You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તાલિબાન : 'અફઘાનિસ્તાનમાં સ્થિતિ ડરામણી, નેવુંના દસકા તરફ પાછો જઈ રહ્યો છે દેશ' – ભારતના રાજદૂત
અમેરિકાના નેતૃત્ત્વવાળુ સુરક્ષા દળ અફઘાનિસ્તાનમાંથી પરત થયું છે. 20 વર્ષોના સંઘર્ષ બાદ હવે અફઘાનિસ્તાનમાં કોઈ વિદેશી દળ નથી. અને તાલિબાનને એક રીતે કબજો મળી રહ્યો છે. આ સ્થિતિ મામલે ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂતે ચિંતા વ્યક્ત કરી છે. તાલિબાનની પરત ફરવા સામે રાજદૂત ફરીદ મામુન્દઝયે ચિંતા વ્યક્ત કરી છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ફરીદ મામુન્દઝયે કહ્યું કે અફઘાનિસ્તાનમાં હાલ સ્થિતિ ખૂબ જ ગંભીર છે.
તેમણે કહ્યું, "જો તાલિબાન ત્યાંના આતંકી જૂથો સાથેના જોડાણ તોડી નાખે અને મુખ્ય પ્રવાહમાં જોડાય તો જ ભારતે તેને રાજકીય અને રાજદ્વારી મદદ કરવી જોઈએ."
"જો અહીં સ્થિતિ વધુ બગડે છે, તો ભારતના રોડ, સ્કૂલ, ડૅમના પ્રોજેક્ટ પર જોખમ આવી જશે. તાલિબાન પણ અફઘાની જ છે. આથી તે અફઘાનના લોકો સાથે અને અફઘાન સરકાર સાથે આજે નહીં તો કાલે વાત કરશે જ. પરંતુ ભારતે હાલ તેમને એક કડક સંદેશ મોકલવાની જરૂર છે."
વળી તેમણે ઉમેર્યું કે, "તાલિબાન સાથે ભારતની કોઈ વાતચીત ચાલી રહી છે કે કેમ તે વિશે હું સત્તાવાર રીતે હાલ કોઈ પુષ્ટિ નથી કરી શકતો."
અફઘાનિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિને લઈને તેમણે કહ્યું કે, ''સ્થિતિ ડરામણી અને કપરી છે. 150 જિલ્લાઓમાં સંઘર્ષ ચાલી રહ્યો છે, અમુક જિલ્લાઓ તાબિલાનના કબજામાં જતા રહ્યાં છે. ગત 10 અઠવાડિયામાં 3600 લોકોએ જીવ ગુમાવ્યો છે અને દેશની અંદર જ બે લાખ લોકો વિસ્થાપિત બન્યા છે.''
એમણે કહ્યું, ''સામાન્ય અફઘાન નાગરિકોને ભય છે કે દેશ ફરીથી 90ના દાયકા તરફ પાછો જઈ રહ્યો છે. અમે તાલિબાન સામે લડી શકીએ અને લોકોને સુરક્ષિત કરી શકીએ એવી સહાયતા નહીં આપવામાં આવે તો આપણે ચોક્કસ એ દિશામાં પાછા પહોંચી જઈશું.''
એમણે જરૂર પડ્યે સૈન્યની મદદ માગવાના વિચાર પર પણ હા પાડી પરંતુ હાલ તાલિબાન પર શાંતિની સ્થાપના માટે દબાણ બનાવવામાં ભારતની ભૂમિકાને મહત્ત્વની ગણાવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દરમિયાન ભારતના વિદેશ મંત્રી સાંઘાઈ કૉ-ઑપરેશન સમિટ વેળા અફઘાનના વિદેશ મંત્રીને મળ્યા છે. બંને વચ્ચે બેઠક પણ થઈ છે.
તાલિબાનની ધમકી - અફઘાન સૈનિકો આત્મસમર્પણ કરે
અફઘાનિસ્તાનના એક વરિષ્ઠ બળવાખોર નેતાએ કહ્યું છે કે તાલિબાન અફઘાન શહેરોમાં અફઘાની સૈનિકો સાથે લડાઈ લડવા નથી માગતું, પણ તે ઇચ્છે છે કે સૈનિકો આત્મસમર્પણ કરી દે.
સમાચાર એજન્સી એએફપીએ રિપોર્ટમાં તેનો ઉલ્લેખ કર્યો છે.
તેમાં જણાવાયું છે કે આ વચ્ચે તાલિબાન નેતાઓએ તુર્કીને પણ ચેતવણી આપી છે કે તેઓ અફઘાનિસ્તાનમાં પોતાની સેનાની હાજરી વધારશે.
કટ્ટરપંથી ઇસ્લામી સમૂહ તાલિબાને અફઘાનિસ્તાનના મોટા ભાગના વિસ્તારો પર કબજો કરી લીધો છે. વિદેશી સૈનિકો પરત ફર્યાં બાદ તાલિબાને ઝડપથી પોતાના કબજાવાળા વિસ્તારોનો ફેલાવો કર્યો છે.
હવે અફઘાનના ગણતરીના શહેરો જ અફઘાન સેના પાસે છે. અને ત્યાંના વિસ્તારોમાં સુવિધાનો સામાન હવાઈજહાજ મારફતે જ પહોંચાડવામાં આવી રહ્યો છે.
તાલિબાની પ્રવક્તા આમિર ખાન મુત્તાકીએ આ વચ્ચે એક સંદેશ આપ્યો છે કે, "હવે લડાઈ પહાડો અને રણના વિસ્તારો પછી શહેરો સુધી પહોંચી ગઈ છે, પરંતુ મુજાહિદ્દીન (તાલિબાની લડાકુ) શહેરોમાં લડાઈ નથી ઇચ્છતા. આથી વાતચીત દ્વારા મામલો ઉકેલી લેવાય તે સારું છે. કેમ શહેરમાં નુકસાન થાય તેવું તેઓ નથી ઇચ્છતા."
તાલિબાનની આ એક જાણીતી વ્યૂહરચના રહી છે જેમાં તે જિલ્લાના મુખ્યાલયો અને શહેરોને ચારેય બાજુથી ઘેરીને પછી તેનો સંપર્ક કાપીને કેટલાક વરિષ્ઠ અધિકારીઓ સાથે મધ્યસ્થી કરાવે છે. તાલિબાને 1990ના દાયકામાં પણ પ્રથમ વાર સત્તામાં આવવા માટે આવું જ કહ્યું હતું.
મુત્તાકીની આ નવા નિવેદન બાદ કાબુલ પોલીસના પ્રવક્તા ફિરદૌસ ફારામુર્ઝે જણાવ્યું કે કાબુલ શહેરના વચોવચ એક વિસ્ફોટ થયો જેમાં ચાર અફઘાન નાગિરકો મૃત્યુ પામ્યાં અને પાંચ ઘાયલ થયા હતા.
અફઘાનના રક્ષા મંત્રીએ એક નિવેદનમાં કહ્યું હતું કે લાંબા સંઘર્ષ બાદ અફઘાન સૈનિકોએ તાલિબાનના કબજામાંથી એક શહેરને છોડાવ્યું છે. તે પછી મુત્તાકીનું નિવેદન આવ્યું છે.
વળી તાલિબાને એક નિવેદનમાં એમ પણ કહ્યું કે કાબુલ હવાઈમથકને સુરક્ષા આપવા મામલે સેના પૂરી પાડવા મામલે તુર્કી ફરીથી વિચારણા કરે.
કહેવાય છે કે આ હવાઈમથકની સુરક્ષા મામલે અમેરિકા અને તુર્કી વચ્ચે પરસ્પર સમજૂતી થઈ હતી. પણ તાલિબાન ઇચ્છે છે કે તુર્કી પણ તેની સેના પરત બોલાવી લે.
ભારતમાં ધીમી થઈ રસીકરણની ગતિ
અંગ્રેજી અખબાર ધ હિંદુના સમાચાર અનુસાર ભારતમાં કોરોના રસીકરણે 21 જૂનથી જે ગતિ પકડી હતી એમાં 60 ટકાનો ઘટાડો થયો છે અને અનેક રાજ્યો રસીની તંગીની વાત કરી રહ્યા છે.
21 જૂનથી કેન્દ્ર સરકારે રસીકરણની વ્યવસ્થા પોતાને હસ્તક લીધી હતી. એ દિવસે ભારતમાં 91 લાખ લોકોને રસી આપવામાં આવી હતી અને 27 જૂન સુધી ચાર કરોડ લોકોનું રસીકરણ થઈ ગયું હતું.
જોકે, એ પછી રસીકરણની ગતિ મંદ પડતી ગઈ છે અને 5થી 11 જુલાઈ દરમિયાન 2.3 કરોડ રસી આપવામાં આવી. દેશમાં હાલ 38 કરોડ લોકોને રસી આપી દેવામાં આવી છે. 21 જૂન પછી દરરોજ સરેરાશ 60 લાખ રસી આપવામાં આવી રહી છે. રસીકરણનું લક્ષ્ય પૂર્ણ કરવામાં આ વર્ષના અંત સુધીમાં દરરોજ 80 લાખ રસી આપવાની જરૂર છે.
આ દરમિયાન ભારતમાં સરકારે ત્રીજી લહેર મામલે ફરી ચેતવણી ઉચ્ચારી છે. તબીબી આલમ પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી રહી છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ દેશમાં કોરોનાની લહેરોની ગંભીરતાની વાત કરીએ તો, બીજી લહેરમાં પહેલી લહેર કરતાં વધુ મોત થયા છે.
અહેવાલ અનુસાર જો પ્રથમ માર્ચથી બીજી લહેરની શરૂઆત ગણીએ તો અત્યાર સુધી તેમાં 2.5 લાખ લોકોનાં મોત થયા છે. જે પ્રથમ લહેરમાં થયેલા 1.57 લાખ મોત કરતાં વધુ છે.
આમ બીજી લહેરમાં પ્રથમ લહેર કરતાં એક લાખ લોકોનાં વધુ મોત થયા છે.
ભારતમાં અત્યાર સુધી કુલ 4.11 લાખ મોત થયા છે, જ્યારે ગુજરાતમાં સત્તાવાર મોતનો આંકડો 10 હજારને પાર કરી ચૂક્યો છે.
ભારતમાં ત્રીજી લહેર મામલે કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને ચિંતાનો વિષય ગણવામાં આવી રહ્યો છે. ઉત્તર-પૂર્વના રાજ્યો અને દક્ષિણના રાજ્યોમાં હજુ પણ કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
દરમિયાન વડા પ્રધાન મોદીએ પ્રજાને અપીલ કરી છે કે ત્રીજી લહેર જનતા જ રોકી શકે છે. તેમણે કોવિડની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા કહ્યું છે.
ભારતના પ્રથમ કોરોના દર્દીને ફરીથી કોરોના
ચીનમાં વુહાન મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતી વર્ષ 2020માં દેશમાં કોરોનાની પ્રથમ સત્તાવાર કોરોના દર્દી બની હતી. દેશમાં કોરોનોનો ડિટેક્ટ થયેલો આ પ્રથમ કેસ હતો.
'ધ હિંદુ'ના રિપોર્ટ પ્રમાણે આ યુવતીને ફરીથી સંક્રમણ થયું છે અને તેમનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.
જિલ્લાની તબીબી અધિકારી કે.જે. રીના દ્વારા આની પુષ્ટિ પણ કરાઈ હતી.
રિપોર્ટ મુજબ યુવતીએ શૈક્ષણિક કાર્ય અર્થે દિલ્હી પ્રવાસ કરવાનો હતો જેથી તેમણે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. પણ તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.
તેમણે એક પણ ડોઝ લીધેલો નથી કારણ કે તેઓ સરકારની રસીકરણની વયમર્યાદા આધરે એ માટે લાયક ઠરતાં નથી.
એલગાર પરિષદની તપાસ ટ્રાન્સફર અરજીનો એનઆઈએ દ્વારા વિરોધ
એલગાર પરિષદના આરોપીઓએ કેસની તપાસ પુણે પોલીસ પાસેથી લઈને એનઆઈએને આપી દેવા સામે બૉમ્બે હાઈકોર્ટમાં અરજી કરેલી જે મામલે એનઆઈએ વિરોધ કર્યો છે.
'ઇન્ડિયા ટુડે'ના રિપોર્ટ મુજબ એલગાર પરિષદ કેસમાં આરોપીઓએ પુણે પોલીસ પાસેથી તપાસ એનઆઈએને સોંપવાની બાબત સામે અરજી કરી હતી. બોમ્બે હાઇકોર્ટમાં આ મામલે પિટિશન દાખલ કરી હતી.
જેના જવાબમાં એનઆઈએ દ્વારા એફિડેવિટ દાખલ કરી અરજીનો વિરોધ કરાયો છે.
એજન્સીએ કહ્યું, "અમે માત્ર અમારી ફરજ નિભાવી રહ્યા છીએ અને દેશમાં ફેલાયેલી નક્સલી બીમારી સામે લડી રહ્યા છે."
અત્રે નોંધવું કે કેસમાં સુરેન્દ્ર ગડલિંગ અને સુધીર ધાવલેને આરોપી બનાવાયા છે. અને વર્ષ 2020ના જાન્યુઆરીમાં આ કેસની તપાસ પુણે પોલીસ પાસેથી એનઆઈએને સોંપવામાં આવી હતી. દલિત કર્મશીલ સુધીર ધાવલે ભીમાં કોરેગાંવના કાર્યક્રમા આયોજક હતા અને તેઓ મરાઠી સામયિક વિદ્રોહીનું સંપાદન કરતા હતા. સુરેન્દ્ર ગડલિંગ વ્યવસાયે વકીલ છે. તેઓ 'ઇન્ડિન એસોસિયેશન ઑફ પીપલ્સ લૉયર્સ'ના મહાસચિવ છે.
આ કેસમાં કથિત રીતે 'નરેન્દ્ર મોદીની હત્યાના ષડય્ંત્ર'ની વાત પણ સામે આવી હતી.
ભીમા કોરેગાંવ હિસા કેસમાં એક આરોપી ફાધર સ્ટેનનું તાજેતરમાં અવસાન થયું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો