You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રોહિત શર્મા: એ કૅપ્ટન જેણે ભારતનો ટ્રોફીનો દુકાળ ખતમ કર્યો
- લેેખક, આનંદ વાસુ
- પદ, વરિષ્ઠ ક્રિકેટ વિવેચક, બીબીસી માટે
રોહિત શર્માએ ભારતને અંતે આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ જીતાડી દીધો છે.
જીત પછી તેમણે સ્વીકાર્યું હતું, "હું આ પળની રાહ જોઈ રહ્યો હતો. આ જીતને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. આ મારા માટે બહુ લાગણીસભર પળ છે. મારા જીવનમાં હું આ જીત માટે બહુ બેતાબ હતો. મને ખુશી છે કે અંતે અમે એ કરી બતાવ્યું."
ભલે આ સફળતા અડધી રાત્રે મળી હોય પણ બધા માટે એ દિવસની માફક સ્પષ્ટ હતું કે રોહિત શર્મા કપિલદેવની રાહ પર હતા, જેમના નેતૃત્ત્વમાં ભારતે 1983માં અકલ્પનીય જીત મેળવી હતી.
અને ત્યારબાદ વર્ષો પછી 2007માં મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં મળેલી જીતનું પણ અનુસરણ હતું. એ જીત ભારતને ત્યારે મળી હતી કે જ્યારે કોઈ જાણતું પણ ન હતું કે ટી-20 ક્રિકેટ હકીકતમાં શું છે?
ત્યારબાદ 2011નો વર્લ્ડકપ આવ્યો જેને ભારતે ઘરઆંગણે જીત્યો હતો. પછી 2013માં ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી અને ત્યારબાદ આજે 2024માં ટી-20 વર્લ્ડકપ જીત્યો છે.
આ સાથે જ ભારતના મહાનતમ કૅપ્ટનમાંથી એક ગણાતા રોહિત શર્માએ જાહેરાત કરી કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આ ફૉર્મેટમાં તેમની સફર બસ અહીં સુધી જ હતી.
ફાઇનલ પછી રોહિત શર્માએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે, "આ મારી અંતિમ ટી-20 મૅચ છે. આ ફૉર્મેટને અલવિદા કહેવાનો આનાથી યોગ્ય સમય નથી. મેં આ ફૉર્મેટમાં રમવાના દરેક પળનો આનંદ લીધો છે. મેં મારી કારકિર્દીની શરૂઆત જ આ ફૉર્મેટથી કરી હતી. હું આ જ ઇચ્છતો હતો, હું વર્લ્ડકપ જીતવા જ ઇચ્છતો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટીમના કૅપ્ટન તરીકે રોહિત શર્મા એ બધી શુભેચ્છાઓ અને વખાણના હકદાર છે જે તેમને મળી રહ્યા છે.
પરંતુ હકીકત એ છે કે તેઓ આનાથી પણ વધુ વખાણના હકદાર છે. તેમના માટે એ કહેવું કે તેમણે ટીમને વધુ આધુનિક બનાવી, તેને દિશા આપી એ બહુ સીમિત વાત કહેવાશે.
37 વર્ષે રોહિતે પોતાની બેટિંગ શૈલી બદલી
રોહિત ઇચ્છતા હતા કે તેમના બૅટ્સમૅનો ક્રિકેટની નીડર બ્રાન્ડ બને, પરંતુ તેમણે પોતાની કારકિર્દીના જ અંતમાં પોતાની રમતમાં સુધારો કરીને ઉદાહરણ આપ્યું.
37 વર્ષની ઉંમરે રોહિત તેના કમ્ફર્ટમાંથી બહાર આવ્યા અને બતાવ્યું કે આવું પણ કરી શકાય છે.
રોહિતે જે રમતનું પ્રદર્શન કર્યું કે પોતાની રમતમાં ફેરફાર કર્યો એ તમે સામાન્ય ક્રિકેટિંગ શૉટ્સથી પણ કરી શકો છો. પરંતુ રોહિતે તેમાં પણ રિવર્સ સ્વીપ જેવી કલાત્મકતા ઉમેરી.
વિરાટ કોહલીને જુઓ તો તેમણે પણ જ્યારે ફાઇનલમાં સૌથી વધુ રનની જરૂર હતી ત્યારે પોતાના ભાઈ અને ટીમને બચાવવા માટે પોતાની ‘ઑલ્ડ બ્રાન્ડ’ રમતનું પ્રદર્શન કર્યું અને જાણે કે અંધારા રસ્તેથી ટીમને ઉજાસ તરફ લઈ ગયા.
રોહિત તેની ટીમની જીત પછીની ચમક-ધમકવાળી ટીમની કલ્પના કરતા નથી. એટલા માટે તેમણે એક એવી ટીમ બનાવી કે જે લક્ષ્યને ધ્યાનમાં રાખીને કામ કરે.
રોહિત કદાચ એ નહીં જાણતા હોય, પરંતુ તેમની પાસે જેટલા પણ ખેલાડી હતા તેમની પાસેથી તેમણે સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે.
રોહિતે વર્લ્ડકપ જીત્યો કારણ કે તેમની ટીમે દરેક પડકારોનો સામનો કર્યો. તેનાથી કોઈ ફેર ન પડ્યો કે પરિસ્થિતિઓ શું હતી અને સામે કઈ વિરોધી ટીમ હતી.
તેનાથી પણ ફેર ન પડ્યો કે ભારત ટૉસ જીત્યું કે હાર્યું.
ભારતીય ટીમની શૈલી પણ બદલી
રોહિત દરેક મોરચે આગળ ઊભા રહ્યા. જ્યારે ભારતની બેટિંગ હોય ત્યારે તેમનું બેટ જોરદાર ચાલ્યું. સારો સ્કોર બનાવવો કે પોતાને મજબૂત કરવાનો સમય ન હતો. તમારે ઝડપથી રન બનાવવાના હતા, અથવા તો બીજાને મોકો આપવાનો હતો.
ટુર્નામેન્ટની શરૂઆતમાં આ મુશ્કેલ લાગતું હતું કારણ ક પીચમાં સારી ન હતી. રોહિત આ પરિસ્થિતિમાં રમવા માટે સૌથી વધુ તૈયાર હતા. ભલે તેમનો સ્ટ્રાઇકરેટ સારો ન રહ્યો હોય પણ તેમણે અટકી-અટકીને બેટિંગ કરી. એક ટીમ લીડર તરીકે તેમણે રસ્તો કંડાર્યો.
જેમ-જેમ ટુર્નામેન્ટ આગળ વધતી ગઈ, તેમ તેમ સ્પષ્ટ થઈ ગયું કે રોહિત ત્યાં એ બતાવવા માટે નથી કે તેઓ શું કરી શકે છે. પરંતુ તેઓ એ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે આ ફૉર્મેટમાં શું કરી શકાય. કેટલાક લોકો આને નેતૃત્ત્વ પણ કહી શકે છે.
આંકડાઓની દ્રષ્ટિએ રોહિત આ ટૂંકા ફૉર્મેટના રાજા છે. રોહિતે 159 ટી-20 મૅચોમાં 4231 રન બનાવ્યા છે. તેમણે 20 ઓવરની રમતમાં પાંચ સદી ફટકારી છે જે પણ એક રેકૉર્ડ છે.
પરંતુ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે તેમણે રમતના આ સૌથી નાના ફૉર્મેટ પ્રત્યે જોવાની ભારતીય ક્રિકેટની શૈલી બદલી છે. ‘રમો નહીંતર હઠી જાઓ’ એ વલણ તેમણે અપનાવ્યું છે.
આ આક્રમક માનસિકતા તેમના પછી આવનારા ખેલાડીઓ અને અન્ય વરિષ્ઠ ખેલાડીઓને ખુલ્લેઆમ રમવા તથા તેમના લક્ષ્ય તરફ આગળ વધવામાં મદદ કરશે.
રોહિતે માત્ર ભારતને મોટા ખિતાબ સુધી પહોંચાડ્યું નથી, પરંતુ તેમણે બૅટ્સમેન તરીકે રમત પ્રત્યેની ધારણાને પણ બદલી નાખી છે. આ તેમનું સૌથી મોટું યોગદાન ગણી શકાય.
એવું લાગતું હતું કે તેઓ ભારતીય બૅટ્સમેનોની આગામી પેઢીને કહી રહ્યા હતા કે, "જો હું 37 વર્ષની ઉંમરે રન અને બૉલને અલગ રીતે જોઈ શકું તો તમે કેમ નહીં?"
હવે બદલાવનો સમય
હવે નેતૃત્વમાં બદલાવનો સમય આવી ગયો છે અને રોહિતના મુંબઈના સહયોગી યશસ્વી જાયસ્વાલ આ જવાબદારીને હાથમાં લેવા માટે અને આગળ લઈ જવા માટે તૈયાર છે.
રોહિતની પૂર્ણતા એમાં જ છે કે તેઓ પોતાના વિશે વિચારતા નથી. તેઓ ભારતની સારી રમતની યોજના બનાવે છે. તેમણે વધુ આંતરરાષ્ટ્રીય વન-ડે રમવાની જરૂર હતી.
આશા છે કે તેઓ પોતાની 59 ટેસ્ટ મૅચની સંખ્યામાં વધારો કરશે, પરંતુ તેમની ઉંમર વધી રહી છે.
હવે સમય આવી ગયો છે કે ભારતીય ક્રિકેટ એ ‘બૅટ્સમેન, કૅપ્ટન અને સ્ટેટ્સમેન રોહિત’ની પ્રશંસા કરે અને તેમનો આભાર માને.
જો તેમણે ભારતની ટીમને જીત ન અપાવી હોત તો પણ તેઓ એક આદર્શ લીડરમાંથી એક હોત.
આપણે એ વાતે નિશ્ચિત થઈ શકીએ છીએ કે આગળ જતાં અનેક સારા બૅટ્સમેન અને બૉલરો આપણને મળી જશે, પરંતુ એક એવી વ્યક્તિ કે જે શબ્દો અને કામથી આગળ વધીને લીડ કરી શકે, એ મળવી મુશ્કેલ છે.