You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાકેશ ટિકૈતનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, ગુજરાતના ખેડૂતોને શું કહ્યું?
કૃષિકાયદાના વિરોધમાં ચાલતાં આંદોલનના મુખ્ય નેતા રાકેશ ટિકૈત આજે અમદાવાદની મુલાકાતે છે.
રાકેશ ટિકૈટ આજે ગાંધીઆશ્રમની મુલાકાત લેવાના છે.
બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાના જણાવ્યા અનુસાર, રાકેશ ટિકૈતનો કાર્યક્રમ હોવાથી ગાંધીઆશ્રમને વહેલો ખોલી નાખવામાં આવ્યો છે.
તેમજ આશ્રમની આસપાસ રાકેશ ટિકૈત અને શંકરસિંહ વાઘેલાનાં પોસ્ટર પણ લાગ્યાં છે. તો ટિકૈતની મુલાકાતને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
હાલમાં આશ્રમની આસપાસ ખેડૂતનેતા રાકેશ ટિકૈતના સમર્થકોનો જમાવડો થઈ રહ્યો છે.
તેમજ કરમસદમાં સરદાર નિવાસસ્થાનની પણ મુલાકાત લેશે.
બાદમાં રાકેશ ટિકૈત વડોદરામાં ગુરુદ્વારાનાં દર્શન જશે અને બપોરે બારડોલીમાં સ્વરાજ આશ્રમ ખાતે જશે અને ખેડૂતો સાથે સંવાદ કરશે.
આમ આદમી પાર્ટીનું ખેડૂતોને સમર્થન
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિકાયદાઓના વિરોધમાં દેશભરના ખેડૂતોનું સમર્થન મેળવવા માટે ખેડૂતનેતા રાકેશ ટિકૈત ચાર અને પાંચ એપ્રિલે એમ બે દિવસ ગુજરાતમાં છે. તેઓ આ પ્રવાસ દરમિયાન રેલી અને કાર્યક્રમો કરી રહ્યા છે.
કેશિ ટિકૈત સાથે ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા પણ રેલીમાં જોડાયા છે.
વળી ગુજરાત કૉંગ્રેસે ટિકૈતની આ ગુજરાત મુલાકાતનું સમર્થન કર્યું છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ ટિકૈતનું સ્વાગત કર્યું હતું.
પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા પહેલાં જ કહી ચૂક્યા છે કે તેઓ કૃષિકાયદાના વિરોધ મામલે ખેડૂતોની સાથે છે. અને તેમણે ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવામાં સમર્થન કર્યું છે.
બીજી તરફ બીબીસી સંવાદદાતા દિપલકુમાર શાહ સાથેની વાતચીતમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખેડૂતોના વિરોધ મામલે ટિકૈતને (ખેડૂતોને) સમર્થન પૂરું પાડી જ રહી છે. અને સમર્થન આપવાનું ચાલુ જ રાખશે.
તેમણે વધુમાં જણાવ્યું, "પાર્ટી વડા અરવિંદ કેજરીવાલ પણ ખેડૂતોના મુદ્દે સક્રિય રીતે સમર્થન આપી રહ્યાં છે. હરિયાણામાં પણ કાર્યક્રમ થઈ રહ્યા છે. અમે ગુજરાતમાં પણ રાકેશ ટિકૈતની યાત્રાને અને ખેડૂતોના અભિયાનને સમર્થન આપ્યું છે. આગામી સમયમાં અમે આ મામલે અન્ય કાર્યક્રમો મુદ્દે પણ તૈયારી દાખવી છે."
અત્રે નોંધવું કે, ખેડૂત નેતા રાકેશ ટિકૈતે રવિવાર બપોરે રાજસ્થાન બૉર્ડરથી ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. અહીંથી તેમણે અંબાજી મંદિર દર્શન કર્યાં હતા.
દરમિયાન, તેમણે દાંતા ખાતે એક રેલીમાં કહ્યું, 'ગુજરાતના ખેડૂતોએ જાગવું પડશે અને મજબૂત લડત આપવી પડશે. એક અશ્રુવાયુનો ગોળો અથવા જેલભરોથી ડરવાની જરૂર નથી. અમને તો લાગ્યું કે ગુજરાતમાં આવવા માટે પાસપોર્ટ-વિઝાની જરૂર પડશે. એટલે અમે દસ્તાવેજો સાથે લઈને જ આવ્યા હતા.'
રાજેશ ટિકૈતે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેઓ ગુજરાતમાં આવીને 'ગુજરાતના ખેડૂતોને આઝાદ' કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીની સરહદે ચાલતાં આંદોલનમાં ભાગ લેવા માટે અગાઉ ગુજરાતથી પણ ખેડૂતો આવ્યા હતા અને એ ખેડૂતોનું કહેવું હતું કે તેમને સરકાર દ્વારા રોકવાની કોશિશ થઈ હતી.
ખેડૂત આંદોલનને 100 દિવસથી વધુ સમય થઈ ગયો છે. કેન્દ્ર સરકાર કહે છે કે નવા કૃષિકાયદાઓ ખેડૂતોનાં હિતમાં છે, પણ ખેડૂતોને ભય છે કે આ કાયદાઓથી તેઓ પાયમાલ થઈ જશે.
ખેડૂતો મોદી સરકારે પસાર કરેલા કાયદાઓને કાળા કાયદાઓ ગણાવે છે અને તેને પાછા લેવાની તથા પાકની એમએસપીને કાયદેસર કરવાની માગ કરે છે.
વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા ટિકૈતનું અભિવાદન
દરમિયાન આ પૂર્વે ઉત્તર ગુજરાતના ખેડૂતો અને ખેડૂત સત્યાગ્રહ મંચ દ્વારા રાકેશ ટિકૈતનું અભિવાદન કરાયું હતું. મંચના નેતા લાલજી દેસાઈએ તેમનું સંગઠન અને ખેડૂતો ટિકૈતની સાથે છે અને દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને માટે સમર્થન આપી લડત ચલાવશે એવું આહવાન કર્યું હતું.
રાકેશ ટિકૈત સાથે ખેડૂતોએ એક ટ્રૅક્ટર રેલી પણ યોજી હતી.
રાજસ્થાનના સરહદી વિસ્તારમાં સભા
રાકેશ ટિકૈત ગુજરાતમાં પ્રવેશે એ પહેલાં રાજસ્થાન સરહદ પર ખેડૂતોની સભા યોજાઈ હતી.
આદિવાસી વિસ્તારમાં યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
અહીંથી ટ્રૅક્ટરરેલીના રૂપે તેમણે ગુજરાતની સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો.
રાજસ્થાનમાં ટિકૈત આ પહેલાં શ્રીગંગાનગર, હનુમાનગઢ, કરૈલી, જયપુર, સીકર, અલવર, નાગૌર સહિત 18 ખેડૂતસભાઓ યોજી ચુક્યા છે.
પોતાની તમામ પૂર્વ સભાઓમાં ટિકૈતે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા.
તેમણે એવું પણ કહ્યું છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર ત્રણેય કૃષિકાયદા પરત નહીં લે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
ગુજરાતમાં ખેડૂત આંદોલનની સ્થિતિ
રાકેશ ટિકૈત હાલમાં દેશના અલગઅલગ ભાગોમાં પંચાયતો યોજી રહ્યા છે. રાજસ્થાન બાદ તેઓ ગુજરાતમાં આવ્યા છે.
જોકે ગુજરાતમાં કૃષિકાયદાઓ સામે વિરોધનો સૂર ઓછો સંભળાઈ રહ્યો છે.
ગુજરાતના ખેડૂતોએ 'કિસાન સંઘર્ષ મંચ' તૈયાર કર્યો છે. વિવિધ ખેડૂત સંગઠનોએ એક મંચ પર આવીને આ પ્લૅટફૉર્મ લૉન્ચ કર્યું છે. સુરેન્દ્રનગરના મેરા ગામમાં તેની પહેલી બેઠક મળી હતી.
આ નવા સંગઠિત મંચના સભ્યોનું કહેવું છે કે "હવે રાજ્યમાં તેઓ ખેડૂતોને સંગઠિત કરશે અને નવા કૃષિકાયદાનો વિરોધ કરશે તથા સરકારની અવાજ દબાવવાની કોશિશોની સામે લડત ચલાવશે."
રાકેશ ટિકૈતે કહ્યું હતું, "હું ગુજરાતને આઝાદ કરવા માટે જઈ રહ્યો છું. ત્યાંના ખેડૂતો, અધિકારીઓને આઝાદ કરવાના છે. ઘણા લોકો ગુજરાતમાં બંધનમાં છે."
તેમણે આરોપ મુક્યો હતો, "ગુજરાતથી જે કોઈ લોકો આવે છે એ છુપાઈને અહીં (આંદોલનસ્થળે) આવે છે. જો તેઓ આવે તો તેમને જેલમાં બંધ કરવામાં આવે છે."
અગાઉ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય મહાસચિવ યુદ્ધવીર સિંહ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેઓ પત્રકારપરિષદ યોજી રહ્યા હતા અને એ સમયે તેમની અટકાયત કરાઈ હતી.
પોલીસનું કહેવું હતું કે પત્રકારપરિષદ માટેની પરવાનગી નહોતી લેવાઈ.
રાકેશ ટિકૈતનો ગુજરાત પ્રવાસ
ખેડૂતનેતા રાકેશ ટિકૈત બે દિવસ ચાર અને પાંચ એપ્રિલે ગુજરાતમાં રહેશે. તેઓ અંબાજીમંદિરે દર્શન કરીને તેમની યાત્રાનો પ્રારંભ કરશે.
અંબાજીમાં કિસાન અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપશે અને બાદમાં પાલનપુરમાં ખેડૂતો સાથે સંવાદ કરશે.
બાદમાં રાકેશ ટિકૈત ઊંઝામાં ઉમિયામંદિરમાં પણ દર્શન કરવા જશે.
બીજા દિવસે તેઓ અમદાવાદના ગાંધીઆશ્રમમાં પહોંચશે, તેમજ કરમસદમાં સરદાર નિવાસસ્થાનની પણ મુલાકાત લેશે.
બાદમાં રાકેશ ટિકૈત વડોદરામાં ગુરુદ્વારાનાં દર્શન જશે અને બપોરે બારડોલીમાં સ્વરાજ આશ્રમ ખાતે ખેડૂતો સાથે સંવાદ કરશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો