You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેન સંકટઃ UNSCમાં રશિયાવિરોધી પ્રસ્તાવમાં ભારતે વોટ કેમ ન આપ્યો?
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાના પ્રસ્તાવ પરના ભારતના વલણ પર સૌની નજર હતી પરંતુ ચીન અને યુએઇ સહિત ભારતે ના તો કોઈના પક્ષમાં મત આપ્યો કે ના તો કોઈનો વિરોધ કર્યો.
આ દેશોએ વોટ જ ન આપ્યો.
ભારતે એક નિવેદન દ્વારા જણાવ્યું છે કે રશિયાના યુક્રેન પરના આક્રમણ વિરુદ્ધના પ્રસ્તાવ પર એણે વોટ શા માટે ન આપ્યો.
નિવેદનમાં સુરક્ષા પરિષદમાં ભારતના પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ કહ્યું કે યુક્રેનની તાજેતરની ઘટનાઓથી ભારત ખૂબ જ પરેશાન છે. એ દુર્ભાગ્યપૂર્ણ છે કે રાજદ્વારી વાટાઘાટ દ્વારા મામલો હલ કરવાનો માર્ગ છોડી દેવાયો છે, ભારત આગ્રહ કરે છે કે બને એટલી ઝડપથી હિંસાને અટકાવી દેવાય.
ભારતીય સમય અનુસાર, શુક્રવારે મોડી રાત્રે યુક્રેન વિરુદ્ધ રશિયાના વિશેષ સૈન્ય અભિયાન અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની એક ખાસ બેઠક મળી હતી. બેઠકમાં રશિયાના હુમલાની વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં 15 સભ્યદેશોએ વોટ આપવાનો હતો.
પ્રસ્તાવના પક્ષમાં 11 સભ્યોએ વોટ આપ્યો, પરંતુ ભારત, ચીન અને યુએઇએ વોટિંગમાં ભાગ ન લીધો.
જોકે, રશિયાએ વીટો પાવરનો ઉપયોગ કરીને પ્રસ્તાવને અટકાવી દીધો છે. તેથી એક સ્થાયી સભ્યની રીતે રશિયાએ પોતાના વીટોનો ઉપયોગ કર્યો છે.
યુએનમાં રશિયાના રાજદૂતે કહ્યું કે રશિયા, યુક્રેન કે યુક્રેનના નાગરિકોની વિરુદ્ધ યુદ્ધ નથી કરી રહ્યું બલકે, તે ડોનબાસના લોકોને બચાવવા માટે આ પગલાં ભરી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુક્રેન પરના રશિયાના હુમલાને રોકવા અને સૈન્ય બોલાવવા (મોકલવા) માટે વોટિંગ કરવામાં આવ્યું હતું. રશિયા સુરક્ષા પરિષદના એ પાંચ સ્થાયી સદસ્યોમાંનો એક છે, જેમની પાસે વીટો પાવર છે. રશિયા ઉપરાંત અમેરિકા, ચીન, ફ્રાન્સ અને બ્રિટનની પાસે વીટો પાવર છે.
પ્રસ્તાવ પર ભારતે વોટ કેમ ના આપ્યો?
ભારતે એક નિવેદન જારી કરીને યુક્રેન મુદ્દે પોતાનો મત પ્રકટ કર્યો છે અને સાથે એમ પણ જણાવ્યું છે કે મતદાન નહીં કરવાનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો છે.
જે આ રીતે છે-
- યુક્રેનમાં તાજેતરના દિવસોમાં થયેલા ઘટનાક્રમથી ભારત ઘણું વિચલિત છે.
- અમે અપીલ કરીએ છીએ કે હિંસા અમે દુશ્મનીને તરત જ ખતમ કરી દેવા માટે બધી રીતના પ્રયત્ન કરવા જોઈએ.
- માનવીય જીવનના બદલામાં કોઈ પણ હલ ન કાઢી શકાય.
- અમે યુક્રેનમાંના મોટી સંખ્યાના ભારતીય વિદ્યાર્થીઓ સહિત ભારતીય સમુદાયના લોકોની સલામતી માટે ચિંતિત છીએ.
- સમસામયિક વૈશ્વિક વ્યવસ્થા એ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા અને જુદાજુદા દેશોના સાર્વભૌમત્વ તથા ક્ષેત્રીય અખંડતાના સન્માન પર આધારિત છે.
- બધા સભ્યદેશોએ રચનાત્મક રીતે આગળ વધવા માટે આ સિદ્ધાંતોનું સન્માન કરવાની જરૂર છે.
- મતભેદ અને વિવાદો હલ કરવા માટે વાટાઘાટ એકમાત્ર માધ્યમ છે, ભલે ને પછી એ માર્ગ ગમે એટલો મુશ્કેલ કેમ ના હોય.
- એ ખેદની વાત છે કે રાજદ્વારી માર્ગ છોડી દેવાયો છે. આપણે એના પર પાછા ફરવું જ જોઈએ.
- આ બધાં કારણે ભારતે આ પ્રસ્તાવ પર મતદાન ન કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે.
અમેરિકાએ રશિયાની ટીકા કરી
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકન રાજદૂત લિંડા થૉમસ ગ્રીનફીલ્ડે રશિયાની પ્રવૃત્તિને બુનિયાદી સિદ્ધાંતો પરનો હુમલો ગણાવી છે. એમણે કહ્યું કે રશિયા વીટો વાપરવાની પોતાની સત્તાનો ખોટો ઉપયોગ કરી રહ્યો છે.
બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝૅલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુક્રેન પર આક્રમણનો મુદ્દો ઉઠાવવા બદલ સભ્ય દેશોનો આભાર માન્યો છે. રશિયાના વીટો પાવરનો ઉપયોગ કરવા સંબંધમાં તેમણે લખ્યું કે એ સુરક્ષા પરિષદમાં રશિયાના નામે લોહીના ધબ્બા જેવું છે.
શા માટે છે ભારતની ખેંચતાણીભરી સ્થિતિ?
ભારત લાંબા અરસાથી રશિયાનો મિત્રદેશ રહ્યો છે. રશિયા ભારતને શસ્ત્રો અને સુરક્ષા ઉપકરણો આપે છે.
જોકે, બંનેના સંબંધો માત્ર સુરક્ષાસંબંધી સોદાઓ પૂરતા સીમિત નથી. બોલીવૂડની ફિલ્મો રશિયામાં રિલીઝ થાય છે. મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ રશિયામાં ભણે છે. એટલે સુધી કે કેન્દ્રીય વિદ્યાલયની એક શાખા પણ રશિયામાં છે.
ભારતનો યુક્રેન સાથે પણ વ્યાપારિક સંબંધ છે અને આ બંને દેશોમાં ભારતના ઘણા નાગરિકો રહે છે. મોટા ભાગે, યુક્રેનમાં લોકો ભણવા જાય છે. તો, રશિયામાં ભણવાની સાથોસાથ ઘણા ભારતીયો નોકરી માટે પણ જાય છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકની પહેલાં ભારતે રશિયા-યુક્રેન સંકટ વિશે એક પણ પક્ષની નિંદા કરી નહોતી.
ચાલુ અઠવાડિયે યુક્રેનના બે વિસ્તારો દોનેત્સ્ક અને લુહાંસ્કને રશિયાએ સ્વતંત્ર ક્ષેત્રરૂપે માન્યતા આપી દીધી હતી, ત્યાર બાદ પશ્ચિમી દેશોની નારાજગી વધી છે. અમેરિકા, યુરોપીય સંઘ, બ્રિટન, જાપાન અને ઑસ્ટ્રેલિયાએ રશિયાની આકરી ટીકા પણ કરી છે.
પરંતુ ભારત આ બાબતમાં તટસ્થ રહ્યું. એણે પોતાનાં સત્તાવાર નિવેદનોમાં ના તો રશિયાની ટીકા કરી છે કે ના તો યુક્રેનના સાર્વભૌમત્વને રેખાંકિત કર્યું છે.
ત્યાર બાદ ભારતમાં રશિયાના કાર્યકારી રાજદૂત રોમાન બાબુશ્કિને કહ્યું કે રશિયા પરના નવા પ્રતિબંધોથી ભારતને કરાનારી એસ-400 મિસાઇલ સિસ્ટમની ડિલિવરી પર અસર નહીં પડે. એમણે કહ્યું કે ભારત રશિયા પાસેથી જે કંઈ લશ્કરી ઉપકરણો ખરીદે, એને પૂરાં પાડવા પર કોઈ અસર નહીં પડે.
યુરોપિયન કાઉન્સિલની સાથે આંતરાષ્ટ્રીય સંબંધો પર કામ કરી રહેલા રિચર્ડ ગોવાને ટ્વીટ કરીને કહ્યું કે, "ગેર-નેટો દળોમાં ભારત સૌથી પહેલાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુક્રેન સંકટ વિશે બોલ્યો. ભારતે રાજદ્વારી રીતે તણાવ ઘટાડવાની તમામ વાતો કરી, પરંતુ રશિયાની ના તો નિંદા કરી અને ના તો યુક્રેનના સાર્વભૌમત્વનો ઉલ્લેખ કર્યો."
રિચર્ડે લખ્યું છે, "31 જાન્યુઆરીએ યુક્રેન વિશે ચર્ચા કરવા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વોટિંગ થયું હતું, ત્યારે ભારતની સાથે કેન્યા પણ વોટિંગથી બહાર રહ્યું હતું. પરંતુ મંગળવારે કેન્યાએ અચાનક જ પોતાની લાઇન બદલી નાખી. કેન્યાએ આકરા શબ્દોમાં પુતિનની ટીકા કરી છે. કેન્યાનું કહેવું છે કે પૂર્વ યુક્રેનની હાલત આફ્રિકામાં ઉપનિવેશવાદ પછીના સરહદ પરના તણાવ જેવી છે. કેન્યાએ કહ્યું કે જ્યારે રશિયા એને નથી સ્વીકારતું ત્યારે આફ્રિકન દેશોએ ઉપનિવેશિકની સીમાઓને શા માટે સ્વીકારવી જોઈએ."
યુક્રેન સંકટ વિશેના ભારતના વલણ અંગે લોકોમાં મતભેદ છે.
ભારતના અગ્રણી અંગ્રેજી અખબાર ધ હિન્દુના આંતરરાષ્ટ્રીય બાબતોના સંપાદક સ્ટૅન્લી જૉનીએ લખ્યું છે કે, "યુક્રેનની બાબતમાં રશિયા માટેના ભારતના વલણની જેઓ ટીકા કરે છે તેઓ પાયાનાં તથ્યોની ઉપેક્ષા કરી રહ્યા છે. રશિયા અને ભારતના સંબંધો ગાઢ છે અને ભારત પોતાનાં હિતોની વિરુદ્ધનો નિર્ણય ન લઈ શકે."
સ્ટૅન્લીએ કહ્યું છે, "જ્યાં સુધી નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનો પ્રશ્ન છે, તો રશિયાએ ક્રિમિયાને પોતાનામાં ભેળવી દીધો અને ડોનબાસને માન્યતા આપી દીધી ત્યારે ઘણી આકરી આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓ જોવા મળી, પરંતુ ઇઝરાયલે ગોલાન કે પૂર્વ જેરુસલેમને ભેળવી દીધા તો એને માન્યતા મળી ગઈ. તુર્કીએ સીરિયાના ક્ષેત્ર પર કબજો કર્યો તો વાત સુધ્ધાં ના થઈ. આપણે સાચા રાજકારણ અંગે વાત કરવી જોઈએ."
ભારતના વલણ અંગે અમેરિકાએ શી આપી પ્રતિક્રિયા?
પરંતુ એવું નથી કે ભારતનું વલણ યુક્રેન અને પશ્ચિમના દેશોને પરેશાન નથી કરતું.
ગુરુવારે યુક્રેનના રાજદૂત ડૉક્ટર આઇગોર પોલિખાએ કહ્યું કે પોતાના દેશમાં રશિયાની સૈન્ય કાર્યવાહી અંગે ભારતના વલણથી તેઓ 'અસંતુષ્ટ' છે, અને એમને ભારત પાસેથી વધારે સહયોગની અપેક્ષા હતી.
ગુરુવારે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનને પૂછવામાં આવ્યું કે, જો ભારત અને અમેરિકા મોટા સુરક્ષા ભાગીદારો છે તો શું બંને દેશ રશિયાની બાબતમાં એકસાથે છે?
આ સવાલના જવાબમાં બાઇડને કહેલું કે, "અમેરિકા ભારત સાથે વાત કરશે. હજુ સુધી પૂરી રીતે એનું કશું સમાધાન નથી થયું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો