આરોગ્યસેતુ ઍપ : વિવાદની વચ્ચે સરકારે સૉર્સકોડ બહાર પાડ્યો

યૂઝરની પ્રાઇવસીની ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારે 'આરોગ્યસેતુ' મોબાઇલ ઍપ્લિકેશનનો સૉર્સ-કોડ સાર્વજનિક કરી દીધો છે, જેના કારણે હવે તેની ચકાસણી શક્ય છે.

ખામી તરફ ધ્યાન દોરનાર ઇલિયટ ઍલ્ડરસન નામના ઍથિકલ હૅકર સહિત ડિજિટલ અધિકારક્ષેત્રે કામ કરતા નાગરિકો તેને આવકારયાદક પહેલ ગણાવે છે અને માને છે કે તેનાથી વપરાશકર્તાઓની પ્રાઇવસીને સુરક્ષિત રાખી શકાશે.

નીતિ આયોગના સી.ઈ.ઓ. અમિતાભ કાંતનું કહેવું છે કે 'દુનિયામાં બીજી કોઈ સરકારે આટલું પારદર્શક વલણ નથી અપનાવ્યું.'

કોરોના વાઇરસ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનાર વ્યક્તિઓ અંગે માહિતી મેળવવાના હેતુસર ઍપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં આ ઍપ્લિકેશન બહાર પાડવામાં આવી હતી. હાલમાં લગભગ 11 કરોડ 50 લાખ વખત ડાઉનલોડ થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે નેશનલ ઇન્ફૉર્મેટિક સેન્ટરે હજુ માત્ર ઍન્ડ્રોઇડ ઍપનો જ કોડ બહાર પાડ્યો છે અને ટૂંક સમયમાં iOSનો સૉર્સકોડ બહાર પાડવાની વાત કહી છે.

ત્યારે બીજી બાજુ, ટેકનૉલૉજી જાયન્ટ્સ ઍપલ તથા ગુગલે અલગ-અલગ દેશોના આરોગ્ય વિભાગ તથા ડેવલપર્સ દ્વારા તૈયાર વિકસાવવામાં આવેલી કૉન્ટેક્ટ ટ્રેસિંગ મોબાઇલ ઍપ્લિકેશન્સને ટેકનિકલ સપૉર્ટ પાછો ખેંચી લેવાની જાહેરાત કરી હતી.

ઍપલ તથા ગુગલ દ્વારા કૉન્ટેક્ટ ટ્રેસિંગ માટે સંયુક્ત રીતે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે, જેમાં વપરાશકર્તાના ડેટાની પ્રાઇવસી તથા સિક્યૉરિટી સર્વોચ્ચ હશે.

લૉન્ચિંગ સમયે ઍથિકલ હેકર ઇલિયટ ઍલ્ડરસન, કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત ઍક્ટિવિસ્ટોએ વપરાશકર્તાની પ્રાઇવસી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

આરોગ્યસેતુ ઍપના વપરાશકર્તાની ડેટા-પ્રાઇવસી અંગે સવાલ ઉઠાવ્યા છે.

આરોગ્યસેતુ પર આળ

ફ્રેન્ચ હેકર ઇલિયટ ઍલ્ડરસને દાવો કર્યો હતો કે 'રાહુલ ગાંધીની વાત ખરી છે. ભારતની આરોગ્યસેતુ ઍપમાં ખામી છે, જેના કારણે ભારતમાં આરોગ્યસેતુ વાપરનારાઓનો ડેટા જોખમમાં મૂકાઈ શકે છે.'

તેમણે દાવો કર્યો હતો કે અલગ-અલગ મંત્રાલયમાં બીમાર તથા ચેપગ્રસ્ત કર્મીઓ અંગેની માહિતી તેઓ મેળવી શકે છે.

ઍલ્ડરસને ચોથી એપ્રિલનું ટ્વીટ ફરી રિ-ટ્વીટ કર્યું હતું, વીડિયો સાથે દાવો કર્યો હતો કે માત્ર એક લાઇનનો કોડ લખવાથી ઍપની ઇન્ટરનલ ફાઇલ ખુલી જાય છે.

સાથે જ ઉમેર્યું હતું કે નવા વર્ઝનમાં એ સંભવ નથી તથા એ ખામીને ચૂપચાપ દુરસ્ત કરી લેવામાં આવી છે.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ બીજી મેના દિવસે ટ્વીટ કર્યુ હતું કે આરોગ્યસેતુ ઍપ એ વાસ્તવમાં આધુનિક સર્વેલન્સ સિસ્ટમ છે, જે એક ખાનગી ઑપરેટરને સોંપી દેવામાં આવી છે, તેની ઉપર નજર રાખનારું કોઈ નથી. જેના કારણે ડેટા સિક્યૉરિટી તથા પ્રાઇવસી અંગે ગંભીર સવાલ ઊભા થાય છે.

સલામત રહેવામાં ટેકનૉલૉજી આપણને મદદ કરી શકે છે, પરંતુ ડરને કારણે મંજૂરી વગર નાગરિકોનું પગેરું દાબવા માટે તેનો ઉપયોગ ન થવો જોઈએ.

આરોગ્યસેતુનો ઉત્તર

મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ઇલિટ ઍલ્ડરસનના દાવા બાદ આરોગ્યસેતુ ઍપે ટ્વિટર ઉપર નિવેદન મૂક્યું હતું, જેમાં હેકરનો આભાર માન્યો છે અને કોઈને પણ કોઈ ખામી મળી આવે તો [email protected] જાણ કરવા આગ્રહ કર્યો છે.

જોકે, ઍપનિર્માતાઓએ દાવો કહ્યું કે કોઈપણ વપરાશકર્તાની માહિતી ઉપર જોખમ હોવાનું માલૂમ નથી પડ્યું. આ સિવાય સતત પણ સિસ્ટમ ટેસ્ટિંગ અને અપગ્રેડિંગનું કામ ચાલુ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકારના એકમ નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર ઈ-ગવર્નમેન્ટ મોબાઇલ ઍપ્સ દ્વારા આ ઍન્ડ્રૉઇડ અને iOS ઍપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.

ઇલિયટ અને આધારકાર્ડ

માર્ચ-2018માં બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નમો ઍપ ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા અને દાવો કર્યો હતો કે તેની મદદથી મતદાતાનું પ્રોફાઇલિંગ કરી શકાય છે તથા તેની હિલચાલ અંગે માહિતી મેળવી શકાય છે.

ત્યાર ઍલ્ડરસને દાવો કર્યો હતો કે નમો ઍપનો ઉપયોગ રાજકીય પક્ષ ચૂંટણી દરમિયાન લાભ લેવા માટે કરી શકે છે.

આ પહેલાં જાન્યુઆરી-2018માં ઍલ્ડરસને અગાઉ ભારતમાં આધારકાર્ડના ડેટાના સંગ્રહ અંગે સવાલ ઉઠાવ્યા હતા.

તેમણે દાવો કર્યો હતો કે આધારની ઍન્ડ્રૉઇડ ઍપ્લિકેશન વપરાશકર્તાના પાસવર્ડ સુધી સરળતાથી પહોંચી શકાય છે.

આધાર માટેના સત્તામંડળ યુનિક આઇડેન્ટિફિકેશન ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ આ આરોપોને નકારી કાઢ્યા હતા.

આરોગ્યસેતુનો હેતુ

લૉન્ચિંગ સમયથી જ લગભગ દરેક જાહેર કાર્યક્રમમાં, રાષ્ટ્રજોગ સંબોધનમાં તથા 'મન કી બાત'માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આરોગ્યસેતુ ઍપને ડાઉનલોડ કરવાનો આગ્રહ કરી રહ્યા છે.

કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલી વ્યક્તિઓનું પગેરું દાબવામાં સરળતા રહે તે માટે 'આરોગ્યસેતુ' મોબાઇલ ઍપ્લિકેશન વિકસાવાવામાં આવી છે. આ સિવાય તેનો હેતુ આરોગ્યતંત્ર તથા નાગરિકો વચ્ચે 'સેતુરૂપ' કામગીરી બજાવવાનો છે.

કોવિડ-19 સંબંધિત સત્તાવાર અને પ્રમાણભૂત માહિતી આપવા તથા આજુબાજુમાં કોરોનાગ્રસ્ત તથા સ્વમૂલ્યાંકનમાં કોરોનાના લક્ષણ હોવાનું સ્વીકારનાર વિશેની માહિતી આપવા માટે આ ઍપનો ઉપયોગ થઈ રહ્યો છે.

આ સિવાય જો કોઈ વ્યક્તિ કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંસર્ગમાં આવી હોય તો તેને સતર્ક કરી દે છે. આ માટે તે બ્લૂટૂથ, વાઈફાઈ તથ જી.પી.એસ.નો (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) ઉપયોગ કરે છે.

ભારતના શહેરી વિસ્તારમાં કોવિડ-19નો વ્યાપક ફેલાવો જોવા મળી રહ્યો છે, ત્યારે દેશના લગભગ દરેક સ્માર્ટફોન યૂઝર સુધી પહોંચી શકાય તે માટે કેન્દ્ર સરકારે iOS અને ઍન્ડ્રોઇડ પ્લૅટફૉર્મ ઉપર મોબાઇલ ઍપ્લિકેશન્સ લૉન્ચ કરી છે.

જે કોઈ શ્રમિક એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય, તેની પાસે ઍપ ડાઉનલોડ કરવાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે.

આ સિવાય શહેરી વિસ્તારોમાં કાર્યરત ઑફિસમાં કામ કરવા આવતાં ખાનગી/સરકારી કર્મચારીઓના સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરવાનું ફરજિયાત બનાવી દેવાયું છે. આ સિવાય કેન્દ્રીય કર્મચારીઓ માટે પણ આરોગ્યસેતુ ઍપ ડાઉનલોડ કરવી અનિવાર્ય બનાવી દેવાઈ છે.

ઍડા લવલેસ ઇન્સ્ટિટ્યૂટના સંશોધકોનું કહેવું છે કે આ ઉપાય ચોક્કસ તથા વ્યવહારુ છે, તેના કોઈ પુરાવા નથી મળતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો