You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અક્ષર પટેલ: 'નડિયાદના જયસૂર્યા'થી ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર બનવા સુધીની કહાણી
નવી પેઢી વિરાટ કોહલી અને રોહિત શર્માની ચાહક છે અને એ બેઉ વગરની ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે એની જ ધરતી પર 312 રનનો ટાર્ગેટ ચેઝ કરી લે એ વાત મોટી છે અને શાનદાર જીતનો હીરો બન્યા ગુજરાતી અક્ષર પટેલે.
ભારતની આઠ વિકેટ પડી ગઈ હતી ત્યારે અક્ષર પટેલે 50મી ઓવર પૂર્ણ થવાને બે બૉલ બાકી હતા ત્યારે શાનદાર સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી દીધી. એ સમયે એમની સાથે ક્રીઝ પર મહમદ સિરાજ હતા.
અક્ષર પટેલે આ મૅચમાં 35 બૉલમાં ત્રણ ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 64 રન ફટકાર્યા અને વન-ડે ક્રિકેટમાં પોતાની પહેલી અર્ધસદી પણ અણીના સમયે નોંધાવી દીધી.
આ ઇનિંગ ભારતીય ટીમ માટે જે જેટલી જરૂરી હતી એટલી અક્ષર પટેલ માટે પણ હતી અને એમણે તકને બે હાથે ઝડપી લઈ મેદાનને સિક્સરોથી સજાવી દીધું.
અક્ષર પટેલનો વન-ડે ક્રિકેટમાં બેટિંગનો વારો ઘણો ઓછો આવે છે અને આવે તો એ નિર્ણાયક ઘડીએ તો સાવ જ ઓછો હોય એવું મજબૂત ભારતનું બેટિંગ લાઇનઅપ છે.
અક્ષર પટેલે 40 મૅચમાં 22 ઇનિંગ બેટિંગ કરી છે અને તેમાં 17.73ની સરેરાશથી 266 રન કર્યા છે. જોકે, તેમનો સ્ટ્રાઇક રેટ 108 છે. 40 વન-ડેમાં તેમણે 37 ઇનિંગમાં 46 વિકેટ ઝડપેલી છે.
ભારતની વર્તમાન લિમિટેડ ઓવરની ક્રિકેટ ટીમ કે આઈપીએલની વિવિધ ફ્રેન્ચાઇઝી માટે અક્ષર પટેલ હવે અનિવાર્ય બનતા જઈ રહ્યા છે.
ભારતીય ક્રિકેટ હવે એટલું મજબૂત અને સક્ષમ બની ગયું છે કે તેમાં તમામ ખેલાડીઓને એક કરીને બે કે ત્રણ ટીમ બની શકે તેટલી તાકાત રહેલી છે. ટીમ એક સાથે બે-બે પ્રવાસ પણ ખેડી શકે તેટલી તેની પાસે ખેલાડીઓની ફોજ છે. અને આ ફોજમાં અક્ષર પટેલનું નામ પણ ખૂબ મોટું બની રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અક્ષર પટેલ ટીમમાં એટલા સિનિયર પણ નથી કે જેને એકાદ બે સિરીઝ બાદ (કોહલી કે બુમરાહની માફક) આરામ આપવો પડે અને એટલા નવોદિત પણ નથી કે તેમને ક્યારેય સિનિયરની ગેરહાજરીમાં જ તક મળે.
તમામ ફોરમેટમાં અક્ષર પટેલની છાપ
છેલ્લા દોઢ-બે વર્ષમાં અક્ષર પટેલે વન-ડે અને ટી-20માં જ નહીં ટેસ્ટ ક્રિકેટમાં પણ કમાલ કરી છે.
શ્રીલંકાના નવોદિત સ્પિનર પ્રભાત જયસૂર્યાએ તાજેતરમાં ટેસ્ટ કારકિર્દીના પ્રારંભે જે કમાલ કરી તેવી અક્ષર પટેલે ગઈ સિઝનમાં કરી હતી. તેમણે પોતાના પ્રથમ ચાર ટેસ્ટની આઠ ઇનિંગ્સમાં 33 વિકેટ ઝડપી લીધી હતી.
પ્રવાસી ઇંગ્લૅન્ડ સામે ભારતે સળંગ ત્રણ ટેસ્ટ જીતી તેમાં 27 વિકેટ તો એકલા અક્ષર પટેલના નામે હતી. અહીં તો લેફ્ટ આર્મ સ્પિનર જયસૂર્યાની વાત છે પરંતુ શ્રીલંકાના મહાન અને લિમિટેડ ઑવર્સના ક્રિકેટમાં એક જમાનામાં ઝંઝાવાતી બેટિંગની વ્યાખ્યા બદલી નાખનારા સનત જયસૂર્યા સાથે પણ અક્ષર પટેલની સરખામણી થતી હતી.
અક્ષર પટેલ મૂળ ગુજરાતના નડિયાદના ક્રિકેટર છે. ગુજરાતના જે પ્રાંતમાંથી પટેલો સમગ્ર દુનિયામાં જઈને વસવાટ કરવા માટે જાણીતા છે ત્યાંથી આ ક્રિકેટરે એનઆરઆઈ બનવાનું નહીં પરંતુ એવી કારકિર્દી બનાવવાનું પસંદ કર્યું જેના થકી તે સમગ્ર દુનિયાનો પ્રવાસ કરે છે.
મિટિંગની નહીં બેટિંગની ફિકર
જુનિયર ક્રિકેટથી જ અક્ષર પટેલમાં રહેલી અસામાન્ય પ્રતિભાના દર્શન થઈ ગયા હતા. લગભગ એક દાયકા અગાઉનો આ કિસ્સો છે 2012નો ડિસેમ્બર મહિનાનો અને સ્થળ હતું અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું બી-ગ્રાઉન્ડ.
ગુજરાતની અંડર-19 ક્રિકેટ ટીમ રેલવે સામે રમવાની તૈયારી કરતી હતી. મૅચના આગલા દિવસે અમ્પાયર્સ અને મૅચ રેફરીએ ટીમના કૅપ્ટન અને ઑફિશિયલ્સની મિટિંગ બોલાવી હતી. આમ તો આ વાત રૂટિન હતી. મિટિંગ દર વખતે થતી હોય છે પણ આ વખતે અમ્પાયર હતા ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને મેદાન પર સૌથી વધારે ચંચળ અને ચબરાક એવા સદાનંદ વિશ્વનાથ.
સ્વાભાવિક છે કે મોટેરા બી ગ્રાઉન્ડ પર અંડર-19ની મૅચ હોય એટલે અમ્પાયર કે રેફરી ઇન્ટરનેશનલ મૅચ જેવા ગંભીર હોય નહીં. એવામાં ગુજરાતના કૅપ્ટન અક્ષર પટેલ થોડી થોડી વારે અકળાઈ ઉઠતા હતા કે હજી મિટિંગ શરૂ થતી નથી. તેમનું કહેવું હતું કે આ મિટિંગમાં સમય બગાડવા કરતાં થોડી બેટિંગ કરવા મળી જાય, પ્રેક્ટિસ કરવા મળી જાય તો સારું.
એક ઑફિશિયલે અક્ષર પટેલને તો એમ પણ કહી દીધું કે 'ભાઈ શાંતિ રાખો, રમવાનું તો કાલે મૅચમાં છે જ ને, અત્યારે મિટિંગની ચિંતા કરો' પણ માને તો કૅપ્ટન શેના?
જેમ તેમ કરીને મિટિંગ પતાવીને અક્ષર નૅટ્સમાં ચાલ્યા ગયા. અને બીજે દિવસે કૅપ્ટન અક્ષર પટેલે મેદાન પર પોતાનું હુન્નર દેખાડી દીધું. આમ તો અક્ષરને દિવસે બૉલિંગ કરવાની હતી પણ જસપ્રિત બુમરાહ બૉલિંગ કરી રહ્યાં હોવાથી તેમને ખાસ કાંઈ કરવાનું હતું નહીં પણ બેટિંગમાં તેમણે કમાલ કરી અને શાનદાર બેવડી સદી ફટકારી દીધી.
પેવેલિયનમાં પરત આવીને અક્ષર પટેલે પેલા ઑફિશિયલને કહ્યું પણ ખરું, 'જોયું મેદાન પર રમી લીધુંને?'
ટેસ્ટ મૅચમાં પણ કમાલનો દેખાવ
ગુજરાતે આમ તો આંગળીને વેઢે ગણાય તેટલા જ ક્રિકેટર ભારતને આપ્યા છે પરંતુ આજે સ્થિતિ એ છે ભારતની ટીમમાં ત્રણથી ચાર ગુજરાતી રમતા હોય છે. જસપ્રિત બુમરાહ, ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યાની સાથે હવે અક્ષર પટેલનું નામ પણ સતત ચર્ચાય છે.
અગાઉ અક્ષરને માત્ર લિમિટેડ ઓવરની ટીમમાં લેવાતા હતા. ટેસ્ટ ટીમમાં આવ્યા તે અગાઉ તે ભારત માટે 38 વન-ડે રમી ચૂક્યા હતા પરંતુ એ 38 વન-ડેમાં તેમણે જે સિદ્ધિ હાંસલ કરી ન હતી તે માત્ર બે જ ટેસ્ટમાં કરી નાખી.
ચેન્નાઈ ખાતેની પહેલી ટેસ્ટમાં તેણે બીજા દાવમાં પાંચ વિકેટ લીધી હતી અને ભારતને વિજય અપાવવાની સાથે સાથે સિરીઝનો સ્કોર સરભર કરવાની તક પણ અપાવી.
એ પછીની ટેસ્ટ મૅચમાં મોટેરામાં હોમગ્રાઉન્ડ પર પહેલા જ દિવસે ઇંગ્લૅન્ડની છ વિકેટ ખેરવી દીધી અને પ્રવાસી ટીમને પૂરા સવાસો રન પણ ન કરવા દીધા. બીજા દાવમાં તો તેમણે પ્રારંભથી જ કમાલ કરી નાખી હતી. ઇંગ્લૅન્ડની ઇનિંગ્સના પહેલા બૉલે ક્રોલીની વિકેટ અને (બીજા બૉલે બીટ થઈને બચી ગયેલા) બૅરસ્ટોની ત્રીજા બૉલે વિકેટ ઝડપી લીધી. એક સેશનમાં તો અક્ષર પટેલે હરીફ ટીમને ઘમરોળી નાખી. બપોરના બે કલાકના સત્રમાં અંગ્રેજ ટીમ ઓલઆઉટ થઈ ગઈ.
બાળપણથી ક્રિકેટનો શોખ અને આક્રમક બેટ્સમૅન
બાળપણથી અક્ષર પટેલને ક્રિકેટનો શોખ હતો. તેમના પિતા રાજેશભાઈ પણ ઇચ્છતા કે અક્ષર મોટો થઈને ક્રિકેટર બને પણ માતાની ઇચ્છા ઓછી હતી કેમ કે તેમને એક મા તરીકે દીકરો ઘાયલ ન થઈ જાય તેની સતત ફિકર રહેતી. આમ છતાં તેમણે હિંમત કરીને પુત્રને ક્રિકેટ રમતો કરી દીધો.
સામાન્ય રીતે કોચિંગમાં જઈને દિવસે પ્રેક્ટિસ કરનારા અક્ષર રાત્રિના સમયે ટેનિસ બૉલથી ફ્લડલાઇટ ક્રિકેટમાં રમવા જાય અને જોરદાર ફટકાબાજી કરે.
આજની જેમ એ અરસામાં ટેનિસ બૉલ ક્રિકેટમાં રાત્રે ટુર્નામેન્ટ યોજાતી અને તેમાં સારા એવા પુરસ્કારની જાહેરાતો થતી. બાળપણમાં અક્ષર તેનાથી અંજાઈને એવી ફટકાબાજી કરે કે એકાદ ઇનામ તો ઘરે લઈને આવે જ. અને આ પ્રયાસમાં તે ક્યારે આક્રમક બેટ્સમેન બની ગયા તેની તેમને પણ ખબર ન રહી.
વતન નડિયાદમાં તેમની એક ઓળખ 'નડિયાદનો જયસૂર્યા'ની પણ છે કેમ કે તેમની બેટિંગ જ શ્રીલંકાના મહાન બેટ્સમેન જયસૂર્યા જેવી હતી. તે પણ શ્રીલંકન ફટકાબાજની માફક ડાબોડી બેટિંગ કરે છે.
સુનીલ જોશીએ પારખી પ્રતિભા
એક સ્પિનર તરીકેની તેમની પ્રતિભા નેશનલ ક્રિકેટ એકૅડમીમાં ગયા ત્યારે ભારતના ભૂતપૂર્વ સ્પિનર એમ. વેંકટરામન્ના અને ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર તથા એક સમયે પસંદગીકાર રહી ચૂકેલા સુનીલ જોશીએ પારખી અને તેમને લેફ્ટ આર્મ સ્પિન બૉલિંગ કરવાની પ્રેરણા આપી.
વર્તમાન ક્રિકેટમાં લિમિટેડ ઓવરનું પ્રમાણ વધારે છે અને આ સંજોગોમાં સ્પિનર રન રોકવા માટે બૉલિંગ કરતા જોવા મળે છે.
બિશનસિંઘ બેદી કે વેંકટપથી રાજુની માફક તેઓ બેટ્સમૅનને લલચાવીને સિક્સર ફટકારવા ઉશ્કેરવાનું જોખમ લઈ શકતા નથી. આથી બૉલર તેના બૉલને ફ્લાઇટ કે લૂપ આપવાનું પસંદ કરે નહીં. અક્ષર પણ આમ જ કરતા હતા.
આ ઉપરાંત તે બૉલને ફ્લાઇટ આપવા જાય તો ફૂલટોસ બની જતો હતો. આવા સંજોગોમાં તે વધારે ફ્લેટ બૉલિંગ કરવા લાગ્યા પણ સમય જતાં તેમણે રિયલ સ્પિનરની આવડત કેળવી લીધી.
2013-14માં તેમને ગુજરાતની રણજી ટીમમાં રમવાની તક મળી અને એ જ અરસામાં આઈપીએલમાં તેઓ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ માટે રમવા લાગ્યા. 2018માં તો તે ઇંગ્લૅન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં રમતા થઈ ગયા હતા.
વિવેચકો કહેતા કે અક્ષર પટેલ માત્ર વન-ડેના જ ખેલાડી છે અને તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ખાસ સફળ નથી. આ ટીકાનો પણ અક્ષર પટેલે જવાબ આપ્યો.
ગુજરાતની ટીમ તેના હોમગ્રાઉન્ડ નડિયાદમાં આંધ્ર પ્રદેશ સામે રમી રહી હતી. 2020ના ફેબ્રુઆરી મહિનામાં આ મૅચ રમાઈ હતી. ગુજરાતને આ મૅચ જીતવી જરૂરી હતી અને કૅપ્ટન પાર્થિવ પટેલ પાસે બે લેફ્ટ આર્મ સ્પિનર હતા. અક્ષર ઉપરાંત ટીમમાં નવોદિત સિદ્ધાર્થ દેસાઈ હતા.
પ્રથમ દાવમાં અક્ષરે ત્રણ વિકેટ લીધી અને બીજા દાવમાં તો તેમણે સાત વિકેટ ઝડપીને ગુજરાતને શાનદાર વિજય અપાવી દીધો. આમ ફર્સ્ટ ક્લાસ મૅચમાં દસ વિકેટ ખેરવીને તેમણે પુરવાર કરી દીધું કે તેઓ માત્ર વન-ડેના ખેલાડી નથી.
આઈપીએલમાં 1000 કરતાં વધારે રન અને 100થી વધુ વિકેટની બેવડી સિદ્ધિ હાંસલ કરનારા ગણીને ચાર ખેલાડી છે જેમાં એક અક્ષર પટેલ છે. આ ઉપરાંત મહાન ટી-20 ઑલરાઉન્ડર ડ્વેઇન બ્રાવો, રવીન્દ્ર જાડેજા અને સુનીલ નારાયણનો સમાવેશ થાય છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો