મિસાઇલ મામલે પાકિસ્તાન ભારતના જવાબથી અસંતુષ્ટ, ઊઠ્યા આ સવાલ

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારતની મિસાઇલ ભૂલથી પાકિસ્તાની વિસ્તારમાં પડવાને લઈને ગૃહમંત્રી રાજનાથસિંહ નિવેદન આપી ચૂક્યા છે. આ નિવેદનને પાકિસ્તાન તરફથી રદિયો પણ આપી દેવાયો છે. પાકિસ્તાન તરફથી આ મામલે એક પછી એક નિવેદનો સામે આવી રહ્યાં છે.

હવે પાકિસ્તાનના સૅનેટમાં વિપક્ષી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનાં નેતા અને વિદેશી મામલાની સ્થાયી સમિતિના ચૅરપર્સન શેરી રહમાને પ્રશ્નો ઊઠાવ્યા છે.

પાકિસ્તાનના અંગ્રેજી અખબાર ડૉનમાં છપાયેલ અહેવાલ અનુસાર, શેરી રહમાને આ મીટિંગમાં કહ્યું કે ધ્યાન આપવા જેવી બાબત એ છે કે ભારત તરફથી 'ટૅક્નિકલ ક્ષતિ' વિવાદિત ક્ષેત્રમાં નહીં પરંતુ ઇસ્લામાબાદથી અંદાજે 500 કિલોમીટર દૂર મિયાં ચન્નૂમાં થઈ છે.

તેમણે સવાલ ઊઠાવ્યો કે ભારત એ અમેરિકા અને ચીન બાદ સૈન્ય ખર્ચમાં દુનિયામાં ત્રીજા નંબરનો દેશ છે. એવામાં ભારત 'રૂટીન ચૅક' દરમિયાન આટલી મોટી ભૂલ કઈ રીતે કરી શકે છે.

શેરી રહમાને 12 માર્ચે ટ્વિટર દ્વારા પણ આ જ પ્રશ્ન પૂછ્યો હતો.

તેમણે લખ્યું હતું, "હું અત્યાર સુધી એ નથી સમજી શકી કે એક મિસાઇલ 'દુર્ઘટનાવશ' બૉર્ડરપાર કેવી રીતે પહોંચી શકે છે. પરમાણુ સંપન્ન દેશોને સ્પષ્ટ રીતે સખત સુરક્ષા અને પ્રોટોકૉલની જરૂરત છે. જો આ મિસાઇલમાં વૉરહેડ હોત તો શું થાત? ભારતે આ ઘટનાને વધુ સારી રીતે સમજાવવી પડશે."

અમેરિકાના વલણથી સંતુષ્ટ નથી પાકિસ્તાન

શેરી રહમાને આ સાથે અન્ય દેશો પર નિશાન તાકતા કહ્યું કે આ મામલે આંતરરાષ્ટ્રીય સમુદાય પણ ચુપકિદી સેવીને બેઠું છે. તેઓ પૂછે છે કે જો આવી જ કોઈ મિસાઇલ પાકિસ્તાને ભારત પર લૉન્ચ કરી હોત તો શું આવી ચુપકિદી રહેતી?

મંગળવારે પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ એક પત્રકાર પરિષદમાં અમેરિકાના વલણ સામે સવાલ ઊઠાવ્યા હતા. કુરેશનું કહેવું હતું કે અમેરિકન વિદેશ મંત્રાલય મિસાઇલ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરી રહ્યું નથી.

ખરેખર, અમેરિકાએ આ ઘટનાને માત્ર એક દુર્ઘટના ગણાવી છે. અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઇસે કહ્યું કે ભારત તરફથી મિસાઇલ છૂટવી એ માત્ર એક દુર્ઘટના છે.

ઇમરાન ખાનની ચીમકી, 'પાકિસ્તાન કંઈ પણ કરી શક્યું હોત'

ભારતની મિસાઇલ "ભૂલથી" પાકિસ્તાનની હદમાં પડવા વિશે ત્યાંના વડા પ્રધાન ઇમરાન ખાને પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે 'જો પાકિસ્તાને ઇચ્છ્યું હોત તો કંઈ પણ કરી શક્યું હોત.'

સાથે જ ઇમરાન ખાને પાકિસ્તાનમાં તેમના વિરોધીઓ ઉપર પણ નિશાન સાધ્યું હતું અને તેમની ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

બીજી બાજુ, પાકિસ્તાનના હદ વિસ્તારમાં મિસાઇલ પડવા અંગે ભારતની સામે કેટલાક સવાલ ઊઠી રહ્યા છે.

પંજાબના હફિઝાબાદમાં એક જાહેર રેલીને સંબોધતી વખતે ઇમરાન ખાને ક્હ્યું, "આપણને ધમકીઓ મળતી રહે છે. હમણાં હિંદુસ્તાનની મિસાઇલ પણ આવી ગઈ. પાકિસ્તાને તેનો સારી રીતે જવાબ આપ્યો, જોકે આપણે ઇચ્છ્યું હોત તો કંઈ પણ કરી શક્યા હોત."

ઇમરાન ખાને ઉમેર્યું, "આજે હું આપને જણાવી દઉં કે આપણો દેશ પોતાની રક્ષા કરી શકે છે. જે હાલમાં યોગ્ય રસ્તે આગળ વધી રહ્યો છે."

રેલીમાં મહમદઅલી ઝીણાનો ઉલ્લેખ કરતા ઇમરાન ખાને કહ્યું, "કાયદે-આઝમ ગુલામ હિંદુસ્તાનમાં પણ આઝાદ નેતા હતા. તેમને જોઈને મુસલમાનોને ગર્વ થતો. તેઓ ક્યારેય કોઈની સામે ઝૂકતા નહીં."

યુક્રેન સંકટ અને ભારતનો ઉલ્લેખ કરતા ઇમરાન ખાને કહ્યું, "તાજેતરમાં યુરોપીય સંઘના ઍમ્બૅસૅડરોએ મળીને પત્ર લખ્યો કે ઇમરાન ખાનની સરકારે રશિયા વિરુદ્ધ નિવેદન આપવું જોઈએ. જે તમામ પ્રકારના પ્રોટોકૉલની વિરુદ્ધ છે. મેં તેમને પૂછ્યું કે શું હિંદુસ્તાનને આવો પત્ર લખવાની જરૂર છે?"

ઇમરાન ખાને કહ્યું કે તેઓ બટાકા-ટમાટાંના ભાવ જાણવા માટે રાજકારણમાં નથી આવ્યા, પરંતુ દેશના યુવાનોના ભવિષ્યને ખાતર રાજકારણમાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે વિપક્ષ એક થઈને ઇમરાન ખાનની સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યો છે. 342 સંસદસભ્યોવાળા ગૃહમાં ઇમરાન ખાનને પદભ્રષ્ટ કરવા માટે 272 મતની જરૂર છે.

વર્ષ 2018માં ઇમરાન ખાનની સરકારની સ્થાપના થઈ હતી અને આવતાં વર્ષે તેનો કાર્યકાળ પૂર્ણ થશે.

જો રહેણાક વિસ્તાર પર પડી હોત તો?

ભારતના સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચના વરિષ્ઠ રિસર્ચ ફેલો સુશાંતસિંહના કહેવા પ્રમાણે, "કોઈ પણ દેશની હવાઈસીમામાં જ્યારે કોઈ ચીજનો પ્રવેશ થાય ત્યારે તેને હુમલો માનવામાં આવે છે. આ અંગે સંરક્ષણના કાયદા અને નિયમો તો એવું જ કહે છે કે મિસાઇલ આવે તો તમે પણ જવાબી હુમલો કરો. આ સંજોગોમાં પાકિસ્તાને સમજણભર્યો નિર્ણય લીધો."

સુશાંતસિંહ કહે છે, "એ તો સારું થયું કે જાનમાલનું કોઈ નુકસાન નથી થયું. અત્યારે ચર્ચાનો મુખ્ય મુદ્દો એ જ છે કે જો કોઈ મોટા શહેર તરફ આ મિસાઇલ ધસી ગઈ હોત તો? કોઈ પણ મિસાઇલ સિસ્ટમને એ ન ખબર પડે કે સરહદ પારથી મિસાઇલ તાકવામાં આવી હતી કે ભૂલથી છૂટી હતી."

પાકિસ્તાનના વડા પ્રધાનના સુરક્ષા સલાહકાર મોઈદ યુસૂફે કહ્યું કે, "મિસાઇલ ભૂલથી લૉન્ચ થઈ ગઈ હતી, એ વાતનો સ્વીકાર કરતા ભારતને બે દિવસ લાગી ગયા. હાલમાં ભારતમાં ફાસીવાદી વિચારધારા ધરાવતી સરકાર સત્તા પર છે. જેણે 2019માં પણ પાકિસ્તાન ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હતો."

પાકિસ્તાનના વિદેશ મંત્રલાય દ્વારા શનિવારે નિવેદન બહાર પાડીને કેટલાક સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને કહ્યું છે કે તેના જવાબ મળે તે જરૂરી છે.

જેમ કે:

  • અકસ્માતે છૂટેલી મિસાઇલને અટકાવવા માટે કેવી વ્યવસ્થા છે. આ ઘટના વિશે પાકિસ્તાનને માહિતી આપવામાં આવે
  • પાકિસ્તાનની ધરતી ઉપર આવી પડેલી મિસાઇલ કઈ છે અને તેનું વિવરણ
  • ભારતે એ પણ સ્પષ્ટતા કરવી રહી કે મિસાઇલ કયા રાસ્તે આગળ વધી રહી હતી અને અચાનક જ તેણે મારગ બદલીને પાકિસ્તાનની વાટ કેમ પકડી?

ભારતમાં હથિયારોની કમાન કોની પાસે રહે છે અને કોને તેને છોડવાના આદેશ આપવાની સત્તા મળેલી છે, જેવા સવાલ પણ પાકિસ્તાને ઉઠાવ્યા છે.

ઘટનાના બે દિવસ પછી અને પાકિસ્તાને મુદ્દો ઉઠાવ્યો તે પછી ભારત દ્વારા સ્પષ્ટીકરણ આપવાની સામે પણ પાકિસ્તાને સવાલ ઉઠાવ્યા છે.

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયને આગ્રહ કર્યો છે કે પરમાણુ હથિયારથી સંપન્ન બે રાષ્ટ્રો વચ્ચેની આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવે.

શું છે મિસાઇલ પડવાની ઘટના?

ગત શુક્રવારે (નવમી માર્ચ) ભારતે કહ્યું હતું કે તા. નવમી માર્ચે ટેકનિકલ ખામીને કારણે તેની એક મિસાઇલ પાકિસ્તાના મિયાં ચન્નુમાં જઈને પડી હતી.

પાકિસ્તાની સેનાના જનસંપર્ક અધિકારી (આઈએસપીઆર, ઇન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન્સ) મેજરલ જનરલ બાબર ઇફ્તિખારે તા. 10 માર્ચે પત્રકારપરિષદને સંબોધતા કહ્યું, "મિયાં ચાનુમાં કોઈ ચીજ ઝડપભેર ઊડતી આવી હતી અને ખાબકી હતી. જે કદાચ એક મિસાઇલ છે."

બીજા દિવસે ભારતના સંરક્ષણ મંત્રાલયે નિવેદન બહાર પાડીને સ્વીકાર્યું, "નિયમિત રખરખાવ દરમિયાન ટેકનિકલ ખરાબીને કારણે ફાયર થઈ ગઈ હતી."

ભારતનું કહેવું છે કે આ અંગે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો