'ખરેખર ચમત્કાર જ થયો', ઍટલાન્ટિક મહાસાગરમાં વિમાન ક્રૅશ થયું, 11 લોકોને કેવી રીતે બચાવાયા

ઇમેજ સ્રોત, 920th United States Air Force Rescue Squadron
- લેેખક, ઍના ફેગાય
- પદ, બીબીસી ન્યૂઝ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 2 મિનિટ
25 વર્ષથી વિમાન ઉડાવતા પાઇલટ ઇયન નિક્સને આની પહેલાં ક્યારેય આવી દુર્ઘટના નહોતી જોઈ.
તેઓ જે વિમાન ઉડાવી રહ્યા હતા તે મંગળવારે ઍટલાન્ટિક મહાસાગરમાં અમેરિકાના ફ્લૉરિડાના પૂર્વી સમુદ્રકાંઠા પાસે ક્રૅશ થઈ ગયું.
વિમાન ક્રૅશ થયા બાદ પાઇલટ ઇયન નિક્સન ઉપરાંત તેમાં સવાર તમામ 10 લોકો કલાકો સુધી દરિયામાં ફસાઈ રહ્યા.
બહામાસના બે દ્વીપો વચ્ચેનુું અંતર આમ તો 20 મિનિટનું જ છે પરંતુ નિક્સન સામે વિમાનમાં એક પછી એક અનેક ટૅક્નિકલ મુશ્કેલીઓ આવવા લાગી.
પહેલાં તો નેવિગેશન સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધું, રેડિયો પછી એક ઍન્જિન અને પછી બીજું ઍન્જિન પણ કામ કરતું બંધ થઈ ગયું.
અમેરિકામાં બીબીસીના પાર્ટનર સીબીએસ ન્યૂઝને પાઇલટ નિક્સને જણાવ્યું કે, "પહેલાં તો હું રેડિયો મારફતે કોઈનો સંપર્ક ન કરી શક્યો. મેં ફ્રીપૉર્ટ (બહામાસ) સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, મેં મિયામીમાં પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. મને ખબર નથી કે તેમને મારો અવાજ સંભળાયો કે નહીં, પણ મને તેમની તરફથી કોઈ જવાબ મળ્યો નહીં."
વિમાન દરિયા ઉપર ઊડી રહ્યું હતું. છેલ્લે ઉપલબ્ધ ઉપાય કરવાનો પ્રયત્ન કર્યા પછી કોઈ રસ્તો ન બચ્યો અને લૅન્ડિંગ માટે કોઈ જગ્યા ન હતી ત્યારે પાઇલટ નિક્સને પાણીમાં જ વિમાન 'છોડી' દીધું, આ જગ્યા મિયામીથી ઉત્તરમાં 289 કિલોમીટર દૂર હતી.
નિક્સન કહે છે કે, "જ્યારે હું પાણીમાં પડ્યો, ત્યારે મેં સૌથી પહેલાં વિચાર્યું કે, 'આપણે મર્યા તો નથી જ'."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મધદરિયે બચાવકાર્ય કેવી રીતે થયું
ત્યાર બાદ થોડા કલાકો જે થયું તે પાઇલટ તથા વિમાનના યાત્રીઓ માટે જીવનની સૌથી યાદગાર ક્ષણો બની રહેશે.
વિમાનનાંથી પાણીમાં પડેલા પાઇલટ તથા યાત્રીઓનો બચાવ થયો તે પહેલાં તેઓ કલાકો સુધી લાઇફબોટમાં રહ્યા.
નિક્સને યાત્રીઓને હિંમત આપવાના પ્રયાસ કર્યા.
નિક્સન કહે છે કે, "મેં તેમને કહ્યું, 'દસ મિનિટમાં બીજું વિમાન આવી જશે.'"
"ત્યારે એક યાત્રીએ કહ્યું કે, 'તમે કંઈ સાંભળ્યું?'"
તે અવાજ યુએસ ઍરફોર્સની 902th રેસ્ક્યુ સ્ક્વૉડ્રનના એક હેલિકૉપ્ટરનો હતો.
આ યુનિટ એક ટ્રેનિંગ મિશન પર હતો, એક ઇમર્જન્સી લોકેટર ટ્રાન્સમિટર દ્વારા યુએસ કોસ્ટ ગાર્ડને સિગ્નલ મોકલવામાં આવ્યું ત્યાર બાદ આ યુનિટને રસ્તો બદલીને અમને શોધીને રેસ્ક્યૂના કામમાં લાગવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
કૅપ્ટન રૉરી વ્હિપલ કહે છે, "આ લોકો રાફ્ટ (લાઇફબોટ)માં પાંચ કલાકથી હતા. તેમને જોઈને જ સમજી શકાતું હતું કે તેઓ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે થાકી ગયા હતા."
હેલિકૉપટર્સમાં ફરી ઈંધણ ભરવાની જરૂર પડે એ પેહલાં રૅસ્ક્યૂ ટીમ પાસે દરિયામાં ફસાયેલા બધા લોકોને પાછા લાવવા માટે બહુ ઓછો સમય બચ્યો હતો.
રૅસ્ક્યૂમાં ભાગ લેનાર એક ઍરક્રાફ્ટનાં કમાંડર મેજર એલિઝાબેથ પિઓવેટી કહે છે કે, "હું ક્યારે એવી વ્યક્તિને નથી મળી જે મહાસાગરમાં ફોર્સ લૅન્ડિંગમાં બચી ગઈ હોય."
તેમણે આગળ કહ્યું કે, "મેં જે જોયું તેના પરથી કહી શકું કે જે બધા લોકો બચી ગયા એ ખરેખર ચમત્કાર છે."
વિમાનના 11 મુસાફરોને ફ્લૉરિડાની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમાંથી ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી.
વિમાનનાં એક મુસાફર ઑલિમ્પિયા આઉટેન કહ્યું કે, "અમેં બધા રાહત અનુભવી રહ્યા હતા કે અમે બચી ગયા, અમે તો વિચારી રહ્યા હતા કે અમે મરી જઈશું. આ તો કોઈ ફિલ્મ જેવું હતું."
બહામાસના અધિકારીઓએ દુર્ઘટના પાછળના કારણની તપાસ શરૂ કરી દીધી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























