You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હી કોનું? : નરેન્દ્ર મોદી સરકારનું નવું બિલ અરવિંદ કેજરીવાલની પાંખો કાપી લેશે?
કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર વચ્ચે ફરીવાર ઘર્ષણ થાય તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે લોકસભામાં એક ખરડો રજૂ કર્યો હતો, જે લેફ્ટનન્ટ ગર્વનર (એલજી) એટલે કે ઉપ-રાજ્યપાલને વધુ સત્તા આપે છે.
આ ખરડો લેફ્ટનન્ટ ગવર્નરને અબાધિત સત્તા આપે છે, જે દિલ્હી વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા કાયદાના મામલામાં પણ લાગુ પડે છે.
પ્રસ્તાવિત કાયદો સુનિશ્ચિત કરે છે કે મંત્રીપરિષદના (અથવા દિલ્હી કૅબિનેટ) દ્વારા લેવામાં આવતા નિર્ણયનો અમલ કરતા પહેલા પોતાનો અભિપ્રાય આપવા માટે લેફ્ટનન્ટ ગવર્નરને 'જરૂરી તક આપવી જોઈએ'.
તેનો અર્થ થયો કે કોઈ પણ કાયદો લાગુ કરતા પહેલાં ઉપરાજ્યપાલનો 'અભિપ્રાય' લેવો ફરજિયાત હશે. અગાઉ વિધાનસભામાંથી કાયદો પસાર કર્યા બાદ તેને ઉપ-રાજ્યપાલ પાસે મોકલવામાં આવતો હતો.
બંધારણની 239AA અનુચ્છેદ થકી દિલ્હીને 1991માં સંઘપ્રદેશ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ કાયદા અંતર્ગત દિલ્હીની વિધાનસભાને કાયદા ઘડવા માટેની શક્તિ છે પરતું તેઓ જાહેર વ્યવસ્થા, જમીન અને પોલીસના મામલામાં તે આમ ન કરી શકે.
અરવિંદ કેજરીવાલનું કેન્દ્ર સરકાર સાથે ઘર્ષણ વધી શકે છે
દિલ્હી અને કેન્દ્ર સરકાર વચ્ચે ઘર્ષણ કોઈ નવી વાત નથી. ભાજપ શાસિત કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય રાજધાની માટે કરવામાં આવેલ ઘણાં વહીવટી મામલામાં દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો છે.
સોમવારે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી.ડી. કિશન રેડ્ડીએ દિલ્હીની રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સરકાર (સુધારો) ખરડો 2021 સંસદમાં રજૂ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ખરડો 1991 એક્ટના આર્ટિકલ 21, 24, 33 અને 44માં સુધારાની દરખાસ્ત કરે છે.
ગૃહ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, '1991ના કાયદાની અનુચ્છેદ 44 સમયસર સરકારક કામગીરી માટે કોઈ માળખાકીય પદ્ધતિ આપતી નથી.
નિવેદન અનુસાર "સાથે કોઈ હુકમ બહાર પાડતા પહેલાં કઈ દરખાસ્તો અથવા બાબતોને લેફ્ટનન્ટ ગવર્નરને પાસે મોકલવી, તે વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી."
1991 કાયદાના અનુચ્છેદ 44 મુજબ લેફ્ટનન્ટ ગવર્નરના તમામ નિર્ણયો, જે તેમના મંત્રીઓ અથવા બીજા લોકોની સલાહ પર લેવામાં આવશે, તેની નોંધ લેફ્ટનન્ટ ગવર્નરના નામે કરવાની રહેશે. એક રીતે એવું સમજવામાં આવી રહ્યું છે કે તેના દ્વારા લેફ્ટનન્ટ ગવર્નરનું દિલ્હી સરકાર તરીકે વર્ણન કરવામાં આવી રહ્યું છે,
દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે ભાજપ પર દિલ્હી સરકારની શક્તિઓમાં ઘટાડો કરવાનો આરોપ મૂક્યો છે.
બીજી બાજુ ભાજપ કહે છે કે, 2018માં દિલ્હી સરકાર અને એલજી પર સુપ્રીમ કોર્ટેના ચુકાદા બાદ રજૂ કરવામાં આવેલ ખરડો આમ આદમી પાર્ટી શાસિત દિલ્હી સરકારની 'ગેરબંધારણીય કામગીરી'ને મર્યાદિત કરી નાખશે.
દિલ્હી અને કેન્દ્ર સરકારના ઘર્ષણ બાબતે સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો છે?
એલજી અને દિલ્હી સરકાર વચ્ચે કામ કરવાનો મુદ્દો અદાલત સુધી જઈ આવ્યો છે.
4 જુલાઈ 2018ના રોજ પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પોતાના નિર્ણય વિશે તે એલજીને જાણ કરવાની મંત્રીમંડળની ફરજ છે અને તેમની કોઈ સહમતી ફરજિયાત નથી.
14 ફેબ્રુઆરી 2019ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, 'કાયદાકીય સત્તાને કારણે એલજી કૅબિનેટની સલાહથી બંધાયેલા છે, તેઓ ફક્ત અનુચ્છેદ 239AAના આધારે કૅબિનેટથી અલગ રસ્તો લઈ શકે છે.'
અનુચ્છેદ મુજબ જો મંત્રીમંડળના કોઈ સૂચનથી એલજીનો મત અલગ છે તો તેઓ તેને રાષ્ટ્રપતિ પાસે લઈ જઈ શકે છે. કોર્ટે કહ્યું હતું કે આવા કિસ્સામાં એલજી રાષ્ટ્રપતિના નિર્ણયનો સ્વીકાર કરશે.
ટ્વિટ કરીને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, 'દિલ્હીની જનતાએ જાકારો આપ્યા બાદ ભાજપ (વિધાનસભામાં 8 બેઠકો, એમસીડીની પેટાચૂંટણીમાં 0) આજે લોકસભામાં ખરડો લાવીને ચૂંટાયેલી સરકારની સત્તા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. આ ખરડો બંધારણીય બૅંચના નિર્ણયની વિરુદ્ધ છે. અમે ભાજપના ગેરબંધારણીય અને લોકશાહી વિરોધી પગલાની સખત નિંદા કરીએ છીએ."
બીજા ટ્વિટમાં તેમણે લખ્યું, "બિલ કહે છેઃ 1. દિલ્હી માટે એલજીનો અર્થ 'સરકાર' હશે. તો પછી ચૂંટાયેલી સરકાર શું કરશે? 2. બધી ફાઇલો એલજી પાસે જશે. આ બંધારણીય બૅંચના 04.07.2018ના રોજ આપવામાં આવેલ ચુકાદાની વિરુદ્ધ છે જેમાં કહેવામાં આવ્યું છે કે એલજીને ફાઇલો નહીં મોકલવામાં આવે. ચૂંટાયેલી સરકાર તમામ નિર્ણયો લેશે અને બાદમાં નિર્ણયની એક નકલ એલજીને મોકલશે."
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યું છે કે "ચૂંટણી પહેલા ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીને સંપૂર્ણ રાજ્ય બનાવીશું. ચૂંટણી જીત્યા બાદ તેઓ કહે છે કે દિલ્હીમાં એલજી જ સરકાર રહેશે."
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ આ ખરડાનો વિરોધ કર્યો છે.
અરવિંદ કેજરીવાલના ટ્વિટને રિટ્વીટ કરીને ઓમર અબ્દુલ્લાએ લખ્યું છે કે, '2019માં જમ્મુ-કાશ્મીર અંગેના કેન્દ્રના નિર્ણયને આમ આદમી પાર્ટીએ સમર્થન આપ્યું હતું, જેમાં રાજ્યના બધા અધિકારો લઈ લેવામાં આવ્યા હતા. તેમ છતાં હું કેન્દ્ર સરકારના ખરડાનો વિરોધ કરું છું, જેના થકી દિલ્હીની ચૂંટાયેલી સરકારની શક્તિઓને નબળી પાડવામાં આવી રહી છે. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ અને સત્તા ચૂંટાયેલી સરકારના હાથમાં રહેવી જોઈએ ન કે એલજી પાસે.''
આમ આદમી પાર્ટીને કૉંગ્રેસનો ટેકો મળ્યો
દિલ્હી કૉંગ્રેસે પણ ખરડા પર વાંધો ઉઠાવ્યો છે. પક્ષનું કહેવું છે કે, આ બિલ દિલ્હી સરકારની શક્તિ ઓછી કરવાની સાથે દિલ્હીની જનતાની તાકાત પર સીધો હુમલો છે, જનતાએ લોકશાહી પ્રક્રિયા દ્વારા સરકાર ચૂંટી છે.
પૂર્વ ધારાસભ્ય અને કૉંગ્રેસના નેતા અનિલ ભારદ્વાજે એક પત્રકારપરિષદમાં જણાવ્યું કે જો આ ખરડો પસાર થઈ જાય છે તો એ દિવસ દિલ્હી માટે 'કાળો દિવસ' હશે અને આ લોકશાહીની હત્યા ગણાશે કારણકે સ્પષ્ટ રીતે તે બંધારણના મૂળ સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે.
તેઓ વધુમાં જણાવે છે કે જો આ ખરડો પસાર થઈ જાય છે તો ભાજપ બૅકસીટ પર રહીને એલજી મારફત સરકાર ચલાવશે અને દિલ્હી સરકારે વહીવટી કામગીરી માટે દરરોજ પરવાનગી લેવી પડશે.
દિલ્હી કૉંગ્રેસનું કહેવું છે કે તેઓ આ ખરડા વિરુદ્ધ 17મી માર્ચે જંતર-મંતર ખાતે વિરોધપ્રદર્શન કરશે.
અનિલ ભારદ્વાજે આશ્ચર્ય વ્યક્ત કરી જણાવ્યું કે કેન્દ્રીય કૅબિનેટે 1 ફેબ્રુઆરીના રોજ આ બિલને મંજૂરી આપી હતી ત્યારે મુખ્ય મંત્રી કેજરીવાલે શા માટે વાંધો ઉઠાવ્યો નહોતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો