You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મમતા બેનરજી રાષ્ટ્રીય રાજકારણમાં નરેન્દ્ર મોદી-અમિત શાહ સામે ટકરાઈ શકે?
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ફટકો પડ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ચાણક્ય તરીકે ઓળખાતા દેશના ગૃહમંત્રી અમિત શાહ અફસોસ વ્યક્ત કરતા હશે કે પછી આસામમાં બીજી વખત સત્તા મેળવવાના સંકેતોથી રાહતનો શ્વાસ લેતા હશે?
મમતા બેનરજીની પાર્ટી જીતની ઉજવણી કરી રહી છે. કેરળમાં એલડીએફ અને તમિલનાડુમાં ડીએમકે ગઠબંધનના કાર્યકરો પણ ઉજવણી કરી રહ્યા છે.
ભાજપે જે રીતે બંગાળમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો અને તેમના સમર્થકોમાં એવી આશા જગાવી હતી કે આ વખતે તેમનો જ વિજય થશે, તે દૃષ્ટિએ જોવામાં આવે તો ભાજપના મોટા નેતાઓના ઘરોમાં ઉદાસી છવાયેલી હશે.
પરંતુ એ દૃષ્ટિકોણથી જોવામાં આવે કે 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર ત્રણ બેઠકો મળી હતી, તો આ વખતે તેને મોટી સંખ્યામાં બેઠકો મળી છે અને ભાજપ માટે તે ગૌરવની વાત કહેવાય.
અત્યારે એવું લાગે છે કે ભાજપના હારેલા નેતાઓ હવે આ વાત પર ભાર મૂકશે. ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીના પરિણામો પરથી કેટલીક વાતો સ્પષ્ટ થાય છે.
મમતા બેનરજી એક રાષ્ટ્રીય નેતા તરીકે ઉભરશે?
બંગાળના પરિણામોમાં મુખ્યમંત્રીની 'ફાઇટર'ની છબિ વધારે સ્પષ્ટ થાય છે. તેમની સામે રાજકીય કારકિર્દીનો સૌથી મોટો પડકાર હતો અને તેમાં તેઓ પાર ઊતર્યાં છે.
તેમના કેટલાક સાથીદારો તેમને છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા હતા, પરંતુ મતદારોએ મમતાનો સાથ નથી છોડ્યો. તેમની તૃણમૂલ પાર્ટીને 2011 અને 2016ની વિધાનસભા ચૂંટણીમાં 44 ટકા મત મળ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2019ની સામાન્ય ચૂંટણીમાં તેમને ભાજપ તરફથી ફટકો મળ્યો અને લોકસભામાં તેમની બેઠકો ઘટી તો પણ તે ચૂંટણીમાં ટીએમસીના વોટની ટકાવારી ઘટી ન હતી.
આ ચૂંટણીના પરિણામો પરથી સાબિત થઈ ગયું છે કે તેમના ટેકેદારો અને મતદારોએ તેમના પર પોતાનો ભરોસો ટકાવી રાખ્યો છે.
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને માયાવતી તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત ઘણા લોકોએ તેમને શુભેચ્છા સંદેશ મોકલ્યા છે.
'દીદી ઓ દીદી'ના જુમલા અને મમતાનાં પગ પર ચઢેલું પ્લાસ્ટર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસંખ્ય રેલીઓમાં મમતા બેનરજી પર આકરા પ્રહાર કર્યા હતા. 'દીદી ઓ દીદી... કેટલો ભરોસો કર્યો હતો બંગાળના લોકોએ તમારા પર,' એવા જુમલા પણ સંભળાવ્યા હતા.
મતદારોને કદાચ આ વાત પસંદ ન આવી. પક્ષના સાંસદ મહુઆ મોઇત્રાએ વડાપ્રધાન પર મહિલાઓનું અપમાન કરવાનો આરોપ મૂક્યો હતો.
બીજી તરફ નંદીગ્રામમાં એક નાનકડી ઘટના દરમિયાન મમતા બેનરજીને પગમાં ઈજા થઈ હતી. ત્યાર પછી તેમણે પોતાના પગ પર ઘણા દિવસો સુધી પ્લાસ્ટર લગાવી રાખ્યું અને વ્હિલચૅર પર બેસીને જ ચૂંટણીપ્રચાર કર્યો હતો.
ભાજપે તેને 'મમતાનો ઢોંગ' ગણાવ્યો અને લોકોની સહાનુભૂતિ પ્રાપ્ત કરવાનો એક નિમ્ન પ્રયાસ ગણાવ્યો. તે સમયે બંગાળના એક રાજકીય નિષ્ણાત રંજન મુખોપાધ્યાયે બીબીસીને જણાવ્યું કે, 'દીદી ચૂંટણી જીતી ગયા. આ ઇમેજ તેમને ચોક્કસ ચૂંટણી જિતાડશે.'
'ચાણક્ય'ની ચાલબાજી નિષ્ફળ રહી
અમિત શાહે ચૂંટણીસભાઓમાં ખુલ્લેઆમ કહ્યું હતું કે તેઓ 200થી વધારે બેઠકો જીતશે. તેમની સમર્થક ટીવી ચેનલોએ આ અંગે સવાલ ઉઠાવવાના બદલે એવું દર્શાવવા પ્રયાસ કર્યો કે પાર્ટી કઈ રીતે આટલી બેઠકો જીતી લાવશે.
પરંતુ ચાણક્ય તરીકે ઓળખાતા અમિત શાહનો દાવો હવે માત્ર એક 'ચૂંટણીલક્ષી જુમલો' સાબિત થાય તેમ લાગે છે.
ભાજપને કોઈ પણ સ્થિતિમાં પશ્ચિમ બંગાળમાં જીત જોઈતી હતી. ભાજપે ડિસેમ્બર મહિનાથી જ ચૂંટણીલક્ષી અભિયાનો માટે પોતાના તમામ સંસાધનોનો ઉપયોગ શરૂ કરી દીધો હતો.
પક્ષપ્રમુખ જે. પી. નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહના રોડ શો શરૂ થઈ ગયા હતા. શરૂઆતના દિવસોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતનો બંગાળ પ્રવાસ પણ મહત્ત્વનો ગણવામાં આવ્યો હતો.
જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવવા લાગ્યાં તેમ તેમ રેલીઓ વધવા લાગી. આઠ રાઉન્ડના મતદાન દરમિયાન વડાપ્રધાન મોદી અને અમિત શાહે અનેક રેલીઓ યોજી. ભારે ભીડ ધરાવતી આ રેલીઓની તસવીરો સોશિયલ મીડિયામાં પણ શેર કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકારના મંત્રીમંડળના દરેક મહત્ત્વના મંત્રી, દરેક સાંસદ બંગાળના ચક્કર લગાવવા લાગ્યા. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પણ રાજ્યમાં અનેક સભાઓ સંબોધી.
જોડ-તોડનું રાજકારણ કામ ન આવ્યું
શુભેન્દુ અધિકારી અને બીજા ઘણા નેતાઓ ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થયા તેને ભાજપના અભિયાન માટે ઘણું મહત્ત્વનું ગણવામાં આવતું હતું. લોકો કહેવા લાગ્યા હતા કે ટીએમસી હવે વિખેરાઈ જવાની તૈયારીમાં છે.
મહારાષ્ટ્રમાં અગાઉની વિધાનસભા ચૂંટણીથી પહેલાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના ઘણા નેતાઓ પણ ભાજપમાં સામેલ થઈ ગયા હતા. તે સમયે પણ કહેવામાં આવતું હતું કે એનસીપી તૂટી જશે. પરંતુ ચૂંટણીના પરિણામો બાદ એનસીપી વધારે મજબૂત પક્ષ બનીને ઉભર્યો.
તેવી જ રીતે બંગાળની તાજેતરની ચૂંટણીએ પણ સાબિત કરી દીધું કે જોડ-તોડની રાજનીતિ નિષ્ફળ રહી છે.
કોલકાતામાં રાજકીય વિશ્લેષક અરુંધતિ બેનરજી અનુસાર ટીએમસી સાથે બળવો કરનારાઓને ખાસ સફળતા નથી મળી.
કોમી ધ્રુવીકરણથી ફાયદો ન થયો
અરુંધતિ બેનરજીનું કહેવું હતું કે બંગાળની ચૂંટણી અગાઉ કોમી ધ્રુવીકરણ અને અસદુદ્દીન ઓવૈસીના ચૂંટણી મેદાનમાં કૂદવાથી મમતા બેનરજીને નુકસાન નથી થયું.
નંદીગ્રામમાં મમતા બેનરજીને પડકાર ફેંકનારા તેમના ભૂતપૂર્વ નેતા શુભેન્દુ અધિકારીએ મમતા બેનરજીને 'બેગમ' કહીને તેમને મુસ્લિમ સમર્થક અને માત્ર મુસ્લિમોના નેતા કહેવાનો પ્રયાસ કર્યો. તેમણે પાકિસ્તાનનું નામ પણ લીધું.
અરુંધતિ કહે છે, "અમે નંદીગ્રામ ગયા હતા તો તે સમયે લાગતું હતું કે સમગ્ર ચૂંટણીક્ષેત્રે હિંદુ-મુસ્લિમોમાં વહેંચાઈ ગયું છે. સમાજમાં વિભાજન જરૂર થયું હતું, ખાસ કરીને નંદીગ્રામ અને તેની આસપાસના વિસ્તારોમાં. પરંતુ રાજ્યના મતદારોએ હિંદુ-મુસ્લિમ નેરેટિવને નકારી કાઢ્યું."
કૉંગ્રેસનું પતન બરકરાર
બંગાળમાં કૉંગ્રેસ પાર્ટી અને ડાબેરી મોરચો સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. પરંતુ છેલ્લી બે ચૂંટણીની તુલનામાં કૉંગ્રેસની વધુ ખરાબ હાલત થઈ.
કેરળમાં યુડીએફનું નેતૃત્વ કરતી કૉંગ્રેસ માટે સત્તામાં આવવું જરૂરી માનવામાં આવતું હતું. ચૂંટણીપ્રચાર દરમિયાન કૉંગ્રેસના કેટલાક નેતાઓએ બીબીસીને જણાવ્યું હતું કે તેમનો જ વિજય થશે કારણ કે સત્તાધારી એલડીએફ સામે ભ્રષ્ટાચારના કેટલાક ગંભીર આરોપો થયા હતા.
પરંતુ તે સમયે ઘણા નિષ્ણાતોએ એલડીએફની જીતની સ્પષ્ટ ભવિષ્યવાણી કરી હતી અને કહ્યું હતું કે કૉંગ્રેસ હારશે તો રાજ્યમાં પાર્ટીના ઘણા નેતાઓનું બીજા પક્ષોમાં પલાયન થશે.
હવે કેરળમાં કૉંગ્રેસ સત્તાથી દૂર રહેવાની છે જેના કારણે પાર્ટીમાં બેચેની અને અસંતોષ વધશે.
કૉંગ્રેસને પરાજય એટલા માટે પણ ભારે પડશે કારણ કે 2019ની લોકસભા ચૂંટણીમાં ગઠબંધને કેરળની 20 બેઠકોમાંથી 19 બેઠકો જીતી હતી. પાર્ટીએ તામિલનાડુમાં ડીએમકે સાથે ગઠબંધન કરીને તે રાજ્યમાં સત્તા પર આવવાનો રસ્તો જરૂર ખોલ્યો છે, પરંતુ માત્ર એક જુનિયર પાર્ટનર તરીકે.
પુડ્ડુચેરીમાં પણ પાર્ટીને ફટકો પડ્યો હતો અને તેનું સત્તામાં પુનરાગમન કરવાનું સ્વપ્ન અધુરું રહી ગયું હતું.
આસામમાં તેણે ફરી એક વખત પાંચ વર્ષ માટે વિપક્ષમાં બેસવું પડશે.
આ વખતે બંગાળ અને બીજા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી કોવિડ-19 મહામારીની બીજી લહેરના ઓછાયામાં થઈ છે.
કેટલાક નિષ્ણાતોને લાગતું હતું કે બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી કરાવવાના નિર્ણયથી ભાજપને ફાયદો થશે, પરંતુ એવું થયું નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો