'ઓક્સિજન જલદી જ ખતમ થઈ જશે', દિલ્હીની બાળકોની હૉસ્પિટલનો આ મામલો શું છે?

    • લેેખક, ચિન્કી સિન્હા
    • પદ, બીબીસી સંવાદદાતા

હૉસ્પિટલોમાં ઓક્સિજનની કમીને લઈને રાજધાની દિલ્હી સમાચારોમાં છે. રવિવારે સવારે દિલ્હીમાં બાળકોની હૉસ્પિટલે ઓક્સિજન માટે વિનંતી કરી અને કહ્યું કે તેમની પાસે રહેલો ઓક્સિજન બહુ જલદી ખતમ થવાનો છે.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે પાંચ ઓક્સિજન સિલિન્ડર હૉસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

હકીકતમાં રવિવારે સવારે સાડા દસ વાગ્યે મધુકર રેન્બો ચિલ્ડ્રન હૉસ્પિટલે એક એસઓએસ ટ્વીટ કર્યું હતું કે તેમની પાસે માત્ર કેટલીક મિનિટો સુધી ચાલે એટલો જ ઓક્સિજન બચ્યો છે. ચાર નવજાત શિશુઓ સમેત 50થી વધુ લોકો ઓક્સિજન સપોર્ટ પર છે.

કોવિડ-19 મહામારીની બીજી ઘાતક લહેરનો દેશ ગંભીર રીતે સામનો કરી રહ્યો છે અને હેલ્થ સિસ્ટમ સંપૂર્ણપણે હલબલી ગઈ છે.

એવામાં સોશિયલ મીડિયા એક માધ્યમ બન્યું છે, જ્યાં લોકો મદદ માટે વિનંતી કરે છે અને હૉસ્પિટલ અને લોકો માટે મદદ મેળવવામાં આવી રહી છે.

વધુ એક હૉસ્પિટલે આજીજી કરી હતી

શનિવારે સવારે ગુરુગ્રામના સેક્ટર 15માં આવેલી કૅર-ન્યૂ બૉર્ન અને ચાઇલ્ડ હૉસ્પિટમાં ઓક્સિજનનું સંકટ પેદા થયું હતું.

એ સમયે આ હૉસ્પિટલમાં છ બાળકો એનઆઈસીયુ, બે વૅન્ટિલેટર પર અને ચાર સીપીએસીમાં ઓક્સિજન સપોર્ટ પર હતાં.

અહેવાલો અનુસાર, હૉસ્પિટલમાં "ઓક્સિજન ખતમ થઈ રહ્યો હતો."

ઓક્સિજનની ઘટનો સામનો કરી રહેલી એનસીઆર વિસ્તારની હૉસ્પિટલ વારંવાર આવી સ્થિતિનો સામનો કરી રહી છે.

ગુરુગ્રામની હૉસ્પિટલને સાંજ સુધી મદદ મળી, જ્યારે વિસ્તારના એસએચઓએ ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી.

રેન્બો ચિલ્ડ્રન હૉસ્પિટલ એ હૉસ્પિટલોમાં સામેલ છે, જે પોતાના દર્દીઓ માટે ઓક્સિજન સપ્લાય માટે રોજ મથામણ કરી રહી છે.

રવિવારે દિલ્હીના કાલકાજી વિસ્તારમાં એક અન્ય હૉસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયની ગંભીર સ્થિતિ પેદા થઈ હતી.

ટ્રાઇટન હૉસ્પિટલ એક ત્રીજા સ્તરનું એનઆઈસીયુ ચલાવે છે, જ્યાં જન્મસમયે ઓછાં વજનવાળાં, સમય કરતાં પહેલાં જન્મેલાં બાળકો વૅન્ટિલેટર પર છે. ઘણા લોકોએ રવિવારે હૉસ્પિટલની સ્થિતિ અંગે ટ્વીટ કર્યાં.

આમ આદમી પાર્ટીના ધારાસભ્યે પહોંચાડ્યો ઓક્સિજન

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢાએ રેન્બો ચિલ્ડ્રન હૉસ્પિટલ માટે પાંચ ઓક્સિજન સિલિન્ડર પહોંચાડ્યા. તેમણે અપીલના એક કલાકમાં મદદ મોકલી હતી.

રાઘવ ચઢ્ઢાએ એસઓએસ ટ્વીટના જવાબમાં લખ્યું, "અમે રેન્બો ચિલ્ડ્રન હૉસ્પિટલ માટે પોતાની રાજઘાટસ્થિત ફેસિલિટીમાંથી પાંચ ડી ટાઇપ ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી છે."

"દિલ્હીના ઓક્સિજન સપ્લાયમાં ઘટને કારણે સરકાર પાસે બહુ સીમિત ઓક્સિજન છે, પણ અમે આવી અપ્રિય ઘટનાને ટાળવાની હરહંમેશ કોશિશ કરી રહ્યા છીએ."

હૉસ્પિટલે રાઘવ ચઢ્ઢા, વડા પ્રધાન નરેન્દ્રી મોદીના કાર્યાલય, મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ કાર્યાલય, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલને સ્થિતિને લઈને ટેગ કર્યા હતા.

શનિવારે બત્રા હૉસ્પિટલમાં ઓક્સિજનની ઘટને કારણે એક ડૉક્ટર સમેત 12 લોકોનાં મૃત્યુ થયાં હતાં. અંદાજે એક અઠવાડિયા પહેલાં દિલ્હીની જયપુર ગોલ્ડન હૉસ્પિટલમાં લૉ ઓક્સિજન પ્રૅશરને કારણે 25 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

સરકારે શહેરનો રોજનો કોટા 490 મેટ્રિક ટનથી વધારીને 590 મેટ્રિક ટન કરી દીધો હતો. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે સરકાર પાસે 970 મેટ્રિક ટનની માગ કરી હતી.

ઘણી એજન્સીઓની પણ મદદ મળી

રેન્બો ચિલ્ડ્રન હૉસ્પિટલને આમ આદમી પાર્ટીના પાંચ સિલિન્ડર સહિત એજન્સીઓ અને અન્ય હૉસ્પિટલોથી 20 વધુ સિલિન્ડરની મદદ મળી છે.

હૉસ્પિટલના એક સ્ટાફે કહ્યું કે આજે તેમનું કામ ચાલી જાશે, પણ કાલે ફરીથી સંઘર્ષ કરવો પડશે.

હૉસ્પિટલના એક સ્ટાફે બીબીસીને કહ્યું, "મહામારીને કારણે અમારી જરૂરિયાત દસગણી વધી છે અને અમારી પાસે અંદાજે 65 કોવિડ દર્દી છે, જેમાં બાળકો અને ગર્ભવતી મહિલાઓ સામેલ છે."

હૉસ્પિટલમાં 130 બેડ છે.

આપ નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે તેઓ ઓક્સિજન સપ્લાય પૂરો કરવાની કોશિશ કરી રહ્યા છે અને તેમણે હૉસ્પિટલની સ્થિતિ અંગે જાણ રાખવા તથા સિલિન્ડરની વ્યવસ્થા માટે ટીમ બનાવી છે.

તેમણે કહ્યું, "અમને આશા છે કે કેન્દ્ર સરકાર લોકો માટે કામ કરનારા લોકો પ્રત્યે વધુ ધર્માર્થ બનશે."

દિલ્હી હાઈકોર્ટની કેન્દ્રને ફટકાર

આ દરમિયાન દિલ્હી હાઈકોર્ટે શનિવારે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા છે કે તે દિલ્હીને તેના ભાગનો 490 મેટ્રિક ટન ઓક્સિજન આજે ગમે તે રીતે ઉપલબ્ધ કરાવે.

જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ રેખા પલ્લીની ડિવિઝન બૅન્ચે આ આદેશ રાજ્યની કેટલીય હૉસ્પિટલોમાં ઓક્સિજનના પુરવઠાની અછતની ફરિયાદ બાદ આપ્યો છે.

આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે કે જો દિલ્હીને એના ભાગના ઓક્સિજનનો પુરવઠો ન મળ્યો તો તેના વિરુદ્ધ અવમાનનાનો મામલો પણ ચલાવી શકાય છે.

કોર્ટે કહ્યું, "પાણી માથાથી ઉપર જતું રહ્યું છે. હવે અમને કામથી મતલબ છે. તમે (કેન્દ્ર) અત્યારે તમામ વ્યવસ્થા કરો."

ઘણી હૉસ્પિટલોએ હાઈકોર્ટને જણાવ્યું કે તેમના સપ્લાયરો લિન્ડે ઍર ઓક્સિજન આપતા નથી.

કોર્ટે કેન્દ્ર સરકારને ચેતવણી આપતા એવું પણ જણાવ્યું કે જો તેમના આદેશનું પાલન કરવામાં ન આવ્યું તો આગામી સુનાવણી પર સંબંધિત તંત્રને કોર્ટમાં હાજર થવું પડશે.

કોર્ટે કહ્યું કે દિલ્હી કોઈ ઔદ્યોગિક રાજ્ય નથી અને તેની પાસે ક્રાયોજેનિક ટૅન્કરો નથી.

કોર્ટે બત્રા હૉસ્પિટલમાં ઓક્સિજનની ઘટને લીધે 12 દરદીનાં મૃત્યુ થવાની ઘટના પર સંજ્ઞાન લેતાં કહ્યું, "દિલ્હીમાં મરી રહેલા લોકોને જોઈને શું અમે અમારી આંખો બંધ કરી લઈએ?"

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો