You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત કોરોના સંક્રમણની બીજી લહેર રોકવામાં નિષ્ફળ કઈ રીતે રહ્યું?
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
માર્ચ મહિનાની શરૂઆતમાં ભારતના આરોગ્યમંત્રી ડૉ હર્ષવર્ધને જાહેરાત કરી હતી કે દેશમાં કોરોના મહામારી ખતમ થવાના આરે છે.
ડૉ હર્ષવર્ધને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને વિશ્વ માટે એક દાખલો ગણાવ્યો હતો જેને ‘આંતરરાષ્ટ્રીય સહકાર’માં ધ્યાને લેવું જોઈતું હતું.
જાન્યુઆરી મહિનાથી ભારતે વિશ્વના અનેક દેશોમાં ‘વૅક્સીન ડિપ્લોમસી’ હેઠળ કોરોનાની રસી મોકલવાનું શરૂ કર્યું હતું.
હર્ષવર્ધનના નિવેદનમાં દેખાતી વધુ પડતી આશાની પાછળ એ સમયે ભારતમાં કોરોનાના નવા કેસમાં ઝડપથી થયેલો ઘટાડો રહેલો હોઈ શકે.
સપ્ટેમ્બર મહિનામાં 93 હજાર દૈનિક કેસનો પીક આવ્યા પછી દેશમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો.
ફેબ્રુઆરીના મધ્યમાં ભારતમાં દરરોજ નોંધાનાર કોરોનાના નવા કેસનો આંકડો સરેરાશ 11 હજાર જેટલો રહી ગયો હતો.
ભારતમાં કોરોનાથી થનારાં મૃત્યુનો સાપ્તાહિક આંકડો સરેરાશ 100 જેટલો રહી ગયો હતો.
કોરોના મહામારી સામે જીતનો દાવો અને મોદીને 'વૅક્સીન ગુરુ' કહેવા
કોરોના વાઇરસને માત આપવા અંગેની ચર્ચા ગત વર્ષથી જ ચાલુ થઈ ગઈ હતી. નેતાઓ, નીતિકારો અને મીડિયાનો એક ભાગ માનતા હતા કે ભારત પરથી સંકટ ટળી ગયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડિસેમ્બરમાં એક કેન્દ્રીય બૅન્કના અધિકારીઓએ જાહેરાત કરી હતી કે ‘ભારતે કોવિડના સંક્રમણના કર્વને ઢાળી દીધો છે’. આના પુરાવા આપતાં તેમણે કહ્યું કે "ભારતનું અર્થતંત્ર હવે સૂર્યનો પ્રકાશ જોવા જઈ રહ્યું છે" અને વડા પ્રધાન મોદીને ‘વૅક્સીન ગુરુ’ પણ ગણવામાં આવ્યા હતા.
પાંચ રાજ્યોમાં ચૂંટણી, ક્રિકેટ મૅચો અને કોરોના સંક્રમણમાં ઉછાળો
ફેબ્રુઆરીના અંતમાં ભારતના ચૂંટણીપંચે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી જેમાં 18.6 કરોડ મતદારો 824 બેઠકો માટે મતદાન કરવાના હતા.
27 માર્ચથી શરૂ થયેલી ચૂંટણી એક મહિનાથી પણ વધુ ચાલવાની છે અને પશ્ચિમ બંગાળમાં તો આઠ તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે.
ચૂંટણી માટે ભવ્ય રીતે પ્રચાર પણ ચાલી રહ્યો છે. પ્રચાર દરમ્યાન કોવિડ-19ને લઈને સુરક્ષાના નિયમો અને સોશિયલ ડિસ્ટન્સિંગનો કોઈ પત્તો નથી.
માર્ચ મહિનાના મધ્યમાં ક્રિકેટ બોર્ડે 1,30,000 પ્રશંસકોને જેમાંથી મોટાભાગના લોકોએ માસ્ક નહોતા પહેર્યા, તેમની હાજરીમાં ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી બે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચો યોજી હતી.
તેના પછી એક મહિનાથી ઓછા સમયમાં જ ભારતમાં કોરોનાનો કહેર વકરવા લાગ્યો. ભારત કોરોના સંક્રમણની વધુ ઘાતક બીજી લહેરનો સામનો કરી રહ્યું છે અને કેટલાંક શહેરોમાં ફરી લૉકડાઉનનો વારો આવી ગયો હતો.
એપ્રિલ મહિનાના મધ્ય સુધી ભારતમાં કોરોનાના નવા દૈનિક કેસનો આંકડો એક લાખને પાર કરી ગયો હતો.
રવિવારે ભારતમાં કોરોના સંક્રમણના 2,70,000 થી વધારે નવા કેસ અને 1,600 મૃત્ય નોંધાયાં. આ બંને આંકડા 24 કલાકમાં નોંધાયેલા કેસ અને મૃત્યુનો રેકર્ડ તોડી નાખ્યો છે.
વધારે બગડી શકે પરિસ્થતિ
ધ લૅન્સેટ કોવિડ-19 કમિશનના એક રિપોર્ટ પ્રમાણે જો સંક્રમણનો વર્તમાન દર કાબૂમાં ન કરવામાં આવ્યો તો ભારતમાં જૂનના પ્રથમ અઠવાડિયા સુધી દરરોજ 2,300 મૃત્યુ નોંધાઈ શકે છે.
હાલ ભારત એક જાહેર આરોગ્ય ઇમર્જન્સીની પરિસ્થિતિમાં પહોંચી ગયું છે. સોશિયલ મીડિયા એવાં સ્મશાનોના વિડિયોથી ભરાયેલું છે જ્યાં કોરોના સામે હાર માની ચૂકેલા લોકોના મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાઇનો લાગેલી છે. ઍમ્બુલન્સમાં એવા દર્દીઓ હૉસ્પિટલમાં દાખલ થવાની રાહ જોઈ રહ્યા છે જેમનો શ્વાસ ફૂલી રહ્યો છે.
હૉસ્પિટલોની બહાર એવા લોકો રડતા મળી જશે જેમના સંબંધીઓ કોરોના સામે જંગ હારી ગયા છે, સોશિયલ મીડિયા પર એવી તસવીરો પણ જોવા મળી રહી છે જેમાં એક જ પથારી પર બે દર્દીઓ છે ક્યાંક હૉસ્પિટલોની લૉબીમાં તો ક્યાંક કૉરિડોરમાં દર્દીઓ કરગરી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં હૉસ્પિટલમાં પથારીઓ, દવાઓ, ઓક્સિજન, જીવનરક્ષક દવાઓ અને ટેસ્ટ માટે મદદ માગતા લોકોના અઢળક સંદેશા જોવા મળી રહ્યા છે. દવાઓની કાળાબજારી થઈ રહી છે અને ટેસ્ટના રિપોર્ટ મળતા દિવસો વીતી જાય છે.
"એ લોકોએ મને ત્રણ કલાક સુધી ન જણાવ્યું કે મારું બાળક નથી રહ્યું." આ એક માતાના શબ્દ છે જેઓ ICUની બહાર બેસીને રડી રહ્યાં હતાં.
ધીમું રસીકરણ
ભારતના વિશાળ રસીકરણ કાર્યક્રમમાં પણ હવે અડચણો અનુભવાઈ રહી છે. રસીકરણની શરૂઆતમાં ભારતની સ્વદેશી રસીની અસરકારકતાને લઈને વિવાદ થયો હતો. હવે જ્યારે સરકાર મુજબ દેશમાં 10 કરોડ લોકોનું રસીકરણ થઈ ગયું છે ત્યારે રસીની અછતના સમાચાર પણ આવી રહ્યા છે.
દેશ અને દુનિયામાં રસીના સૌથી મોટા ઉત્પાદકોમાં સામેલ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ કહ્યું છે કે તે જૂન મહિના પહેલા રસીનું ઉત્પાદન નહીં વધારી શકે કારણ કે તેમની પાસે ઉત્પાદનક્ષમતા વધારવા માટે પૂરતાં નાણાં નથી.
ભારતમાં કોરોના સંક્રમણ વધતાં, રસીની માગમાં પણ ઉછાળો આવ્યો છે અને સરકારે ઑક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની કોરોનાની રસીના નિકાસ પર હાલ પૂરતી રોક લગાવી છે. એટલું જ નહીં સરકારે વિદેશી રસીના આયાતને પણ મંજૂરી આપી દીધી છે.
ઓક્સિજનની માગ કૂદકે ને ભૂસકે વધી રહી છે ત્યારે ઓક્સિજનનો આયાત કરવો પડી શકે છે.
બીજી તરફ જાણે કોઈ અન્ય બ્રહ્માંડમાં દેશમાં નિરાશા અને મૃત્યુથી ભરેલા ચિંતાના માહોલથી દૂર દરરોજ સાંજે દુનિયાની સૌથી સમૃદ્ધ ક્રિકેટ ટુર્નામેન્ટ બંધ બારણે રમાઈ રહી છે, હજારો લોકો નેતાઓની ચૂંટણી સભાઓમાં ભાગ લઈ રહ્યા છે અને કુંભ મેળામાં પણ હજારોની સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. સમાજશાસ્ત્રના પ્રોફેસર શિવ વિશ્વનાથને મને કહ્યું, "જે થઈ રહ્યું છે, એ બધું જાણે સત્યને પાર છે."
શું સરકાર કોરોનાની બીજી લહેર માટે તૈયાર નહોતી?
ઇન્ડિયન એક્સપ્રેસનાં પત્રકાર તબસ્સુમ બારનગરવાલાએ ફેબ્રુઆરીના મધ્યમાં મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં કોરોના સંક્રમણના કેસમાં સાત ગણો વધારો થવાની ચેતવણી આપી હતી અને તેમણે રિપોર્ટ લખ્યો હતો કે સંક્રમિતોના સૅમ્પલમાં બહારથી આવેલા નવા વેરિયન્ટને શોધવા માટે જિનોમ સિક્વન્સિંગ માટે મોકલાઈ રહ્યા હતા.
ફેબ્રુઆરીના અંતમાં બીબીસીએ પણ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો જેમાં પ્રશ્ન પુછાયો હતો કે શું ભારત કોરોના સંક્રમણની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે?
એ સમયે મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના વધતાં કેસથી પ્રભાવિત એક જિલ્લાના સિવિલ સર્જન ડૉ શ્યામસુંદર નિકમે કહ્યું હતું, " અમને કેસમાં વધારાનું કારણ નથી ખબર. ચિંતાની બાબત એ છે કે આખે આખા પરિવાર સંક્રમિત થઈ રહ્યા છે. આ એકદમ નવી વાત છે. "
નિષ્ણાતો માને છે કે મહામારીને માત આપવામાં ભારતનું ‘અપવાદરૂપ’ હોવું, વધુ પ્રમાણમાં યુવા વસ્તી, મૂળરૂપે વસ્તીમાં રહેલી રોગપ્રિતકારક ક્ષમતા, મોટા પ્રમાણમાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને કારણે સંભવ થયેલા‘વિજય’ની જાહેરાત ઘણા ખરા અર્થોમાં અપરિપક્વ હતી.
અતિરાષ્ટ્રવાદ, અહંકાર, વિજયની જાહેરાતમાં ઉતાવળ
બ્લૂમબર્ગમાં એક સ્તંભકાર મિહીર શર્મા લખે છે, “ભારતમાં વિશિષ્ટપણે આધિકારીઓના અહંકાર, અતિરાષ્ટ્રવાદ, લોકોને ખુશ કરવાની નીતિઓ અને સરકારી અધિકારીઓની અક્ષમતાએ સંયુક્તપણે આ સંકટને જન્મ આપ્યો છે.”
લોકો દ્વારા કોરોના વાઇરસની સામે સુરક્ષાને લઈને ગેરજવાબદાર થઈ જવું, લગ્ન અને સામાજિક સમારંભોમાં ભાગ લેવો અને રાજકીય સભાઓ તથા ઘાર્મિક આયોજનોને મંજૂરી આપીને સરકાર તરફથી મિશ્રિત સંદેશો આપવામાં આવ્યા.
કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા હતા એટલે ઓછા લોકો રસી લઈ રહ્યા હતા જેને કારણે કોરોના રસીકરણ કાર્યક્રમ પણ ધીમો ચાલી રહ્યો હતો. જોકે કોરોના રસીકરણ કાર્યક્રમ હેઠળ ભારતમાં 25 કરોડ જેટલા લોકોને જુલાઈ મહિનાના અંત સુધી કોરોનાની રસી આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.
ફેબ્રુઆરી મહિનાના મઘ્યમાં યુનિવર્સિટી ઑફ મિશિગનના બાયોસ્ટેટિશિયન ભ્રમર મુખરજીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે “જ્યારે ભારતમાં કોરોનાના કેસ ઓછા છે ત્યારે ભારતે રસીકરણને ઝડપી બનાવવાની જરૂર છે.” જોકે કોઈએ આ વાત પર ધ્યાન નહોતું આપ્યું.
પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ પી શ્રીનાથ રેડ્ડીએ કહ્યું, “ત્યારે વિજયવાદનો માહોલ હતો. કેટલાકને લાગ્યું કે આપણે ‘હર્ડ ઇમ્યુનિટી’ મેળવી લીધી છે. બધા પોતાના કામ પર પાછા જવા માગતા હતા. આ પ્રકારની વાતો બધા સાંભળી રહ્યા હતા અને સાવચેતી રાખવાની વાતોની અવગણના કરવામાં આવી.”
સમયસર સાવચેતીનાં પગલાં ન લેવાયાં?
ભૌતિકશાસ્ત્ર અને જીવવિજ્ઞાનના પ્રોફેસર ગૌતમ મેનને કહ્યું, “કોરોનાની બીજી લહેરને ટાળી શકાય એવું નહોતું પરંતુ એવા પ્રયાસો જરૂર કરાઈ શકાયા હોત કે તે થોડી મોડેથી આવે કે પછી તે ઓછી ઘાતક હોય.”
તેઓ કહે છે, “અન્ય કેટલાક દેશોની જેમ ભારતે જાન્યુઆરીમાં જ નવા વેરિયન્ટ શોધવા માટે ધ્યાનપૂર્વક જિનોમિક સર્વેલન્સ શરૂ કરી દેવું જોઈતું હતું."
હાલ ભારતમાં કોરોના સંક્રમણની ઘાતક બીજી લહેર માટે આમાંથી કેટલાક વેરિયન્ટ જવાબદાર હોઈ શકે છે.
તેઓ કહે છે, “ મહારાષ્ટ્રમાં ફેબ્રુઆરી મહિનામાં જ નવા વેરિયન્ટ મળવાની ખબર પડી હતી. એ એક મહત્ત્વપૂર્ણ વળાંક હતો."
જાહેર આરોગ્ય સંકટથી શું પાઠ શીખી શકાય?
એક કે ભારતે વાઇરસની સામે અપરિપક્વ રીતે વિજય ન જાહેર કરવો જોઈએ અને વિજયવાદની ભાવના પર કાબૂ રાખવો જોઈએ. વાઇરસના સંક્રમણમા વધારો થાય એવી પરિસ્થિતિમાં લોકોએ નાના અને સ્થાનિક લૉકડાઉનની આદત નાખી લેવી જોઈએ.
મોટાભાગના મહામારી નિષ્ણાતો ( એપિડેમિયોલૉજિસ્ટ) આવનારા સમયમાં સંક્રમણની બીજી લહેરની ભવિષ્યવાણી કરે છે, અને એ પણ સ્પષ્ટ છે કે ભારત હજી હર્ડ ઇમ્યુનિટી હાંસલ કરવાથી ઘણું દૂર છે અને રસીકરણનો દર પણ હજી ઘણો ધીમો છે.
પ્રોફેસર રેડ્ડી કહે છે, “આપણે માનવજીવનને થોભાવી ન શકીએ. જો શહેરોમાં લોકો માટે સોશિયલ ડિસ્ટન્સિંગ શક્ય ન હોય તો લોકો યોગ્ય રીતે માસ્ક પહેરે એટલું તો સુનિશ્ચિત કરી શકીએ. આટલું તો લોકો કરી જ શકે.”
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો