર મોટા ભાગના યાત્રીઓ તાઇવાનના લોકપ્રિય 'ટૉમ્બ સ્વીપિંગ ફેસ્ટિવલ'નો જશ્ન મનાવવા જઈ રહ્યા હતા.
અધિકારીઓ અનુસાર, આ દુર્ઘટના સ્થાનિક સમયાનુસાર સવારે અંદાજે નવ વાગ્યે ઘટી હતી.
તાઇવાનના પરિવહન મંત્રાલય અનુસાર, ગત ચાર દશકમાં આ દેશની સૌથી મોટી ખરાબ રેલ દુર્ઘટના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સચીન તેંડુલકર કોરોના સંક્રમિત થયા બાદ હૉસ્પિટલમાં દાખલ
ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચીન તેંડુલકરને કોરોના વાઇરસથી સંક્રમિત થયા બાદ હૉસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી છે.
સચિને આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું, "ખૂબ વધારે કાળજી અને ડોક્ટરોની સલાહ પર હું હૉસ્પિટલમાં દાખલ થયો છું. હું થોડા જ દિવસોમાં ઘરે પરત ફરવાની આશા રાખું છું. તમે બધા તમારો ખ્યાલ રાખજો અને સુરક્ષિત રહેજો."
સચીન તેંડુલકર 27 માર્ચના રોજ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા. આ અંગે પણ તેણે ટ્વિટર પર જાણકારી આપી હતી.
કોરોના વાઇરસથી સંક્રમિત થયા બાદ સચિને કહ્યું હતું કે તેમણે ખુદને ક્વોરૅન્ટીન કરી લીધા છે.
આ સાથે જ તેમણે કહ્યું હતું કે "ડૉક્ટરોના નિર્દેશોનું પાલન કરું છું" અને તેમણે સાથે સાથે સ્વાસ્થ્યક્રમીઓનો આભાર પણ માન્યો હતો.
સચીનનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેમના ઘરના તમામ સભ્યોએ પણ કોરોનાના ટેસ્ટ કરાવ્યા હતા.
જોકે, બાકી સભ્યોના ટેસ્ટ નૅગેટિવ આવ્યા હતા. સચીન સિવાય અન્ય ક્રિકેટરો પણ કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.
સચીન તાજેતરમાં જ રાયપુરમાં રમાયેલી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં રમ્યા હતા. તેઓ ઇન્ડિયા લિજેન્ડના કપ્તાન હતા.
તેમના સિવાય આ ટુર્નામેન્ટમાં રમેલા યુસૂફ પઠાણ, ઇરફાન પઠાણ અને એસ બદ્રીનાથને પણ કોરોના થઈ ચૂક્યા છે. આ ટુર્નામેન્ટમાં યુવરાજસિંહ તથા વીરેન્દ્ર સહેવાગ જેવા ખેલાડીઓ પણ રમ્યા હતા.
મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના કેસ દેશમાં સૌથી વધારે આવી રહ્યા છે, ઉપરાંત દેશનાં અન્ય રાજ્યોમાં પણ કોરોના વાઇરસનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે.
ભારતમાં 24 કલાકમાં કોરોનાના 81 હજારથી વધુ કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 81 હજાર 466 નવા કેસ નોંધાયા છે.
તાજા આંકડાઓને સામેલ કરતા ભારતમાં સક્રિય કેસની સંખ્યા વધીને 6 લાખ 14 હજાર 696 થઈ ગઈ છે.
જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 469 લોકોનાં મૃત્યુ થયાં છે.
આ સાથે જ ભારતમાં કોવિડથી મૃત્યુ પામનારાની સંખ્યા વધીને 1 લાખ 63 હજાર 396 થઈ ગઈ છે.
છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે.
ગુરુવારે ભારતમાં 72 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા હતા.
કેન્દ્રીય મંત્રાલય અનુસાર, અત્યાર સુધીમાં કુલ 1,15,25,039 લોકો કોરોના વાઇરસથી સાજા થયા છે અને 6,87,89,138 લોકોને કોરોના વાઇરસની રસી લાગી ચૂકી છે.
તો અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એઇમ્સ)ના નિદેશક ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી છે કે "જો કોવિડ સામે પૂરતી સખ્તાઈ વર્તવામાં નહીં આવે તો ભારત ફરી એક વાર વિકટ સ્થિતિમાં ફસાઈ શકે છે."
તેઓએ કહ્યું કે નવા કેસ ઝડપથી વધી રહ્યા છે, તેમ છતાં લોકો માસ્ક પહેરતા નથી અને સામાજિક અંતર પણ રાખતા નથી.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ એક દિવસમાં 43,183 નવા કેસ નોંધાયા છે. માત્ર મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 54,898 લોકોનાં મૃત્યુ થયાં છે.
'મહારાષ્ટ્ર કોવિડ-19 કાર્યબલ'ના પ્રમુખ ડૉક્ટર સંજય ઓકે કહ્યું કે "કોરોનાથી સંક્રમિત એક દર્દી અન્ય 400 લોકોને સંક્રમિત કરી શકે છે. આથી માસ્ક, સાફસફાઈ અને સામાજિક અંતરનો કોઈ વિકલ્પ નથી."
આ દરમિયાન આઈઆરસીટીસીએ કહ્યું કે 'કોરોના વાઇરસના કેસ વધતા અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસ ટ્રેન 2 એપ્રિલથી એક મહિના માટે બંધ કરાઈ રહી છે.'
મમતાના ચૂંટણીપંચ પર આરોપ
પશ્ચિમ બંગાળમાં ગુરુવારે મતદાન દરમિયાન નંદીગ્રામમાં હાઇવોલ્ટેજ ડ્રામા થયો હતો. ભાજપ અને ટીએમસી બંનેએ એકબીજા પર મતદાનમાં ગોટાળાનો આરોપ લગાવ્યો હતો.
નંદીગ્રામમાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ અનેક મતદાનમથકની મુલાકાત લીધી અને ચૂંટણીપંચ પર કોઈ કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો.
મમતા બેનરજીએ પત્રકારોને કહ્યું, "અમે ચૂંટણીપંચને અત્યાર સુધીમાં 63 ફરિયાદ કરી છે, પણ કોઈ પર કોઈ કાર્યવાહી થઈ નથી. પંચ અમિત શાહના નિર્દેશ પર કામ કરે છે. અમે આ મામલે કોર્ટનો દરવાજો ખખડાવીશું."
તો બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બંગાળની યાત્રામાં દાવો કર્યો કે મમતા બેનરજીના ચહેરા પર દેખાતી હતાશાથી સ્પષ્ટ છે કે તેઓ નંદીગ્રામથી હારી રહ્યાં છે.
તો ટીએમસીએ સાંજે સ્પષ્ટ કર્યું કે નંદીગ્રામમાં મમતા બેનરજીની જીત નક્કી છે.
મ્યાનમારમાં સેનાએ 43 બાળકોના જીવ લીધા- સેવ ધ ચિલ્ડ્રન
મ્યાનમારમાં ફેબ્રુઆરીમાં થયેલા તખ્તાપલટ બાદ સેનાના હાથે કમસે કમ 43 બાળકોના જીવ ગયા છે.
બાળકોના અધિકારો માટે કામ કરતાં સંગઠન સેવ ધ ચિન્ડ્રને આ જાણકારી આપતા કહ્યું કે મ્યાનમારમાં 'ખરાબ સપનાં જેવી સ્થિતિ' છે.
મરનારાં બાળકોમાં એક છ વર્ષની બાળકી પણ સામેલ હતી.
સ્થાનિક નિરીક્ષણ સમૂહ અનુસાર તખ્તાપલટ બાદ જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 536 છે.
મ્યાનમારમાં સેના વિરોધને સખત રીતે કચડી રહી છે. દરમિયાન મ્યાનમારમાં સંયુક્ત રાષ્ટ્રના દૂતનું કહેવું છે કે અહીં 'વધુ લોહી વહેવાનો' ખતરો છે.
મ્યાનમારમાં અંદાજે બે મહિના પહેલાં અશાંતિની શરૂઆત થઈ હતી. ત્યારે સેનાએ ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવીને તખ્તાપલટો કરી દીધો હતો. ચૂંટણીમાં આંગ સાન સૂ ચીની પાર્ટી એનએલડીએ ભવ્ય જીત મેળવી હતી.
ચોટીલા મંદિર પર રોપ વે બનશે
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડુંગર પર આવેલા ચામુંડા મંદિર પર રોપ વે બનાવાશે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વિધાનસભાના બજેટસત્રના અંતિમ દિવસે આ જાહેરાત કરી હતી.
મુખ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાતમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લેનારા પર્યટકોની સુવિધા વધારવા માટે રાજ્ય સરકારે રાજ્યભરમાં વિવિધ ધાર્મિક સ્થળોએ અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ હાથ ધર્યા છે.
રૂપાણીએ વધુમાં જણાવ્યું છે કે રાજ્ય સરકારે ચોટીલાના ચામુંડાધામ ખાતે રોપ વે બનાવવા માટે એક એજન્સીની નિમણૂક કરી છે. રોપ-વે માટે બાંધકામ ટૂંક સમયમાં શરૂ થશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો