ગુજરાત સરકારે કોરોનાને અટકાવવા કેવાં પગલાં લીધાં?

લગભગ બે મહિના સુધી કોરોના વાઇરસથી બચી રહેાલ ગુજરાતમાં શુક્રવાર (તા. 20 માર્ચ)ના કોરોના વાઇરસના 5 પૉઝિટિવ કેસ નોંધાયા છે.

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, રાજકોટના એક પુરુષ તથા સુરતની એક યુવતીને વાઇરસનો ચેપ લાગ્યો છે. આ ઉપરાંત 2 અમદાવાદમાં અને 1 કેસ વડોદરામાં નોંધાયો છે.

રાજકોટના પુરુષ જેદ્દાહ તથા યુ.એ.ઈ. થઈને ભારત પરત ફર્યા હતા, જ્યારે સુરતની યુવતીએ લંડનની મુલાકાત લીધી હોવાનું બહાર આવ્યું છે.

માર્ચના બીજા સપ્તાહમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અને તમામ ઉચ્ચ અધિકારીઓ વચ્ચે કોરોના વાઇરસને લઈને બેઠક યોજાઈ હતી.

જેમાં ગુજરાતમાં કોરોના વાઇરસ ફેલાય નહીં તે માટે ગુજરાત સરકારે સાવચેતીના પગલાં લેવા તેની માહિતી આપી હતી તથા કેટલાક નિષાત્મક આદેશ આપવામાં આવ્યા હતા.

આ સિવાય રાજ્યના આરોગ્યપ્રધાન નીતિન પટેલ, આરોગ્યવિભાગના અગ્રસચિ જયંતી રવિ તથા અન્ય અધિકારીઓ દ્વારા સમયાંતરે પત્રકાર પરિષદ તથા સોશિયલ મીડિયાના માધ્યમથી જનતાને માહિતી આપી રહ્યા છે.

ગુજરાત સરકારની સજ્જતા

ગુજરાત સરકારે 16થી 29 માર્ચ સુધી શાળા-કૉલેજો અને ટ્યૂશન ક્લાસો અને આંગણવાડી વગેરે શૈક્ષણિકકાર્ય મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.

ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર 104ની જાહેરાત કરી હતી. ઉપરાંત રોગ અંગે માહિતી મેળવવા ટ્વિટર એકાઉન્ટ @GujHFWDept ની જાહેરાત કરી.

રાજ્યમાં સ્વિમિંગ પૂલ અને સિનેમાગૃહોને પણ બંધ કરવાના આદેશ અપાયા છે. આ પ્રતિબંધ બે અઠવાડિયાં માટે લાગુ કરવામાં આવ્યો છે.

સરકારે જાહેર કરેલાં નૉટિફિકેશન મુજબ કોરોના વાઇરસનો ચેપ લોકોમાં ફેલાય નહીં તે માટે જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મૂકવાનું નક્કી કરાયું છે.

જાહેરમાં થૂકનારને 500 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

સરકારે ખાનગી અને ધાર્મિક સંસ્થાઓમાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતાં હોય તેવા કાર્યક્રમને મોકૂફ રાખવાનું કહ્યું છે.

સિનિયર સિટીઝનને આપી ખાસ સલાહ

દુનિયામાં કોરોના વાઇરસના કારણે અનેક વૃદ્ધોનાં મૃત્યુ થયાં છે, જેના કારણે સરકાર દ્વારા સિનિયર સિટીઝનને ખાસ કાળજી લેવાનું કહેવામાં આવ્યું છે.

સરકારે આ ઉપરાંત ડાયાબિટીસ, હાયપરટેન્શન, અસ્થમા વગેરેના લોકોને ક્વોરૅન્ટીનમાં રહેવાની સલાહ આપી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં વરિષ્ઠ નાગરિકોને ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરી હતી.

શક્તિ ઘટે નહીં તે માટે શું કરવું?

સરકારે કહ્યું હતું કે રોગપ્રતિકારકશક્તિ જેમની ઓછી છે તેમને ઝડપથી રોગ લાગુ થાય છે. જેથી નીચે મુજબની કાળજી લેવા માટે કહ્યું છે.

  • ભૂખ્યા પેટે બહાર નીકળવું નહીં.
  • પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવું
  • નિયમિત યોગ-વ્યાયામ કરવો
  • પૂરતો આરામ કરવો
  • પૌષ્ટિક આહાર ખાવો

સરકારી હૉસ્પિટલમાં કરાયેલી કામગીરી

સરકારે હાલ સુધી હૉસ્પિટલમાં કોરોના વાઇરસ સંભવિત સંક્રમણને પહોંચી વળવા કરેલી કામગીરીની વાત કરતાં કહ્યું, "સરકારે વિદેશથી આવેલી વ્યક્તિઓનું સ્ક્રિનિંગ કરી રહી છે. સરકારે વિદેશમાંથી આવતી વ્યક્તિઓનું 28 દિવસ સુધી નિરીક્ષણ કર્યું. આ ઉપરાંત વિવિધ સ્થળે લૅબોરેટરી-પરીક્ષણની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે."

સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર (હેલ્થ) ડૉક્ટર આશિષ નાયકે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "સુરતની સિવિલ હૉસ્પિટલ અને સ્મીમેર હૉસ્પિટલમાં આઇસોલેશન વૉર્ડની વ્યવસ્થા કરી છે. જેમાં 25 બેડની વ્યવસ્થા છે. જ્યારે ક્વૉરન્ટાઇન વૉર્ડની પણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત 15 જેટલી રીસ્પોન્સ ટીમ તૈયાર છે."

સુરત સિવિલ હૉસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડૉક્ટર ટ્વિંકલ પટેલ કહે છે, "સુરત સિવિલમાં આઇસોલેશન વૉર્ડ રાખવામાં આવ્યો છે. દરેક દર્દીમા માટે અલગ રૂમ છે. જેથી રોગ ફેલાય નહીં. આઇસીયુના ઇક્વિપમૅન્ટ પણ આઇસોલેશન વૉર્ડમાં છે."

સિવિલ હૉસ્પિટલ અમદાવાદના સુપરિન્ટેન્ડેન્ટ જી. એચ. રાઠોડે કહ્યું હતું કે અમદાવાદ સિવિલમાં પણ આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વૅન્ટિલેટર, મલ્ટિ પેરા-મોનિટર, ઓક્સિજનના સતત સપ્લાયની વ્યવસ્થા કરેલ છે.

મુખ્ય મંત્રીએ સરકારના અધિકારીઓને સૂચના આપી હતી કે હૉસ્પિટલોમાં માસ્ક, પી.પી.ઈ.કીટ (પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપ્મેન્ટ ) તેમજ જરૂરી દવાઓની અછત ન સર્જાય તે માટેની વ્યવસ્થા કરે.

ખાનગી હૉસ્પિટલોમાં પણ આઇસોલેશન વોર્ડ ઊભા કરવાનું સૂચન કર્યું હતું.

એસ.ટી. બસો અને જાહેર જગ્યાની સાફ-સફાઈ અને ચેપ અટકાવવાની કાર્યવાહી કરવા કહ્યું છે.

આ ઉપરાંત જ્યાં લોકોની અવરજવર વધારે હોય ત્યાં સાબુથી હાથ ધોવાની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો