ચીને એલએસી પર તહેનાતીનાં પાંચ અલગઅલગ કારણ જણાવ્યાં : જયશંકર - TOP NEWS

ચીને એલએસી પર તહેનાતીનાં પાંચ અલગઅલગ કારણ જણાવ્યાં : જયશંકર - TOP NEWS

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે ચીને ભારતને વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલએસી પર ભારે તહેનાતીનાં પાંચ "અલગઅલગ સ્પષ્ટીકરણ" આપ્યાં છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપોર્ટ પ્રમાણે વિદેશમંત્રીએ કહ્યું કે ચીને દ્વીપક્ષીય કરારનું ઉલ્લંઘન કર્યું છે, આથી ભારત અને ચીનના સંબંધો "સૌથી મુશ્કેલ સમય"માંથી પસાર થઈ રહ્યા છે.

તેઓએ વધુમાં કહ્યું કે જૂનમાં ગલવાનમાં થયેલા ઘર્ષણે દેશની ભાવનાને સંપૂર્ણ રીતે બદલી નાખી, જેમાં 20 ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં.

ઑસ્ટ્રેલિયન થિન્ક ટૅન્ક 'લૉવી' સંસ્થાન તરફથી આયોજિત ઓનલાઇન કાર્યક્રમમાં જયશંકરે કહ્યું, "અમે આજે કદાચ ચીન સાથે સૌથી મુશ્કેલ દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ. કદાચ છેલ્લાં 30-40 વર્ષમાં સૌથી વધુ."

તેઓએ કહ્યું કે "બહુ મોટી સમસ્યા" છે કે હવે સંબંધોને પાટા પર કેવી રીતે લાવી શકાશે?

મધ્ય પ્રદેશમાં ભોજનને સ્પર્શ કરતાં દલિતને માર મારતાં મૃત્યુ

મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 100 કિલોમિટર દૂર ગૌરીહાર પોલીસચોક ક્ષેત્રના એક ગામમાં બે લોકોએ કથિત રીતે ભોજનને સ્પર્શ કરનારા 25 વર્ષીય દલિત યુવકને કથિત રીતે માર માર્યો, બાદમાં તેનું મૃત્યુ થઈ ગયું.

'જનસત્તા' અખબારે દેવરાજ અનુરાગી (25)ના પરિવારના સભ્યોના હવાલાથી જણાવ્યું કે ગામના બે આરોપીએ દેવરાજને પાસેના ખેતરમાં પાર્ટી માટે આમંત્રણ આપ્યું હતું.

તેઓએ જણાવ્યું કે દેવરાજ જ્યારે બે કલાક બાદ ઘરે પરત ફર્યા ત્યારે તેણે તેના પરિવારને આપવીતી જણાવી કે તેમના ભોજનને અડતા આરોપીઓએ તેમને ઢોરમાર માર્યો.

તેઓએ જણાવ્યું કે દેવરાજની પીઠ પર ઈજાનાં નિશાન હતાં.

ઘર પહોંચતા થોડી વાર પછી તેને છાતીમાં દુખાવો થયો અને ઘરમાં જ દમ તોડી દીધો.

એસપીએ જણાવ્યું કે બંને આરોપી ફરાર છે. પોલીસે તેમને પકડવા માટે ટીમ બનાવી છે અને તેમની શોધખોળ ચાલુ છે.

ઇન્ટર્નશિપ કરતાં ડૉક્ટરોની હડતાળની ચીમકી

અમદાવાદમાં સરકારી હૉસ્પિટલોમાં કોવિડ મહામારીમાં ફરજ બજાવતા ઇન્ટર્નશિપ ડૉક્ટરોએ સ્ટાઇપેન્ડ વધારવા માગ કરી છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ડૉક્ટરોએ એવી પણ ધમકી આપી છે કે જો તેઓ તેમનો વર્તમાન પગાર મહિને 12,800થી વધારીને 20,000 કરવામાં નહીં આવે તો તેઓ હડતાળ પર ઊતરશે.

એમ.બી.બી.એસ. પૂર્ણ કરી ચૂકેલા અને સરકારી કૉલેજોની હૉસ્પિટલોમાં ફરજ બજાવતા ઇન્ટર્ન ડૉકટરોએ ડીન, અધીક્ષક અને કોવિડ નોડલ અધિકારીને પત્ર પણ લખ્યો છે.

તેઓએ પત્રમાં તેમની માગ તાત્કાલિક પૂર કરવા કહ્યું છે.

આ ડૉક્ટરોએ જણાવ્યું કે તેઓ એપ્રિલ મહિનાથી કોવિડ19 વૉર્ડમાં સેવા આપી રહ્યા છે અને અંદાજે 150 ઇન્ટર્ન ડૉક્ટરોને કોરોનાનો ચેપ પણ લાગી ચૂક્યો છે.

કર્ણાટક વિધાનસભામાં ગોહત્યાવિરોધી બિલ પાસ

કર્ણાટક વિધાનસભામાં ભારે હોબાળા વચ્ચે બુધવારે ગોહત્યાવિરોધી બિલ પાસ થઈ ગયું.

કૉંગ્રેસે પહેલાં વિરોધ કર્યો હતો અને બાદમાં તેના ધારાસભ્યો સદનની કાર્યવારી છોડીને બહાર ચાલ્યા ગયા હતા.

ઉત્તર પ્રદેશના કાયદાની જેમ બનેલા 'કર્ણાટક પશુવધ રોક અને સંરક્ષણ વિધેયક 2020'ને કર્ણાટક વિધાનસભામાં પશુપાલનમંત્રી પ્રભુ ચૌહાણે રજૂ કર્યું.

કૉંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ બિલનો વિરોધ કરતાં કહ્યું કે બિલ કોઈ નોટિસ કે પ્રસ્તાવિક વિધેયકની કૉપી મોકલ્યા વિના રજૂ કરાયું છે.

આ મામલે વિપક્ષના ઘણા ધારાસભ્યો વેલમાં પહોંચી ગયા હતા.

કૉંગ્રેસના ધારાસભ્ય દ્વરા સદનમાંથી વૉકઆઉટ કરાતા માત્ર ભાજપના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં બિલ પાસ થઈ ગયું.

સદન બહાર પત્રકારો સાથે વાત કરતાં સિદ્ધારમૈયાએ કહ્યું, "બિઝનેસ ઍડવાઇઝરી કમિટી (બીએસી)માં પણ આ બિલ અંગે કોઈ ચર્ચા નહોતી થઈ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો