ગુજરાતમાં લવાયેલો 'લવ જેહાદ સામેનો કાયદો' શું છે? ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ વિશે શું કહ્યું?

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર ગુજરાતમાં એક બહુચર્ચિત બિલ આજે વિધાનસભા ગૃહના બજેટ સત્રમાં પસાર થઈ ગયું છે. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) બિલ-2021, જેને 'લવ જેહાદ' વિરોધી કાયદો તરીકે ગણવામાં આવે છે તે પસાર કરાયું છે.

ગુજરાતની ભાજપના નેતૃત્વવાળી રૂપાણી સરકારે વિધાનસભામાં આ બિલ બહુમતીથી પસાર કર્યું છે.

ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ મામલે પત્રકારો સમક્ષ કહ્યું, "ધર્મ સ્વાંત્રત અધિનિયમ 2003ની અંદર નવા સુધારોઆના માધ્યમથી નવું બિલ તૈયાર કરી કાયદો લવાયો છે. લવ જેહાદ સામેનો આ કાયદો (બિલ) છે."

તેમણે કહ્યું, "નાની, કુમળી માનસિકતા ધરાવતી દીકરીઓ જેમને લવ જેહાદના નામે ધર્માંતરણ કરાવી એની સાથે લગ્ન ગ્રંથીથી જોડાઈ આવી અનેક દીકરીઓનું જીવન નરક બનવારા જેહાદીઓ સામે કડક કાર્યવાહી માટે સરકારે આ પગલું ભર્યું છે."

ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશમાં આવા કાયદાઓ છે. જેના અંતર્ગત થતા ગુના બિનજામીનપાત્ર છે. હવે નવું બિલ રાજ્યપાલને મંજૂરી માટે મોકલવામાં આવશે.

અહેવાલ અનુસાર ગૃહમાં બહુમતીથી પસાર થયેલા બિલ મુજબ રાજ્યમાં બળજબરીથી ધર્મ પરિવર્તન પર રોક મામલે 5 વર્ષ સુધીની સજા, 2 લાખ રૂપિયાનો દંડ સહિતની જોગવાઈ કરવામાં આવી છે.

વળી સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધી સજા અને 3 લાખ સુધીના દંડની જોગવાઈ છે. ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતિની દીકરીઓ સાથેના ગુનામાં 7 વર્ષની જોગવાઈ કરાઈ છે.

ગૃહપ્રધાને બિલ મામલે કહ્યું કે રાજ્યમાં ખોટું નામ કહીને હિંદુ યુવતીઓ સાથે લગ્ન કરનારા અને લગ્ન માટે મદદ કરાનારાંઓની હવે ખેર નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે આ કાયદા મામલે રાજ્યમાં ઘણી ચર્ચાઓ હતી. જેના પર ગૃહે મહોર મારી દીધી છે.

રાજ્યમાં આ કાયદા(બિલ) હેઠળ ગુનો નોંધાશે તો કાયદા અનુસાર જિલ્લા પોલીસ વડા અથવા ડીવાયએસપી કક્ષાના અધિકારી તેની તપાસ કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો