આત્મનિર્ભર ગુજરાત : રૂપાણી સરકારની આ નવી યોજના શું છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આત્મનિર્ભર ભારતની વાત કરી હતી, એ પછી આજે રૂપાણી સરકારે 'આત્મનિર્ભર ગુજરાત' નામથી નવી યોજનાની જાહેરાત કરી છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગુરુવારે સાંજે આ અંગે જાહેરાત કરી હતી.

લૉકડાઉનને પગલે અર્થતંત્રને થયેલી માઠી અસરને ખાળવા માટે આ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

  • આ યોજના અંતર્ગત રૂપિયા એક લાખ સુધીની લૉન બે ટકાના વાર્ષિક વ્યાજ પર જામીનગીરી વગરની આપવામાં આવશે.
  • કૉ-ઓપરેટિવ બૅન્ક, ક્રેડિટ સોસાયટી અને જિલ્લા સ્તરની બૅન્ક માત્ર અરજી પર લાખ રૂપિયા સુધીની લૉન આપશે.
  • લૉન લેનાર વ્યક્તિએ માત્ર બે ટકા વ્યાજ ચૂકવવાનું રહેશ, જ્યારે અન્ય છ ટકા વ્યાજ રાજ્ય સરકાર બૅન્કને ચૂકવશે.
  • પહેલા છ મહિના સુધી કોઈ હપતો કે વ્યાજ ચૂકવવાનાં નહીં રહે.
  • લૉન માટે જામીનગીરી આપવાની નથી.
  • આ યોજન અંતર્ગત ત્રણ વર્ષ માટેની મુદ્દતની લૉન આપવામાં આવશે.

'દસ લાખને સહાય'

આ યોજનાની જાહેરાત વખતે વિજય રૂપાણી સાતે ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા.

વિજય રૂપાણીએ યોજનાની જાહેરાત કરતી વખતે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડ રૂપિયાના પૅકેજની જાહેરાત કરી છે.

તેમણે કહ્યું, "લૉકડાઉનના વખતમાં અટકી પડેલા અર્થતંત્રને ફરી કાર્યરત્ કરવામાં આ પૅકેજ મદદરૂપ થશે."

તેમણે કહ્યું કે "રાજ્ય સરકારે પણ ગુજરાતના નાના વેપારીઓ, નાના કારીગરો, રિક્ષાવાળાઓને ધ્યાને રાખીને યોજના તૈયારી કરી છે."

"છેલ્લા બે મહિનામાં જે માર પડ્યો છે, તેમાંથી ઊભા થાય અને આવનારા છ-બાર મહિનામાં એ રિકવર થઈ જાય એવો આશય છે."

વિજય રૂપાણીએ કહ્યું કે આ અંતર્ગત 10 લાખથી વધુ લોકોને આ યોજના અંતર્ગત લાભ મળશે.

વિજય રૂપાણીએ કહ્યું, "જે લૉનનો બજારમાં વ્યાજદર ઓછામાં ઓછો 12 ટકા છે, એ લૉન બે ટકાના વ્યાજદરે આપવામાં આવશે."

વિજય રૂપાણીએ એવો પણ દાવો કર્યો છે કે અન્ય રાજ્યોએ માત્ર પાંચ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે એટલી રકમમાં તો ગરીબ માણસ પાછો ઊભી ન થઈ શકે એટલે સરકારે બે લાખની લૉન આપવાનું નક્કી કર્યું છે.

વિજય રૂપાણી સરકારે કૉ-ઑપરેટિવ બૅન્કો, ક્રૅડિટ સોસાયટીઓ અને ડીસ્ટ્રીક બેંક એ બધા લોકોની સાથે અમે વખતોવખત મિટિંગ કરીને આ યોજના બનાવી છે.

ત્રણ વર્ષ સુધીની મુદ્દતની આ લૉન હોવાથી વર્ષે બે ટકા પ્રમાણે કૂલ છ ટકા વ્યાજ લૉનધારકે ચૂકવવાનું રહેશે અને એની સામે ત્રણ વર્ષનું 18 ટકા વ્યાજ રાજ્ય સરકાર બૅન્કને ચૂકવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો