'નાગરિકોના જીવ કરતાં ચૂંટણી મહત્ત્વની?', બંગાળમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની રેલીઓ પર લોકોના સવાલ - સોશિયલ

ભારતમાં એકતરફ કોરોના વાઇરસના બે લાખથી પણ વધારે કેસ નોંધાયા છે, જ્યારે બીજી બાજુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં રોડ શો અને રેલીઓ કરી રહ્યા છે.

આ સ્થિતિમાં લોકોએ ટ્વિટર પર વડા પ્રધાન અને ગૃહમંત્રીને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. તો કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમની પશ્ચિમ બંગાળની બધી રેલીઓ રદ કરી દીધી છે.

રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું, "કોવિડને કારણે પેદા થયેલી સ્થિતિને જોતા હું પશ્ચિમ બંગાળમાં મારી બધી રેલીઓ રદ કરી રહ્યો છું. હું અન્ય પાર્ટીના નેતાઓને પણ અપીલ કરું છું કે આ સ્થિતિમાં આવી રેલીઓનાં પરિણામ અંગે ગંભીરતાથી વિચારે."

જોકે રાહુલ ગાંધીએ આમ પણ પશ્ચિમ બંગાળમાં આ વખતે પોતાને ચૂંટણીપ્રચારથી દૂર રાખ્યા છે.

તેમણે પાંચમા તબક્કા માટે 14 એપ્રિલે પહેલી વાર પ્રદેશમાં રેલી કરી હતી.

સોશિયલ મીડિયામાં બંગાળની ચૂંટણી પર ચર્ચા

સૂર્યા સાહની નામના એક યૂઝરે ટ્વીટ કરી પૂછ્યું, "પશ્ચિમ બંગાળ કોરોના-ફ્રી રાજ્ય છે? શું આ તમામ રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત નથી. શું તેમને જાણ છે કે કોરોના વાઇરસના કેસ અને તેનાથી મૃત્યુ વધ્યાં છે? શું દેશના કોઈ પણ નાગરિકના જીવ કરતાં ચૂંટણી મહત્ત્વની છે?"

ગૌરવ શર્મા નામના યૂઝરે નરેન્દ્ર મોદી અને અમિત શાહને ટેગ કરી લખ્યું છે, "ભારતમાં છેલ્લા બે દિવસથી બે લાખથી પણ વધારે કોરોના વાઇરસના કેસ આવે છે. અને તમે પશ્ચિમ બંગાળમાં જુમલાબાજી કરવામાં વ્યસ્ત છો કાંઈ તો શરમ કરો."

આસ્થા જૈન નામની મહિલાએ અમિત શાહની લાઈવ રેલી પર કૉમેન્ટ કરી હતી કે "કેવી શરમ વિનાની સરકાર છે, લોકો જેમને પ્રેમ કરી રહ્યા છે, તેમનો મૃતદેહ લેવા માટે રાહ જોઈ રહ્યા છે અને બીજી તરફ આ નક્કામી સરકાર કોરોના વાઇરસના ફેલાવવામાં મદદ કરી રહી છે, આ ગાંડપણ બંધ કરો. પછી ગરીબ માણસો વિશે વિચાર્યા વિના મોદી લૉકડાઉન કરશે."

પશ્ચિમ બંગાળમાં પાંચ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે અને ત્રણ તબક્કાનું મતદાન હજુ બાકી છે.

રાજ્યમાં કોરોનાના કેસ વધવા છતાં અનેક મોટા નેતાઓ રોજ રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે.

શનિવારે પ્રદેશમાં પાંચમા તબક્કાના મતદાન માટે ભાજપ તરફથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રેલી કરી હતી અને ગૃહમંત્રી અમિત શાહે રોડ શો કર્યો હતો.

વડા પ્રધાન આગામી 22 અને 24 એપ્રિલે પણ રાજ્યની મુલાકાત લેવાના છે.

મેહુલ ત્રિવેદી નામના એક યૂઝરે લખ્યું હતું કે "કદાચ ભારતના ઇતિહાસમાં તેમના જેટલો અસંવેદનશીલ વડા પ્રધાન કોઈ હશે અથવા થશે. પરંતુ આ લોકોને એટલે પ્રોત્સાહન મળી રહ્યું છે કે લોકો આમની રેલીઓનો બચાવ કરવામાં લાગેલા છે. ભગવાન જ માલિક છે બધાનો."

તેમણે આની સાથે બે તસવીર પર શૅર કરી છે. એકમાં વડા પ્રધાનની જાહેર રેલીની જાહેરાતની તસવીર છે, જ્યારે બીજામાં કુંભ મેળાને પ્રતીકાત્મક રાખવાનું ટ્વીટ પણ તેમણે કર્યું છે.

પત્રકાર સંકેત ઉપાધ્યાયે ટ્વીટ કર્યું છે કે કુંભ પ્રતીકાત્મક થઈ શકે છે તો ચૂંટણીની રેલી કેમ નહીં? તમે રાજાજી રીંગણ ખાવો અને બીજાને ઉપદેશ આપો.

ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ ટ્વીટ કર્યું છે કે જો દેશના પહેલા ગૃહમંત્રીને પ્રશ્ન પૂછવામાં આવે કે કોઈ પ્રકારની જાતિ, ધર્મ, પંથ કે વિચારધારના ભેદભાવ વિના ભારતીયોની જિંદગીનું રક્ષણ કરવું મહત્ત્વનું છે કે તમારી પાર્ટી માટે વોટ ભેગા કરવા? તો પછી તે જવાબ આપશે કે તેમણે શું કર્યું હશે?

સુરભી નામના એક યૂઝરે લખ્યું છે કે દેશમાં એક તરફ આરોગ્યની કટોકટી છે. હજારો લોકો સારવાર માટે હૉસ્પિટલમાં બેડ અને ઓક્સિજન ન મળવાને કારણે મૃત્યુ પામી રહ્યાં છે. પરંતુ મોદી કોરોના વાઇરસને અટકાવવા કરતાં ચૂંટણીમાં વ્યસ્ત છે.

સાગર પાટીલ નામના યૂઝરે શિવસેનાના નેતા સંજય રાઉતની રેલીના સમાચાર સંસ્થા એએનઆઈએ કરેલા ટ્વીટને રીટ્વીટ કરી લખ્યું છે, "ચિંતા ન કરશો... જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહ પ્રચાર કરે છે ત્યારે કોરોના ફેલાય છે."

ભાજપના આઇટી ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ અમિત માલવિયાએ એક વીડિયો ટ્વીટ કરી લખ્યું, "સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક બંગાળની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભામાં..."

જોકે પશ્ચિમ બંગાળમાં કોરોનાની સ્થિતિને જોતા ચૂંટણીપંચે ગત શુક્રવારે ચૂંટણીપ્રચારમાં કેટલાક પ્રતિબંધ લાદી દીધા છે.

પંચે આદેશ આપ્યો છે કે હવે ચૂંટણીપ્રચાર રાતે 10 વાગ્યે નહીં પણ સાંજે સાત વાગ્યા સુધીમાં સમાપ્ત કરી દેવો પડશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો