સાપ કરડવાથી વિશ્વભરમાં વર્ષે કેટલા લોકો મૃત્યુ પામે છે?

    • લેેખક, ડૉ. નિક કેસવેલ અને ડૉ. સ્ટુઅર્ટ ઍન્સવોર્થ
    • પદ, લિવરપુલ સ્કૂલ ઑફ ટ્રૉપિકલ મેડિસિન

દર વર્ષે સાપ કરડવાથી વિશ્વભરમાં હજારો લોકો મૃત્યુ પામે છે. આ મૃત્યુઓનું કારણ સારવાર ન મળવાથી તેમજ ખોટી દવાઓ મળવાના કારણે થાય છે.

કોઈને પણ પૂછો, તેમના માટે સાપનું કરડવું તે કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યા નહીં હોય.

જોકે, દુનિયાના ઘણા એવા દેશ છે કે જ્યાં લોકો દરરોજ આ ખતરાનો સામનો કરે છે. તે લોકો માટે તે પ્રાણઘાતક હોઈ શકે છે.

ઘણી વખત પીડિત લોકો સમયસર યોગ્ય સારવાર મેળવી શકતા નથી.

બીજા કેટલાક કેસમાં પીડિતોને અલગ અલગ સાપ દ્વારા થયેલી ઈજાથી રાહત મળે તે માટે દવા આપવામાં આવે છે.

એક મહિનામાં સાપ કરડી જવાથી આશરે 11 હજાર લોકોના મૃત્યુ થાય છે. આ

આંકડો 2014-16 દરમિયાન પશ્ચિમ આફ્રિકામાં ઇબોલાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા સમાન છે.

આ સિવાય એક વર્ષમાં આશરે 4,50,000 લોકો આજીવન તકલીફનો સામનો કરે છે.

જેમાં વિકલાંગતા જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. શરીરનો કોઈ ભાગ કાપી નાખવાની પરિસ્થિતિ સર્જાય છે.

ડાઉન ટુ અર્થ મેગેઝિનના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં સાપ કરડવાથી મરતા લોકોનો સરકારી આંકડો તો ઓછો છે.

જોકે, ટ્રોપિકલ ડિઝીઝ જર્નલમાં પ્રગટ થયેલા અહેવાલ મુબજ ભારતમાં વર્ષે 45,000થી 50,000 હજાર લોકો સાપ કરડવાથી મૃત્યુ પામે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કોને સાપ કરડી જાય છે?

વિકસિત દેશોમાં જેમ કે યૂરોપ, ઑસ્ટ્રેલિયા અને ઉત્તર અમેરિકા જેવા દેશોમાં સાપ કરડી જવાથી માત્ર થોડા લોકો મૃત્યુ પામે છે.

એ વાત અલગ છે કે ત્યાં ઘણા બીજા ઝેરીલા પ્રાણીઓ પણ વસે છે.

સહારા આફ્રિકામાં 32 હજાર લોકોનાં મૃત્યુ થાય છે. આ આંકડો દક્ષિણ એશિયાઈ દેશોમાં મૃત્યુ પામતાં લોકો કરતાં બમણો છે.

ગ્રામીણ વિસ્તારમાં રહેતા મોટાભાગના લોકો પર સાપ કરડી જવાનો ખતરો રહે છે.

ખેતરમાં કામ કરતા સમયે, રાત્રિના સમયે ફરતા સમયે અથવા તો ઘરમાં ઊંઘતા સમયે પણ તેમને સાપ કરડી શકે છે.

બાળકો પછી યુવા ખેડૂતો પર વધારે ખતરો રહે છે.

સાપ કરડે ત્યારે યોગ્ય સ્વાસ્થ્ય સુવિધાઓ આફ્રિકા અને એશિયાના ગ્રામીણ વિસ્તારોમાં ઉપલબ્ધ હોતી નથી.

દવાઓ, ઇમરજન્સી વાહનવ્યવ્હાર જેવી વસ્તુઓની હંમેશાં ગ્રામીણ વિસ્તારોમાં ખામી જોવા મળે છે.

મોંઘી દવાઓ

ઝેરીલા સાપના કરડવાથી ત્રણ પ્રકારનાં લક્ષણો જોવા મળે છે : ખૂબ વધારે લોહી વહેવું, લકવો મારી જવો અને શરીરના કોઈ અંગનો નાશ થવો.

સાપ કરડે અને તુરંત જ પીડિતે યોગ્ય દવા મેળવવી જરુરી છે. સાપ કરડી જાય ત્યારે યોગ્ય સારવાર મેળવવા માટે એન્ટીવેનમ લેવું જરુરી છે.

આ દવા સાપના ઝેરથી જ બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ નિદાન માટે કરવામાં આવે છે.

એટલે જુદા જુદા પ્રકારની દવા ખૂબ જરુરી છે કેમ કે દુનિયામાં અલગ અલગ ઝેરીલા સાપ જોવા મળે છે જેમ કે- કોબરા, મમ્બા, ચીતળો, નાનો ઝેરી સાપ વગેરે.

તેમના ઝેરમાંથી મળતી દવાઓ અલગ અલગ હોય છે. તેનો મતલબ એ છે કે યોગ્ય ઍન્ટિવેનમને શોધવી ખૂબ અઘરી છે અને ખૂબ મોંઘી પણ છે.

ઍન્ટિવેનમ કેવી રીતે બને છે.

  • સાપનું થોડું ઝેર ઇન્જેક્શનની મદદથી એક પ્રાણીને આપવામાં આવે છે. સામાન્યપણે ઘોડા અથવા ઘેટાંને આ ઝેર આપવામાં આવે છે.
  • તેનાથી પ્રાણીની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને ઍન્ટિબૉડીનું નિર્માણ થાય છે જે ઝેરને બિનઅસરકારક બનાવે છે.
  • આ ઍન્ટિબૉડીને પ્રાણીના લોહીમાંથી મેળવવામાં આવે છે. તેને શુદ્ધ કરીને તેમાંથી ઍન્ટીવેનમ બનાવવામાં આવે છે.
  • ઍન્ટિવેનમનો ઉપયોગ હૉસ્પિટલમાં જ થવો જરુરી છે. કેમ કે તેનાથી દર્દીને રિએક્શન પણ આવી શકે છે.

લેટિન અમેરિકામાં સામાન્યપણે ઍન્ટિવેનમ દેશમાં જ બનાવવામાં આવે છે અને તેના પર સરકાર સબસિડી પણ આપે છે.

સાપ કરડી જવાથી મોટાભાગે મૃત્યુ સબ સહારન આફ્રિકામાં થાય છે.

ત્યાં સૌથી શ્રેષ્ઠ એન્ટિવેનમની એક શીશીનો ભાવ 140 ડોલરથી 300 ડોલર (આશરે 9975થી 21,375 રૂપિયા) સુધી છે.

સામાન્યપણે એક દર્દીનો જીવ બચાવવા માટે ત્રણથી દસ શીશીની જરુર પડે છે.

આફ્રિકાના સ્વાઝી ખેડૂતો સામાન્યપણે એક વર્ષમાં 600 ડોલર (આશરે 42,750 રૂપિયા) કમાય છે એટલે મોટાભાગના ખેડૂતો આ દવા ખરીદી શકતા નથી.

ખોટી દવા

ખેડૂતો દવા લઈ શકતા નથી એટલે આફ્રિકા જેવા દેશમાં સસ્તી દવાઓનું માર્કેટ ચાલે છે.

આ ઍન્ટિવેનમની એક શીશી 30 ડૉલર (આશરે 2137 રૂપિયા)ની મળે છે.

આ દવાઓ દેશના ઘણા હૉસ્પિટલમાં પણ વપરાશમાં લેવામાં આવે છે.

જોકે, હવે કેટલાક એવા રિપોર્ટ જાહેર થયા છે કે જેમાં જણાવવામાં આવ્યું છે કે આ દવાઓ ખતરનાક રીતે શરીર પર અસર કરી શકે છે.

ઘાના તેમજ મધ્ય આફ્રિકન રિપબ્લિકમાં નાના પાયે થયેલા સંશોધનમાં જાણવા મળ્યું કે જ્યારે આ સસ્તી દવાઓ વાપરવામાં આવી તો મૃત્યુ દર 2% થી વધીને 10% પર પહોંચી ગયો.

ઘણી વખત અલગ દેશના સાપમાંથી બનેલા ઝેરને બીજા દેશમાં વેચવામાં આવે છે.

જેમ કે જે ઍન્ટિવેનમને ભારતના સાપના ઝેરમાંથી બનાવવામાં આવે છે તેનો ઉપયોગ આફ્રિકામાં કરવામાં આવે છે.

પરીક્ષણની ખામી

આ સમસ્યાઓ ખૂબ વધી રહી છે. તેનું કારણ છે ઍન્ટિવેનમના પરીક્ષણમાં ખામી.

મોટાભાગની દવાઓનું યોગ્ય પરીક્ષણ થવું ખૂબ જરુરી છે. પરંતુ આવું ઍન્ટિવેનમના કેસમાં થતું નથી.

નેશનલ ડ્રગ એજન્સીઓ ઘણી વખત પ્રોડક્ટને યોગ્ય પુરાવા વગર માન્ય કરી દે છે.

આ સમસ્યાના સમાધાન માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને પ્રી માર્કેટ ટેસ્ટીંગ સ્કીમ લૉન્ચ કરી છે. તેનું પરિણામ બીજા વર્ષે જાહેર કરવાનું હોય છે.

તેનાથી સ્વાસ્થ્ય મંત્રાલય, દવાખાના તેમજ મેડિકલ ચલાવતા લોકો સમજી શકે કે કયા ક્ષેત્ર માટે કયુ ઍન્ટિવેનમ વધારે સારી રીતે કામ કરી શકે છે.

ભવિષ્યમાં શું?

અસરકારક ઍન્ટિવેનમ સાપના કરડવાથી રાહત આપી શકે છે. જોકે, હજુ ઘણી પડકારજનક વસ્તુઓ સામે છે.

હજુ પણ એ વિસ્તારોની ઓળખ કરવાની જરુર છે કે જેના પર સાપનો વધારે ખતરો છે અને એ સુનિશ્ચિત કરવાની જરુર છે કે એ વિસ્તારમાં યોગ્ય અને સસ્તી દવાઓ પહોંચી શકે.

સાથે સાથે દવાખાનામાં કામ કરતા લોકોને ટ્રેઇનિંગ આપવાની જરુર છે કે જેથી મૃત્યુઆંક ઘટાડી શકાય.

આ સિવાય લોકોને યોગ્ય શિક્ષણ આપવાની પણ જરુર છે કે જેનાથી તેમને ખબર પડે કે જો સાપ કરડે તો તે પરિસ્થિતિમાં શું કરવું જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો