You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં જીપીએસસીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી - TOP NEWS
ગુજરાતમાં પબ્લિક સર્વિક કમિશનની પરીક્ષાઓને મોકૂફ રાખવામાં આવી છે.
જીપીએસસના ચૅરમૅન દિનેશ દાસાએ બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખને જણાવ્યું, "વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં જીપીએસસીની 22, 24, 26, 28, અને 29મી નવેમ્બરે યોજાનારી પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે."
"તમામ ઉમેદવારોને આગામી જાણકારી એસએમએસ અને ઇમેઇલ થકી કરવામાં આવશે."
નોંધનીય છે કે રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં આવેલા ઉછાળા બાદ રાજ્ય સરકાર તકેદારીનાં પગલાં લઈ રહી છે.
દિવાળી બાદ અમદાવાદમાં કોરોના વાઇરસના કેસમાં નોંધાયેલા વધારાને પગલે શહેરમાં શુક્રવાર રાતથી સોમવાર સવાર સુધી કર્ફ્યુ જાહેર કરી દેવાયો છે.
તો ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળાઓ અને કૉલેજો ખોલવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. એ નિર્ણયને પણ રાજ્ય સરકાર દ્વારા કોરોના વાઇરસની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવ્યો છે
કેન્દ્ર સરકારની ટીમ ગુજરાત કેમ આવી રહી છે?
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યા બીજાં રાજ્યો કરતાં વધારે હોવાથી કેન્દ્ર સરકારની હાઈ-લેવલની ટીમ ગુજરાતની મુલાકાત લેશે.
સરકારે જાહેર કરેલાં નિવેદન પ્રમાણે 'નેશનલ સેન્ટર ડિસીઝ કંટ્રોલ'ના ડૉક્ટર એસ.કે.સિંઘ ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ જે જિલ્લામાં કોરોના વાઇરસના કેસ વધારે છે તેની મુલાકાત લેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં કોરોનાના દરદીઓનો સાજા થવાનો દર 91.50 ટકા છે. જે રાષ્ટ્રીય ઍવરેજ કરતાં (93.58 ટકા) ઓછો છે.
કેન્દ્ર સરકારે દેશનાં ચાર રાજ્યો હરિયાણા, રાજસ્થાન, મણિપુર અને ગુજરાતમાં ટીમ મોકલવાનું નક્કી કર્યું છે. જેમાં ગુજરાતની સ્થિતિ વધારે ચિંતાજનક છે.
દેશમાં જ્યારે પૉઝિટિવીટી રેટ સાત ટકા છે ત્યારે ગુજરાતમાં પૉઝિટિવીટી દર 3.1 ટકા છે. જ્યારે હરિયાણામાં 6.8 ટકા, રાજસ્થાનમાં 6.3 ટકા અને મણિપુરમાં 6.4 ટકા છે.
કોરોના વાઇરસથી સંક્રમિત થવાના ભયે મહિલાએ આત્મહત્યા કરી
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર કોરોના વાઇરસથી સંક્રમિત થવાના ભયના કારણે 29 વર્ષની એક મહિલાએ અમદાવાદમાં ઍસિડ પીને આત્મહત્યા કરી લીધી છે.
ક્રૃષ્ણનગર પોલીસ સ્ટેશને પુષ્ટિ કરી હતી કે નયના પટેલ તાવ અને કફથી પીડાતાં હતાં. રાજ્યમાં તહેવારોને કારણે કોરોના વાઇરસના કેસ વધ્યા છે. જેનાથી તેમને લાગ્યું કે તેઓ પણ કોરોના વાઈરસથી સંક્રમિત થયાં હશે અને આ ભયના કારણે તેમણે આત્મહત્યા કરી લીધી.
તેમણે વધુમાં કહ્યું, "હાલ અમે આકસ્મિક મૃત્યુની ફરિયાદ નોંધી છે અને તપાસ કરી રહ્યા છીએ."
મંગળવારે આઠ વાગે તેમણે ઍસિડ પીધું અને બચેલા ઍસિડને શરીર પર રેડી દીધું હતું.
પોલીસસૂત્રોએ કહ્યું કે તેમને દુખાવો થતાં પરિવારનું ધ્યાન તેમના પર ગયું અને તેમને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા. જોકે તેઓ થોડી વાર પછી મૃત્યુ પામ્યાં.
હૉંગકૉંગ : ચીનની પશ્વિમી દેશોને ધમકી "આંખો કાઢી લેવામાં આવશે."
ચીને બ્રિટન, અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને કૅનેડાને હૉંગકૉંગ મામલે આકરો ઠપકો આપ્યો છે.
આ દેશોએ હૉંગકૉંગમાં ચીનની ટીકા કરતાં લોકોને ચીન દ્વારા ચૂપ કરી દેવાતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
હૉંગકૉંગના ચૂંટાયેલાં ધારાસભ્યોને રદ કરવાનું બિલ ચીન દ્વારા તૈયાર કરાયું છે તેની સામે આ પાંચ દેશોએ 'ફાઇવ આઇસ' નામનું એક ગઠબંધન બનાવી વિરોધ રજૂ કર્યો હતો.
તેમણે ચીનને પોતાના સંબંધિત આદેશો પરત લેવા માટે પણ કહ્યું હતું.
ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તાએ આને ચીનનો આંતરિક મુદ્દો ગણાવીને કહ્યું, "તેમણે સાવચેત રહેવાની જરૂરિયાત છે, અથવા તેમની આંખો કાઢી લેવામાં આવશે."
તેમણે વધુમાં કહ્યું, "ચીન ક્યારેય કોઈને હેરાન કરતું નથી અને કોઈનાથી ડરતું નથી. તેમને પાંચ આંખો હશે કે દસ આંખો, કોઈ મહત્ત્વની નથી."
ઑસ્ટ્રેલિયાના સૈનિકોએ ગેરકાયદેસર રીતે 39 અફઘાનોની હત્યા કરી : તપાસ અહેવાલ
ઑસ્ટ્રેલિયાની ડિફેન્સ ફોર્સે પોતાના એક બહુપ્રતિક્ષિત તપાસ અહેવાલમાં લખ્યું છે કે 'તેમને એ વાતના પૂરતા પુરાવા મળ્યા છે કે અફઘાનિસ્તાન સામેના યુદ્ધ દરમિયાન કેટલાક સૈનિકોએ 39 અફઘાનો ગેરકાયદે હત્યા કરી હતી.'
અંદાજે ચાર વર્ષ સુધી ચાલેલી એક લાંબી તપાસ પછી આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
એસડીએફની તપાસ મુજબ, અફઘાનિસ્તાનમાં હાજર ઑસ્ટ્રેલિયાના સૈનિકોએ 23 અલગ-અલગ ઘટનાઓમાં 39 સામાન્ય લોકોની હત્યા કરી. આ હત્યાઓ 2009થી 2013ની વચ્ચે કરવામાં આવી હતી.
એસડીએફ પ્રમાણે, મેજર જનરલ (જસ્ટિસ) પૉલ બ્રૅરેટનના નેતૃત્વમાં આ તમામ ઘટનાની તપાસ કરવામાં આવી હતી અને 400 લોકોની જુબાની લેવામાં આવી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો