બંગાળની ખાડીમાં ફરી સર્જાશે વાવાઝોડું, ગુજરાત પર શું અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગત ઑક્ટોબરમાં બંગાળના અખાતમાં સર્જાયેલા હામૂન વાવાઝોડા બાદ ત્યાં ફરી એક નવું વાવાઝોડું આકાર લઈ રહ્યું છે.
120 કિમી/કલાક (75 માઇલ પ્રતિ કલાક) અને 140 કિમી/કલાક (85 માઇલ પ્રતિ કલાક)ની ઝડપે પવન ફૂંકાવાની સાથે હામૂન 24 ઑક્ટોબરે તેની ટોચની તીવ્રતા પર પહોંચ્યું હતું.
હવે ફરી એકવાર ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડી પર આવતા સપ્તાહની શરૂઆતમાં ચક્રવાતી વાવાઝોડું સર્જાય તેવી શક્યતા બતાવી છે.
સંભવિત રીતે, આ એક અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું બની શકે છે, જે આ વર્ષે ભારતીય સમુદ્રમાં રેકર્ડ ચોથું અત્યંત ગંભીર વાવાઝોડું બની શકે તેમ છે.

ઇમેજ સ્રોત, IMD DELHI
આગામી 24 કલાકમાં એક ચક્રવાતી પરિભ્રમણ થાઈલૅન્ડની ખાડીમાંથી દક્ષિણ આંદામાન સમુદ્રમાં પ્રવેશી રહ્યું છે. જેમ જેમ તે એકીકૃત થાય છે તેમ, તે જ વિસ્તારમાં આગામી 24 કલાકમાં લૉ પ્રેસર રચાય તેવી શક્યતા છે.
આ ચક્રવાતને "મિગજૌમ" નામ આપવામાં આવ્યું છે.
તો શું ગુજરાતમાં હવે હવામાન પલટાશે?

ઇમેજ સ્રોત, IMD
આ વાવાઝોડાની ગુજરાતને સીધી અસર થવાની શક્યતા હાલ નહિવત્ છે.
ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં હાલ આ વાવાઝોડાની સીધી અસર નહીં થાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાત વિસ્તારમાં નીચાણના સ્તરે પ્રવર્તતા પૂર્વથી ઉત્તર-પૂર્વીય પવનોને કારણે ગુજરાતમાં 24 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી વરસાદ પાડવાની શક્યતા છે.
ગુજરાત રાજ્યમાં 24 નવેમ્બરથી છૂટાછવાયા વરસાદની શક્યતા છે. રાજ્યના લગભગ તમામ ભાગોમાં વરસાદ પડશે, જોકે વરસાદનો ફેલાવો અને તીવ્રતા જુદા-જુદા વિસ્તારોમાં અલગ અલગ છે.
અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહિસાગર, મહેસાણા, પાટણ અને સાબરકાંઠાના, સૌરાષ્ટ્ર-કચ્છના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને પોરબંદર અને કચ્છનાં થોડાં સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને દમણ, દાદરા નગર હવેલીમાં, ઉત્તર ગુજરાતના અમદાવાદ, આણંદ, દાહોદ, ખેડા અને પંચમહાલ; સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર અને દીવમાં, થોડાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
મિગજૌમ ચક્રવાત બંગાળની ખાડી પર કેવી અસર કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
26મી નવેમ્બરની આસપાસ દક્ષિણ અંદામાન સમુદ્ર અને આજુબાજુના વિસ્તારમાં ચક્રવાતી દબાણ સર્જાવાની સંભાવના છે.
તેના પ્રભાવ હેઠળ 27મી નવેમ્બરની આસપાસ દક્ષિણ અંદામાન સમુદ્ર અને બંગાળની દક્ષિણપૂર્વની ખાડી પર લૉ પ્રેશર રચાય તેવી શક્યતા છે.
તે પશ્ચિમ-ઉત્તર તરફ આગળ વધીને 29 નવેમ્બરની આસપાસ બંગાળના દક્ષિણપૂર્વની ખાડીમાં આ ડિપ્રેશન તીવ્ર બને તેવી શક્યતા છે.
બંગાળની પશ્ચિમ મધ્ય ખાડી પર, જે દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશ, બંગાળની દક્ષિણપૂર્વની ખાડી અને દક્ષિણ આંદામાન સમુદ્રની સરહદ ધરાવે છે, ત્યાં એકીકૃત મધ્યમથી તીવ્ર તોફાન સાથે છૂટાછવાયાં નીચા અને મધ્યમ વાદળો જોવા મળે છે.
અરબી સમુદ્ર પર આ વાવાઝોડાની કેવી અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય હવામાન વિભાગ અનુસાર, 24 નવેમ્બરે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને દક્ષિણ કર્ણાટકના દરિયાકાંઠે, છૂટાછવાયાં નીચા-મધ્યમ કદનાં વાદળો સંકલિત તીવ્રથી અત્યંત તીવ્ર પ્રવૃત્તિ સાથે હતાં.
દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર, લક્ષદ્વીપ ટાપુઓ વિસ્તાર અને કોમોરિન વિસ્તાર એકીકૃત મધ્યમથી તીવ્ર પ્રવૃત્તિ સાથે છૂટાછવાયાં નીચા-મધ્યમ કદનાં વાદળોમાં ઢંકાયેલા હતાં.
આ ચક્રવાત કેવી રીતે રચાશે?

ઇમેજ સ્રોત, Getty Images
શિયાળામાં બંગાળની અખાડી ઉપર ગરમ પાણી હોય છે તેથી મોટી માત્રામાં ગરમ પાણી એકત્ર થાય છે. જયારે ગરમ દરિયા ઉપર પાણી દૂર સુધી પ્રવાસ કરે છે ત્યારે ત્યાં એક લૉ પ્રેશર બનવાની શક્યતા પ્રબળ બને છે.
આગામી 24 કલાકમાં એક ચક્રવાતી પરિભ્રમણ થાઈલેન્ડની ખાડીમાંથી દક્ષિણ આંદામાન સમુદ્રમાં પ્રવેશી રહ્યું છે. જેમ જેમ તે એકીકૃત થાય છે તેમ, તે જ વિસ્તારમાં આગામી 24 કલાકમાં નીચા દબાણનો વિસ્તાર રચાય તેવી શક્યતા છે.
સ્ટ્રેટ ઓફ મલક્કા, મલય દ્વીપકલ્પ અને દક્ષિણ આંદામાન સમુદ્રના ઉત્તરીય ભાગો સંભવિત તોફાનો માટે યોગ્ય સંવર્ધન સ્થળ છે. સાનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓ નીચા દબાણને ઝડપથી ડિપ્રેશનમાં તીવ્ર બનવા માટે ઉત્તેજીત કરશે અને 28/29મી નવેમ્બર 2023 સુધીમાં ઉષ્ણકટિબંધીય તોફાન બની જશે.














