નોબલ પીસ પ્રાઇઝ: UN વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને 2020નો શાંતિ પુરસ્કાર

વર્ષ 2020નો નોબલ શાંતિ પુરસ્કાર યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને આપવાની જાહેરાત કરવામાં આવી છે, ભૂખ સામેની લડતના પ્રયાસો બદલ આ સન્માન માટે તેની પસંદગી કરવામાં આવી છે.

નોબલ શાંતિ પુરસ્કારના 101માં વિજેતાની જાહેરાત નૉર્વેના નોબલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઑસલોમાં કરવામાં આવી હતી.

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના પ્રવક્તાએ કહ્યું કે, આ ગૌરવની પળ છે.

એમણે એમ પણ કહ્યું કે, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ વર્ષે આશરે 88 દેશોમાં નવ કરોડ 70 લાખ લોકોની મદદ કરે છે.

આની પહેલાં ઇથિઓપિયાના વડા પ્રધાન આબી અહેમદને નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. એરિટ્રિયા સાથે 20 વર્ષના સૈન્ય સંઘર્ષને ખતમ કરવા માટે શાંતિ સમજૂતી કરવા બદલ તેમને આ પુરસ્કાર માટે પસંદ કરાયા હતા.

2009માં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તર પર તેમને કામગીરી અને લોકો વચ્ચે સહયોગને મજબૂત કરવા માટે તેમને આ પુરસ્કાર અપાયો હતો.

આની પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જિમિ કાર્ટરને 2002માં, 2014માં પાકિસ્તાનનાં મલાલા યૂસુફજઈ અને ભારતના બાળઅધિકાર કાર્યકર કૈલાશ સત્યાર્થી, 2012માં યુરોપિયન યુનિયન, 2001માં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ કોફી અન્નાન અને 1979માં મધર ટેરેસાને આ સન્માન આપવામાં આવ્યું હતું.

આ સન્માન કેમ અગત્યનું

નોબલ પુરસ્કાર દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત મનાતા સન્માનોમાંથી એક છે.

1901માં સ્વીડનના આવિષ્કારક આલ્ફ્રેડ નોબલે આની શરૂઆત કરી હતી.

અનેક ક્ષેત્રે માનવજાતના લાભ માટે કાર્ય બદલ આ સન્માન દર વર્ષે આપવામાં આવે છે. A

નોબલ પુરસ્કાર વિજેતાને ત્રણ ચીજો આપવામાં આવે છે. નોબલ ડિપ્લોમા, નોબલ મેડલ અને કૅશ પ્રાઇઝ. એકથી વધારે લોકો જો એક સન્માનના ભાગીદાર હોય તો આ પ્રાઇઝ મની વહેંચવામાં આવે છે. તે મેળવવા માટે તેમણે લેક્ચર આપવું પડે છે.

પ્રથમ અને દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન એવું પણ બન્યું કે કેટલીક વખત નોબલ પુરસ્કાર આપવામાં નહોતો આવ્યો.

નોબલ ફાઉન્ડેશન નક્કી કરે કે આ વર્ષે કોઈને અમુક ક્ષેત્રે સન્માન નથી આપવું તો તે સન્માન અને કૅશ પ્રાઇઝ આવતાં વર્ષ માટે રાખવામાં આવે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો