કોરોના વાઇરસ : મુકેશ અંબાણીથી લઈ ગૌતમ અદાણી સુધી કોરોના વાઇરસે કયા અબજોપતિને કેટલું નુકસાન કર્યુ?

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વિશ્વભરના રોકાણકારોને કોરોનાની વધતી જતી મહામારીને કારણે ભારે નુકસાન વેઠવું પડ્યું છે.

જાપાનને આ મહામારીને કારણે કટોકટી જાહેર કરી છે, જ્યારે ફ્રાંસ બીજા વિશ્વ યુદ્ધ પછીની સૌથી ભયંકર મંદીમાં ધકેલાઈ રહ્યું છે.

ફ્રાન્સના નાણામંત્રીએ જણાવ્યું છે કે બીજા વિશ્વયુદ્ધ એટલે કે 1945 પછી પહેલી વખત ફ્રાંસનો વિકાસદર 2009ની મંદીમાં માઇનસ 2.2 ટકા જેટલો નોંધાયો હતો, તે હવે 2020માં કોરોનાને કારણે માઇનસ 2.2 ટકા કરતાં પણ ઓછો થશે તેવી ભીતિ છે.

ફ્રાન્સના 3.61 લાખ લોકોએ પોતાની બચત ઉપાડી લેવા અરજી કરી છે. ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડે 'કોરોનાને કારણે ઊભી થયેલી મંદીને 2008ની મંદી કરતાં મહાભયાનક' ગણાવી છે.

કોરોના અને કડાકાનો ક્રમ

રાષ્ટ્રસંઘ અને અન્ય વૈશ્વિક સંસ્થાઓ દ્વારા કોરોના પછી વિશ્વ ભયંકર નાણાંસંકટનો સામનો કરશે તેવી આશંકા વ્યક્ત કરી છે.

20મી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં (તારીખ- 8-4-2020) રોકાણકારોને કુલ 46 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

38મું કામકાજનું સત્ર શરૂ થતાં પહેલાં બૉમ્બે સ્ટૉક ઍક્સચેન્જની કુલ કૅપિટલ 159.28 લાખ કરોડ હતી, જે શુક્રવાર તા. 3-4-2020 સુધીમાં ઘટીને 113.49 લાખ કરોડ થઈ ગઈ હતી. જોકે પછી માર્કેટ રિકવર થતાં તે 129 લાખ કરોડ રૂપિયા થવા પામી હતી.

કોરોનાની ઝપેટમાં દુનિયાના પ્રથમ ક્રમના ધનપતિઓ પણ આવી ચૂક્યા છે.

કોરોનાના કારણે હજારો લોકોનાં મોત થયાં છે, તો ઘણાબધા ધનવાનોની ચોખ્ખી આર્થિક સંપત્તિ (નેટવર્થ)ને નુકસાન પહોંચાડ્યું છે.

ધનકુબેરોનું ધનહરણ

કોરોનાના કેરથી ભારતના ધનપતિઓ પણ બાકાત નથી. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પણ તેની ઝપેટમાં આવી ગયા છે. તેમની નેટવર્થમાં છેલ્લા બે મહિનામાં 28 ટકા જેટલો ઘટાડો થવા પામ્યો છે.

RIL (આરઆઈએલ)નું વૅલ્યૂએશન 1.37 લાખ કરોડ રૂપિયા ઘટતા મુકેશ અંબાણી દેશમાં સૌથી વધુ નુકસાન સહન કરનાર પ્રથમ અને વિશ્વની પાંચમી વ્યક્તિ બની છે.

આર્થિક નુકસાની વેઠનાર દુનિયાના પ્રથમ ફ્રાંસના અબજપતિ બર્નાર્ડ અરનોલ્ટ રહ્યા છે કે જેમની નેટવર્થ 2.72 લાખ કરોડ રૂપિયા ઘટવા પામી છે.

જ્યારે બીજા સ્થાને અમાનિકો આર્ટિગા રહ્યા છે, જેમની નેટવર્થ 1.72 લાખ કરોડ રૂપિયા ઘટી છે.

ત્રીજા સ્થાને જાણીતા રોકાણકાર વૉરેન બફેટ છે, જેમની નેટવર્થ 1.41 લાખ કરોડ ઘટી છે અને ચોથા સ્થાને ફેસબુકના માર્ક ઝકરબર્ગ છે, જેમની નેટવર્થ 1.39 લાખ કરોડ રૂપિયા ઘટી છે.

દમાનીએ દમ દેખાડ્યો

નેટવર્થ ઘટવાના મામલામાં ભારતના અન્ય પ્રથમ હરોળના અબજપતિઓમાં વિપ્રોના અઝીમ પ્રેમજીની નેટવર્થ 1.11 લાખ કરોડ રૂપિયા, એચસીએલના શિવ નડારની નેટવર્થ 99 હજાર કરોડ રૂપિયા, કોટક મહિન્દ્રા બૅન્કના ઉદય કોટકની નેટવર્થ 91 હજાર કરોડ અને લક્ષ્મી મિત્તલની નેટવર્થમાં 63 હજાર કરોડનો ઘટાડો થયો છે.

ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો મુકેશ અંબાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શૅરમાં 30.78 ટકા, વિપ્રોના શૅરમાં 22 ટકા અને એચસીએલના શૅરમાં 13 ટકા સુધીનો ઘટાડો થયો છે.

જોકે દમાનીના ડી-માર્ટના શૅરમાં 8.64 ટકાનો વધારો થયો તેવું માલૂમ પડ્યું છે.

હુરુન રિચ લિસ્ટ (Hurun Global Rich List) પ્રમાણે મુકેશ અંબાણીની નેટવર્થમાં મોટો ઘટાડો થયો છે.

તેમની સંપત્તિ લગભગ 1 લાખ 44 હજાર કરોડ જેટલી ઘટી છે અને હવે તે 3 લાખ 65 હજાર કરોડ રહી ગઈ છે.

મુકેશ અંબાણી સિવાય શિવ નાદર અને ઉદય કોટકની સંપત્તિમાં પણ જબરજસ્ત ઘટાડો નોંધાયો છે, ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ ભારે ઘટાડો થયો છે.

મુકેશ અંબાણીની સંપત્તિમાં ઘટાડો થવાને કારણે શૅરબજારમાં તેના જોરદાર પડઘા પડ્યા છે.

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટના જણાવ્યા અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટરની સંપત્તિમાં ફેબ્રુઆરી-માર્ચના બે મહિનાના સમયગાળામાં 19 અબજ ડૉલરનો ઘટાડો થયો છે તેથી મુકેશ અંબાણીનું સ્થાન દુનિયાના ઘનવાન લોકોની યાદીમાં 8 ક્રમથી પાછું ધકેલાઈને 17મા સ્થાને પહોંચ્યું છે.

અણનમ અંબાણી

જ્યારે દેશના અન્ય ઉદ્યોગપતિઓ જેવા કે અદાણી, નાદર અને કોટક દુનિયાના પ્રથમ 100 ધનવાનોની યાદીમાંથી બહાર નીકળી ગયા છે.

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટના રિપોર્ટ પ્રમાણે, અદાણીની નેટવર્થમાં 6 અબજ ડૉલર (37 ટકા), HCL Technologiesના શિવ નાદરની સંપત્તિમાં 5 અબજ ડૉલર (26 ટકા), ઉદય કોટકની નેટવર્થમાં 4 અબજ ડૉલર (28 ટકા)નો ઘટાડો થયો છે.

દુનિયાના પ્રથમ 100 ધનવાન ઉદ્યોગપતિઓની યાદીમાંથી ભારતના ત્રણ ઉદ્યોગપતિ યાદીની બહાર થઈ ગયા છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટમાં હવે માત્ર મુકેશ અંબાણીનું નામ રહેવા પામ્યું છે.

કોરોના અને લૉકડાઉન

હુરુન ગ્લોબલના જણાવ્યા અનુસાર વિશ્વના પ્રથમ 100 પૈકીના અબજોપતિઓમાંથી માત્ર 9 ટકાની સંપત્તિમાં વધારો થયો છે, જ્યારે 86 ટકાની સંપત્તિમાં ઘટાડો થયો છે.

તે સામે 5 ટકાની સંપત્તિમાં સ્થિરતા જોવામાં આવી છે. આમ મોટા ભાગના ધનવાનોની સંપત્તિમાં ઘસારો નોંધાયો છે.

કોરોનાને કારણે આર્થિક સંકટની સ્થિતિ દિવસે-દિવસે વિકટ બનતી જાય છે.

હજુ લૉકડાઉન કેટલું ચાલશે તે ખબર નથી ત્યારે આર્થિક પ્રવૃત્તિ બંધ થવાને કારણે મોટા ઉદ્યોગપતિઓની માર્કેટ કૅપિટલ ઘટશે.

અત્યારે દેશમાં કોરોના બીજા અને ત્રીજા તબક્કાની વચ્ચે છે, ત્યારે હજુ દેશને કોરોનામાંથી બહાર આવતાં સારો એવો સમય લાગશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો