You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ વિદેશ મંત્રી જયશંકરની ચૂંટણીને સુપ્રીમમાં પડકાર
મંગળવારે દેશની સર્વોચ્ચ અદાલતે વિદેશ મંત્રી એસ. જયશંકરની રાજ્યસભામાં ચૂંટણીને પડકારતી અરજી ઉપર સુનાવણી મોકૂફ રાખી છે.
જયશંકરના વકીલ કોવિડ-19ને કારણે બીમાર હોય તેઓ અદાલતની કાર્યવાહીમાં હાજર રહી શકે તેમ ન હોવાથી સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટમાં આ સુનાવણીના રાજકીય દૃષ્ટિએ દૂરગામી પરિણામ આવી શકે છે અને આગામી રાજ્યસભા ચૂંટણીઓ ઉપર પણ તેની અસર પડી શકે છે.
કેસની પૃષ્ઠભૂમિ
જુલાઈ-2019માં ગુજરાતના ક્વૉટામાંથી ખાલી પડેલી બે બેઠક ઉપર પેટાચૂંટણી યોજાઈ હતી. જેની ઉપર ભાજપે વિદેશ મંત્રી એસ. જયશંકર તથા જુગલજી ઠાકોરને ઊભા રાખ્યા હતા.
સામાપક્ષે કૉંગ્રેસે ચંદ્રિકાબહેન ચુડાસમા તથા ગૌરવ પંડ્યાને ચૂંટણીજંગમાં ઉતાર્યા હતા. જોકે, બે બેઠક માટે અલગ-અલગથી પેટાચૂંટણી યોજાઈ હોય ભાજપના બંને ઉમેદેવાર વિજેતા જાહેર થયા હતા.
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાજ્યસભામાં ગુજરાતના પ્રતિનિધિ અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાંથી વિજેતા થતાં તેમણે આ બેઠકો ખાલી કરી હતી.
શાહ ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી, જ્યારે સ્મૃતિ ઈરાની ગાંધી પરિવારની પરંપરાગત અમેઠી બેઠક ઉપરથી વિજેતા થઈને સંસદના નીચલા ગૃહમાં પહોંચ્યાં હતાં.
'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ના રિપોર્ટ મુજબ, ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ચુડાસમા તથા પંડ્યાએ આ ચૂંટણી તથા અલગ-અલગ જાહેરનામાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે લોકપ્રતિનિધિત્વ ધારાની કઈ જોગવાઈનો ભંગ થયો, જેથી ચૂંટણીને રદબાતલ ઠેરવવી જોઈએ, એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યાં છે, એમ નોંધીને હાઈકોર્ટે આ અરજી કાઢી નાખી હતી. આથી, અરજદારોએ સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવ્યા છે.
એસ. જયશંકરના પક્ષની દલીલ છે કે વર્ષ 2009થી ચૂંટણીપંચ રાજ્યસભા માટે ખાલી પડેલી બે બેઠક માટે અલગ-અલગ જ જાહેરનામા કાઢે છે. બંધારણ કે લોકપ્રતિનિધિત્વ ધારામાં આ અંગે કોઈ સ્પષ્ટતા નથી એટલે તેમની ચૂંટણીમાં કશું ખોટું નથી.
ફેબ્રુઆરી-2021માં પણ રાજ્યસભાની અલગ-અલગ પેટાચૂંટણી યોજાઈ હતી. એ ચૂંટણીમાં સંખ્યાબળ ન હોવાને કારણે કૉંગ્રેસે ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા ન હતા.
આથી, ભાજપના બંને ઉમેદવાર (રામભાઈ મોકરિયા તથા દિનેશભાઈ પ્રજાપતિ) બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
આથી, આ કેસના ચુકાદાની અસર આગામી ચૂંટણીઓ તથા તેના પરિણામો ઉપર પણ પડી શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો