You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નિવાર : વાવાઝોડાને આ નામ કોણે આપ્યું?
- લેેખક, ભારની ધરન
- પદ, બીબીસી તામિલ
ભારતીય હવમાના વિભાગ પ્રમાણે નિવાર હવે કમજોર પડી ગયું છે.
હવામાન વિભાગ પ્રમાણે આગામી થોડા કલાકોમાં હવાની ગતિ 100-110 કિલોમિટર પ્રતિ કલાકથી ઘટીને 65-75 કિલોમિટર પ્રતિ કલાક થઈ જશે, જોકે આમ છતાં ખતરો હજી ટળ્યો નથી.
નિવાર આ વર્ષે બંગાળની ખાડીમાં સર્જાયેલું બીજું મોટું વાવાઝોડું છે. અગાઉ મે મહિનામાં અમ્ફન વાવાઝોડું આવ્યું હતું.
નિવાર નામ કોણે આપ્યું?
આ નામ ઈરાન દ્વારા સૂચવવામાં આવ્યું છે. 2020નાં ઉત્તર હિંદ મહાસાગરનાં વાવાઝોડાં માટેનાં નામોની યાદીમાંથી ઉપયોગમાં લેવાયેલું ત્રીજું નામ છે. નિવારનો અર્થ છે રોકવું.
ત્રણ દિવસ પહેલાં (22 નવેમ્બરના રોજ) સોમાલિયામાં જે વાવાઝોડું આવ્યું હતું, તેનું ભારત દ્વારા નામ પાડવામાં આવ્યું હતું. આ વાવાઝોડાને ગતિ નામ આપવામાં આવ્યું હતું, જેનો અર્થ ઝડપ થાય છે.
એશિયા અને પ્રશાંત વિસ્તાર માટે સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક કમિશન (ઈએસસીએપી) અને વિશ્વ ઋતુ સંગઠન (ડબ્લુએમઓ) દ્વારા 2000ની સાલમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાતાં વાવાઝોડાં માટે નામ આપવાની પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી.
આ અંતર્ગત બાંગ્લાદેશ, ભારત, માલદીવ, મ્યાંમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલૅન્ડ જેવા દેશોના એક જૂથ દ્વારા બંગાળની ખાડી અને આરબ સાગરમાં સર્જાતાં વાવાઝોડાં માટે 13 નામોની યાદી સોંપવામાં આવી હતી.
2018માં આ જૂથમાં ઈરાન, કતાર, સઉદી આરબ, સંયુક્ત આરબ અમીરાત અને યમન પણ જોડાઈ ગયાં. આ પેનલ ચક્રવાતને નામ આપવાનું કામ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દેશો દ્વારા સૂચવવામાં આવતાં નામોની યાદી દેશોનાં નામોની વર્ણમાળા પ્રમાણે બનાવાવમાં આવે છે. આ યાદીની શરૂઆત બાંગ્લાદેશથી થાય છે.
જે બાદ ભારત, ઈરાન, માલદીવ, ઓમાન અને પાકિસ્તાનનું નામ આવે છે.
આ ક્રમ પ્રમાણે ચક્રવાતનું નામ રાખવામાં આવે છે.
નિવાર પછીનાં વાવાઝોડાંનાં નામો આ મુજબ છે - બુરેવી (માલદીવ), તૌકતે (મ્યાંમાર), યાસ (ઓમાન) અને ગુલાબ (પાકિસ્તાન). એપ્રિલ 2020માં આ નામો ધરાવતી યાદીને સભ્ય દેશો દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી છે.
વાવાઝોડાને નામ આપવા પાછળનો હેતુ
સમગ્ર વિશ્વમાં છ ખાસ ઋતુ કેન્દ્ર છે અને પાંચ વાવાઝોડાં માટે ચેતવણી કેન્દ્ર છે. આ કેન્દ્રોનું કામ વાવાઝોડાં સંબંધિત દિશાસૂચનો બહાર પાડવાનું અને તેમનાં નામ રાખવાનું છે.
છ ખાસ ઋતુ કેન્દ્રોમાં એક ભારતીય મોસમ વિભાગ પણ છે, જે વાવાઝોડાં અને આંધી માટે ઍડ્વાઇઝરી બહાર પાડે છે.
નવી દિલ્હી ખાતે આવેલા આ કેન્દ્રનું કામ ઉત્તર હિન્દ મહાસાગરમાં સર્જાતા તોફાનોનું નામ રાખવાનું પણ છે. ઉત્તર હિન્દ મહાસાગરમાં બંગાળની ખાડી અને આરબ સાગર સામેલ છે.
ચક્રવાતનું નામ રાખવાના કારણે વૈજ્ઞાનિકો, આપદા પ્રબંધકો, મીડિયા અને સામાન્ય લોકોને દરેક ચક્રવાતને જુદી-જુદી રીતે ઓળખવામાં મદદ મળે છે.
નામ આપવાથી જાગરુકતા ફેલાવવામાં પણ સરળતા રહે છે.
2000ના વર્ષે મસ્કતમાં યોજાયલા ઈએસસીએપી અને ડબ્લુએમઓના 27મા સંમેલન બાદ વાવાઝોડાંનાં નામો રાખવા માટે બધા દેશો સૈદ્ધાંતિક રીતે તૈયાર થયા અને 2004ના સપ્ટેમ્બર મહિનામાં સભ્ય દેશો વચ્ચે લાંબી મંત્રણા બાદ આનો આરંભ કરવામાં આવ્યો હતો.
તે વખતે યાદીમાં આઠ દેશો દ્વારા સૂચવવામાં આવેલાં નામો હતાં. છેલ્લા નામ અમ્ફનને છોડીને, અત્યાર સુધી ઉપયોગમાં લેવામાં આવેલા બધાં નામો આ યાદીમાં હતાં.
2018માં ઈએસસીએપી અને ડબ્લુએમઓના 45મા સંમેલનમાં વાવાઝોડાંનાં નામો ધરાવતી નવી યાદી તૈયાર કરવામાં આવી. આમાં પાંચ નવા સભ્ય દેશો દ્વારા સૂચવવામાં આવેલાં નામો પણ હતાં.
આ દેશો છે ઈરાન, કતાર, સઉદી આરબ, સંયુક્ત આરબ અમિરાત અને યમન, હવે 13 સભ્યો થઈ ગયા છે.
આ સંમેલનમાં ભારતીય મોસમ વિભાગના ડૉ. મૃત્યુંજય મહાપાત્રાને અલગ-અલગ દેશો વચ્ચે સંકલન કરવાની જવાબદારી આપવામાં આવી હતી, જેથી બધા નિયમોનું પાલન કરીને વાવાઝોડાંનાં નામકરણ થઈ શકે.
તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ રિપોર્ટને મ્યાંમારમાં યોજાયલા 46મા સંમેલનમાં રજૂ કરવામાં આવ્યો હતો અને વિચાર બાદ રિપોર્ટને એપ્રિલ 2020માં મંજૂર કરવામાં આવ્યો હતો.
નામકરણ કરતી વખતે કયાં માપદંડોનો ખ્યાલ રાખવામાં આવે છે?
- જે નામ સૂચવવામાં આવ્યું હોય તે કોઈ પણ રાજકીય પાર્ટી, વ્યક્તિ, ધર્મ, સંસ્કૃતિ અને લિંગના આધારે ન હોવું જોઈએ.
- નામ એવું હોવું જોઈએ, જેનાથી કોઈ જૂથ અથવા સમૂહની લાગણી ન દુભાય.
- નામ બહુ ક્રૂર અને લાગણીવિહોણું ન હોવું જોઈએ.
- ટૂંકું અને સરળતાથી બોલી શકાય તેવું નામ હોવું જોઈએ અને કોઈ પણ સભ્ય દેશો માટે અપમાનજનક ન હોવું જોઈએ.
- અંગ્રેજીનાં માત્ર આઠ અક્ષરોવાળું હોવું જોઈએ.
- સૂચવવામાં આવતું નામ ઉચ્ચારણ અને વૉઇસ-ઑવર સાથે હોવું જોઈએ.
- જો કોઈ નામ માપદંડ પ્રમાણે ન હોય તો પેનલ પાસે નામ રદ કરવાની સત્તા છે.
- કોઈ પણ વાંધો હોય તો વાર્ષિક સંમેલનમાં પેનલની મંજૂરી સાથે નક્કી કરવામાં આવેલાં નામોની સમીક્ષા કરી શકાય છે.
- એક નામનો ફરી ઉપયોગ કરી ન શકાય, એટલા માટે દર વખતે નવું નામ હોવું જોઈએ. જે નામ સૂચવવામાં આવે છે તે ભારતીય મોસમ વિભાગની સાથે બીજાં કોઈ પણ મોસમ કેન્દ્રમાં નોંધાયલું ન હોવું જોઈએ.
- 2004માં આઠ દેશોએ જે યાદી તૈયાર કરી હતી, તેમાં સામેલ નામો અમ્ફન વાવાઝોડું આવતાં સુધી પૂર્ણ થઈ ગયાં હતાં.
- ભારતીય મોસમ વિભાગના ડિરેક્ટર જનરલ કહે છે કે ઉત્તર હિન્દ મહાસાગરમાં દર વર્ષે પાંચ ચક્રવાત સર્જાય છે અને તે હિસાબે આવનારાં 25 વર્ષો સુધી જે યાદી તૈયાર કરવામાં આવી છે, તેમાં સામેલ નામોથી કામ ચાલી જશે.
નવી યાદીમાં દરેક દેશે 13 નામો આપ્યાં છે: અર્નબ (બાંગ્લાદેશ), શાહીન અને બહાર (કતeર), લુલુ (પાકિસ્તાન) અને પિંકુ (મ્યાંમાર).
ભારત દ્વારા સૂચવવામાં આવેલાં નામો: ગતિ, તેજ, મુરાસુ (તામિલનું એક વાદ્યયંત્ર), આગ, નીર, પ્રભાંજન, ઘુરની, જલાધિ અને વેગા.
સામાન્ય લોકો પણ નામ સૂચવી શકે છે
સામાન્ય લોકો પણ ભારતીય મોસમ વિભાગને સૂચિમાં નામ સામેલ કરવા માટે સૂચનો આપી શકે છે.
પ્રસ્તાવિત નામ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યાં હોય છે. આ નામો નાનાં હોય અને સરળતાથી સમજાય એવાં રાખવામાં આવે છે.
સાંસ્કૃતિક રૂપે સંવેદનાઓનો ખ્યાલ રાખવામાં આવ્યો હોય અને કોઈ પણ પ્રકારે ભાવનાઓને ભડકે એવાં નામ ન હોઈ શકે.
સૂચિત નામ આ સરનામા પર મોકલી શકાય:
મહાનિદેશક, ભારતીય મોસમ વિભાગ, મોસમ ભવન, લોદી રોડ, નવી દિલ્હી - 110003
તોફાન અને ચક્રવાતમાં શું અલગ છે?
દક્ષિણ પ્રશાંત અને હિંદ મહાસાગરમાં ઊઠતાં તોફાનને ચક્રવાતનાં નામે ઓળખવામાં આવે છે.
ઉત્તર એટલાન્ટિક, મધ્ય-ઉત્તર પ્રશાંત અને પૂર્વ ઉત્તર પ્રશાંત મહાસાગરમાં ક્ષેત્રમાં આની માટે હરિકેન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઉત્તર-પશ્ચિમ પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં આને ટાઇફૂન કહે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો