You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મેક્રોં : મુસલમાનોની લાગણી સમજીએ છીએ પણ કટ્ટર ઇસ્લામથી સૌને જોખમ - BBC TOP NEWS
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅનુઍલ મેક્રોંએ કહ્યું છે કે તેઓ મુસ્લિમોની લાગણીઓ સમજે છે જોકે કટ્ટર ઇસ્લામ બધા માટે જોખમી છે.
રાષ્ટ્રપતિએ આ વાત કતારની ન્યૂઝ ચેનલ અલ-જઝીરાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કરી. તેમણે ઇન્ટરવ્યૂમાં પયંગબર મોહમ્મદનાં કાર્ટૂન બતાવાયા બાદ થયેલી હત્યાઆઓ, તેમના નિવેદન અને મુસ્લિમ દેશોના વિરોધની વાત કરી.
રાષ્ટ્રપતિ મેક્રોંએ કહ્યું, "હું મુસલમાનોની લાગણીઓ સમજુ છું, જેમને પયંગબર મોહમ્મદનાં કાર્ટૂન બતાવાતાં આઘાત પહોંચ્યો છે. પણ જે 'કટ્ટર ઇસ્લામ'થી તેઓ લડવાનો પ્રયાસ કરી રહ્યા છે, એ તમામ લોકો માટે, ખાસ કરીને મુસલમાનો માટે જોખમી છે."
"હું આ લાગણીઓને સમજુ છું અને તેનું સન્માન કરું છું. પણ તમારે હાલ મારી ભૂમિકા સમજવી પડશે. મને આ ભૂમિકામાં બે કામ કરવા દો. શાંતિને પ્રોત્સાહન આપવું અને આ અધિકારોનું રક્ષણ કરવું."
તેમણે કહ્યું કે તેઓ પોતાના દેશમાં બોલવાની, લખવાની, વિચારવાની અને દોરવાની આઝાદીનો હંમેશાં બચાવ કરશે.
યોગી આદિત્યનાથે કહ્યું, 'લવ-જેહાદ રોકવા નવો કાયદો લાવીશું'
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે આંતરધર્મ લગ્નોને નિયંત્રિત કરવા માટે તેમની સરકાર નવો કાયદો લાવશે.
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાને ટાંકીતાં આદિત્યનાથે જણાવ્યું કે તેમની સરકાર મહિલાઓની સુરક્ષા બાબતે ગંભીર છે અને એ માટે દરેક પગલાં લેશે.
અહેવાલ અનુસાર યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં યોજાનારી પેટાચૂંટણી માટે પ્રચાર કરતી વખતે 'લવ-જેહાદ રોકવા' નવો કાયદા લાવવની વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, “હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે લગ્ન માટે ધર્મપરિવર્તન જરૂરી નથી. પોતાની ઓળખ છુપાવીને મહિલાઓ સાથે છેતરપિંડી કરતાં લોકો સામે સરકાર કડક હાથે કામ લેશે.”
આદિત્યનાથે કહ્યું કે “જો આવી વ્યક્તિઓ નહીં સુધરે તો તેમને રામ નામ સત્ય હૈ ની યાત્રાએ જવું પડશે.”
30 ઑક્ટોબરે અલાહાબદ હાઈકોર્ટે ચૂકાદો આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે માત્ર લગ્ન માટે ધર્માંતરણ કરવું કાયદાની નજરમાં માન્ય નથી.
LACમાં એકતરફી બદલાવ ભારતને મંજૂર નથી : એસ. જયશંકર
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે લાઇન ઑફ ઍક્ચુઅલ કંટ્રોલમાં એકતરફી રીતે ફેરફાર કરવાના પ્રયાસનું ભારત સમર્થન કરશે નહીં.
તેમણે કહ્યું કે કોરોના સંક્રમણના કારણે ભારત-ચીન સંબંધો પર બહુ દબાણ આવ્યું છે.
અહેવાલ અનુસાર સરદાર પટેલ મેમોરીયલ લૅક્ચર આપતી વખતે એસ. જયશંકરે જણાવ્યું કે “વારસામાં મળેલાં સમસ્યાઓ અને પડકારો પર ભારત અને ચીને ધ્યાન કેન્દ્રિત કર્યું, જેના લીધે ત્રણ દાયકા સુધી બંને દેશો વચ્ચે સંબંધો એકદમ સામાન્ય રહ્યા હતા."
તેમણે કહ્યું કે સરહદ પર જે શાંતિ હતી, તેના કારણે બંને દેશોએ બીજાં ક્ષેત્રોમાં સહકારની નીતિ અપનાવી, પણ કોરોના સંક્રમણ બાદ સ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે.
પરિસ્થિતિ સામાન્ય કરવા માટે જરૂરી છે કે બંને દેશો એકબીજા સાથે થયેલા કરારોને માન્ય રાખે અને તે મુજબ વર્તન કરે.
જયશંકરે કહ્યું કે જ્યાં સુધી એલએસીમાં કોઈ પણ પ્રકારના એકપક્ષીય ફેરફાર માટે ભારત તૈયાર નથી અને આ દેશને મંજૂર નથી.
સરકાર આદિવાસીઓને હકો આપતી નથી : ગુજરાત હાઈકોર્ટ
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાત હાઈકોર્ટ જણાવ્યું છે કે રાજ્ય સરકાર આદિવાસીઓના હકોનું રક્ષણ કરવા બાબતે ગંભીર નથી.
અહેવાલ અનુસાર કોર્ટે કહ્યું છે કે આદિવાસીઓને વન્ય જમીન અધિકાર કાનૂન હેઠળ જમીન ખેડવાની પરવાનગી આપતી નથી સાથે જગંલ વસાહતોને રેવન્યૂ ગામમાં રૂપાંતર કરવાની અરજીનો સ્વીકાર કરતી નથી.
આદિવાસી અને વન્ય વિસ્તારોમાં રહેતા લોકો પાસેથી ખેતીની જમીન માટેની અરજીનો સ્વીકાર કરવાની બાબતે એક પીઆઈએલની સુનાવણી વખતે જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાળાની ખંડપીઠે જણાવ્યું કે આ દુઃખદ છે કે 18 વર્ષ વીતી ગયાં છે અને આ મામલામાં કોઈ પ્રગતિ થઈ નથી.
હાઈકોર્ટમાં જે પીઆઈએલ દાખલ કરવામાં આવી છે તે મુજબ 2013માં હાઈકોર્ટનાં સ્પષ્ટ સૂચનો છતાં વન્ય જમીન અધિકાર કાનૂન હેઠળ આદિવાસી લોકો અને વનવાસીઓ દ્વારા કરવામાં આવેલા 1.28 લાખ દાવાઓ અંગે કોઈ ઠરાવ કરવામાં આવ્યો નથી.
હાઈકોર્ટે રાજ્ય સરકારને 2 ડિસેમ્બર સુધી આ અંગેનો જવાબ કોર્ટમાં જણાવવાનો નિર્દેશ આપ્યો છે.
નાણામંત્રી સાથે મતભેદ અને અર્થતંત્રમાં સુધારો ન હોવાથી રાજીનામું આપ્યું : સુભાષ ગર્ગ
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર પૂર્વ નાણાસચિવ સુભાષચંદ્રા ગર્ગે નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મતભેદ અને કેન્દ્ર સરકારની સુધારાઓ માટેની અનિચ્છાના કારણે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી છે.
પોતાના બ્લૉગમાં તેમણે જણાવ્યું કે નાણામંત્રી બનવાના એક મહિના બાદ નિર્મલા સીતારમણે 2019માં તેમની બદલી માટે પ્રયાસો કર્યા હતા.
તેમણે લખ્યું છે, “ચૂંટાયા બાદ સરકારે 2024-25 સુધી ભારતના અર્થતંત્રને 5 ટ્રિલીયન અમેરિકન ડૉલર સુધી લઈ જવાની વાત કરી હતી."
"પાંચ ટ્રિલીયનના અર્થતંત્ર માટે જે રોકાણપ્લાન અને સુધારા જોઈએ, તેની વાત 2019-2020નું વાર્ષિક બજેટ બનાવતી વખતે તદ્દન ભુલાઈ ગઈ હતી."
“100 દિવાસના કાર્યક્રમ અંતગર્ત સરકારે અમુક સંસદક્ષેત્રોને ખુશ કરવા માટે ઘણી બધી જાહેરાતો કરી અને જે સુધારા જાહેર કરવામાં આવ્યા, તે બહુ સુક્ષ્મ હતા."
રાજસ્થાન કૅડરના આઈએએસ ઑફિસર સુભાષચંદ્રા ગર્ગની 36 વર્ષની કારર્કિદી દરમિયાન તેઓ ઘણી વખત સિનિયર અધિકારીઓ અને મંત્રીઓ સાથે વિવાદમાં ઊતરી ચૂક્યા છે.
હાર દેખાય ત્યારે ભાજપ પાકિસ્તાનનું નામ લે છે:રણદીપ સુરજેવાલા
કૉંગ્રેસના જનરલ સેક્રેટરી રણદીપ સુરજેવાલાએ કહ્યું કે જ્યારે પણ ભાજપને લાગે છે કે તેઓ ચૂંટણી હારી જશે ત્યારે તરત પાકિસ્તાનનું નામ લેવાનું શરૂ કરી દે છે.
ધ હિન્દુના અહેવાલ અનુસાર સુરજેવાલાએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ભાજપના નેતાઓ રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ તેમનું ‘રાજકીય સંતુલન’ ગુમાવી ચૂક્યા છે અને તેથી જ તેઓ પાકિસ્તાન વિશે વાત કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે જ્યારે પણ ભાજપને પરાજય દેખાય છે, ત્યારે તેઓ પાકિસ્તાનનો ‘આશ્રય’ લઈ લે છે.
બિહારમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા સુરજેવાલાએ કહ્યું કે બિહારમાં નીતીશ કુમારની સરકારના કથિત ભ્રષ્ટાચાર અંગે ભાજપ અને વડા પ્રધાન પાસે કોઈ જવાબ નથી. અણઆવડતના કારણે રાજ્યમાં બેરોજગારી વધી રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો