You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નવજોતસિંહ સિદ્ધુનું પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું, સોનિયા ગાંધીને સંબોધીને ટ્વિટર પર કરી જાહેરાત
નવજોતસિંહ સિદ્ધુએ પંજાબ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું છે.
જોકે, તેઓ પક્ષમાં જ રહેશે એવું તેમણે સ્પષ્ટ કર્યું છે.
કૉંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને સંબોધિત કરાયેલા ત્યાગપત્રમાં તેમણે લખ્યું, "વ્યક્તિના અંતકરણનું પતન સમાધાન કરવાથી થતું હોય છે. પંજાબના ભવિષ્ય અને પંજાબના લોકોના કલ્યાણના ઍજેન્ડા પર હું ક્યારેય સમાધાન ના કરી શકું. એટલે પંજાબ પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષપદેથી હું રાજીનામું આપું છું. હું કૉંગ્રેસની સેવા કરતો રહીશ. "
આ પહેલાં પંજાબ કૉંગ્રેસના પ્રભારી હરીશ રાવતે કહ્યું હતું કે રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ અને મુખ્ય મંત્રી ચરણજિતસિંહ ચન્નીની સરકારના નેતૃત્વમાં લડવામાં આવશે.
પંજાબ કૉંગ્રેસમાં સતત ઊથલપાથલ
પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય ઘમસાણ ચાલી રહી રહ્યું છે. આ પહેલાં કૅપ્ટન અમરિંદરસિંહે પંજાબના મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું. એ વખતે સિદ્ધુએ પક્ષમાં બળવો કર્યો હતો.
કૅપ્ટનના રાજીનામા બાદ ચરણજિતસિંહ ચન્નીને રાજ્યના નવા મુખ્ય મંત્રી બનાવાયા હતા.
હવે સિદ્ધુએ રાજીનામું આપી દીધું છે અને આ દરમિયાન કૅપ્ટન અમરિંદરસિંહ આજે ગૃહમંત્રી અમિત શાહને મળી શકે એમ છે, એવું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે.
કૉંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા હતા જે બાદ એવી વાતો વહેતી થઈ હતી કે સિદ્ધુ મુખ્ય મંત્રી બનવા ઇચ્છતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાજેતરમાં જ પંજાબમાં ચરણજિતસિંહ ચન્નીની સરકારમાં નવી કૅબિનેટની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કેટલાક જુના મંત્રીઓની બાદબાકી કરી દેવામાં આવી હતી.
કૅપ્ટનની કૅબિનેટમાં સ્વાસ્થ્યમંત્રી રહી ચુકેલા બલબીરસિંહ સિદ્ધૂ પણ એવા નેતાઓમાં સામેલ છે, જેમને ફરી મંત્રીપદ નથી મળ્યું. મંત્રી પદેથી હઠાવાતાં બલબીર સિદ્ધૂ ચાલુ પ્રેસ કૉન્ફરન્સમાં રડવા લાગ્યા હતા. એ દૃશ્યો પણ ચર્ચાનો વિષય બન્યાં હતાં.
ચરણજિતસિંહ ચન્નીની કૅબિનેટનું વિસ્તરણ
પંજાબ કૅબિનેટમાં વિસ્તરણ કરવામાં આવ્યું અને નવા સાત મંત્રીઓની સાથે 15 મંત્રીઓની જાહેરાત કરવામાં આવી હતી.
પાંચ જ મહિનામાં પંજાબ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તે સમયે આ કૅબિનેટ વિસ્તરણ કરવામાં આવ્યું હતું.
પંજાબમાં મંગળવારે (આજે) નવા મંત્રીઓને વિભાગની ફાળવણી કરવામાં આવી અને તેના અમુક કલાકો બાદ જ સિદ્ધુએ સોનિયા ગાંધીને રાજીનામુ મોકલી આપ્યું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો