બ્રાઝિલમાં ડ્રગતસ્કરી કરતી ગૅંગ માટે કરાયેલા ઑપરેશનમાં 25 લોકોનાં મોત કઈ રીતે થયાં?

સ્થાનિક મીડિયા અનુસાર બ્રાઝિલના પાટનગર રિયો ડી જેનેરિયોમાં થયેલા ગોળીબારમાં એક પોલીસકર્મી સહિત ઓછામાં ઓછા 25 લોકોનાં મૃત્યુ થયાં છે.

શહેરના ઝકારેઝિન્હો વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં પોલીસ કાર્યવાહી દરમિયાન આ ઘટના ઘટી છે.

સિવિલ પોલીસને બાતમી મળી હતી કે ડ્રગતસ્કરો પોતાની ગૅંગમાં બાળકોની ભરતી કરી રહ્યા છે, જે બાદ પોલીસે આ અભિયાન શરૂ કર્યું હતું.

મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી રહેલી બે વ્યક્તિઓને ગોળી વાગી છે અને હવે તેમના જીવને કોઈ જોખમ નથી.

બ્રાઝિલ શહેર પોલીસે પુષ્ટિ કરી છે કે ગોળીબારની ઘટનામાં પોલીસ ઇન્સ્પેક્ટર આંદ્રે લિયોનાર્ડો દી મેલો ફ્રાયસનું મૃત્યુ થયું છે.

ફેસબુકમાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'તેમને એ વ્યવસાયને સન્માન અપાવ્યું, જેને તેઓ પ્રેમ કરતા હતા, તેમને હંમેશાં માટે યાદ રાખવામાં આવશે.'

પોલીસ વડા રોનાલ્ડો ઓલિવિએરાએ ગુરુવારે સામાચર સંસ્થા રૉયટર્સને જણાવ્યું હતું કે 'રિયોમાં જે પોલીસ ઑપરેશન થયું છે, તેમાં સૌથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.'

સ્થાનિક સમાચારો અનુસાર પોલીસ કાર્યવાહીમાં ડ્રગ્સની હેરાફેરી, લૂંટ, ખૂન અને અપહરણ કરતી ગૅંગને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.

ટીવી ફુટેજમાં દેખાય છે કે જ્યારે પોલીસ વસાહતમાં દાખલ થાય છે, ત્યારે શંકાસ્પદ લોકો છત પરથી ભાગી રહ્યા છે.

ઝકારેઝિન્હોમાં કેવો છે માહોલ?

ઝકારેઝિન્હોમાં રહેતા લોકોએ સોશિયલ મીડિયા પર ઘટનાની માહિતી આપી છે.

એક નાગરિકે તસવીર પોસ્ટ કરી છે, જેમાં જમીન પર લોહીના ડાધ જોઈ શકાય છે.

તેમણે જણાવ્યું કે જ્યારે પોલીસ શંકાસ્પદ વ્યક્તિને પકડવા માટે દોડી રહી હતી ત્યારે તેમના ઘરમાં બે વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે.

પોતાનું નામ જાહેર ન કરવાની શરતે વ્યક્તિએ કહ્યું છે કે તેઓ આ વિસ્તારમાંથી વહેલી તકે બહાર નીકળવા માગે છે.

તેમણે કહ્યું, "અમે આ મકાન વહેલી તકે વેચવા માગીએ છીએ, અમે અહીં નહીં રહી શકીએ."

ઝૂંપડપટ્ટીમાં રહેતા બીજા લોકો કહે છે કે પોલીસ અધિકારીઓએ તેમના ફોન લઈ લીધા છે અને તેમની પર ગૅંગના સભ્યોને દરોડાની માહિતી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

પોલીસે કાર્યવાહી કેમ કરી?

પોલીસે દરોડા માટે જે કારણો આપ્યાં છે, તેને રિયો સ્ટેટ યુનિવર્સિટીની લૅબોરેટરી ફોર ધ ઍનાલિસિસ ઑફ વૉયલન્સના સમાજશાસ્ત્રના પ્રોફેસર ઇગ્નાસિયો કાનો ફગાવી દે છે.

તેઓ કહે છે, "ડ્રગ્સતસ્કરો ડ્રગ્સના સોદા માટે બાળકો અને સગીરોને ભરતી કરે છે, તેવો પોલીસનો દાવો હાસ્યાસ્પદ છે, કારણકે બધા જાણે છે કે આ ગૅંગ માટે નાબાલિગ કામ કરે છે."

"તેઓ કહે છે કે તસ્કરો બાળકોની ભરતી કરી રહ્યા છે અને એ માટે તેઓ એક મોટું અભિયાન શરૂ કરી રહ્યા છે, હાસ્યાસ્પદ લાગે છે."

રિયો ડી જાનેરો બ્રાઝિલનાં સૌથી હિંસક રાજ્યોમાંથી એક છે અને તેનો મોટાભાગનો વિસ્તાર ગુનેગારોના નિયંત્રણ હેઠળ છે, જેમાંથી મોટાભાગના ડ્રગ્સની હેરફેર કરતી શક્તિશાળી ગૅંગ સાથે સંકળાયેલા છે.

બ્રાઝિલમાં કરાતી અપરાધવિરોધી કાર્યવાહીમાં નાગરિકો સામે સુરક્ષાદળો દ્વારા વધારે પડતા બળનો ઉપયોગ કરવાના આરોપો લાગતા રહે છે.

જૂનમાં એક અદાલતે રિયોના ગરીબ વિસ્તારોમાં મહામારી દરમિયાન બહુ જરૂર ન હોય ત્યાં સુધી કોઈ પણ કાર્યવાહી કરવા પર રોક લગાવી દીધી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો