ગુજરાતમાં ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય - BBC TOP NEWS

ગુજરાત સરકારે ગુરુવારે નિર્ણય કર્યો છે કે રાજ્યમાં કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને ધોરણ 10 એસ.એસ.સી.ના રેગ્યુલર વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવામાં આવશે.

રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ-ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 શાળાઓ મળી કુલ 10,977 શાળાઓમાં ભણતાં ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે.

રાજ્યમાં તારીખ 10 મેથી 25 મે દરમિયાન યોજાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓને હાલમાં જ સરકારે મોકૂફ રાખી હતી.

સરકારે ધોરણ 1થી 9 અને 11મા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય પહેલાં જ કર્યો હતો.

તેમજ ધોરણ-10ના રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે.

સ્પુતનિક V : રશિયાની કોરોના રસી ક્યારે ભારતની બજારમાં મળશે, શું કહ્યું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે?

રશિયાની સ્પુતનિક કોરોના રસી જલદી ભારતનાં બજારોમાં આવશે એવું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનું કહેવું છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક પત્રકારપરિષદમાં કહ્યું કે રશિયાની સ્પુતનિક વી રસી આવતા અઠવાડિયે બજારમાં ઉપલબ્ધ થઈ જશે.

આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે ભારતીય લોકોએ ચિંતા ન કરવી જોઈએ, કારણ કે આવનારા મહિનાઓમાં નાગરિકો માટે કરોડો ડોઝ ઉપલબ્ધ થઈ જશે.

પત્રકારપરિષદમાં નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પૉલે કહ્યું, " સ્પુતનિક રસી ભારત પહોંચી ગઈ છે. મને આશા છે કે આવતા અઠવાડિયા સુધીમાં આ રસી બજારમાં ઉપલબ્ધ થશે. હાલમાં આ સીમિત માત્રામાં વેચવા માટે ઉપલબ્ધ છે, પરંતુ ત્યારબાદ પણ રસીનો સપ્લાય ચાલુ રહેશે."

"દેશમાં આ રસીનું ઉત્પાદન જુલાઈ મહિનામાં શરૂ થયું અને એક અનુમાન અનુસાર 15.6 કરોડ ડોઝનું ઉત્પાદન શરૂ થશે."

ડૉ. વી.કે પૉલે કહ્યું, "ભારતમાં ઑગસ્ટ અને ડિસેમ્બર વચ્ચે રસીના 216 કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. આ બધી રસી ભારતીય નાગરિકો માટે હશે."

તેમણે કહ્યું કે ફ્રન્ટલાઇન વર્કર્સ માટે રસીકરણનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. 45 વર્ષથી વધારે ઉંમરના લોકોમાંથી તૃતીયાંશ વસતીને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે.

રસીના ડોઝની અછત પર તેમણે કહ્યું કે "ઑગસ્ટ અને ડિસેમ્બર વચ્ચે ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ રસીના 75 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે.

ત્યારે ભારત બાયોટેક ત્રણ અન્ય કંપનીઓ સાથે મળીને કોવૅક્સિનના 55 કરોડ ડોઝ બનાવશે."

ભારતની અન્ય કંપની બાયોલૉજિકલ આની સબયુનિટ રસીનું ઉત્પાદન જલદી શરૂ કરશે. ભારત સરકારને અહીંથી 30 કરોડ ડોઝ મળવાની આશા છે. ત્યારે ઝાયડસ કેડિલાની રસીનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને તે જલદી રસીના વપરાશ માટે મંજૂરની અરજી કરશે.

સીરમ-નોવાવૅક્સની રસીના 20 કરોડ ડોઝ જલદી મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

અનુપમ ખેર બોલ્યા, 'સરકારની ટીકા યોગ્ય, વહેતી લાશોની અસર કોના પર ન થાય'

અભિનેતા અનુપમ ખેર અવારનવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરે છે. તેઓ અનેક મોરચે ભાજપનો બચાવ કરે છે. તેમનાં પત્ની કિરણ ખેર ચંડીગઢથી ભાજપના સાંસદ પણ છે.

બુધવારે અનુપમ ખેરે NDTVને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કોરોનાના સંકટમાં સરકાર 'લપસી' પડી છે. તેમણે કહ્યું કે સરકારની જવાબદારી નક્કી થાય એ અત્યંત જરૂરી છે.

અનુપમ ખેરે કહ્યું, "તેઓ લપસી પડ્યા છે… કદાચ એ સમય પાકી ગયો છે. જ્યારે તેમને સમજી જવું પડશે કે પોતાની છબિનિર્માણ કરવાથી પણ જરૂરી લોકોનાં જીવન છે."

"મારું માનવું છે કે ઘણા મામલાઓમાં સરકારની ટીકા યોગ્ય છે."

"લોકોએ જ સરકારને ચૂંટી છે અને તેમણે કામ કરવું પડશે. મને લાગે છે કે ગંગામાં વહેતી લાશો જોઈને પ્રભાવિત ન થવાય તો તે અમાનવીય કહેવાશે. પરંતુ આનો લાભ કોઈ બીજો પક્ષ ઉઠાવે એ પણ ઠીક વાત નથી."

મોદી સરકારે યુવાનો માટે ન વૅક્સિન રહેવા દીધી ન વૅકન્સી : કૉંગ્રેસ નેતા ખડગે

કોરોનાની બીજી લહેરના કારણે સર્જાયેલી મિનિ લૉકડાઉનની પરિસ્થિતિને કારણે દેશમાં માત્ર એપ્રિલ માસમાં 75 લાખ લોકોની નોકરીઓને અસર થઈ હોવાનો અંદાજ છે.

જેના કારણે બેરોજગારીનો દર ચાર માસની ટોચે પહોંચી આઠ ટકાને અડકી ગયો હતો.

ધ બિઝનેસ સ્ટાન્ડર્ડ ડોટકૉમના અહેવાલ અનુસાર સેન્ટર ફૉર મોનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી દ્વારા આ વાત અંગેની જાણકારી આપવામાં આવી હતી.

CMIEના મૅનેજિંગ ડિરેક્ટર ઍન્ડ ચીફ ઍક્ઝિક્યૂટિવ મહેશ વ્યાસે સમાચાર સંસ્થા PTI સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન દેશની શહેરી બેરોજગારી અને ગ્રામીણ બેરોજગારીનું પ્રમાણ વધીને અનુક્રમે 9.78 ટકા અને 7.13 ટકા થઈ ગયું છે.

આ જાણકારીનો સંદર્ભ ટાંકતાં ટ્વિટર પર કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ ફરી એક વાર મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા છે.

તેમણે લખ્યું, "ભાજપને એક પછી એક સંદિગ્ધ રેકૉર્ડ સ્થાપવાનું ગમે છે. ભારતનો બેરોજગારીનો દર પહેલાંથી 46 વર્ષની ટોચ પર હતો."

"હવે CMIEના રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે માત્ર ફેબ્રુઆરીથી એપ્રિલ સુધી જ દેશમાં 86 લાખ લોકોની નોકરીઓ ગઈ છે."

"મોદી સરકારે આપણા યુવાનો માટે દેશમાં ન વૅક્સિન રહેવા દીધી ન વૅકન્સી"

ગાંધીનગરમાં કર્ફ્યુ દરમિયાન ધાર્મિક મેળાવડો યોજવા બદલ 125 લોકો સામે ગુનો દાખલ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગાંધીનગર જિલ્લાના પાલોડિયા ગામ ખાતે કેટલાક લોકોએ કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરી ધાર્મિક કાર્યક્રમ યોજ્યો હોવાનો આરોપ છે. જે અંગે જિલ્લા પોલીસે 125 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

મંગળવારે કલોલ તાલુકાના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ, વી. એન. સોલંકીએ આ અંગે વાત કરતાં કહ્યું કે, "આ બનાવ મંગળવારે કલોલ તાલુકામાં સવારે દસ વાગ્યે બન્યો હતો."

"જે બાદ 15 લોકોની ધરપકડ કરી લેવાઈ છે."

તેમણે કહ્યું કે આ પ્રાર્થનાના કાર્યક્રમમાં 125 સ્ત્રી અને પુરુષોએ ભાગ લીધો હતો.

વધુ માહિતી આપતા સોલંકીએ જણાવ્યું, "ગામલોકોને કોરોનાની ગાઇડલાઇનના પાલન અંગે જાગૃત કરવાના પ્રયત્નો કરાયા છતાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઘણા લોકો એકઠા થયા હતા."

ગુજરાતમાં કોવિડ નિયમોનું પાલન સુનિશ્ચિત કરાવવા એક લાખ પોલીસકર્મી તહેનાત

લાઇવમિન્ટ ડોટકૉમના એક અહેવાલ પ્રમાણે બુધવારે એક અધિકારીએ જાણકારી આપી હતી કે કોરોનાના વધતાં સંક્રમણને જોતાં રાજ્યમાં કોરોનાના નિયમોનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરાવવા એક લાખ પોલીસ કર્મીઓ તહેનાત કરાયા છે.

તેમણે આગળ આ અંગે જાણકારી આપતા કહ્યું કે, "56 હજાર પોલીસદળના જવાનો, પાંચ હજાર SRP જવાનો, 13 હજાર હોમગાર્ડ અને 30 હજાર ગ્રામરક્ષકદળના જવાનો રાજ્યભરમાં તહેનાત કરાયેલા છે."

નોંધનીય છે કે ગુજરાત સરકારે મંગળવારે ફરી એક વાર રાજ્યનાં 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ વધારી દીધો હતો.

આ જાહેરાત બાદ ગુજરાતના પોલીસ મહાનિદેશક આશીષ ભાટીયાએ મંગળવારે એક વર્ય્યુઅલ મિટિંગ યોજી હતી.

જેમાં તેમણે સિનિયર પોલીસ અધિકારીઓને ગાઇડલાઇનનું કડક પાલન કરાવવાની સૂચના આપી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો