પશ્ચિમ બંગાળમાં ભાજપ સત્તામાં ન આવ્યો, પણ પરાજય નથી થયો, કઈ રીતે?

    • લેેખક, રજનીશ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

માટીગરા-નક્સલવાડી વિધાનસભા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના આનંદમોય બર્મને તૃણમૂલ કૉંગ્રેસ(ટીએમસી)ના રાજન સુંદાસને 70,000થી વધુ મતની સરસાઈ વડે હરાવ્યા છે.

આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. 2016ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી કૉંગ્રેસના શંકર માલાકાર વિજેતા બન્યા હતા, પણ આ વખતે તેઓ ત્રીજા નંબરે રહ્યા હતા.

આ એ જ નક્સવાડી વિસ્તાર છે, જ્યાંથી ઉગ્રવાદી ડાબેરી નેતાઓએ 1967માં 'સશસ્ત્ર આંદોલન' શરૂ કર્યું હતું અને અનેક રાજ્યોના મજૂરો, ભૂમિહીનો, દલિતો, આદિવાસીઓ અને શોષિતોને આકર્ષિત કર્યા હતા.

નક્સલવાડીમાં ભાજપની જીતનું મૂલ્યાંકન પશ્ચિમ બંગાળના બીજા કોઈ મતવિસ્તારમાંની જીતની માફક કરવું જોઈએ?

ભાજપને અનુસૂચિત જનજાતિઓની મદદ મળી

નક્સલવાડી આંદોલનના જનક ચારુ મઝૂમદારના પુત્ર અભિજિત મઝૂમદાર જણાવે છે કે વ્યાપક દૃષ્ટિએ જોઈએ તો એવું લાગે છે કે બીજેપી દેશભરમાં જીતતી હોય તો નક્સલવાડીમાં પણ જીતી શકે.

જોકે, અભિજિત ભાજપના આ વિજયને એક સામાન્ય જીત કરતાં કંઈક વધારે ગણે છે.

તેઓ કહે છે "આ વિજયથી ખબર પડે છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિઓમાં ડાબેરીઓની પકડ બહુ નબળી પડી છે અને ભાજપ તેમાં જમાવટ કરી ચૂક્યો છે."

અભિજિત કહે છે કે, "માટીગરા-નક્સલવાડી વિધાનસભા મતવિસ્તારમાં 30 ટકા વસતી અનુસૂચિત જાતિઓના લોકોની છે. એ લોકોના ટેકા વિના બીજેપી આ બેઠક જીતી જ ન શકે."

આદિવાસીઓમાં પણ ભાજપે કરેલા પગપેસારાનો દાખલો મઝૂમદાર આપે છે.

તેઓ કહે છે કે "આ વિસ્તારમાં ફાંસીદેવા વિધાનસભા મતક્ષેત્ર છે અને ત્યાં પણ ભાજપનાં દુર્ગા મુર્મુને લગભગ 30,000 મતની સરસાઈથી વિજય મળ્યો છે."

"એ અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છે. કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા- માર્ક્સવાદી/લેનિનવાદી (CPI-ML)એ ચાના બગીચાની એક મજૂર યુવતી સુમંતી એક્કાને ઉમેદવાર બનાવ્યાં હતાં, પરંતુ સુમંતીને 3,000 મત પણ મળ્યા નહીં."

"પશ્ચિમ બંગાળમાં દલિતો તથા આદિવાસીઓનો સાથ મેળવવાના ભાજપના પ્રયાસ સફળ થતા દેખાઈ રહ્યા છે."

આ વખતે ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો સ્પષ્ટ થઈ જાય છે કે દલિતો અને આદિવાસીઓમાં ભાજપનો પ્રભાવ વધી રહ્યો છે.

294 બેઠકોવાળી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં 84 બેઠકો અનામત છે.

એ પૈકીની 68 અનુસૂચિત જાતિ માટે અને 16 અનુસૂચિત જનજાતિઓ માટે અનામત છે. આ વખતે ટીએમસીને 45 અનામત બેઠકો પર વિજય મળ્યો છે, જ્યારે ભાજપે 39 અનામત બેઠકો જીતી છે.

પરિણામ કોની તરફેણમાં?

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામને અનેક દૃષ્ટિકોણથી નિહાળી શકાય. સૌપ્રથમ તો એ કે મમતા બેનરજી આસાનીથી ચૂંટણી જીતી ગયાં અને ભાજપ તેમને જોરદાર ટક્કર આપી શક્યો નહીં.

આ વખતે ભાજપનો વોટશૅર 38.1 ટકા છે, જ્યારે ટીએમસીનો 47.94 ટકા. ટીએમસીને કુલ 294 બેઠકમાંથી 213, જ્યારે બીજેપીને 77 બેઠકો મળી છે.

ભાજપ કરતાં ટીએમસીને લગભગ 10 ટકા મત વધારે મળ્યા છે અને એ તફાવત નાનો નથી.

2019ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને 40.30 ટકા મત મળ્યા હતા. લોકસભા ચૂંટણી સાથે સરખામણી કરીએ તો ભાજપને વિધાનસભા ચૂંટણીમાં બે ટકા ઓછા મત મળ્યા છે.

બીજી તરફ ટીએમસીને 2019માં 43.30 ટકા મત મળ્યા હતા, જે વિધાનસભા ચૂંટણીમાં વધીને 48.20 ટકા થઈ ગયા છે.

ભાજપને 2019ની ચૂંટણીના વોટશૅર અનુસાર વિજય મળ્યો હોત તો તેના લગભગ 121 વિધાનસભ્યો જિત્યા હોત, પણ વાસ્તવમાં 77 જ જિત્યા છે, કારણ કે તેના વોટશૅરમાં ઘટાડો થયો છે, જ્યારે ટીએમસીના વોટશૅરમાં વધારો થયો છે.

વોટશૅર અને બેઠકોની સંખ્યાના સંદર્ભમાં પશ્ચિમ બંગાળમાં ટીએમસીની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે, પણ 2016ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીના દેખાવની સરખામણીએ વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં આ તેની જીત મોટી છે.

ત્રણ બેઠકથી 77 બેઠક સુધી

2016ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર ત્રણ બેઠકો મળી હતી અને આ વખતે 77 બેઠકો મળી છે. 2016ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વોટશૅર લગભગ દસ ટકા હતો.

2019ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપની લોકપ્રિયતામાં મોટો વધારો થયો અને તેણે વોટશૅરના મામલે એક ઝાટકે 40 ટકાનો આંકડો પાર કરી લીધો હતો.

ભાજપને આ વખતની વિધાનસભા ચૂંટણીમાં 38.01 ટકા મત મળ્યા છે.

તાજેતરની આ ચૂંટણીમાં ભાજપની સામે કૉંગ્રેસ અને ડાબેરી પક્ષોનો સફાયો થઈ ગયો છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં કૉંગ્રેસ અને ડાબેરી પક્ષોનો એક પણ ઉમેદવાર ન ચૂંટાયા હોય તેવું આઝાદી પછી પહેલીવાર બન્યું છે.

2016ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને ડાબેરી મોરચાની યુતિને 77 બેઠકો પર જીત મળી હતી. આ વખતે એટલી જ બેઠકો ભાજપને મળી છે.

વિધાનસભાની ગત ચૂંટણીમાં કૉંગ્રેસ-ડાબેરી ગઠબંધનનો વોટશૅર 26.2 ટકા હતો, પણ આ વખતે આ ગઠબંધનને એકેય બેઠક મળી નથી અને વોટશૅર પણ માત્ર આઠ ટકાની આસપાસ મર્યાદિત થઈ ગયો છે.

કૉંગ્રેસ અને લેફ્ટના વોટ ઘટ્યા

પશ્ચિમ બંગાળ ભાજપ ભલે સરકાર બનાવી ન શકી, પણ વિરોધ પક્ષનું સ્થાન તેણે સંપૂર્ણપણે મેળવી લીધું છે.

રાજકીય પક્ષો સામાન્ય રીતે સત્તા પર આવતા પહેલાં વિપક્ષનું સ્થાન મેળવતા હોય છે અને એ કામ બીજેપીએ કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (સીપીએમ) તથા કૉંગ્રેસને હાંકી કાઢીને કર્યું છે.

ભાજપે પશ્ચિમ બંગાળમાં આ વખતે સરકાર રચી હોત તો એ અભૂતપૂર્વ ઘટના હોત, કારણકે એ માત્ર ત્રણ બેઠકો મેળવ્યાના પાંચ વર્ષ પછી સરકાર રચવા સુધી પહોંચી હોત. દેશનાં એકેય રાજ્યમાં આવું ભાગ્યે જ થયું છે.

શું ભાજપની હાર થઈ?

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષનું સ્થાન મેળવવું એ ભાજપ માટે નાની જીત છે?

પશ્ચિમ બંગાળ વિધાનસભાની આ વખતની ચૂંટણી ભાજપ સરકાર ન રચી શકી એટલા માટે યાદગાર બની રહેશે કે પછી સીપીએમ-કૉંગ્રેસના સફાયા અથવા મમતા બેનરજીનાં ત્રીજી વખત મુખ્યપ્રધાન બનવા માટે?

જાદવપુર યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર અબ્દુલ મતીન જણાવે છે કે મમતા બેનરજીનું ત્રીજી વખત મુખ્યપ્રધાન બનવું મહત્ત્વનું છે, પણ તેનાથી વધારે મહત્વની ઘટના ભાજપનું માત્ર ત્રણ બેઠકોથી 77 બેઠકો સુધી પહોંચવું છે.

અબ્દુલ મતીન માને છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભાજપનું વિપક્ષ બનવું રાજ્યના રાજકારણમાં એક ટર્નિંગ પૉઇન્ટ છે.

પ્રોફેસર મતીન કહે છે કે "ભાજપે પશ્ચિમ બંગાળમાં જે રીતે માહોલ બનાવ્યો છે ,તેને ધ્યાનમાં લેતાં આ પરિણામ થોડી રાહત આપનારું છે, પણ આ વખતે ધર્મનિરપેક્ષતાના રાજકારણનો વિજય થયો છે, એવું હું માનતો નથી."

"મમતા બેનરજીની જીત થઈ કારણકે મુસલમાનોએ ટીએમસીને સામટા મત આપ્યા."

"આ રાજકીય દ્વિસંગની જીત છે. તેનો અર્થ એ થાય કે ટીએમસીની તરફેણમાં મતદાન નહીં કરો તો ભાજપ જીતી જશે એવો સંદેશો મુસલમાનોમાં ફેલાવવામાં મમતા બેનરજી સફળ રહ્યાં હતાં."

"ધ્રુવીકરણના રાજકારણની જીતને આપણે ભાજપની હાર માની શકીએ નહીં."

ધ્રુવીકરણની કેટલી ભૂમિકા?

આ વખતની વિધાનસભા ચૂંટણી સંપૂર્ણપણે બે ધ્રુવ વચ્ચેની રહી હતી. 292 બેઠકો પૈકીની 290 બેઠકો પર કાં તો ટીએમસીને અથવા બીજેપીનો વિજય થયો છે.

એક બેઠક પર ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ અને એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે.

પ્રોફેસર મતીન કહે છે કે "પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને માલદા વિસ્તારમાં સૌથી વધુ મુસલમાનો છે."

"એ વિસ્તારમાં ટીએમસીના 80 ટકાથી વધુ ઉમેદવારોનો વિજય થયો છે."

"તેનો અર્થ એ થાય કે પશ્ચિમ બંગાળના 28 ટકા મુસલમાનોએ એકસંપ કરીને ટીએમસીને મત આપ્યા છે, પણ હિંદુ મતોનું ધ્રુવીકરણ થયું નહીં એટલે ટીએમસીનો વિજય થયો."

"મુદ્દો એ છે કે એક સમુદાયના લોકો આ રીતે સંગઠીત થઈને મતદાન કરે તો બહુમતિના લોકોમાં ધ્રુવીકરણ સંબંધે કોઈ મૅસેજ નહીં જાય?"

"હિંદુઓમાં પણ કાઉન્ટર પોલરાઇઝેશન થશે ત્યારે શું થશે? એક વાત યાદ રાખજો કે ધ્રુવીકરણના રાજકારણમાં એવું થવાની આશંકા હંમેશાં રહેતી હોય છે."

પ્રોફેસર મતીનના જણાવ્યા મુજબ, "પશ્ચિમ બંગાળમાં ભાજપના સ્થાનિક હિન્દુત્વ અને રાષ્ટ્રીય હિન્દુત્વમાં થોડી કમી હતી, તેમ છતાં વિધાનસભામાં હિન્દુત્વએ મજબૂતીથી ટકોરા માર્યા છે અને આ ભાજપની મોટી જીત છે."

પ્રોફેસર મતીન કહે છે કે "સીપીએમ અને કૉંગ્રેસનો સફાયો ભાજપની સૌથી મોટી સફળતા છે. હું માનું છું કે આ સફળતાનું મૂલ્ય મમતાના ત્રીજી વખત મુખ્યપ્રધાન બનવાથી જરાય ઓછું નથી."

મુસ્લિમોનું પ્રતિનિધિત્વ

આ વખતે મુસલમાનોના ધ્રુવીકરણનો ફાયદો ભલે ટીએમસીને મળ્યો, પણ આ વખતની વિધાનસભામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ વધ્યું નથી, 2016ની સરખામણીએ ઘટ્યું છે.

2016માં પશ્ચિમ બંગાળ વિધાનસભામાં 59 મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા હતા, પણ આ વખતે એ સંખ્યા ઘટીને 44 થઈ ગઈ છે. કૉંગ્રેસ અને સીપીએમના સફાયાની અસર મુસલમાનોના પ્રતિનિધિત્વ પર થઈ છે.

2016ની વિધાનસભામાં ચૂંટાયેલા 59 મુસલમાન ધારાસભ્યો પૈકીના 32 તૃણમૂલ કૉંગ્રેસના, 18 કૉંગ્રેસના અને 9 ડાબેરી મોરચાના હતા.

આ વખતે ચૂંટાઈ આવેલા 44 મુસલમાન ધારાસભ્યો પૈકીના 43 ટીએમસીના છે અને એક અબ્બાસ સિદ્દીકી આઈએસએફના છે.

ટીએમસીની તરફેણમાં થયેલા મુસ્લિમ મતોના ધ્રુવીકરણની કિંમત કૉંગ્રેસ અને સીપીએમે ચૂકવવી પડી છે.

એપ્રિલના બીજા સપ્તાહમાં પશ્ચિમ બંગાળમાં મતદાન થઈ રહ્યું હતું, ત્યારે ક્લબ હાઉસ ઑડિયો ઍપ પર ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે પત્રકારો સાથે કરેલી વાતચીત લીક થઈ હતી.

એ વાતચીતમાં પ્રશાંત કિશોરે એવું કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં ઘણા લોકપ્રિય છે અને દલિતો બીજેપીને ખુલ્લો ટેકો આપી રહ્યા છે.

પ્રશાંત કિશોરે આ નિવેદનને નકાર્યું ન હતું, પણ એવું કહ્યું હતું કે સંદર્ભની કાપકૂપ કરીને એ નિવેદન સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યું હતું.

આશ્ચર્યજનક વાત એ હતી કે આ પ્રકારનું નિવેદન મતદાનના સમયે કેવી રીતે અને શા માટે લીક થયું હતું?

ઘણા લોકો તો એવું કહેવા લાગ્યા હતા કે પ્રશાંત કિશોર ભાજપના માણસ છે અને ટીએમસીમાં રહીને ભાજપ માટે કામ કરી રહ્યા છે.

પ્રશાંત કિશોરની સંસ્થા ઇન્ડિયન પૉલિટિકલ ઍક્શન કમિટી એટલે કે આઈપેકમાં કામ કરતા એક પ્રોફેશનલને પૂછવામાં આવ્યું હતું કે મતદાન દરમિયાન આ રીતે ચૅટ કઈ રીતે લીક થઈ હતી?

આ સવાલના જવાબમાં એ પ્રોફેશનલે તેમની ઓળખ જાહેર નહીં કરવાની શરતે કહ્યું હતું કે "પ્રશાંતે એવું જાણીજોઈને કર્યું હતું. મુસલમાનોને એવો સંદેશો આપવાનો હતો કે ટીએમસીની તરફેણમાં એકઠા નહીં થાઓ તો ભાજપ રાજ્યમાં સરકાર રચશે."

"આ વ્યૂહરચના સફળ સાબિત થઈ અને મુસલમાનોએ ટીએમસીને સાથ આપ્યો."

મુસલમાનોની એકતા

કોલકાતા યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર હિમાદ્રી ચેટરજી જણાવે છે કે "મુસલમાનો ટીએમસીને સાથ આપ્યો હતો, પણ હિંદુ મતોનું ધ્રુવીકરણ થતું અટક્યું હતું."

"ભાજપનું પશ્ચિમ બંગાળમાં મુખ્ય વિરોધ પક્ષ બનવું અને કૉંગ્રેસ તથા સીપીએમ સંપૂર્ણ પતન એક મોટો સંકેત છે."

પ્રોફેસર હિમાદ્રી ચેટરજી કહે છે કે "દેશમાં દ્વિપક્ષી રાજકારણ વધી રહ્યું છે. ત્રીજા માટેની જગ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં પહેલાં કૉંગ્રેસ સત્તા પર હતો. પછી ડાબેરી મોરચો સત્તા પર આવ્યો અને કૉંગ્રેસે વિરોધ પક્ષનું સ્થાન લીધું હતું."

"એ પછી ટીએમસીએ વિરોધ પક્ષનું સ્થાન લીધું હતું અને 2011માં ડાબેરી મોરચાને સત્તામાંથી હાંકી કાઢ્યો હતો."

"એ પછી એક મજબૂત વિપક્ષનું સ્થાન ખાલી હતું. હવે ભાજપે તે સ્થાન લીધું છે."

"હવે ભાજપ વિપક્ષમાં છે અને પશ્ચિમ બંગાળમાં કોઈ વિરોધ પક્ષ સત્તા પર ન આવ્યો હોય એવું ક્યારેય બન્યું નથી."

ભાજપના ઇન્વેસ્ટમેન્ટ મુજબ પરિણામ ઓછું?

પ્રોફેસર હિમાદ્રી ચેટરજીના જણાવ્યા અનુસાર, ભાજપે પશ્ચિમ બંગાળમાં જે 'ઇન્વેસ્ટમેન્ટ' કર્યું અને જે છાપ ઉપસાવી છે, તેનાથી ચૂંટણીનું પરિણામ તદ્દન વિપરીત છે. તેથી ભાજપના વિરોધીઓ રાજી થઈ ગયા છે.

પ્રોફેસર ચેટરજી જણાવે છે કે માત્ર ત્રણ ધારાસભ્યોથી 77 સુધી પહોંચવાની ભાજપની સિદ્ધિને જે લોકો ઓછી આંકી રહ્યા છે અને એ લોકો ભૂલ કરી રહ્યા છે, કારણકે પશ્ચિમ બંગાળમાં ભાજપ હવે માત્ર ઇન્ટરનેટ પર જ નહીં, લોકસભા પછી વિધાનસભામાં પણ પહોંચી ગયો છે.

હાવડામાં બાલી વિધાનસભા બેઠક પર સીપીએમનાં ઉમેદવાર અને જેએનયુમાં પીએચડીનો અભ્યાસ કરતાં વિદ્યાર્થિની દીપસીતા ધર ત્રીજા નંબરે રહ્યાં છે. એ બેઠક પરથી ટીએમસીના રાણા ચેટરજીનો વિજય થયો છે.

દીપસીતા ધરના જણાવ્યા મુજબ, એ બેઠક પર સીપીએમના ઉમેદવાર મેદાનમાં ન હોત તો ભાજપનાં વૈશાલી દાલમિયા જીતી ગયાં હોત.

આ માત્ર બાલીની બેઠકની જ વાત નથી. દીપસીતા માને છે કે આ વખતે બીજેપીને પશ્ચિમ બંગાળમાં સત્તા પર આવતી માત્ર ટીએમસીએ જ નહીં, પરંતુ સીપીએમ તથા કૉંગ્રેસના ગઠબંધને પણ રોકી છે.

દીપસીતાના જણાવ્યા મુજબ, ભાજપ ભલે સરકાર નહીં રચી શકે, પણ પશ્ચિમ બંગાળમાં મજબૂત રીતે પગપેસારો કરી ચૂક્યો છે અને વિપક્ષનું સંપૂર્ણ સ્થાન લઈ ચૂકી છે.

દીપસીતા કહે છે કે બીજેપીની હાર થઈ છે એવું જે લોકો માને છે તેઓને કાં તો ભાજપ પાસેથી બહુ મોટી અપેક્ષા હતી અથવા તેઓ ભાજપની આ મોટી જીતનું મૂલ્ય ઓછું આંકી રહ્યા છે.

ટીએમસીનાં રાજ્યસભાનાં સાંસદ અર્પિતા ઘોષે જણાવ્યું હતું કે કૉંગ્રેસ અને સીપીએમને પણ કેટલીક બેઠકો મળી હોત તો વધારે સારું થાત.

સીપીએમની મૂંઝવણ

વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં સીપીએમના સફાયાનું કારણ શું છે?

દીપસીતા કહે છે કે "આ ચૂંટણી સંપૂર્ણપણે બે પક્ષો વચ્ચેની લડાઈ હતી. અમે લોકો ભાજપવિરોધી અને ટીએમસીવિરોધી એજન્ડા સાથે લડી રહ્યા હતા."

"ભાજપવિરોધી છાવણીના મતદારોને એવું લાગ્યું હતું કે તેમણે ટીએમસીને સાથ આપવો જોઈએ, કારણકે માત્ર ટીએમસી જ ભાજપને હરાવી શકશે. થયું પણ એવું જ."

"મુસલમાનો સંપૂર્ણપણે એક થઈ ગયા. તેમના મનમાં ડર હતો કે બીજેપી સત્તા પર આવી જશે અને બીજેપીને માત્ર ટીએમસી જ રોકી શકશે."

દીપસીતા ઉમેરે છે કે "અમારા માટે પશ્ચિમ બંગાળમાં વિચિત્ર સ્થિતિ સર્જાઈ છે. અમે ભાજપનો વિરોધ કરીએ છીએ ત્યારે લોકોને લાગે છે કે અમે ટીએમસીનું સમર્થન કરી રહ્યા છીએ. "

"અમે ટીએમસીનો વિરોધ કરીએ છીએ ત્યારે લોકોને એવું લાગે છે કે અમે ભાજપનું સમર્થન કરીએ છીએ. "

"કયા આક્રમક એજન્ડા સાથે આગળ વધવું એ નક્કી કરવામાં અમને બહુ મુશ્કેલી થઈ હતી. આ ચૂંટણીમાં એવું જ થયું."

દીપસીતા એવું પણ માને છે કે જે રીતે ટીએમસી પાસે મમતા બેનરજી છે અને બીજેપી પાસે નરેન્દ્ર મોદી છે, એમ પૉપ્યુલર અપીલવાળો કોઈ નેતા ડાબેરીઓ પાસે નથી.

દીપસીતા જણાવે છે કે કૉંગ્રેસ અને સીપીએમ માટે આગામી દિવસો સખત રીતે મુશ્કેલીભર્યા હશે, કારણકે ટીએમસી તથા બીજેપી સામે એકસાથે લડવું આસાન નથી. કૉંગ્રેસ અને સીપીએમે, તેમના માટે 1925નું વર્ષ ફરી આવ્યું હોય તેમ એકડે એકથી શરૂ કરવું પડશે.

"પશ્ચિમ બંગાળમાં પરિવર્તન થવામાં સમય લાગે છે. "

"આઝાદી પછીના લગભગ ત્રણ દાયકા સુધી અહીં કૉંગ્રેસ સત્તા પર રહી હતી. "

"કૉંગ્રેસ પછી સીપીએમ 34 વર્ષ સુધી સત્તા પર રહી અને પાછલાં દસ વર્ષથી ટીએમસી સત્તા પર છે."

"પશ્ચિમ બંગાળ રાજકીય પક્ષોને સમય આપે છે. "

"મમતા બેનરજી સંદર્ભે પણ પશ્ચિમ બંગાળ તેમની પરંપરાનું પુનરાવર્તન કરી રહ્યું છે, પણ ભાજપ પશ્ચિમ બંગાળના દરવાજે ટકોરા મારી ચૂક્યો છે અને કહી રહ્યો છે કે અમારો સમય પણ આવી ગયો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો