કોરોના વૅક્સિન : શું આખા ભારતને રસીકરણની જરૂર નથી?

    • લેેખક, કમલેશ
    • પદ, બીબીસી સંવાદદાતા

કોરોના વાઇરસના સંક્રમણના આંકડા વધવાની સાથેસાથે ભારતમાં કોવિડ વૅક્સિનની ચર્ચા પણ વધી રહી છે.

એક અબજથી વધુ વસતીવાળા દેશમાં દરેકને રસી મળી શકશે કે નહીં? આ સવાલ અને રસીકરણ અભિયાનમાં આવનારા પડકારોને લઈને ચિંતા વ્યક્ત કરાઈ રહી છે.

જોકે હાલમાં સરકાર દ્વારા આપેલી એક નવી જાણકારીએ એક નવી ચર્ચા છેડી છે.

મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે એક પત્રકારપરિષદમાં કહ્યું કે આખા દેશમાં રસીકરણની વાત સરકારે ક્યારેય નથી કરી. રસીકરણ સીમિત જનસંખ્યાનું કરાશે.

રાજેશ ભૂષણના નિવેદનને વધુ સ્પષ્ટ કરતા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના ડાયરેક્ટર જનરલ ડૉક્ટર બલરામ ભાર્ગવે કહ્યું કે સરકારનો ઉદ્દેશ વાઇરસની ટ્રાન્સમિશન ચેનને તોડવાનો છે.

ડૉક્ટર બલરામ ભાર્ગવે કહ્યું, "જો આપણે વસતીના એ ભાગને, જેની કોરોનાની ઝપેટમાં આવવાની વધુ શક્યતા છે એને વૅક્સિન આપીને કોરોના સંક્રમણને કાબૂમાં લેવામાં સફળ રહ્યા તો કદાચ પૂરી વસતીને વૅક્સિન આપવાની જરૂર ન પડે."

આ અગાઉ અનુમાન લગાવવામાં આવતું હતું કે સરકાર રસીકરણ અભિયાનમાં આખી વસતીને સામેલ કરશે.

પણ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે સરકાર હાલમાં બધી જનસંખ્યાને વૅક્સિન નથી આપવાની.

પરંતુ તેમ છતાં ઘણા સવાલો બાકી છે. જેમ કે વસતીના એક ખાસ સમૂહને વૅક્સિન આપીને સંક્રમણને કેવી રીતે રોકી શકાશે, આ રીત કેટલી અસરકારક હોઈ શકે છે અને તેની જરૂર કેમ પડી"

રસીકરણની રણનીતિ

આ અંગે સાર્વજનિક નીતિ અને સ્વાસ્થ્ય પ્રણાલી વિશેષજ્ઞ ડૉક્ટર ચંદ્રકાંત લહારિયાનું કહેવું છે કે વૅક્સિનનો ઉપયોગ કેવી રીતે કરાશે એ નિર્ણય બે આધારે લેવાય છે. પહેલો વૅક્સિનની ઉપલબ્ધતા અને બીજો તેનો ઉદ્દેશ.

ડૉક્ટર લહારિયા 'ટિલ વી વિન : ઇન્ડિયાઝ ફાઇટ અગેન્સ્ટ કોવિડ-19 પેન્ડેમિક'ના સહલેખક પણ છે.

તેઓ કહે છે, "આપણે પહેલા એ જોવું પડશે કે રસીકરણનો ઉદ્દેશ શું છે. જો કોઈ દેશ પાસે સીમિત વૅક્સિન હોય અને તેનો ઉદ્દેશ મૃત્યુદર ઘટાડવાનો હોય તો તેને એ જનસંખ્યાની પસંદગી કરવી પડશે, જ્યાં વધુ મૃત્યુ થઈ રહ્યાં છે. જેમ કે વૃદ્ધો, પહેલેથી કોઈ બીમારથી ગ્રસ્ત લોકો અને સ્વાસ્થ્યકર્મીઓ."

"પરંતુ વૅક્સિન મળી ગઈ અને એવી પરિસ્થિતિ હોય કે મૃત્યુદર ઘણો ઓછો છે, પણ સંક્રમણ બહુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. એવામાં સરકાર પણ નિર્ણય લઈ શકે કે મૃત્યુદર તો ઓછો છે એટલે પહેલા સંક્રમણને રોકવામાં આવે."

" જો આ રણનીતિ અપનાવાય તો એ લોકોને પહેલા રસી આપવામાં આવે છે, જેમને સંક્રમણ થવાનું અને જેનાથી સંક્રમણ ફેલાવવાનું જોખમ વધુ હોય છે."

પોતાના નિર્ણયમાં પણ સરકારે એ લોકોને પહેલા રસી આપવાની વાત કરી, જેને વધુ ખતરો છે. આ લોકોમાં સ્વાસ્થ્યકર્મી અને પોલીસકર્મી સામેલ થઈ શકે છે.

સ્વાસ્થ્યકર્મીઓમાં માત્ર ડૉક્ટર અને નર્સ નહીં હોય પણ બૉય, સફાઈકર્મી અને એમ્બ્યુલન્સ ડ્રાઇવર વગેરે સામેલ થઈ શકે છે.

સીમિત સમય અને સંસાધન

તો બધા લોકો સુધી રસી પહોંચાડવી પણ એક પડકાર છે. તેમાં સ્ટોરેજથી લઈને વિતરણ સુધી મોટી માત્રામાં સંસાધનોની જરૂર પડશે.

આ સાચું છે કે રસીકરણ અભિયાનોમાં ભારતનો બહુ મોટો અનુભવ છે. ભારત દુનિયાના સૌથી મોટા વૅક્સિન ઉત્પાદકોમાં એક છે.

અહીં પોલિયો, શીતળા અને અન્ય બીમારીઓ માટે ચલાવાયેલાં રસીકરણ અભિયાનોની સફળતાને કારણે ભારત પાસે પહેલેથી એક વ્યવસ્થિત પ્રણાલી છે.

પરંતુ હાલમાં વૅક્સિનની ટ્રાયલ જ પૂરી નથી થઈ અને સંક્રમણનું સ્તર જોતાં સરકાર પાસે સમય પણ ઓછો છે, જ્યારે પહેલાંનાં રસીકરણ અભિયાનો વર્ષો સુધી ચલાવાયાં હતાં.

ભારતમાં આ સમયે પાંચ વૅક્સિન પ્રોજેક્ટ્સની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે, જેમાં બે ભારતમાં બની છે અને ત્રણ વિદેશમાં.

આ સિવાય બ્રિટન-સ્વિડનની ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાજેનેકા અને મૉડર્નાએ વૅક્સિનનાં સારાં પરિણામ સામે આવ્યાંની વાત કરી છે. અમેરિકન કંપની ફાઇઝરની વૅક્સિનને તો બ્રિટને મંજૂરી પણ આપી દીધી છે.

કેવી રીતે તૂટશે સંક્રમણની ચેન?

પરંતુ સૌથી વધુ જોખમવાળી વસતીને વૅક્સિન આપવા પાછળનો હેતુ સંક્રમણને ઓછો કરવાનો છે.

આ કેવી રીતે શક્ય છે? તે અંગે ઇન્દ્રપ્રસ્થ અપોલો હૉસ્પિટલમાં સિનિયર કન્સલ્ટન્ટ ડૉક્ટર સુરનજિત ચેટરજી કહે છે કે તેમાં એ જ રીત કામ કરે છે, જે હર્ડ ઇમ્યુનિટીમાં થાય છે.

ડૉક્ટર સુરનજિત કહે છે, "જેવું કે હર્ડ ઇમ્યુનિટીમાં થાય છે કે કેટલાક ટકા લોકો કોઈ બીમારીથી ઇમ્યુન થઈ જાય તો સંક્રમણ ઓછું થઈ જાય છે. જો કોઈને પહેલાં ચેપ લાગ્યો છે અને પછી સાજા થઈ ગયા બાદ તેમનામાં ઇમ્યુનિટી બની ગઈ છે, તો પછી કોરોના સંક્રમણ થવા પર વાઇરસ એ વ્યક્તિના શરીરમાંથી અન્યમાં નહીં ફેલાય."

"આ જ વાત વૅક્સિનને લઈને છે. જો એ લોકોને વૅક્સિન અપાય, જેમને ચેપ લાગવાની અને તેમનાથી ચેપ ફેલાવવાની શક્યતા વધુ છે, તો તેમનામાં કોરોના વાઇરસ માટે ઇમ્યુનિટી પેદા થઈ જશે. તેઓ પછી વાઇસના કેરિયર નહીં બને. આ રીતે સંક્રમણની ચેન તૂટી જાય છે અને ચેપ ઓછા લોકોને લાગે છે."

ભારતમાં પહેલાં પણ રસીકરણ અભિયાન ચાલ્યાં છે, પણ તેમાં આવી રીત નહોતી અપનાવાઈ.

અલગ પરિસ્થિતિઓ

ડૉક્ટરો આ પરિસ્થિતિઓને પહેલાંથી અલગ ગણાવે છે. કોવિડ-19 મહામારી પહેલાંની મહામારીઓથી અલગ છે.

આ વાઇરસ બહુ ઝડપથી ફેલાય છે. જોતજોતામાં આ થોડા મહિનાઓમાં આખી દુનિયામાં ફેલાઈ ગયો. ગંભીર કેસમાં તેનાથી લોકોનાં મૃત્યુ પણ થઈ જાય છે.

અને પહેલાં કરતાં દુનિયા હવે એકબીજા સાથે વધુ જોડાયેલી છે. લોકો એકથી બીજા દેશમાં આવતાજતા રહે છે. તેનાથી ચેપ જલદી ફેલાય છે.

બીમારીનો ઝડપી ફેલાવો, તૂટતી અર્થવ્યવસ્થા, કામકામ ઠપ અને રાજકીય દબાણ પણ એટલું છે કે બીમારીને જલદીથી જલદીથી નિયંત્રિત કરવાની જરૂર છે.

જાણકારો અનુસાર આ હાલતમાં ઝડપથી બીમારી પર કાબૂ મેળવવા માટે પ્રાથમિકતાના આધારે વૅક્સિન અપાય છે. તેના પર આખા વિશ્વમાં સહમતી હોય છે.

જોકે બાદમાં વૅક્સિનની અસર અને જરૂર પ્રમાણે દરેક દેશ નિર્ણય લે છે.

કેસ ઓછા થશે

ડૉક્ટર સુરનજિત ચેટરજી કહે છે કે આ રીતથી વાઇરસ સંપૂર્ણ ખતમ તો નહીં થાય, પણ ચેપના મામલા ઓછા થઈ શકશે, જેનાથી સ્વાસ્થ્ય સુવિધાઓ પર ભાર પણ હળવો થશે. પછી જે લોકો સંક્રમિત થશે તેમનામાં વાઇરસ નબળો પડી જશે, તેમને સારી સારવાર મળી શકશે અને લોકોમાં ડર પણ ઓછો થઈ જશે.

તેઓ કહે છે કે ભારતની જનસંખ્યા જોતા દરેક વ્યક્તિને રસી આપવી મુશ્કેલ છે. એટલા માટે વર્તમાન સંસાધનોમાં તત્કાળ સમાધાન શોધવાની જરૂર છે. તેનાં શું પરિણામ આવે છે, એ પછી આગળની રણનીતિ બનશે.

ડૉક્ટર ચંદ્રકાંત લહારિયા અનુસાર મહામારી દરમિયાન અને બાદમાં રસીકરણની રણનીતિ અલગ હોય છે. માનવામાં આવે છે કે આ મહામારી વર્ષ 2021ના અંતમાં ખતમ થશે, પરંતુ કેટલાક ભાગમાં કોરોના વાઇરસ રહેશે. એ બાદ જોવું પડશે કે સરકાર શું રીત અપનાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો