'વાગીર' ભારતમાં સૌથી ઓછા સમયમાં તૈયાર થનાર પ્રથમ સબમરીન કેમ છે ખાસ?

  • આ સબમરીન અનેક પ્રકારના યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે
  • ઍન્ટી સર્ફેસ, ઍન્ટી સબમરીન, ખુફિયા અને નજર રાખવાના અભિયાન અને સમુદ્રમાં માઇન બિછાવવામાં સક્ષમ
  • ભારતીય નેવી અનુસાર તે સૅન્ડ શાર્ક એટલે કે દુશ્મનની નજરથી છુપાઈને હુમલો કરવામાં સક્ષમ

ભારતીય નેવી દ્વારા સોમવારે કલવારી શ્રેણીની પોતાની પાંચમી સબમરીન વાગીરને આધિકારિક રૂપથી નેવીમાં સામેલ કરાયું છે.

આ સબમરીનને ભારતીય નેવીના પ્રોજેક્ટ -75 હેઠળ મુંબઈના મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ (એમડીએલ)માં બનાવવામાં આવી છે.

ગત 20 ડિસેમ્બરના આ સબમરીન ભારતીય નેવીને સોંપવામાં આવી હતી.

આની પહેલાં કલવારી ક્લાસની ચાર સબમરીનને ભારતીય નેવીમાં કમિશન કરવામાં આવી છે.

વ્યૂહાત્મક ક્ષમતાનું ઉદાહરણ

દુશ્મનની નજરથી છુપાવવા માટે આધુનિક ફીચર્સયુક્ત વાગીરને સ્ટેટ ઑફ આર્ટ સબમરીન કહેવાય છે અને તેને ભારતીય વ્યૂહાત્મક ક્ષમતાનું ઉદાહરણ પણ કહેવામાં આવે છે.

ભારતીય નેવી અનુસાર, ભારતીય નેવીએ સૌપ્રથમ એક નવેમ્બર 1973ના વાગીરને કમિશન કરી હતી. આ સબમરીને કેટલાંક અભિયાનોને પાર પાડ્યાં હતાં. ત્રણ દાયકા સુધી સેવામાં રહ્યા બાદ આને જાન્યુઆરી 2001માં ડી-કમિશન કરવામાં આવી હતી.

ત્યારબાદ એક નવી પરિયોજના હેઠળ નવેમ્બર 2020માં આને એક નવા અને આધુનિક અવતારમાં ફરીથી નેવીમાં સામેલ કરવાનો આદેશ અપાયો હતો.

ભારતીય નેવીનો દાવો છે કે આ ભારતમાં સૌથી ઓછા સમયમાં તૈયાર થનાર પ્રથમ સબમરીન છે.

નવીના પ્રોજેક્ટ-75 હેઠળ કલવારી ક્લાસની છઠ્ઠી સબમરીનનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. આને ફ્રાન્સની એક કંપનીએ ડિઝાઇન કર્યું છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર નવી સાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યું કે સમુદ્રી સુરક્ષાના મામલામાં ભારતને બઢત મળશે.

ભારતીય નેવીએ કહ્યું છે કે સબમરીન ભારતની ઉત્પાદનક્ષમતાનો એક મહત્ત્વપૂર્ણ દાખલો છે.

હિંદ મહાસાગરમાં ચીનની હાજરી

ભારત અને ચીન વચ્ચે સરહદથી જોડાયેલા મુદ્દા પર તણાવ વચ્ચે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની હાજરી વધવાના સમાચાર છે.

ગત વર્ષે ઑગસ્ટમાં શ્રીલંકાએ ચીનના જહાજ 'યુઆન વાંગ 5' ને હમ્બનટોટા બંદર પર આવવાની પરવાનગી આપી હતી. જેના પર ભારતે શ્રીલંકા સરકાર સામે ચિંતા વ્યક્ત કરી હતી.

આ જહાજ વિશે કહેવામાં આવ્યું હતું કે આ એક જાસૂસી અને નિગરાની જહાજ છે.

અસલમાં હમ્બનટોટા પોર્ટને ચીનની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે અને દેવું ન ચૂકવી શકવાને કારણે આને 99 વર્ષ માટે ચીન પાસે ગિરવી મૂકવામાં આવ્યું છે.

જાફનામાં ચીનની હાજરીને ભારત માટે ખતરારૂપ માનવામાં આવે છે, કારણ કે શ્રીલંકાનો આ વિસ્તાર તામિલનાડુથી માત્ર 50 કિલોમીટર દૂર છે.

સેનાનું આધુનિકીકરણ

એક તરફ સરહદો પર પાડોશી દેશો સાથે ભારતની સ્થિતિ તણાવપૂર્ણ છે, પરંતુ બીજી તરફ ભારત તરફથી પોતાની સૈન્યક્ષમતાઓના આધુનિકીકરણની ઝડપી રીતે થઈ રહ્યું છે.

ગત મહિને 18 ડિસેમ્બરના પી15બી મિસાઇલ વિધ્વંસક યુદ્ધજહાજને ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યું છે.

આ અવસર પર સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, "મઝગાંવ ડૉક શિપ બિલ્ડિંગ લિમિડેટ દ્વારા નિર્મિત આ યજાહ દેશની રક્ષાઉપકરણો તૈયાર કરવાની ક્ષમતાનું ઉદાહરણ છે. આમાં કોઈ શંકા નથી કે આવનારા સમયમાં આપણે પોતાની જરૂરિયાતો માટે જ નહીં પરંતુ દુનિયાભરની જરૂરિયાતો માટે લડાયક જહાજ બનાવીશું."

તેમણે કહ્યું કે, "ભારત એવા દેશોમાં સામેલ છે, જેમનું હિત હિંદ મહાસાગર સાથે જોડાયેલું છે. આ પ્રાન્તનો મહત્ત્વનો દેશ હોવાથી આની સુરક્ષામાં અમારી નેવીની ભૂમિકા વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે."

ગત વર્ષે સપ્ટેમ્બરમાં ભારતે પોતાના સૌથી મોટા લડાયક જહાજ વિક્રાન્તને પોતાના બેડામાં સામેલ કર્યું હતું.

તે સમયે બીબીસી સાથે વાત કરતા વાઇસ એડમિરલ એકે ચાવલા (રિટાયર્ડ)એ કહ્યું હતું કે, "80ના દાયકામાં આર્થિક ઉદારીકરણ પછી ચીનને સમજાયું હતું કે નેવીની શક્તિ વધાર્યા વિના, તે એ વૈશ્વિક શક્તિ નહીં બની શકે. આજે તે દુનિયાની સૌથી સશક્ત નેવી છે અને તે બહુ જ નવા ઍરક્રાફ્ટ બનાવે છે."

ચીનની સાથે તણાવ

છેલ્લાં કેટલાંક વર્ષમાં ભારત અને ચીનનો સંબંધ ખરાબ થયો છે. બંને દેશો વચ્ચે સરહદ પર કેટલાક વિસ્તારોમાં વિવાદ ચાલી રહ્યો છે.

ગત નવ ડિસેબરના ભારતના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશના તવાંગ સૅક્ટરમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થઈ હતી જેમાં બંને દેશો તરફથી કેટલાક સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતા.

આની પહેલાં જૂન 2020માં ગલવાનમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝડપ પછીથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો.

આ તણાવ વચ્ચે ભારત આવતા મહિને અરુણાચલ પ્રદેશ, આસામ અને પૂર્વોત્તરનાં અન્ય રાજ્યોમાં હવાઈ યુદ્ધાભ્યાસ કરશે.

સૈન્યના સૂત્રો અનુસાર, આમાં સી-10જે સુપર હર્ક્યુલિસ, ચિનુક અને અપાચે ઍટેક હેલિકૉપ્ટર્સ જેવાં અન્ય પ્રકારનાં પ્લૅટફૉર્મ તૈયાર કરાશે.