બિપરજોય વાવાઝોડું : દરિયામાં ચક્રવાત કેવી રીતે સર્જાય અને તે તીવ્ર કેવી રીતે બને?

વાવાઝોડું

ઇમેજ સ્રોત, ani

    • લેેખક, સમીના શેખ
    • પદ, બીબીસી ગુજરાતી

ભારતીય હવામાન વિભાગે શુક્રવારે જણાવ્યું કે વાવાઝોડું બિપરજોયની તીવ્રતા આગામી 36 કલાકમાં વધશે.

હવામાન વિભાગના મહાનિદેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રે કહ્યું કે આ વાવાઝોડું ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન પવનની ગતિ 125-130 કિલોમિટર પ્રતિકલાકની રહેશે.

તેમણે કહ્યું કે 10 જૂનની આસપાસ પવનની ગતિ 150થી 165 કિલોમિટર પ્રતિકલાક સુધી પહોંચી શકે છે. આ ગુજરાતની પાસે સૌથી વધુ નજીક આવશે. અને 13-14 જૂને ગુજરાતના તટથી 400 કિલોમિટર દૂર પર કેન્દ્રિત થશે.

આ વાવાઝોડાને લઈને માછીમારોને પણ ચેતવણી અપાઈ છે.

બીબીસી ગુજરાતી

અત્યારે બિપરજોય ક્યાં છે?

હવામાન વિભાગે 9 જૂન સવારે સાડા પાંચ વાગ્યે જાહેર કરેલા બુલેટીન મુજબ ‘બિપરજોય’ પોરબંદરના દક્ષિણ પશ્ચિમ ભાગથી 870 કિલોમિટર દૂર હતું.

ગોવાના દક્ષિણ પશ્ચિમ ભાગથી 840 કિલોમિટર, મુંબઈના દક્ષિણ પશ્ચિમ ભાગથી 870 કિલોમિટર દૂર હતું. તે ઉત્તર પશ્ચિમ બાજુ ઓમાન તરફ આગળ વધશે, પરંતુ આવનારા બે દિવસ જોરદાર પવનો ફૂંકાય તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

અમરેલીના કલેક્ટર અજય દહિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે “11 અને 12 જૂને દરિયામાં ભારે પવન ફૂંકાવાનો છે. તેથી પૂર્વ તૈયારીના ભાગરૂપે તમામ માછીમારોને પાછા બોલાવી લેવાયા છે. છતાં કોઈ બનાવ બનશે તો તંત્ર અને કૉસ્ટગાર્ડની પૂરેપૂરી તૈયારી છે.”

બીબીસી ગુજરાતી

વાવાઝોડું કઈ રીતે બને?

વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાંકેતિક તસવીર

આ વર્ષનું સૌથી ખતરનાક વાવાઝોડું ‘બિપરજોય’ ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. એવામાં એ પણ સમજવું જોઈએ કે વાવાઝોડાને આટલું તીવ્ર બનાવતાં પરિબળો કયાં છે? અને આ ચક્રવાતો કઈ રીતે બને છે?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જળવાયુ પરિવર્તનને કારણે પહેલાં કરતાં હાલ વાવાઝોડાની સંખ્યામાં વધારો થયો છે, દરિયાની જળસપાટી ગરમ થતાં વાવાઝોડાં પહેલાં કરતાં તીવ્ર પણ વધુ બન્યાં છે.

સામાન્ય ભાષામાં કહીએ તો વર્તુળાકાર ભારે વેગથી ફૂંકાતું હવાનું તોફાન એટલે વાવાઝોડું. પરંતુ હવામાનની ભાષામાં સમજીએ તો ઉષ્ણકટીબંધીય પ્રદેશોમાં જળસપાટી પરની ગરમ હવા હળવી થાય છે, જે દબાણ પેદા કરે છે અને એક પૉઇન્ટ પર ક્ષેત્ર સર્જે છે.

સાનુકૂળ વાતાવરણમાં દરિયાઈ પાણીમાં લૉ પ્રેશર સર્જાય છે અને એક કેન્દ્ર પર એકઠું થાય છે. એવામાં જો દરિયાઈ સપાટી ગરમ હોય, વાવાઝોડાને સર્જાવા માટે 26.5 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ ગરમ જળસપાટી અનુકૂળ રહે છે.

તો જો લૉ પ્રેશરના સર્જાવાની ઘટના વખતે જળસપાટી ગરમ હોય તો તે અપર લેવલ પર ફોર્મ થાય છે. નીચે અને ઉપર બનેલા આ બંને પૉઇન્ટ્સ ભેજવાળી હવાને ઉપરની તરફ ગતિ સાથે લઈ જાય છે.

આ ક્રિયા દરમિયાન જ્યારે બાષ્પીભવન થાય, પાણીની વરાળ ટીપાંમાં પરિવર્તિત થાય ત્યારે ઊર્જા મુક્ત કરે છે. ગરમી છોડવાને કારણે વિસ્તાર ગરમ થાય છે અને દબાણ ઘટાડે છે. આ પ્રક્રિયા ચાલુ રહે છે અને નીચા દબાણની સિસ્ટમ ધીમે ધીમે વાવાઝોડામાં તીવ્ર બને છે.

બીબીસી ગુજરાતી

વાવાઝોડું તીવ્ર કેવી રીતે બને છે?

આગળ જણાવેલી ઘટનાનો વિસ્તાર થવો. મજબૂતીકરણ થવું જે વાવાઝોડામાં પરિણમે છે. ઉષ્ણકટિબંધીય વાવાઝોડા માટેનાં આ પરિબળો જો સુસંગત રહે તો વાવાઝોડું સર્જાય છે, જે જમીન સુધી પહોંચે છે.

એટલું જ નહીં એ એક કરતાં વધુ દેશો સુધી પહોંચે છે અને તબાહી મચાવે છે.

બીબીસી ગુજરાતી
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

વાવાઝોડાનાં પરિબળોની વાત કરીએ તો સૌપ્રથમ દરિયાની ગરમ જળસપાટી જે કમસે કમ 50 મીટર ઊંડે સુધી ગરમ હોવી જોઈએ. વાવાઝોડા નામના ‘એન્જિન’ માટે ગરમ જળસપાટી ‘પેટ્રોલ’નું કામ કરે છે.

  • વાતાવરણ જે ચોક્કસ ઊંચાઈ પર જલદીથી ઠંડું થઈ શકે.
  • સપાટીથી લગભગ પાંચેક કિલોમીટર સુધીના ઉપર ઊઠતા ભેજવાળા સ્તરો.
  • આ સમગ્ર ક્રિયાઓનું અંતર વિષુવવૃત્ત કે ભૂમધ્યરેખાથી ઓછામાં ઓછું 500 કિલોમીટર હોવું જરૂરી છે. તો જ તેમાં પૃથ્વીના પરિભ્રમણ સાથે વહેતી હવાઓ સંતુલન પ્રદાન કરશે.
  • એ જ કારણ છે કે ભૂમધ્યરેખાની બંને બાજુએ લગભગ 300 કિલોમિટર જેટલા કોરિડોરમાં વાવાઝોડાં નથી આવતાં. તીવ્ર વાવાઝોડા માટેનું પરિબળ વાવાઝોડા માટે પહેલાંથી જ રોટેશન અને બંને બિંદુઓના મિલનનું હોવું જરૂરી છે.
  • વાવાઝોડાની તીવ્રતા માટે તેને મોટા સ્પિન અને નીચા સ્તરના સંગઠનની જરૂર પડે છે.
  • અન્ય પરિબળ છે વર્ટિકલ વિન્ડ. ઊભી રેખામાં આવતી હવાઓનું સુસંગત હોવું. નીચે અને ઉપર રહેલા બંને બિન્દુઓમાં જે હવાઓનું દબાણ છે તે ક્રમશ: દોઢ કિલોમિટર અને 12 કિલોમિટર હોવું જોઈએ.

જોકે વાવાઝોડા માટે માત્ર આટલાં જ પરિબળો પૂરતાં નથી, કારણ કે વાવાઝોડાની સાનુકૂળતામાં પણ વિક્ષેપો આવતા રહે છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી