You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના : દિલ્હીની બત્રા હૉસ્પિટલમાં ઓક્સિજન ખતમ થઈ જતાં મરનારા દરદીઓનો આંક 12 થયો
દિલ્હીની બત્રા હૉસ્પિટલમાં ઓક્સિજનના અભાવને લીધે કોરોનાના 12 દરદીઓનાં મૃત્યુ થવાની પુષ્ટી કરાઈ છે. પહેલાં મૃતકોનો આંક આઠ નોંધાયો હતો. હૉસ્પિટલનું કહેવું છે કે આ સંખ્યા થોડા સમયમાં વધી પણ શકે છે.
હૉસ્પિટલના જણાવ્યા અનુસાર ઓક્સિજનનો પુરવઠો જ્યારે ઘટી ગયો ત્યારે કેટલાક દરદીઓનું ઓક્સિજનનું સ્તર પણ ઘટી ગયું અને એ દરદીઓને બચાવી શકાયા નહીં.
આગામી 24 કલાક કેટલાય દરદીઓ માટે ભારે કિંમતી છે અને આ સંખ્યા વધી પણ શકે છે.
બત્રા હૉસ્પિટલમાં અત્યારે 220 દરદીઓ ઓક્સિજન સપોર્ટ પર છે. ઘટનાની જાણકારી સમાચાર સંસ્થા પીટીઆઈએ સંબંધિત માહિતી આપી હતી.
પીટીઆઈના જણાવ્યા અનુસાર મૃતકોમાં ગૅસ્ટ્રોએન્ટેરોલૉજીના વડા ડૉ. આર.કે. હિમથાણીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત અધિકારીઓના જણાવ્યા અનુસાર વધુ પાંચ દરદીઓ તબીબોની દેખરેખ હેઠળ છે.
હૉસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ. એસસીએલ ગુપ્તાએ 'ઇન્ડિયન એક્સપ્રેસ'ને જણાવ્યું, "અત્યાર સુધી કોરોનાના આઠ દરદીઓને મૃત જાહેર કરવામાં આવ્યા છે. પાંચ દરદીઓને ફરીથી ભાનમાં લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. તેમની સ્થિતિ ગંભીર છે."
હૉસ્પિટલ શનિવાર સવારથી જ ઓક્સિજનની માગ કરી રહી હતી. હૉસ્પિટલે દિલ્હી હાઈકોર્ટને પણ સંબંધિત જાણકારી આપી હતી અને તત્કાલ મદદ માગી હતી.
બત્રા હૉસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું છે, "અમારે સવારના છ વાગ્યાથી ઇમરજન્સીની સ્થિતિ હતી. અમારી પાસે 307 દરદીઓ છે, જેમાંથી 230 ઓક્સિજનના સપોર્ટ પર હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શનિવારે બપોરે હૉસ્પિટલમાં ઓક્સિજનના પુરવઠાનું સ્તર ઘટવા લાગ્યું હતું. લગભગ સાડા બાર વાગ્યે હૉસ્પિટલે પ્રવાહી મેડિકલ ઓક્સિજનનો પુરવઠો ખતમ થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. એ બાદ હૉસ્પિટલમાં 1.35 વાગ્યે ઓક્સિજનનું ટૅન્કર પહોંચ્યું હતું.
આ ઘટના પર શોક વ્યક્ત કરતા દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે આ દરદીઓનો જીવ બચાવી શકાયો હોત.
તેમણે ટ્વિટર પર લખ્યું, "આ સમાચાર ભારે દુ:ખદાયક છે. આમનો જીવ બચાવી શકાયો હોત - સમય પર ઓક્સિજન આપીને. દિલ્હીને એના ક્વૉટાનો ઓક્સિજન આપવામાં આવે. પોતાના લોકોનાં આ રીતે થઈ રહેલાં મૃત્યુ હવે વધુ નથી જોઈ શકાતાં. દિલ્હીને 976 ટન ઓક્સિજન જોઈએ છે અને કાલે માત્ર 312 ટન ઓક્સિજન જ મળ્યો. આટલા ઓછા ઓક્સિજનમાં દિલ્હી કઈ રીતે શ્વાસ લે?"
દિલ્હી હાઈકોર્ટની કેન્દ્રને ચેતવણી, ઓક્સિજન આપો કાં અવમાનનાનો સામનો કરો
દિલ્હી હાઈકોર્ટે શનિવારે રાજધાનીમાં ઓક્સિજનની ઘટના મામલે સુનાવણી કરતા કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા છે કે તે દિલ્હીને તેના ભાગનો 490 મેટ્રિક ટન ઓક્સિજન ઉપલબ્ધ કરાવે.
જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ રેખા પલ્લીની ડિવિઝન બેન્ચે આ આદેશ રાજ્યની કેટલીય હૉસ્પિટલોમાં ઓક્સિજનના પુરવઠાની અછતની ફરિયાદ બાદ આપ્યો છે.
આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે કે જો આજે જ દિલ્હીને એના ભાગના ઓક્સિજનનો પુરવઠો ન મળ્યો તો તેના વિરુદ્ધ અવમાનનાનો મામલો પણ ચલાવી શકાય છે.
કોર્ટે કહ્યું, "પાણી માથાથી ઉપર જતું રહ્યું છે. હવે અમને કામથી મતલબ છે. તમે (કેન્દ્ર) અત્યારે તમામ વ્યવસ્થા કરો."
કોર્ટે કેન્દ્ર સરકારને ચેતવણી આપતા એવું પણ જણાવ્યું કે જો તેમના આદેશનું પાલન કરવામાં ન આવ્યું તો આગામી સુનાવણી પર સંબંધિત તંત્રને કોર્ટમાં હાજર થવું પડશે.
કોર્ટે કહ્યું કે દિલ્હી કોઈ ઔદ્યોગિક રાજ્ય નથી અને તેની પાસે ક્રાયોજેનિક ટૅન્કરો નથી.
કોર્ટે બત્રા હૉસ્પિટલમાં ઓક્સિજનની ઘટને લીધે આઠ દરદીનાં મૃત્યુ થવાની ઘટના પર સંજ્ઞાન લેતાં કહ્યું, "દિલ્હીમાં મરી રહેલા લોકોને જોઈને શું અમે અમારી આંખો બંધ કરી લઈએ? "
કોર્ટે એવું પણ માન્યું કે દિલ્હીમાં 20 એપ્રિલે ઓક્સિજનનો ક્વૉટા વધારી દેવાયો હતો અને ત્યારથી લઈને અત્યાર સુધી કોઈ પણ દિવસે એને પૂરતો પુરવઠો નથી મળ્યો.
ભરૂચની હૉસ્પિટલના કોરોના વોર્ડમાં આગ, 18નાં મોત
આ દરમિયાન ગુજરાતના ભરૂચમાં કોરોના વાઇરસની સારવાર કરતી હૉસ્પિટલમાં આગ લાગતાં લગભગ 18 લોકોનાં મોત થયાં છે.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી પટેલ વેલ્ફર હૉસ્પિટલમાં રાત્રીના 12:30 વાગ્યાની આસપાસ આગની ઘટના બની હતી.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોવિડ વિભાગના આઈસીયુમાં આગ લાગી હતી. અહીં વૅન્ટિલેટર પર કેટલાક દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા.
ભરૂચથી બીબીસી ગુજરાતીના સહયોગી સાજીદ પટેલના જણાવ્યા પ્રમાણે આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખા આઈસીયુ વિભાગને લપેટમાં લઈ લીધો હતો.
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ દુર્ઘટના મામલે શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો