કોઝિકોડ વિમાનદુર્ઘટના : વિમાનમાં સવાર મુસાફરોની આપવીતી

    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બેંગલુરુથી બીબીસી માટે

29 વર્ષીય શરફુદીન ઘરે આવવામાં એટલા ઉત્સાહિત હતા કે તેઓએ સોશિયલ મીડિયામાં સંદેશ મૂક્યો હતો કે તેઓ પાંચ કલાકમાં ઘરે પહોંચી જશે.

પરંતુ, જ્યારે ઍર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન સાંજે 7.40 મિનિટે કોઝિકોડ ઍરપૉર્ટ પર ઊતર્યું, તો ફસડાઈને રનવેથી દૂર જઈ પડ્યું અને તેના બે ટુકડા થઈ ગયા. દુર્ઘટનામાં શરફુદ્દીનનું મૃત્યુ થઈ ગયું.

તો તસવીરમાં માતા અમીના શરીનના ખોળામાં બેસેલી શરફુદ્દીનની બે વર્ષની બાળકી ફાતિમા ઇજ્જાની આંખો અચરજથી ભરેલી છે કે આ બધું શું થઈ રહ્યું છે.

ફાતિમાના માથામાં ઈજા થઈ છે અને કાલીકટ મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં શનિવારે સવારે સર્જરી કરાવીને માથા જામી ગયેલા લોહીને કાઢવામાં આવ્યું છે.

તેમના કાકા હાની હસને બીબીસીને કહ્યું કે "ડૉક્ટરોએ કહ્યું કે તેની તબિયત સારી છે. તેને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવી છે."

રુંધાયેલા અવાજે હસન જણાવે છે કે શરફુદ્દીનનાં 23 વર્ષીય પત્ની અમીનાએ આજે (શનિવારે) સવારે પાંચ વાગ્યે ઑપરેશનમાં જતા પહેલાં તેની સાથે વાત કરી હતી.

તેઓ કહે છે, "તેના બંને હાથ અને પગ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેને ઑપરેશન માટે તૈયાર કરવામાં આવી રહી હતી અને એ સતત પતિ અંગે પૂછી રહી હતી. અમે તેને કશું કહ્યું નથી."

ફાતીમાનું કાલિકટ મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં ઑપરેશન કરવામાં આવ્યું અને અમીનાનું ઑપરેશન મલબાર ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ મેડિકલ સાયન્સિસ (એમઆઈએમએસ)માં કરવામાં આવ્યું હતું.

હસન જણાવે છે કે શરફુદ્દીન દુબઈમાં સેલ્સમૅનનું કામ કરતા હતા.

'વિમાનની અંદર અફરાતફરીનો માહોલ હતો'

ઍર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ કોઝિકોડના કારીપૂરી ઍરપૉર્ટ પર લૅન્ડ કરતી વખતે રનવેથી ફસડાઈને આગળ નીકળી હતી અને ખીણમાં પડી હતી. વિમાનના પાઇલટ કૅપ્ટન દીપક સાઠેનું પણ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે.

તેઓ ભારતીય ઍરફોર્સના અનુભવી પાઇલટ હતા.

વિમાનમાં સવાર 46 વર્ષીય જયામોલ જોસેફે દુબઈમાં પારિવારિક મિત્ર સાદિક મહમંદને જણાવ્યું કે જ્યારે વિમાન લગભગ લૅન્ડ કર્યા પછી પણ રોકાયું નહીં અને પછી જમીન પરથી થોડું ઊંચે ગયું તો વિમાનમાં અફરાતફરીનો માહોલ હતો.

સાદિક કહે છે, "તેણે કહ્યું કે ફરીથી ઉડાન ભરતાં પહેલાં વિમાનનાં પૈડાં પણ લગભગ જમીનને અડી ગયા હતા. વિમાનમાં અફરાતફરી મચી ગઈ અને તેણે અનુભવ્યું કે વિમાન ખીણમાં પડી ગયું છે."

સાદિક કહે છે, "મોટા ભાગના મુસાફરોને એ ખબર નહોતી કે વિમાન સાથે શું થઈ રહ્યું છે. ક્રૅશ થયા બાદ તેણે પોતાનો ફોન ઑન કર્યો. અન્ય મુસાફરો પણ તેમનાં સંબંધીઓ અને દોસ્તોને ફોન કરતાં હતા. તેણે પણ અમને ફોન કર્યો હતો."

જયામોલ જોસેફ દુબઈમાં પોતાના પારિવારિક મિત્રોને મળવા અને ફરવા આવ્યાં હતાં. તેમના મિત્રો પણ કોઝિકોડના છે.

તેમને માર્ચમાં કેરળ આવવાનું હતું. પણ લૉકડાઉનમાં વિમાન પર પ્રતિબંધને કારણે તેઓને ઘણા મહિના સુધી ત્યાં રહેવું પડ્યું.

સાદિક કહે છે, "સદનસીબે તે ઠીક છે. કદાચ એટલા માટે કે તે 31મી હરોળમાં હતી. તેને નાક પર થોડી ઈજા થઈ છે અને તે હૉસ્પિટલમાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે."

26 વર્ષીય અફઝલ પારાનું નસીબ સારું હતું. તેમનું નામ પણ વિમાનથી પરત ફરનારાઓમાં હતું પણ તેઓ વિમાનમાં બેસી શક્યા નહોતા.

તેમના કાકાના પુત્ર શામિલ મહમંદ જણાવે છે, "તેની પાસે ઍરપૉર્ટ સુધી પહોંચવાના પૈસા નહોતા. તેના વિઝા રદ થઈ ગયા હતા, કેમ કે તેણે 500 દિરહામનો દંડ ભર્યો નહોતો. તેની પાસે પાંચ મહિનાથી કોઈ કામ નહોતું. આથી તેની પાસે પૈસા નહોતા."

'વંદે માતરમ અભિયાનટ હેઠળ પરત ફરનારા કમસે કમ અડધા મુસાફરો એવા હતા, જેમની નોકરી ચાલી ગઈ હતી કે વિઝા રદ થઈ ગયા હતા.

બાકીના એવા લોકો હતા, જે કોરોનાને લાગુ લૉકડાઉનમાં દુબઈમાં ફસાઈ ગયા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો