Tauktae વાવાઝોડું : હવમાન વિભાગની ઍલર્ટ, ગુજરાતમાં અહીં વાવાઝોડું ટકરાશે, ક્યાંક-ક્યાંક વરસાદ શરૂ

અરબ સાગરમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું પેદા થવાના અણસાર મળી રહ્યા છે અને તેને કારણે હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

હાલ લક્ષદ્વીપની આસપાસના વિસ્તારમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે, જે ડિપ્રેશન અને પછી વાવાઝોડામાં ફેરવાઈ જશે. આ ચક્રવાત આ વર્ષનું અતિભીષણ વાવાઝોડું પણ બની શકે છે.

વાવાઝોડાની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાંના ધારી આસપાસનાં ગામોમાં વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ સાવરકુંડલામાં પવન ફૂંકાયો હતો.

વાવાઝોડાની શક્યતાના પગલે જાફરાબાદના પીપાવાવ બંદર ખાતે એક નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું હતું. એ જ પ્રકાર કંડલા બંદરે બે નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું હતું.

શુક્રવારે સવારે હવામાનવિભાગે જાહેર કરેલા બુલેટિન પ્રમાણે આગામાં 12 કલાક દરમિયાનની સ્થિતિ મહત્ત્વની રહેશે, આ દરમિયાન તે તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ શકે છે.

હાલ દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારે છે, જે વાવાઝોડું વધારે તીવ્ર બને એવી સ્થિતિ માટે અનુકૂળ છે.

બીજી તરફ હવે હવામાન વિભાગે માહિતી આપી છે કે ચક્રવાત સર્જાયા બાદ તે ગુજરાત તરફ આગળ વધશે.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે NDRF દ્વારા કુલ 53 ટુકડીઓને તૈયાર રાખવામાં આવી છે.

એનડીઆરએફના ડિરેક્ટર જનરલ સત્યનારાયણ પ્રધાનના ટ્વીટ પ્રમાણે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને તામિલનાડુમાં 24 ટુકડીઓને ડિપ્લોય કરાઈ છે, જ્યારે 29 ટીમ સ્ટેન્ડ બાય પર છે.

દરિયામાં રહેલાં માછીમારોને કિનારા પર પાછા આવવાની સલાહ આપવામાં આવી છે.

સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ અનુસાર અરબ સાગરમાં હવાનું હળવું દબાણ સર્જાતા ભારતના હવામાન વિભાગે માછીમારો માટે વૉર્નિંગ જાહેર કરી હતી.

તેને ધ્યાનમાં રાખીને કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટીએ કેરળના દરિયાકાંઠેથી માછીમારી પર 17 મે સુધી પ્રતિબંધ મૂક્યો છે.

વાવાઝોડું ગુજરાતમાં ક્યાં ટકરાઈ શકે?

અરબ સાગરમાં સર્જાનારું આ તૌકતે વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે 18 મેના રોજ પહોંચી શકે છે.

હાલની સ્થિતિ પ્રમાણે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે મંગળવારે સાંજના સમયે ગુજરાતના દરિયાકિનારે ટકરાશે.

જોકે, વાવાઝોડું સર્જાયા બાદ તે કેટલી ઝડપથી આગળ વધે છે તેના આધારે નક્કી થશે કે તે ગુજરાતના દરિયાકિનારે ક્યારે પહોંચશે.

હાલની આગાહી પ્રમાણે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર તેનો ખતરો તોળાઈ રહ્યો છે.

અરબ સાગરમાં આ પહેલાં પણ ઘણાં વાવાઝોડાં પેદાં થયાં છે પરંતુ તે ઓમાન તરફ વળી જાય છે અથવા તે દરિયામાં સમાઈ જાય છે.

મોટા ભાગનાં વાવાઝોડાં ગુજરાતની જમીન પર ત્રાટકતાં નથી. જોકે, આ વાવાઝોડું સુપર સાયક્લૉન બનશે તો તેનો ખતરો વધારે હશે.

શું વાવાઝોડું અતિતીવ્ર બનશે?

હવામાન વિભાગ અને બીજી કેટલીક હવામાન એજન્સીઓનું કહેવું છે કે વાવાઝોડું તૌકતે કદાચ અતિ ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. એટલે કે તે સુપર સીવર સાયક્લૉન બની શકે છે.

હિંદુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતાં ભારતીય હવામાન વિભાગના સાયક્લૉન વિભાગના ઇન્ચાર્જે સુનિતા દેવીએ કહ્યું, "અમે એવી શક્યતાને નકારતાં નથી, કદાચ આ વાવાઝોડું અંફાનની જેવું બની શકે."

"હાલના તબક્કે એ કહેવું અઘરું છે કે વાવાઝોડું કઈ કૅટેગરી સુધી તીવ્ર બનશે. હાલ દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં 1થી 2 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. જેના કારણે તે તીવ્ર બની શકે છે. આપણે તૈયાર રહેવું જોઈએ."

ગુજરાતમાં ક્યાં ક્યારે પડશે વરસાદ?

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાની આગાહી અને ચોમાસા પહેલાંના વરસાદની પરિસ્થિતિ મામલે બેઠક પણ કરી હતી.

તેમજ તેમણે દરિયા કિનારાના જિલ્લાઓમાં અધિકારીઓને હાઈ એલર્ટ પર રહેવાની સૂચના આપી છે અને સાવચેતીના પગલા લેવાની તાકીદ કરી હતી.

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ પૂર્વ મધ્ય અરબ સાગરમાં વાવાઝોડું સર્જાવાની શક્ય સ્થિતિના પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા વિસ્તારોનો સમાવેશ થાય છે.

વાવાઝોડામાં દરિયો તોફાની થવાની શક્યતાને જોતા માછીમારોને દરિયામાં ન જવાની તાકીદ કરવામાં આવી છે.

હવામાન વિભાગ મુજબ 15 મેના રોજ સુરત, ભરૂચ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.

ત્યારે 16 મેના રોજ દરિયાકાંઠે ચક્રવાત સર્જાય ત્યારે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ પડવાની શક્યતા છે.

17મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે. એટલે કે 17 મેના રોજ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.

જો આ સાયક્લોન સર્જાશે તો તેને તૌક્ટે નામ આપવામાં આવશે. આ નામ મ્યાનમાર તરફથી સૂચવવામાં આવ્યું છે. જેનો અર્થ એક પ્રકારની ગરોડી થાય છે.

વાવાઝોડું ગુજરાતને અસર કરશે?

હવામાન વિભાગના નિષ્ણાતો અનુસાર સામાન્ય રીતે ચોમાસા પહેલાં એટલે કે મે મહિનાની આસપાસ અરબ સાગરમાં સર્જાતાં વાવાઝોડાં ગુજરાત પર આવતાં નથી. મોટાં ભાગનાં વાવાઝોડાં અરબ સાગરમાં ગુજરાત તરફ આગળ વધી ઓમાન તરફ ફંટાઈ જાય છે.

જોકે, ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે કેટલાંક આંકડાકીય મૉડલમાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે આ વાવાઝોડું ગુજરાતના કચ્છ પરથી થઈને પાકિસ્તાન તરફ જઈ શકે છે.

જોકે એની સામે બીજાં કેટલાંક મૉડલમાં તે ઓમાન તરફ ફંટાઈ જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ તરફથી આ મામલે બે-ત્રણ દિવસમાં સ્પષ્ટતા મળશે.

અરબ સાગરમાં વાવાઝોડાનો રેકૉર્ડ

વર્ષ 2019માં અરબ સાગરમાં કુલ ચાર વાવાઝોડાં સર્જાયાં હતાં. આવું 117 વર્ષ બાદ પહેલી વખત બન્યું હતું.

2019માં અરબ સાગરમાં વાયુ, હિકા, ક્યાર અને મહા વાવાઝોડાં સર્જાયાં હતાં.

જ્યારે વર્ષ 2020માં પણ અરબ સાગરમાં બે વાવાઝોડાં સર્જાયાં હતાં. જેમાં જૂન મહિનાની શરૂઆતમાં સર્જાયેલા નિસર્ગ વાવાઝોડાને સિવિયર સાયક્લૉન કહેવામાં આવ્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો