You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ શ્રેય હૉસ્પિટલ આગ : 'અમારે મોઢું જોવું છે, હું હાથ જોડું છું', પરિવારજનોની હૃદયવિદારક આપવીતી
અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં બનેલી આગની ઘટનામાં આઠ કોરોનાના દરદીઓનાં મૃત્યુ થયાં છે.
આ હૉસ્પિટલના છેલ્લા માળે આઈસીયુ વોર્ડ આવેલો હતો અને ત્યાં આગની ઘટના બની છે.
રાજેશ ભટ્ટે બીબીસીને કહ્યું કે રાત્રે ત્રણ વાગે પીપીઈ કિટમાં સ્ટાફ કામ કરી રહ્યો એ સમયે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી.
તો આ ઘટના મામલે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.
આગ લાગ્યાની જાણ થતાં હૉસ્પિટલમાં દાખલ દર્દીઓનાં સગાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
દર્દીઓનાં સગાંએ આરોપ લગાવ્યો કે હૉસ્પિટલ તરફથી તેમને કોઈ જાણ કરવામાં આવી નથી.
'અમને ડેડબૉડી આપી દો'
ઘટનાની જાણ થતાં બીબીસી ગુજરાતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ત્યાં હાજર લોકો સાથે વાત કરતાં જાણવા મળ્યું કે હૉસ્પિટલ તરફથી તેમને કોઈ જાણકારી આપવામાં આવતી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કિશોરભાઈ સિંધી મહેસાણાના ખેરાલુથી આવે છે અને તેમના એક સગા પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે.
બીબીસી સાથેની વાતચીતમાં કિશોરભાઈ સિંધી કહે છે, અમારા નાનાભાઈનાં પત્નીને અહીં દાખલ કરેલાં હતાં. ગઈકાલ સુધી તેમને સારું હતું, આજે સવારે એમને શિફ્ટ કરવાનાં હતાં.
તેઓ વધુમાં કહે છે, "રાત્રે 10 વાગ્યા આસપાસ એમની સાથે વાત પણ થઈ હતી. આગની ઘટના અંગે હજુ સુધી અમને હૉસ્પિટલ તરફથી કોઈ જાણ કરવામાં આવી નથી."
"કોઈ સત્તાધીશો કે ડૉક્ટરો પણ હાજર નથી. અમને કહેવામાં આવ્યું કે આઠ લોકોનાં મૃત્યુ થયાં છે, એમાં તમારા દર્દી પણ આવી ગયાં છે."
કિશોરભાઈ કહે છે કે એમને એમના સગાને જોવા દેવામાં આવતા નથી.
તેઓ કહે છે, "અમને કીધું કે દર્દીનું મૃત્યુ થયું છે. તો અમે કહ્યું કે અમને એમને જોવા દો. તો કહ્યું કે એવી કોઈ પરવાનગી નથી."
કિશોરભાઈ પોતાની વ્યથા જણાવતાં કહે છે, "દર્દી સાજા હતા ત્યારે ડૉક્ટરોએ પીપીઈ કિટ પહેરીને અમને જવા દીધા હતા. પણ હાલ અમને બૉડી જોવા જવા દેવામાં આવતા નથી. જે કોઈ જવાબ આપે છે એ પોલીસવાળા આપે છે."
"અમે ખેરાલુથી અહીં આવ્યા છીએ. અમારી ડેડબૉડીને અહીંથી સિવિલ લઈ ગયા છે. હવે અમારે સિવિલ જઈને પણ ફાંફાં મારવાના. કમસે કમ અમને અમારી ડેડબૉડી તો આપવી જોઈએ."
'ચહેરો અમને બતાવી દો, હાથ જોડું છું'
આગમાં મૃત્યુ પામનારાઓમાં પાંચ પુરુષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે.
હૉસ્પિટલના સત્તાધીશો કે જવાબદાર અધિકારીઓ કોઈ જવાબ ન આપતાં હોવાનો દર્દીના સ્વજનો આરોપ લગાવી રહ્યા છે.
હૉસ્પિટલની બહાર અનેક લોકો જમા થયેલા છે. દર્દીનાં સગાં મૂંઝવણ અનુભવી રહ્યાં હોવાનું એમના ચહેરા પરથી જણાઈ આવે છે.
હૉસ્ટિલની બહાર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ હાજર છે, આથી દર્દીનાં સગાં પોલીસતંત્ર સામે તેમનો રોષ ઠાલવી રહ્યા છે.
એક મહિલા પોલીસને કહી રહી છે કે "અમને માણસ જોઈએ છે, અમારે પોસ્ટમૉર્ટમ નથી કરાવવું. અમને એમની ચહેરો બતાવી દો, હું તમને હાથ જોડું છું."
બીબીસીએ અન્ય એક વ્યક્તિ અરવિંદભાઈ શાહ સાથે પણ વાતચીત કરી હતી.
અરવિંદભાઈના સગા તેર દિવસથી કોવિડ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તો બીબીસી સાથે વાત કરતાં અરવિંદભાઈ શાહે કહ્યું કે, "5.13 મિનિટે હૉસ્પિટલ તરફથી ફોન આવ્યો કે હૉસ્પિટલમાં આગ લાગી છે. અહીં આવ્યા ત્યારે કોઈ જવાબ આપનારું નહોતું."
"આઠ લોકોનાં મૃત્યુનું લિસ્ટ તૈયાર હતું. એમાં મારા બનેવી અને મારો ભાણિયો પણ હતા."
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નવરંગપુરામાં શ્રેય હૉસ્પિટલની આગની દુર્ઘટનામાં તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો છે.
તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આગની દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો