You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્ર-ગુજરાતમાં હૉસ્પિટલોમાં આગની દુર્ઘટનાઓમાં શું સામ્યતા છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં શનિવારે માતમ છવાઈ ગયો હતો. જિલ્લાની હૉસ્પિટલનું સ્પેશિયલ ન્યૂબૉર્ન કૅર યુનિટ આગની ઝપેટમાં આવી ગયું અને 10 નવજાતનાં મોત થયાં.
સમાચાર એજન્સી પીટીઆઈને એક ડૉક્ટરે કહ્યું કે બધાં નવજાત એકથી ત્રણ માસનાં હતાં.
તો મહારાષ્ટ્રના ડિસ્ટ્રિક્ટ સિવિલ સર્જન પ્રમોદ ખંડાતેએ કહ્યું કે ભંડારાની જિલ્લા હૉસ્પિટલમાં રાતે દોઢ વાગ્યે આગ લાગી હતી.
તેમણે કહ્યું કે યુનિટમાં કુલ 17 બાળકો હતાં, તેમાંથી સાત નવજાતને બચાવી લેવાયાં છે.
સવાલ એ થાય કે હૉસ્પિટલોમાં આગની ઘટનાઓ કેમ વધી રહી છે, વારંવાર શૉર્ટસર્કિટને કારણે કે અન્ય કારણે આગ કેમ લાગે છે.
અગાઉ ગુજરાતમાં પણ કેટલીક હૉસ્પિટલમાં આગની ઘટનાઓ બની હતી. ક્યાંક આગનું કારણ શૉર્ટસર્કિટ બતાવવામાં આવ્યું હતું, તો ક્યાંક ફાયરસેફ્ટીનાં સંસાધનોની કમી હોવાનું ધ્યાને આવ્યું હતું.
મહારાષ્ટ્રની હૉસ્પિટલમાં કેવી રીતે આગ લાગી?
શનિવાર (9 જાન્યુઆરી)ની રાતે ભંડારા જિલ્લાની હૉસ્પિટલના યુનિટમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો.
ત્યારે એ સમયે ફરજ પર હાજર એક નર્સનું ધ્યાન ગયું હતું. તેમણે દરવાજો ખોલીને જોયું તો રૂમમાં ઘણો ધુમાડો હતો. આથી તેઓએ તાત્કાલિક હૉસ્પિટલના અધિકારીઓને જાણ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાદમાં ઘટનાસ્થળે પહોંચેલા ફાયરબ્રિગેડે હૉસ્પિટલમાં લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી.
આગની ઘટનાઓને રોકવા માટે શું કરવું જોઈએ?
ફાયરના નિષ્ણાતોના મતે ફાયર-સેફ્ટીનાં સાધનોની જાળવણીનો અભાવ અને નિયમોનું ઉલ્લંઘન આવી ઘટનાઓ માટે જવાબદાર હોય છે.
બીબીસી સાથે વાત કરતાં ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન મહારાષ્ટ્રના અધ્યક્ષ ડૉક્ટર અવિનાશ ભોંડવેએ કહ્યું કે રાજ્ય સરકારે ત્રણ મહત્ત્વની વાત પર ધ્યાન આપવું જોઈએ.
- હૉસ્પિટલોમાં ઉપયોગમાં લેવાતાં અત્યાધુનિક ઉપકરણો માટે કડક માપદંડ હોવા જોઈએ.
- હૉસ્પિટલમાં વીજળીના સર્કિટની નિયમિત તપાસ થવી જોઈએ.
- ઇનક્યુબેટર જેવા ઉપકરણ અચાનક તૂટવાનું જોખમ રહે છે. તેનાથી વિસ્ફોટ થવાની શક્યતા છે. આથી આ ઉપકરણનું યોગ્ય નિરીક્ષણ થવું જોઈએ.
તેઓએ વધુમાં કહ્યું કે "સરકારી હૉસ્પિટલોમાં ઉપકરણના ખર્ચને નજરઅંદાજ કરવામાં આવે છે. તેની સીધી અસર અત્યાધુનિક ઉપકરણોની ગુણવત્તા પર પડે છે. આ ઉપકરણો સીધાં દર્દીઓનાં જીવન સાથે જોડાયેલાં હોય છે. આથી સરકારે તેના પર ધ્યાન આપવું જોઈએ."
તો અમદાવાદના ફાયર વિભાગના ડેપ્યુટી ફાયર ચીફ ઑફિસર રાજેશ ભટ્ટ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે એનઓસી મળવાથી આગની ઘટનાઓ નહીં બને તેવું માનવાની જરૂર નથી.
તેઓ કહે છે, "આગ લાગે ત્યારે ફાયરનાં સાધનોનો ઉપયોગ કરીને આગને વધતી રોકી શકાય તેના માટે આ સિસ્ટમ નખાવવામાં આવે છે. પણ એના માટે નિષ્કાળજી સેવાતી હોય, ગુણવત્તા વિનાનાં સાધનો વસાવતાં હોય તો, જે સાધનો નખાવ્યાં છે એને ઑપરેટ કેવી રીતે કરવા તેની માહિતી ન મેળવાતી હોય તો અને બધું જ તંત્ર પર છોડી દેવાતું હોય તો આવી ઘટનાઓને રોકી શકાતી નથી."
તેઓ કહે છે, "હાલના સમયમાં કોવિડ હૉસ્પિટલોમાં ચાર-ચાર, પાંચ-પાંચ મહિના સતત વૅન્ટિલેટર ચાલતા હોય છે, આથી એના પ્લગમાં જે વાયરો હોય એ લૂઝ થાય છે, અંદર કાર્બન જમા થાય છે અને સળગે છે. બહાર વૅન્ટિલેટર ચાલે છે એટલે બધું બરાબર છે એવું માનીને ડૉક્ટરો બેસી રહે છે, પણ એ ઇલેક્ટ્રિકલ મૅન્ટેનન્સ રાખવું જરૂરી હોય છે."
"હૉસ્પિટલોમાં કેટલાંક બેઝિક સંસોધનોની જરૂર હોય છે, પણ આટલાથી ચલાવી લેશું એવો આગ્રહ જ્યારે રાખવામાં આવે ત્યારે સલામતી જળવાતી નથી."
તેઓ કહે છે કે ફાયરના નિયમોના પાલન માટે કડક પગલાં લેવવા જોઈએ અને વધુ દંડ કરવાની જોગવાઈ હોવી જોઈએ.
નિષ્ણાતો અન્ય એક બાબત તરફ આંગળી ચીંધે છે. નિષ્ણાતોનું કહેવું છે કે હૉસ્પિટલની ઇલેક્ટ્રિક સિસ્ટમમાં સતત વીજભાર વહન કરવાની ક્ષમતા છે કે નહીં એની તપાસ થતી નથી.
તેમજ ખાનગી હૉસ્પિટલમાં પાવરનો લૉડ કેટલો છે, એની પણ તપાસ થવી જોઈએ.
'આગનાં કારણો જાણવાની કોશિશ કરી રહ્યા છીએ'
પ્રમોદ ખંડાતેએ કહ્યું કે વૉર્ડમાં નવજાત હતાં, તેમને સતત ઓક્સિજનની જરૂર હતી. આગ ઓલવવાની ખૂબ કોશિશ કરાઈ હતી, પણ ધુમાડો વધુ હતો.
નવજાતના વૉર્ડની બાજુમાં હૉસ્પિટલનો આઈસીયુ, ડાયાલિસીસ વિંગ અને પ્રસૂતિ વિભાગ હતો. એ બધાને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
પ્રમોદ ખંડાતેએ કહ્યું કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પણ શૉર્ટસર્કિટ હોઈ શકે છે.
તો મહારાષ્ટ્રના પોલીસ અધીક્ષક વસંત જાધવે કહ્યું કે પોલીસે બાળકોનાં મોત મામલે તપાસ શરૂ કરી દીધી છે. અમે આગનાં કારણો જાણવાની કોશિશ કરી રહ્યા છીએ.
ગુજરાતની આગની ઘટનાઓ કેવી રીતે ઘટી હતી?
ગત વર્ષમાં ગુજરાતની હૉસ્પિટલોમાં આગની ઘટનાઓ બની હતી.
અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર વગેરેએ જગ્યાએ કોવિડ હૉસ્પિટલ અને અન્ય હૉસ્પિટલોમાં લાગ હતી.
મોટા ભાગની આગની ઘટનાઓમાં શૉર્ટ-સર્કિટ કારણ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
આગની ઘટનાઓ પાછળ બેદરકારીના આરોપો લાગ્યા હતા, તો કેટલીક હૉસ્પિટલોમાં ફાયરસેફ્ટીનાં સાધનોનો પણ અભાવ જોવા મળ્યો હતો.
6 ઑગસ્ટે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલના આઈસીયુ (ઇન્ટેન્સિવ કૅર યુનિટ)માં આગ લાગી હતી. તમામ મૃતક કોરોનાના દરદી હતા.
ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે છ ઑગસ્ટે કહ્યું હતું કે "પ્રાથમિક માહિતી અનુસાર શ્રેય હૉસ્પિટલમાં જે આગ લાગી તે શૉર્ટ-સર્કિટને કારણે લાગી હતી."
તો અગાઉ વડોદરાની એસએસજી હૉસ્પિટલના કોવિડ વૉર્ડમાં પણ આગ લાગી હતી.
વડોદરાના ચીફ ફાયર ઑફિસર પાર્થ બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર હૉસ્પિટલના આઈસીયૂ વૉર્ડના વૅન્ટિલેટરમાં સ્પાર્ક થતાં આગ લાગી હતી.
25 ઑગસ્ટે જામનગરમાં આવેલી ગુરુ ગોવિંદસિંહ હૉસ્પિટલના આઈ.સી.યુ. વિભાગમાં આગ લાગવાની ઘટના ઘટી હતી.
જામનગરના કલેક્ટરે સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આગ પાછળનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ હોવાનું જણાવ્યું હતું.
18 નવેમ્બરે સુરતની અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી ટ્રાઇસ્ટાર હૉસ્પિટલમાં આગની ઘટના બની હતી.
શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાયું હતું.
12મી ઑગસ્ટે છોટા ઉદેપુરની બોડેલી ધોકલિયા હૉસ્પિટલના કોવિડ-19 વોર્ડમાં આગ લાગી હતી.
અધિકારીઓના કહેવા અનુસાર, સ્વીચબોર્ડમાં શોર્ટ-સર્કિટને કારણે આગ લાગી હતી અને સ્ટાફ દ્વારા તેને કાબૂમાં લેવામાં આવી હતી.
હવે આગળની પ્રક્રિયા શું રહેશે?
મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી અજિત પવારે કહ્યું કે "આ ઘટના ખૂબ દુખદ છે અને સરકાર તેને ગંભીરતાથી લીધી છે. મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ ઘટના મામલે તત્કાળ તપાસ આદેશ આપ્યા છે. દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી થશે."
અજિત પવારે એમ પણ કહ્યું કે રાજ્યમાં અન્ય હૉસ્પિટલોમાં ચાઇલ્ડ કૅર યુનિટોમાં ઑડિટના નિર્દેશ આપી દીધા છે, જેથી આવી ઘટના ફરી વાર ન બને.
ગુજરાતની હૉસ્પિટલમાં આગના બનાવો
•ગત ઑગસ્ટ મહિનામાં અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં લાગેલી આગમાં 8 લોકોનાં મોત થયાં હતાં. પીપીઈ કિટમાં સ્ટાફ કામ કરી રહ્યો એ સમયે શૉર્ટસર્કિટને કારણે આગ લાગી હતી.
•13 ઑગસ્ટના દિવસે વડોદરાની બોડેલીની કોરોના હૉસ્પિટલમાં આગ લાગી હતી.
•25 ઑગસ્ટના દિવસે જામનગરની જી. જી. હૉસ્પિટલમાં આગ લાગી હતી.
•9 સપ્ટેમ્બરે વડોદરાની એસ.એસ.જી. હૉસ્પિટલમાં આગ લાગી હતી, જેમાં વૅન્ટિલેટરમાં સ્પાર્ક થવાથી આગ લાગી હતી.
•18 નવેમ્બરે સુરતની ટ્રાઈસ્ટાર હૉસ્પિટલમાં આગ લાગી હતી.
•રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ દર્દીઓનાં મોત થયાં હતાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો