You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અરબી સમુદ્રમાં વાવાઝોડું બને તેવી પ્રબળ શક્યતા, ગુજરાત પર આવશે કે ફંટાઈ જશે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ લૉ પ્રેશર એરિયામાં ફેરવાઈ ગઈ છે અને મજબૂત બનીને ચોમાસા બાદનું પ્રથમ વાવાઝોડું બને તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.
જો આ સિસ્ટમ વાવાઝોડું બને અને અરબી સમુદ્રમાં ઉત્તર તરફ આગળ વધે તો તે ગુજરાતને પણ કેટલાક અંશે અસર કરે તેવી સંભાવના છે.
મોટા ભાગનાં હવામાનનાં મૉડલ એવું દર્શાવી રહ્યાં છે કે આ સિસ્ટમ વાવાઝોડું બની શકે છે. વિવિધ મૉડલ અનુસાર આ સિસ્ટમ લૉ પ્રેશર એરિયા બન્યા બાદ આગળ વધશે અને મધ્ય અરબી સમુદ્રમાં પહોંચતાની સાથે જ વાવાઝોડું બની શકે છે.
ખાનગી હવામાન એજન્સી 'સ્કાયમેટ'ના અહેવાલ અનુસાર હાલ દરિયાનું તાપમાન તથા હવામાનની સ્થિતિઓ પણ અનુકૂળ છે કે આ સિસ્ટમ વાવાઝોડું બની શકે છે.
ચોમાસા પહેલાં ભારતના દરિયામાં બે વાવાઝોડાં સર્જાઈ ચૂક્યાં છે, જેમાં બંગાળની ખાડીમાં 'મોખા' વાવાઝોડું, જે મ્યાનમાર પર ત્રાટક્યું હતું અને અરબી સમુદ્રમાં સર્જાયેલું 'બિપરજોય' વાવાઝોડું જે કચ્છ પર ત્રાટક્યું હતું.
આ સિસ્ટમ વાવાઝોડું ક્યારે બનશે?
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર લક્ષદ્વીપની આસપાસ જે સાયક્લૉનિક સર્ક્યુલેશન બન્યું હતું તે હવે લૉ પ્રેશર એરિયા બની ગયું છે.
હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ હજી વધારે મજબૂત બનશે અને 21 ઑક્ટોબરની આસપાસ તે ડીપ્રેશનમાં ફેરવાય જાય તેવી સંભાવના છે.
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના એક અહેવાલ અનુસાર સિસ્ટમ ડીપ્રેશનમાં ફેરવાયા બાદ 23 ઑક્ટોબરની આસપાસ વાવાઝોડામાં ફેરવાય તેવી સંભાવના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હજી પણ આવનારા 72 કલાક જેટલો સમય ખૂબ મહત્ત્વનો છે અને સ્કાયમેટનું કહેવું છે કે આ સિસ્ટમ પર નજીકથી નજર રાખવી ખૂબ જરૂરી છે.
સામાન્ય રીતે લૉ પ્રેશર એરિયા બન્યા બાદ તે મજબૂત બનીને વેલમાર્ક્ડ લૉ પ્રેશર એરિયા, ડીપ્રેશન, ડીપ ડીપ્રેશન અને તે બાદ તે વાવાઝોડામાં પરિવર્તિત થતી હોય છે.
વાવાઝોડું સર્જાયું તો તે ગુજરાત પર આવશે?
મોટા ભાગનાં હવામાનનાં મૉડલો દર્શાવી રહ્યા છે એ પ્રમાણે આ સિસ્ટમ યમન અને ઓમાનના દરિયાકાંઠા તરફ જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.
ગ્લૉબલ ફૉરકાસ્ટ સિસ્ટમ જેમ દર્શાવી રહી છે તેવી રીતે આ સિસ્ટમ દરિયામાં વળાંક પણ લઈ શકે છે અને આ શક્યતાને પણ નકારી શકાય નહીં.
જો તે વળાંક લે તો આવી સ્થિતિમાં તે પાકિસ્તાન કે ગુજરાતના દરિયાકાંઠે પણ આવી શકે છે અને ગુજરાતના કેટલાક વિસ્તારોને તેની અસર થઈ શકે છે.
આ વર્ષે જ કચ્છ પર આવેલું બિપરજોય વાવાઝોડામાં શરૂઆતમાં મોટા ભાગના મૉડલ દર્શાવતાં હતાં કે તે પશ્ચિમ તરફ વળાંક લઈને ગુજરાતથી દૂર જતું રહેશે. જોકે, વાવાઝોડાએ વળાંક લીધા બાદ તે કચ્છ પર પહોંચ્યું હતું.
એક વખત આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ જાય તે બાદ ખબર પડશે કે તે કઈ તરફ જશે અને કયા દરિયાકિનારાને અસર કરશે.
ગુજરાત પર વાવાઝોડું સીધું ન આવે પરંતુ રાજ્યના કાંઠાઓની પાસેથી પણ પસાર થાય તો પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે.
બંગાળની ખાડીમાં પણ વાવાઝોડું બનશે?
અરબી સમુદ્રની સાથેસાથે બંગાળની ખાડીમાં પણ હલચલ થઈ રહી છે અને એક નવી સિસ્ટમ બને તેવી શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બન્યું છે અને આ સિસ્ટમ પણ મજબૂત બનશે.
આ સિસ્ટમ 20 ઑક્ટોબરના રોજ લૉ પ્રેશર એરિયામાં ફેરવાય તેવી શક્યતા દેખાઈ રહી છે અને તે બાદ આ સિસ્ટમ આગળ વધે તેવી શક્યતા છે.
સ્કાયમેટ વેધરનું કહેવું છે કે આ સિસ્ટમ વધારે મજબૂત બનીને ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
બંગાળની ખાડીમાં બનતાં વાવાઝોડાંની ગુજરાતને સીધી અસર થતી નથી પરંતુ આ સિસ્ટમ દક્ષિણના રાજ્યોમાં શરૂ થતા ઉત્તરપૂર્વના ચોમાસામાં વિઘ્નરૂપ બને તેવી સંભાવના છે.